પરસેવાની પળોજણ .
મધુ અને અંજુ એ દિવસે ઘણાં વર્ષો પછી મળ્યાં. માર્કેટમાં અંજુને શોપિંગ કરતી જોઈને મધુ પોતાની જાતને રોકી ન શકી. પાછળથી જઈને તેણે જેવી તેને આલિંગનમાં લીધી કે તરત જ ''ઓહ, શરીરમાંથી કેવી વાસ આવે છે.'' કહીને તેનાથી દૂર જતી રહી.
ભરબજાર વચ્ચે અંજુ સંકોચાઈને ઊભી રહી ગઈ. જ્યારે અંજુએ મધુને પોતાની પાછળ ઊભેલી જોઈ ત્યારે તે વધુ સંકોચ પામી. તેનો સંકોચ દૂર કરવા માટે મધુએ તેનાં વખાણ કરવાનાં શરૂ કર્યાં. તેની ઉદાસીનું કારણ સમજાયા પછી મધુએ તેની માફી માગી એટલું જ નહીં પણ શરીરની સ્વચ્છતા માટેના કેટલાંક ઉપાયો પણ બતાવ્યા.
સૌપ્રથમ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે પરસેવા શા માટે થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય?
મોસમ જેવી બદલાય છે કે તરત જ ઠંડી હવાને ગરમ હવા પોતાનું આવરણ ઓઢાડી દેતી હોય છે જેને લીધે પ્રસ્વેદગ્રંથિઓ સક્રિય થઈ જાય છે અને પરસેવો થવા લાગે છે.
ઉનાળામાં શરીરનું પાણી પરસેવો થઈને શરીરનાં રોમછિદ્રોમાંથી નીકળે છે ત્યારે સાથે થોડા પ્રમાણમાં મીઠું પણ નીકળતું હોય છે.
પરસેવાથી બચવા માટેના કેટલાંક સૂચનો:
* સ્નાન કરતી વખતે પાણીમાં ૪-૬ ટીપાં ગુલાબજળ અથવા યુડીકોલોન ઉમેરો. આનાથી આખો દિવસ તાજગીનો અનુભવ થશે.
* ઉનાળામાં સ્નાન કર્યા પછી ટેલકમ પાવડર જરૂર છાંટો, તે પરસેવાની દુર્ગંધને મોટે ભાગે દબાવી દેશે.
* શરીરની સફાઈ જો યોગ્ય રીતે કરવામાં ન ાવે તો પણ જીવાણુ એકઠા થઈને દુર્ગંધ પેદા કરી શકે છે, એટલા માટે સમગ્ર શરીરની સ્વચ્છતા પર ધ્યાન દેવું આવશ્યક છે નહીં તો ચેપ પણ લાગી શકે છે.
* બગલ, હાથ, પગની સાથે ગુપ્તાંગોની સ્વચ્છતા પર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ અને ખાસ કરીને જે જગ્યાઓ પર વધુ ધ્યાન આપો ને 'ડિઓડરન્ટ'નો ઉપયોગ કરો.
* ચુસ્ત કપડાંને બદલે ઢીલાં કપડાં પહેરવાં જોઈએ. ટાઈટ, સ્ટ્રેચ જીન્સ પહેરવાને બદલે 'લુઝર્સ' પહેરવાં જોઈએ. તેમાં જો પરસેવો વળશે તો પણ હવાથી સુકાઈ જશે.
* આ મોસમ માટે સુતરાઉ કપડાં વધુ ઉપયોગી રહે છે. સિન્થેટિક કપડાં ભૂલથી પણ પહેરશો નહીં. સુતરાઉ કપડાં શરીરની સાથે ચોંટી જતા નથી અને તેથી પરસેવો જલદી સુકાઈ જાય છે.
* રોલ ઓનઅને સ્પ્રે બંને પ્રકારના ડિઓડરન્ટ બજારમાં ઉપલબ્ધ છે. સ્પ્રેનો ઉપયોગ કરવો વધુ યોગ્ય ગણાશે.
* જો કપડાં એક જ દિવસ પહેર્યાં હોય તો પણ તેને ધોવડાવવા જોઈએ. કારણ કે ઉનાળામાં પરસેવો ધૂળમાટીની સાથે કપડાં પર જામી જતો હોય છે, જેને લીધે તેમાંથી અસહ્ય દુર્ગંધ આવે છે.
* પરસેવાની અસર પગનાં તળિયાં પર પણ વધુ પ્રમાણમાં થતી હોય છે. તેમને હમેશાં સ્વચ્છ રાખો. દિવસે તમે ઘરમાં હો તો થોડા કલાકને અંતરે પગ પર ઠંડુ પાણી રેડતા રહો. પગમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થશે અને તમે તાજગીનો નવો અનુભવ કરશો.
* દિવસ દરમિયાન ચહેરાને પણ એક -દોઢ કલાકને અંતરે ઠંડા પાણીથી સાફ કરો. (સાબુનો ઉપયોગ કરશો નહીં) ખાસ કરીને આંખ પર ઠંડા પાણીની છાલકો અવશ્ય મારો જેથી કંટાળો દૂર થઈ જશે.
* જ્યારે પણ સ્નાન કરો, તમારા અન્ડર ગાર્મેન્ટ અવશ્ય બદલો. મોટા ભાગે મહિલાઓ નાહીધોઈને તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાનાં અંદરના વસ્ત્રો ફરીથી પહેરી લેતી હોય છે, જે ત્વચા માટે હાનિકારક હોય છે.
* ઉનાળાની ઋતુમાં માથામાં વધુ પરસેવો થાય છે, જેથી વાળમાંથી ખાટી વાસ આવે છે, એટલા માટે માથું હમેશાં સ્વચ્છ રાખો. દર બીજા દિવસે શેમ્પૂ કરો. લોકોમાં એવી ખોટી માન્યતા ઘર કરી ગઈ હોય છે કે વારંવાર શેમ્પૂ કરવાથી વાળને નુકસાન થાય છે. આ વાતમાં કોઈ દમ નથી. આજકાલ વધતાં પ્રદૂષણને લીધે પરસેવાથી માથામાં મેલનાં પડ એકઠાં થવાં લાગે છે, જેથી માથામાં દુખાવો અને ખંજવાળની સમસ્યા થઈ શકે છે. તેથી ૧ દિવસને અંતરે માથું ધોવાથી કોઈ નુકસાન થતું નથી.
* શરીરનું પાણી અને મીઠું જ્યારે પરસેવો બનીને બહાર નીકળે છે ત્યારે શરીરને વધુ પાણીની આવશ્યક્તા રહે છે. એવી સ્થિતિમાં ઉનાળાની ઋતુમાં શરીરમાં શક્તિનો પુન: સંચાર કરવાને માટે ૧-૨ ગ્લાસ ગ્લુકોઝ પીવું આવશ્યક બને છે.