Get The App

વાર્તા : અજાણી અર્ધાંગિની .

Updated: May 29th, 2023

GS TEAM


Google News
Google News
વાર્તા : અજાણી અર્ધાંગિની                             . 1 - image


- એકવાર નિતીને નિકીતાને પોતાના બાહુપાશમાં જકડી લઈ તેના હોેઠોનું ચુંબન લેતાં લેતાં કહ્યું હતું કે આ પૃથ્વી પર મારા જેવો સૌભાગ્યશાળી પુરુષ કોઈ નહિ હોય. ત્યારે જ નિકીતાએ ગમ્મતમાં નિતીનને એ પણ કહ્યું  હતું કે આ પૃથ્વી  પર પોતાની પત્નીને આટલું માખણ લગાડતો  અને ખુશામત કરતો પતિ પણ કોઈએ નહિ જોયો હોય.

એક વાત તો ચોક્કસ છે કે કોઈપણ નાના ગામમાં કોઈ પણ વાત છુપી  રહેતી નથી. કોઈપણ માહિતીને નાનકડા ગામમાં ફેલાતા વાર લાગતી નથી. એટલે જ તો હજી તો નીતિનની ગાડી નંદનપુરના સ્ટેશન પર  આવે તે પહેલા તો અડધું ગામ એ  રહસ્યથી પરિચિત થઈ ગયું હતું કે નીતિન એક તદ્ન અજાણી સ્ત્રી સાથે લગ્ન કરી આજે તેને લઈને આ ગામમાં આવી  રહ્યો છે.

એક જમાનો એવો હતો કે જ્યારે નિતીનને આખા ગામમાં એક સંપૂર્ણ યોગ્ય લગ્ન પાત્ર મુરતિયા તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. પરણવાલાયક અનેક કન્યાઓનાં માતાપિતા નિતીનને  પોતાનો જમાઈ બનાવવા માટે તલપાપડ હતા. એટલું જ નહિ પરંતુ ઘણાં મંદિરોમાં દેવીદેવતાઓની પૂજા અર્ચના કરવામાં રાતદિવસ કાર્યરત રહેતાં હતાં.

ઘણા માતા-પિતાએ તો વળી નિતીનની કે   તેના માતા-પિતા કે સગાસંબંધીઓની ઘણી બધી માગણીઓને સંતોષવા માટે અગાઉથી જ પૂર્વાપ્રેક્ષારૂપે જ દહેજ માટે ઘણી બધી  સાંસારિક સાધનસામગ્રીઓનો પણ ખડકલો કરી રાખ્યો હતો. પોતાની દીકરીને નીતિન સાથે પરણાવવા માટે તેને પ્રલોભન આપવાનું કોઈ પરિબળ અજમાવ્યા વિના બાકી રાખ્યું ન હતું. તેમ છતાં ઘણી કન્યાઓ નીતિનને પોતાની સૂરત અને સીરત અથવા તો સૌંદર્ય  અને બુદ્ધિચાતુર્યના જોરે વશીભૂત કરવા અથવા તો સંમોહિત કરવાની પૂર્વતૈયારીઓ પણ કરી ચૂકી હતી. એટલે કે લગભગ ઉંમરલાયક દરેક કન્યાના માતાપિતાએ પોતાના ઉપાયોમાં કોઈ કચાશ રહેવા દીધી ન હતી.પરંતુ આ તમામ માતા-પિતા અને કન્યાઓની પરિકલ્પનાઓને  અને સપનાને નિતીને ધૂળધાણી કરી નાંખ્યા હતા. કારણ કે આજે તે  એક અજાણી અર્ધાંગીની લઈને પોતાના ગામે આવી  રહ્યો હતો. નિતીનની આવી પ્રવૃત્તિની કોઈને કલ્પના સુધ્ધાં નહિ આવી હોય. તેમ છતાં ગામનાં મોટાભાગના લોકો આ બનાવ બદલ નિતીનને  બદલે તેની પરિણીતા ઉપર દોષારોપણ કરતાં  અંદરો  અંદર એવી વાતો  કરવા લાગ્યા  કે આ લગ્ન બાબત નિતીન નિર્દોષ હશે  અને આ સ્ત્રીએ જ પોતાના રૂપથી નીતિનને મોહિત કર્યો હશે અથવા  તો પોતાની શ્રીમંતાઈથી પ્રભાવિત  કરી લગ્ન માટે લાચાર કે પરવશ કર્યો હશે. નહિ તો નીતિન  ગામનો લાખોમાં એક લાયક મૂરતિયા તરીકે  સર્વાનુમત્તે સ્વીકાર્ય યુવક હતો.

આ ગામ લોકોને  નિતીનની આ પત્નીના નામ સુધ્ધાંની ખબર પડી ગઈ હતી. આ સ્ત્રીનુ નામ આમ તો હતું નિકીતા. પરંતુ લાડમાં તેને નીક્કી કહીને બોલાવવામાં આવતી. જાણે કે છોકરાનું નામ.

ગાડી પ્લેટફોેર્મ પર આવીને ઊભી રહી અને જ્યારે નિતીનની પાછળ તેની નીક્કી ઉતરી તો તેને જોતાં જ તેનું સ્વાગત કરવા આવેલા લોકોનો અણગમો પહેલાં કરતાંય અધિક વધી ગયો. તેમ છતાં જ્યારે નિક્કીએ ચહેરા પરથી સ્મિત વેર્યું અને તેના ગાલ પરનાં બે ખંજનોએ લોકોના દિલોમાં ખંજર  ભોંકી દીધું તે જોઈને તો તેમના વિચારોની જટીલતાં વધુ વ્યાપક બની ગઈ.

સ્વાગત કરવા આવેલા એક તો વળી આલોચના પણ કરી કે આટલી રૂપાળી સ્ત્રી દિલોે દિમાગથી એટલી રૂપાળી કદાપિ હઈ શકે જ નહિ. એની આ ચેષ્ટા કદાચ આડંબર  પણ હોઈ શકે છે. પરંતુ આ આલોચનામાં તર્ક કરતાં ઈર્ષાનું તત્ત્વ વધુ પડતું નીતરતું જોવામાં આવતું હતું.

તેમ છતાં આ એક એવી હતાશાજનક પરિસ્થિતિ હતી કે તેઓ નીક્કીમાં બીજા કોઈ પૂરાવારૂપે બીજો કોઈ દોષ કે ક્ષતિ પારખી શક્યા નહિ. ત્યારબાદ તો બધાએ બધા દ્વારા કરવામાં આવેલી આલોચનાનું પુનરાવર્તન કર્યું. તેમ છતાં ગામમાં  કોઈએ નીતિનની કે નિકીતાની વ્યક્તિગત આલોચના કરવાની  હિંમત કરી નહિ.

આમ તો કોઈ  પણ સમાજમાં કોઈપણ વ્યક્તિની પ્રતિષ્ઠાનું ઘડતર કે નિકંદન લોકોની ટીકા-નિંદા કે આલોચના કે પછી મહિમા અને પ્રશંસા  કે સ્તુતિ પર અવલંબિત હોય છે.  તેમ છતાં કોઈપણ   વ્યક્તિ કેવી છે  તે કોઈપણ  છાતી ઠોકીને કહી શકે નહિ. તો વળી ઘણા લોકો પકડાઈ જવાના ભયથી પણ ટીકા કે નિંદા ચોરી છુપીથી કરતાં જોવામાં  આવે છે અને તેમ  છતાં તેની ગંધ આવી ગયા વિના રહેતી નથી.

ખેર! ગામના લોકો શું બોલે છે અને કેવી વાતો કરે છે તેની નિકીતાને  લગીરે દરકાર ન હતી. લોકો તેના વિશે  શું વિચારતા હશે તેની પણ  નિકીતાને  લેશમાત્ર પરવા ન હતી. વિશેષરૂપે ગામમાં પધાર્યા બાદ અમુક અઠવાડિયા સુધી તો નહિ જ.

નાનકડા ગામમાં ચાલતાં ગપગોળાના પરિણામે ભલે નિકીતા પોતાને એકલી અટુલી અથવા તરછોડાયેલી મહેસૂસ કરે પરંતુ પોતાના અંતર આત્માથી તે નિતીન સાથે વણાયેલી અને ગુંથાયેલી હતી તે વિસરાય એવી વાત ન હતી. તેમ છતાં નિતીનને નિકીતાનું શાને આટલું ઘેલું લાગ્યું હશે તે કોઈ જાણતું ન હતું. પરંતુ નિકીતાને નિતીનનું કેટલું ઘેલું હતું તેની કોઈ મર્યાદા ન હતી. નિકીતાને નિતીનની એક એક પ્રવૃતતિ, ચેષ્ટા અને દિનચર્યામાંથી  પ્રેમ, આનંદ, ખુશી અને દિવ્યતાની અનુભૂતિ થતી.

એકવાર નિતીને નિકીતાને પોતાના બાહુપાશમાં જકડી લઈ તેના હોેઠોનું ચુંબન લેતાં લેતાં કહ્યું હતું કે આ પૃથ્વી પર મારા જેવો સૌભાગ્યશાળી પુરુષ કોઈ નહિ હોય. ત્યારે જ નિકીતાએ ગમ્મતમાં નિતીનને એ પણ કહ્યું  હતું કે આ પૃથ્વી  પર પોતાની પત્નીને આટલું માખણ લગાડતો  અને ખુશામત કરતો પતિ પણ કોઈએ નહિ જોયો હોય.

'બસ  હવે  બહુ થયું. ઓફિસે જતાં પહેલાં આવું બધું ગાંડુઘેલું કરવાનું તું ક્યાંથી શીખી આવ્યો છે.' નિકીતાએ સંતોેષનો શ્વાસ લઈ નિતીનને આઘો ધકેલતા કહ્યું. 'હવે ઉઠીને પોતે જ ટીફીન તૈયાર કરો. મારામાં તો ઉઠવાની તાકાત નથી.'

'ખેર! ઓફિસે જતાં પહેલાં આવી બધી હરકતો કરીએ તો હાથનાં કર્યા હૈયે વાગ્યા વિના કેમ રહે? મારા ગયા બાદ જરા બાપુજીના રૂમમાં જઈ આવજે. બાપુજી   પણ મારી પસંદગી પર વારી ગયા છે. એ તો તું જ છે કે તને આસાનીથી મળી ગયેલા મારા જેવા પતિની કદર નથી!'

'બસ, બસ, હવે જાવને મારા બાપલા. મને થોડો આરામ કરી લેવા દો. નહિ તો હમણાં બાપૂજી  બૂમ મારશે.' કહી નિકીતાએ નિતીનને ખાસો પલંગમાંથી બહાર હડસેલી  મુક્યો.

ખરેખર, આમ પણ નિતીનના પિતા નિકીતાથી ઘણા ખુશ અને સંતુષ્ટ હતા. તેમ છતાં નિકીતાને વારંવાર પૂછતા કે બેટા નિકીતા તારા ઘરમાં તું સુખી તો છે ને? આ સાંભળી નિકીતા ગદ્ ગદ્ થઈ જતી અને સસરાના ખોળામાં માથું મુુકી વાસ્તવિક પારિવારિક સુખાનંદની અનુભૂતિ કરતી.  તો વળી નિતીનના પિતાને પણ નિકીતા પ્રભાતની ખુશબોદાર, શીતળ, શુદ્ધ પવિત્ર હવાની લહેર જેવી લાગતી.  તેની ઉપસ્થિતિથી આ ઘર નંદનવનમાં પરિવર્તિત થઈ ગયું હતું.

જતે દહાડે નિકીતા હવે ગામ લોકો અને ગૃહિણીઓના પરિચયમાં આવવા લાગી હતી. નિતીન જ્યારે પણ નિકીતાને બહાર લઈ જતો ત્યારે અચૂક કોઈને કોઈ   પરિચિત સજ્જન અથવા ગૃહિણી સાથે નિકીતાનો પરિચય કરાવતો. આમ નિકીતા હવે ગામના ઘણા લોકો સાથે સંપૂર્ણપણે પરિચિત થઈ ગઈ હતી એટલે ઘણીવાર હવે તે એકલી બહાર જવામાં પણ સંકોચ અનુભવતી નહિ. તેમ છતાં નિકીતાને એક વાતનો અણસાર થયા વિના રહ્યો નહિ કે  હજી પણ લોકોએ નિકીતાને ભૌતિકરૂપે તો ઠીક પરંતુ મન અને બુદ્ધિથી  સ્વીકારી ન હતી અને નિકીતાના મનમાં આ વસવસો રહી ગયો હતો જેનાથી તે ઘણીવાર વ્યથિત પણ થઈ જતી.

તેને ઘણીવાર તો એવું પણ લાગતું  કે ગ્રામજનોને નિકીતા કરતાં તેની જીવનશૈલી વધુ અસ્વીકૃત છે. પરંતુ તેને મનમાં એવો પ્રશ્ન ઉઠતો કે પોતાની જીવનશૈલી અથવા તો જીવનધોરણ સાથે લોકાને શી નિસ્બત. તો ઘણીવાર તેને પણ એવું પણ લાગતું કે તેઓ તેની સુંદરતા અને વ્યક્તિત્વથી અંજાઈ ગયા હોઈ તે એક પ્રકારની હિણપત અથવા તો લઘુતાગથિની અનુભૂતિ કરતા હોય.

આમ દિવસો જતાં નિતીનના જાણવામાં એ વાત આવી કે મોટા ભાગના પુરુષો નિકીતાના દેહ લાલિત્ય અને મોટાભાગની સ્ત્રીઓ તેના સૌંદર્યથી   પ્રભાવિત થઈ હોઈ ઈર્ષાની  અગ્નિમાં હોમાઈ જતી હોવાનું  જાણવામાં  આવ્યું હતું અને તેઓ જ્યારે એકબીજાને મળતા ત્યારે નિકીતા  વિશે જ ચર્ચા કરતા. ઘણીવાર તેઓ અંદરોઅંદર એવી પણ કાનાફૂસી કરતા કે આપણા ગામમાં તો નટી આવી છે અને આમ બોલી હાંસી પણ ઉડાવતા. એકવાર શહેરમાંથી નિતીનના મિત્રો સહદંપતિ રાતવાસો કરવા ગામમાં આવી પડયા અને તે રાતે નિતીનના બંગલે એવી મહેફિલ જામી કે આખા લત્તાના લોકો મોમાં આંગળા ઘાલી ગયા. કારણ કે આ મહેફિલ વહેલી સવાર સુધી ચાલી આટલું જ નહિ પરંતુ મહેફિલ દરિમયાન પુરુષો અને સ્ત્રીઓના ચિત્રવિચિત્ર અવાજો અને સિસકારા તથા હાસ્ય સાથે વિવિધ પ્રકારની  પ્રવૃત્તિઓ અને ચેષ્ટાના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતી કિકિયારીઓ સાંભળીને પણ લોકોના  રૃંવાટા   ખડા થઈ ગયા તો સાથે સાથે હૃદયના ધબકારા વધી ગયા અને ઘણાંના તો ગાત્રો પણ શિથિલ થઈ ગયાં તો વળી સ્ત્રીઓના શરીરમાં તો ઉત્તેજનાનો વિદ્યુત પ્રવાહ પણ વહેવા લાગ્યો. હવે આ આખા પ્રસંગનું ગામ લોકોએ શું અર્થઘટન કર્યું  હશે તેની  કલ્પના કરવી મુશ્કેલ બાબત નથી. ગામ લોકો તો એટલે સુધી  વાતો કરવા લાગ્યા કે નિતીનના બંગલામાં રાત્રીના અંચળા  હેઠળ નિર્લજ્જ અને મર્યાદાહીન પ્રવૃત્તિઓ થઈ રહી છે. નહિ તો સ્ત્રી પુરુષોના અવાજોમાં આટલી માદકતા અને ઉત્તેજના સાંભળવામાં આવે જ નહિ. એટલે કે નીતિન અને નિકીતાના બંગલામાં સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધને સામુહિક રૂપે સાકાર સ્વરૂપ આપવામાં આવે છે.

હવે આગલી રાતે નિતીનના બંગલે કેવી  પ્રવૃત્તિઓ  કરવામાં આવી હતી તે જાણવા માટે લત્તાના પરિવારજનોએ પદમા અને પ્રદીપને એક સાંજે નિકીતાને ઘેર મોકલ્યાં. ત્યારબાદ આ દંપતી પાસેથી જે કોઈ વિગતો જાણવામાં આવી તે સાંભળીને લોકોના મનમાં નિકીતા વિશે જે ગેરસમજૂતી ઘર ઘાલી ગઈ હતી તેનું ઉચિત નિવારણ થઈ ગયું. એટલું જ નહિ પરંતુ નિકીતાના સ્વભાવ, સંસ્કાર, વિચાર, વાણી અને વર્તનથી પરિચિત થઈ એટલા તો પ્રભાવિત થયા કે ઘણાએ તો એકી સાથે નિકીતાને ઘેર જવાનો પ્રસ્તાવ પણ મૂક્યો. પરંતુ એકી સાથે જવાને બદલે વારાફરતી દરેક દંપતિએ નિકીતાની યજમાનગીરી માણવાના પ્રસ્તાવનો સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો અને જતે દિવસે આ પ્રસ્તાવ અમલમાં પણ મૂકવામાં આવ્યો. પરંતુ પરિણામે બધાની વિગતો નિકીતાની બાબતમાં એકસરખી નીકળતાં તમામ દંપતિઓ આશ્ચર્યચકિત થઈ ગયાં.

થોડા દિવસો બાદ બધી સ્ત્રીઓએ પોતાના પતિદેવોને નિતીન ઘરે ન હોય ત્યારે નિકીતાને  બંગલે મોકલવાનો પ્રોગ્રામ બનાવ્યો. ત્યારે પણ નિકીતાએ પોતાના પતિની ગેરહાજરીમાં પણ આ પુરુષોની એવી પરોણાગતિ કરી કે ઘેર જઈને પોતાની પત્નીઓ  સમક્ષ નિકીતાની પ્રશંસા કરતાં કરતાં તેમની જીભ થાકી નહિ. એવી જ રીતે એકવાર તમામ પત્નીઓ જ્યારે નિકીતા ઘેર ન હતી  ત્યારે નિતીનને બંગલે પહોંચી ગઈ ત્યારે પણ નિકીતાની ગેરહાજરીમાં પણ નિતીને આ સ્ત્રીઓની એવી ખાતિરદારી કરી કે ઘેર  જઈ પોતાના પતિઓને નિતીન જેવાં લક્ષણો ધારણ કરવાની સલાહ આપી  ત્યારે બધા પતિદેવોએ પોતાની પત્નીઓને નિકીતા જેવી આદર્શ અર્ધાંગિની બનવાની સલાહ આપી.

આમ એક સમયે તદ્ન અજાણી અર્ધાંગિની બનીને અજાણ્યા  ગામમાં આવેલી નિકીતાએ પોતાના  શ્રેષ્ઠ સ્વભાવ, સંસ્કાર અને આચાર અને વ્યવહારના પરિણામે આડોશી પાડોશી તો ઠીક પરંતુ લત્તા ઉપરાંત ગામનાં ઘણા દંપતિઓ અને પરિવારોના મન મોહી લીધાં. એટલું જ નહિ પરંતુ અનેક પરિવારોની પત્નીઓને અજાણી હોવા છતાં આદર્શ અર્ધાંગિની બનવાનુ ંઉદાહરણ પણ પૂરું  પાડયું.  આ તો જાણે ઠીક પરંતુ નિકીતાએ પોતાના પરિચિત પરિવારોની પરણવાલાયક કન્યાઓને પણ અજાણી અર્ધાંગિની બની અજાણ્યા ગામમાં  ગયા બાદ પારકાંને પોતાના બનાવવાની કળા અને સંસ્કારના સિંચનથી સજ્જ કરી આદર્શ ગૃહિણીના ધર્મથી શૃંગારીત કરી.

Tags :