સુધા નારાયણ મૂર્તિ : ઋષિ પત્ની જેવું નિસ્પૃહ અને સાદગીપૂર્ણ જીવન જીવતાં સન્નારી
ચહેરા પર સતત મમતાભર્યું સ્મિત ધરાવતાં, સાદગીપ્રિય અને સરળ જીવનશૈલીના આગ્રહી સુધા નારાયણ મૂર્તિને જોઈને પ્રાચીન કાળના ઋષિ પત્નીની છબીનું સ્મરણ થઈ આવે છે. ભારતના બીપીઓ ક્ષેત્રમાં સફળતાના અનોખા સોપાન સર કરનાર ઈન્ફોસિસ કંપનીના સ્થાપક તથા ફોર્બસ સામયિક પ્રમાણે વર્ષ ૨૦૦૫ના ભારતના ૨૬માં સૌથી શ્રીમંત વ્યક્તિ એન.આર. નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિ હાઈ-ફાઈ જીવનશૈલી જીવી શકાય એટલા ધનાઢય છે છતાં તેમણે એકદમ સરળ જીવનશૈલી અપનાવી છે. તેમની સંપત્તિનો મોટાભાગનો હિસ્સો દાનમાં જાય છે અને અન્ય સ્ત્રીઓ કરતાં અપવાદરૂપ તેઓ શોપીંગ પણ ભાગ્યે જ કરે છે. આનો અર્થ એવો નથી કે તેમને કશામાં રસ નથી. સુધા મૂર્તિને લોકોને મળવાનો તથા તેમની સાથે વાતો કરવાનો શોખ છે. તેઓ જે પણ કાર્ય કરે છે તે સંપૂર્ણ ઉત્સાહથી કરે છે.
સામાન્ય રીતે ૬૦ વર્ષથી મોટી ઉંમરની ભારતીય સ્ત્રીઓનું જીવન પતિ,પરિવાર અને સામાજીક વ્યવહારો વચ્ચે બંધાયેલું હોય છે. આમાંની કેટલી સ્ત્રીઓ તેમના શોખને પોષે છે? કે કેટલી મહિલાઓ રમતના શોખ માટે વિદેશમાં જાય છે? સુધા મૂર્તિ આમાં અપવાદરૂપ છે. અગાઉ ફૂટબૉલની વર્લ્ડ કપ મેચ જોવા તેઓ મ્યુનીચ ગયા હતા. જો કે, મ્યુનીચ ખાસ મેચ જોવા ગયા હોવા છતાં તેમણે સ્ટેડિયમમાં ખૂબ ઓછો સમય ગાળ્યો હતો. તેઓ તેમની બહેનની સાથે સ્ટેડિયમની બહાર બેસતાં અને ત્યાંના લોકોનો જુસ્સો નિહાળતાં હતાં. ફૂટબોલ ફિવર પૂરો થયા બાદ સુધા તેમની પુત્રી અક્ષતા સાથે વિમ્બલ્ડન ખાતે ટેનિસ મેચ જોવા પણ ગયા હતા.
સુધા મૂર્તિને પ્રવાસનો ગજબનો શોખ છે. તેમના પિતા પણ ઘણો પ્રવાસ કરતા હતા. હું તેમને કહેતી કે તમારે તોે બસ કંડક્ટર બનવાની જરૂર હતી'' એમ હસતાં હસતાં તેમણે કહ્યું હતું. જો કે, પોેતાનો આ શોખ પૂરો કરવા મોટેભાગે તેમણે એકલા જ પ્રવાસ કરવો પડે છે. ૧૯૭૯માં તેમના પતિ નારાયણ મૂર્તિ અમેરિકા ત્રણ મહિના તાલીમ માટે ગયા હતા ત્યારે સુધાએ એકલા જ ત્રણ મહિનામાં અમેરિકા જોઈ લીધું હતું.
આજે તેઓ આર્થિક રીતે એટલા સંપન્ન છે કે વિશ્વમાં જ્યાં અને જેમ ઈચ્છે તેમ જઈ શકે છે. પણ હવે તેમના પ્રવાસ શોખનું સ્વરૂપ બદલાઈ ગયું છે. ''મને વિવિધ જગ્યાનો ઈતિહાસ જાણવો ગમે છે. જેમ કે, હું પોર્ટુગલ ગઈ હતી કારણ કે પોર્ટુગીઝોએ આટલે દૂર રહીને ૪૦૦ વર્ષ સુધી ગોવા પર શાસન કંઈ રીતે કર્યું તે મારે જોવું હતું. ત્યારબાદ હું ભારત-ચીનની સીમા પર આવેલા બે ક્ષેત્રો વચ્ચે વેપાર શરૂ થયા બાદ ભારતીય સંસ્કૃતિની થયેલી અસર જોવા માટે ગઈ હતી,'' એમ તેમણે જણાવ્યું હતું.
ઈન્ફોસીસની સ્થાપનાની કથા દંતકથા સમાન છે. તે જ પ્રમાણે આજે મૂર્તિ દંપતી બેંગલોરના જયાનગર ખાતેના ઘરમાં જે રીતે અત્યંત સરળ-સહજ જીવન જીવી રહ્યા છે તે ભૌતિકવાદની પાછળ પાગલ બનીને જીવનના ખરા આનંદને માણવાનું ચૂકી જતાં યુગલો માટે દાખલારૂપ છે. જો કે, વાત્સલ્યના મૂર્તિ સુધા માટે આમાં કોઈ અતિશયોક્તિ નથી. એક સમયે નારાયણ મૂર્તિએ સારો પગાર આપતી સલામત નોકરી છોડીને પોતાની તમામ બચતનું રોકાણ કરીને કંપની શરૂ કરવાનો વિચાર સુધા સમક્ષ રજૂ કર્યો હતો. તે સમયે પણ સુધા અકળ ભાવિથી ભયભીત નહોતા બન્યા. પરંતુ પતિ દ્વારા સ્થાપનારી કંપની આટલું મોટું સ્વરૂપ ધારણ કરશે એવી તેમણે કલ્પના પણ નહોતી.
''તમારી પાસે કંઈક હોય તો તમને અસુરક્ષાનો અનુભવ થાય. અમારી અપેક્ષાઓ ખૂબ જ ઓછી હતી. તથા બે છેડા સરળતાથી ભેગા કરી શકીશું એવોે મને વિશ્વાસ હતો. મને તો માત્ર ઘર અને સ્કુટર જોઈતા હતા.'' એમ સુધા મૂર્તિએ કહ્યું હતું.
જો કે કંપનીની સ્થાપના બાદ સુધાને જે સરળ જીવનની અપેક્ષા હતી તેના કરતાં અનેકગણું વધારે મળવાની શરૂઆત થઈ હતી. ઈન્ફોસીસને ધાર્યા કરતાં સારી એવી સફળતા મળી હતી. તેમ છતાં તેમના માટે જીવન ધાર્યા પ્રમાણે સહજ નહોતું. ''છેલ્લા ૩૫ વર્ષમાં ઈન્ફોસીસને જે સફળતા મળી તે મેળવવી સહેલી નથી અને પ્રત્યેકને તે હાંસલ થતી નથી. ભૂતકાળનો વિચાર કરું છું ત્યારે મને એમ થાય છે કે જીવનની શરૂઆતમાં કોઈ અપેક્ષાઓ જ નહોતી તેથી જીવનમાં વધુ આનંદ હતો. પરંતુ આજે ફલક વિસ્તર્યું છે.'' એમ તેમણે જણાવ્યું હતું.
સુધા મૂર્તિના સ્વભાવની નિખાલસતાથી ઘણાને આશ્ચર્ય થાય છે. પણ તેમની અન્ય એક ખાસિયત એ છે કે તેઓ અત્યંત પ્રમાણિક અભિગમ ધરાવે છે. તેમના આવા અભિગમને કારણે જ તાતાની ફેક્ટરીમાં તેમને એન્જિનિયર તરીકેની પહેલી નોકરી મળી હતી. આ નોકરીની જાહેરખબરમાં છેલ્લે મહિલા ઉમેદવારોએ અરજી ન કરવી.' એમ લખ્યું હતું. આથી સુધા મૂર્તિએ આ બાબતે જે.આર.ડી.તાતાને જ સીધો પત્ર લખ્યો હતો. તેમના આ પત્રને કારણે તેમને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાંર પછી નોકરી પણ મળી ગઈ હતી. આ દ્વારા તેમણે ચીલો ચાતર્યો હતો. કારણ કે તેઓ ફેક્ટરીના પ્રથમ મહિલા ઈજનેર બન્યા હતા. તે જમાનામાં એન્જિનિયરીંગ પુરુષપ્રધાન ક્ષેત્ર ગણાતું હતું. અને બધા પુરુષો વચ્ચે એકમાત્ર મહિલા ઈજનેર તરીકે તેમણે કામ કર્યું હતું. જો કે, હુબલીની યુનિવર્સિટીમાં એન્જિનિયરીંગના કોર્સમાં દાખલ થનારા તેઓ એકમાત્ર વિદ્યાર્થીની હતા. આ કારણે શરૂઆતમાં છોકરાઓ તેમની મશ્કરી કરતા હતા. પણ પછી થોડા મહિના બાદ જ્યારે તેઓ કોર્સમાં અવ્વલ આવ્યા ત્યારે સહુના આંગળા મોઢામાં જતા રહ્યા હતા અને તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું હતું.
સુધા મૂર્તિની કારકિર્દી એકદમ ઉજ્જવળ હતી. તે જ પ્રમાણે તેમના કુટુંબીજનોે પણ અનેક સિધ્ધીઓ ધરાવતા હતા. તેથી જ્યારે પતિને મદદરૂપ થવા તેમણે કારકિર્દી ત્યજવી પડી તો સ્વાભાવિક રીતે દુ:ખ થવાનું જ હતું. શરૂઆતમાં આ કારણે તેમનું હૃદય વલોવાઈ જતું હતું. ''મારા શિક્ષણ, કે બુદ્ધિક્ષમતાનો શો ઉપયોગ એવા વિચારો મને આવતા હતા. પણ હવે ઈન્ફોસીસ ફાઉન્ડેશનમાં કામ કરવાથી મને સંતોષ મળે છે. મને મારું આ કામ ગમે છે.'' એમ તેમણે કહ્યું હતું.
કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતાં ગરીબ પરિવાર માટે સ્વાસ્થ્ય અને શિક્ષણના પ્રકલ્પપો શરૂ કરવાના હેતુથી ૧૯૯૬માં ઈન્ફોસીસ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે ૧૬ વર્ષની અક્ષતાએ તેની માતાને તેના જીવનના ધ્યેય વિશે પૂછ્યું હતું. અક્ષતાનો આ પ્રશ્ન સાંભળીને અવાક્ થયેલા સુધા મૂર્તિએ ઈન્ફોસીસ ફાઉન્ડેશનની યોજના વિચારી હતી. તે સમયે તેઓ બેંગલોરની કોલેજમાં કમ્પ્યુટર સાયન્સના શિક્ષક તરીકે નોકરી કરતા હતા. અક્ષતાના પ્રશ્નથી વિચારોમાં ગરકાવ થઈ ગયેલા સુધા મૂર્તિએ તાત્કાલિક નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.
ફાઉન્ડેશનના વિવિધ પ્રકલ્પોમાંથી જે એક યોજના શરૂ કરવામાં આવી છે તેની પ્રેરણા યુવા સુધાએ તેના દાદા-દાદીને આપેલા એક વચનમાંથી મળી હતી. જ્યારે સુધાએ નોકરીની શરૂઆત કરી હતી ત્યારે તેમના દાદા-દાદીએ લાયબ્રેરીમાં પુસ્તકોનું દાન કરવાનું તેમને કહ્યું હતું. અને સુધાએ તેમને આ કાર્ય કરવાનું વચન આપ્યું હતું. આજે તેમનું ફાઉન્ડેશન 'લાયબ્રેરી ફોર એવરી રુરલ પ્રોજેક્ટ' હેઠળ કર્ણાટકના ગામડાઓની શાળામાં પુસ્તકોનું દાન કરે છે.
સુધા મૂર્તિ એક નાનકડી ઓફિસમાં બે-ત્રણ કર્મચારીની મદદથી ફાઉન્ડેશનનું કામકાજ સંભાળે છે. ફાઉન્ડેશનના કામ માટે મહિનાના ૨૦ દિવસ તો તેઓ અનેક સ્થળે ફરતાં જ હોય છે. જો કે, છેલ્લા ૧૦ વર્ષથી આ કામ કરીને હવે તેઓ લોકોને સારી રીતે ઓળખી શકે છે. ફાઉન્ડેશન પાસેથી આર્થિક મદદ માટે દર વર્ષે હજારો અરજીઓ મળે છે. તેમાંથી ખરેખર જરૂરિયાત હોય તેવા અરજદારોને સુધા મૂર્તિ સારી રીતે શોધી શકે છે.
આગવી પ્રતિભા, આવડત અને બુદ્વિ ચાતુર્ય ધરાવતાં સુધા મૂર્તિ ઘરે અત્યંત સામાન્ય જીવન જીવે છે. નારાયણ અને સુધાએ તેમના સહજીવનમાં કામગીરી વહેંચી લીધી છે. સુધાએ અક્ષતા અને રોહનના સર્વાંગી વિકાસ સાથે ઉછેરની જવાબદારી સ્વીકારી હતી. જ્યારે નારાયણ મૂર્તિએ ઈન્ફોસીસના વિકાસમાં તેમનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ કારણે ક્યારેક નારાયણ મૂર્તિની ગેરહાજરી તેમને સાલતી હતી.'' પરંતુ ઈન્ફોસીસ જેવી કંપની ઊભી કરવા માટે અગાધ શક્તિની જરૂર પડે છે. જીવનની શરૂઆતમાં અમે એકમેકની ખૂબ નજીક હતા. પણ જ્યારે તમારા પતિની સિધ્ધિઓ વધતી જાય છે ત્યારે અંગતજીવન માટે ઓછો સમય રહે છે. ૧૯૭૪માં અમે પૂનામાં રહેતા હતા તેવા જ જીવનની અપેક્ષા હું અત્યારે રાખી શકતી નથી,'' એમ સુધા મૂર્તિએ કહ્યું હતું. તેમને લગ્નપૂર્વેેનો સમય યાદ આવે છે, તે સમયે તેઓ બંને ફરવા જતા હતા ત્યારે સુધા જ ખર્ચ કરતા હતા.
નારાયણ અને સુધા મૂર્તિનું દાંપત્યજીવન આજના યુવા દંપતી માટે આદર્શરૂપ છે. પણ આ બંનેના સ્વભાવમાં ઘણો ફરક છે. નારાયણ અત્યંત ગંભીર પ્રકૃતિના છે. છતાં આ યુગલમાં વાંચન અને સંગીતનો શોેખ એકસમાન છે. બંને એકમેકના વ્યક્તિત્વને પૂરતું સમ્માન આપે છે. તથા એકબીજાના કામમાં દખલગીરી કરતા નથી. સુધા મૂર્તિને વાંચન ઉપરાંત લેખનનો શોખ છે. તેમણે નવ નવલકથા અને ચાર ટેક્નીકલ પુસ્તકો લખ્યા છે તથા પ્રકાશિત કર્યા છે. આમાંથી હાઉ આઈ ટોટ માય ગ્રાન્ડ મધર ટુ રીડ' અને 'અધર સ્ટોરીઝ' નામના પુસ્તકો સત્ય ઘટના પર આધારિત છે પણ લખાણ રમૂજી શૈલીમાં છે.
ઘર, ફાઉન્ડેશન અને પોતાના શોખને પોષવા જેવી વિવિધ પ્રવૃત્તિમાં રત રહેતા સુધા મૂર્તિનો ઊર્જાસ્ત્રોત કયો? એમ પૂછતાં તેમણે કૌટુંબિક વારસાને આનો શ્રેય આપ્યો હતો. અને તેમની વાત તદ્ન સાચી છે.
ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિ આજકાલ સોશ્યલ નેટવર્ક પર બહુ ગાજી રહ્યા છે. તેમની ફૂડ માટેની ચોઇસ આપવાના પગલે તે અનેક નેટિઝનના નારાજગીનો ભોગ બની રહ્યા છે. એ મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે મને બહારનું ખાવાનું બહુ પસંદ નથી એટલે હું ઘેરથી બનાવેલા નાસ્તાજ સાથે રાખું છું. પોતે એકદમ શાકાહારી છે એમ ગૌરવથી કહેતા સુધા મૂર્તિ તેમાં ઉમેરીને કહે છે કે હું તો લસણ પણ નથી ખાતી.
હું શુધ્ધ શાકાહારી હોવાના કારણે ટ્રાવેલ કરતી વખતે હોટલમાં જવાથી દુર રહું છું. કેમકે મને લાગે છે કે હોટલમાં શાકાહારી અને માંસાહારી પીરસવા માટે એકજ ચમચો રખાતો હશે. તેમની આ વાત સોશ્યલ નેટવર્ક પર અનેકને ખટકી હતી. પરંતુ સુધા મૂર્તિ કહે છે કે મારા મનમાં આ ચમચાની વાત એવી ઘર કરી ગઇ છે કે હું સાથે નાસ્તો રાખું છું. તરત ગરમ પાણીમાં નાખીને બનાવી શકાય અવા સોજીના પેકેટ રાખું છું. પૌંઆ રાખું છું. નાનું કુકર રાખું છું જેથી બહારના જમવા પર આધારના રાખી શકાય. જોકે તેમના શકાહાર અને માંસાહાર માટે વપરાતા એકજ ચમચાવાળી વાતને સોશ્યલ નેટવર્ક પર જાતીવાદમાં ખપાવાઇ રહી છે. કેટલાકે કહ્યું છે કે તેમણે આડકતરી રીતે એમ કહેવાનો પ્રયાસ કર્યો છે કે બ્રાહ્મણો સુપ્રીમ છે. એકે તો લખ્યું છે કે ટ્રાવેલ શા માટે કરો છો? જીંદગી ભર ગામડાની ઝુંપડીમાં રહો, ક્રિશ્ચનના પશ્ચિમના દેશોમાં જઇ ડોલરમાં બીલ ચૂકવવાના બદલે ત્યાં પગજ ના મુકો.
જોકે અનેક લોકોએ તેમની શાકાહારને વળગી રહેવાની વાતને આવકારી હતી. તે લસણ પણ નથી ખાતા તે વાતને પણ વખાણાઇ હતી.જોકે સુધા મૂર્તિની વાત અનુકરણીય છે. વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા અનેક લોકો સુધા મૂર્તિની જેમ સાથે નાસ્તાની બેગ અને નાનું કૂકર રાખે છે. અનેક લોકો શુધ્ધ શાકાહારી હોય છે અને પોતાની આહાર નિતીને વળગી રહ્યા હોય છે. સુધા મૂર્તિ અવારનાવાર પોતાની જીવન શૈલી વિષે અને લગ્ન જીવન વિશે પણ બોલીને લોકોનો પ્રેમ જીતી શક્યા છે. તેમની વાતમાં ઘણું નવતર જોવા મળે છે. તેમની સાથે સંકળાયેલી અનેક વાતો તેમણે આપેલા ઇન્ટરવ્યૂ પરથી જોવા મળે છે. તે કાયમ સાદાઇને વરેલાં જોવા મળે છે. જેમકે કપિલ શર્માના શોમાં તેમણે કહ્યું હતું કે લંડનના વિઝા ઇસ્યુ કરતી વખતે મને પૂછાયું કે તમે લંડનમાં ક્યાં રહેશો? મારોે પુત્ર યુકેમાં રહે છે પરંતુ મને એડ્રેસની બહુ ખબર નહોતી એટલે મેં મારા જમાઇ અને યુકેના વડાપ્રધાનનું એડ્રેસ ૧૦, ડાઉનીંગ સ્ટ્રીટ લખી નાખ્યું . વાંચનાર સ્તબ્ધ થઇ ગયો હતો કેમકે તેને ખબર પડીકે આ તો વડાપ્રધાનના સાસુ છે. સુધા મૂર્તિ સાથે સંકળાયેલી એક વાત એ પણ છે કે તેમણે એક મહિલા પત્રકાર સાથે વાત કરવાની એટલા માટે ના પાડી હતી કે તેણે કપાળ પર બિંદી(ચાંલ્લો) નહોતી લગાવી. રાજ્યના મહિલા પંચે આ ઘટનાની નોંધ લીધી હતી અને સુધા મૂર્તિને નોટિસ પણ ફટકારી હતી. દાનવીર અને લેખકની યાદીમાં આવતા સુધા મૂર્તના એક વિડીયોમાં તે મહારાષ્ટ્રમાં એક જમણેરી નેતા સંભાજી ભીંડેને પગે લાગતા સુધા મૂર્તિ જોવા મળતા હતા. આ જોઇ અનેક નેતાઓના ભવાં સંકોચાયા હતા પ્રવાસ દરમ્યાન બહારનું જમવાનું કેવું હોય અને ક્યા ચમચાથી હલાવ્યું હોય તે જોઇને વિચારે ચઢી જવાના બદલે સાથે સુધા મૂર્તિની જેમ તાત્કાલીક બની શકે એવું ફૂડ, ઘરનો નાસ્તો કે નાનું કૂકર સાથે રાખવાનો પ્રયાસ કરવો જોઇએ જેથી શુધ્ધ શાકાહારી ખોરાક મળી શકે. કોઇ શું કહેશે એની સાડાબારી રાખ્યા વગર પોતાની માન્યતા અને ધર્મ સાથે કોઇ બાંધ છોડ ના કરવી જોઇએ તેવું સુધા મૂર્તિએ ટૂંકમાં સમજાવી દીધું છે.