* એક સવારે લગભગ ૧૦ વાગે મહેક મહેતા અને તેના પતિ બંને ચા -નાસ્તો કરી રહ્યાં હતાં. મહેક મહેતાએ અચાનક જ ગુસ્સે થઇને તેના ઘર નોકરને કહ્યું, ચા નો સ્વાદ બહુ જ ખરાબ છે. તને ચા બનાવતાં નથી આવડતું ? મારો મુડ અને દિવસ બંને ખરાબ થઇ ગયાં.
* મહેક મહેતા જે મલ્ટિનેશનલ કંપનીમાં મેનેજર છે તેના મહત્વના નિર્ણયોમાં અવરનાવાર ભૂલ થતી હોવાથી કંપનીના ડાયરેક્ટરે તેને ચેતવણી આપી. પરિણામે મહેક મહેતા ઘરે આવીને રડી પડયાં.
* એક દિવસ અચાનક જ મહેક મહેતા ઘરમાં પોતાનો મોબાઇલ, ગોગલ્સ, રિસ્ટ વોચ વગેરે ક્યાં મૂક્યાં છે તે ભૂલી ગયાં. પોતાને યાદ નહીં આવતું હોવાથી મહેક મહેતા પહેલાં ગુસ્સે થઇ ગયાં અને પછી બાળકની જેમ બૂમાબૂમ કરીને તોફાન કરવા લાગ્યાં.
મહેક મહેતાનાં વાણી -વર્તનમાં આવો વિરોધાભાસ અને વિચિત્રતા જોઇને તેના પતિ સાગર મહેતાને તો બહુ જ આશ્ચર્ય થયું. સાથોસાથ ચિંતા પણ થઇ, કારણ કે મહેકનો સ્વભાવ બહુ જ શાંત અને પ્રેમાળ છ. વળી, મહેક મહેતા તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતી હોવાથી તેની મલ્ટિનેશનલ કંપનીમાં પણ તેનું માન -સન્માન છે.
પત્ની મહેકનાં વાણી-વ્યવહારમાં આવું ચિંતાજનક પરિવર્તન જોઇને તેના પતિ સાગર મહેતાએ પોતાના ફેમિલી ડોકટરની સલાહ લીધી.ડોક્ટર સાથેની વાતચીત દરમિયાન માહિતી મળી કે મહેક મહેતા નિદ્રાની સમસ્યાથી પીડાઇ રહ્યાં છે. મલ્ટિનેશનલ કંપનીમાં ફરજ બજાવતાં હોવાથી મોડી રાત સુધી , તોક્યારેક વહેલી સવાર સુધી ઓફિસ વર્ક કરવામાં વ્યસ્ત રહેતાં.
જોકે ફેમિલી ડોક્ટરે નિષ્ણાત ન્યુરોલોજિસ્ટની સલાહ અને સારવાર લેવાની સલાહ આપી. નિષ્ણાત -અનુભવી ન્યુરોલોજીસ્ટની તબીબી તપાસ અને રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે મહેક મહેતા અપૂરતી અને ગાઢ નિદ્રાની સમસ્યાથી પીડાઇ રહ્યાં છે. પરિણામે તેમના મગજની કુદરતી ગતિવિધિમાં પણ ચિંતાજનક ફેરફાર થયા છે. ન્યુરોલોજીસ્ટે મહેક મહેતાને ઉપયોગી સલાહ આપતાં એમ પણ કહ્યું કે સમયસરની અને યોગ્ય સારવારથી પરિસ્થિતિ કાબૂમાં આવી જશે. આમ છતાં તમારે તમારા રોજબરોજના જીવનમાં અને નોકરીના સમયમાં ફેરફાર તો જરૂર કરવા પડશે.
પેલા ન્યુરોલોજીસ્ટનું નિદાન અને માર્ગદર્શન બંને સાચાં હતાં.
મહેક મહેતા (નામ કાલ્પનિક છે) એક મલ્ટિનેશનલ કંપનીમાં મેનેજર છે. મહેક મહેતાએ ભારતના અને વિદેશના સમય મુજબ ફરજ બજાવવી પડે છે. ભારતના અને વિદેશના સમય વચ્ચે સરેરાશ ૮ -૧૦ કલાકનો તફાવત હોય છે.આ પરિસ્થિતિમાં મહેક મહેતાએ મોડી રાતના બે - ત્રણ વાગ્યા સુધી જાગીને કંપનીનું કામ કરવું પડે છે. આવા ભારે કાર્યબોજને કારણે મહેક મહેતા પૂરતી અને ગાઢ નિદ્રાનું કુદરતી સુખ માણી શકતાં નથી.
* અપૂરતી નિદ્રા અને રાતના ઉજાગરાથી મગજની કુદરતી ગતિવિધિ પર કેવી અસર થાય ?
મુંબઇના જાણીતા ન્યુરોલોજીસ્ટ અને પ્રદૂષણ -- પ્રદૂષિત હવાથી માનવીના મગજ પર થતી વિપરીત અસર , મોડી રાત સુધી જાગવાવાથી માનવીના આરોગ્યને થતા નુકસાન વિશે બહોળો સંશોધનાત્મક અભ્યાસ કરનારા ડો.મોહિનીશ ભટ્ટજીવાલે ગુજરાત સમાચારને કહે છે, સૂરજ દિવસે ૧૨ કલાક સુધી ઝળહળે છે, એ જ રીતે રાતે પણ ૧૨ કલાક સુધી ઝળહળે તો શું થાય ? ધરતી અત્યંત ગરમ થઇ જાય. ધગધગતી ઉઠે. પૃથ્વીનું સમગ્ર વાતાવરણ હોટ હોટ થઇ જાય. જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય.
* કંઇક આ જ રીતે માનવીનું મગજ દિવસે અને રાત્રે પણ કાર્યરત રહે તો તે પણ ગરમ થઇ જાય. મગજનાં અતિ નાજુક જ્ઞાાનતંતુઓને બહુ થાક લાગે. એમ કહો કે જ્ઞાાનતંતુઓનો ઓવરયુઝ થાય. પરિણામે તબીબી ભાષામાં સમજીએ તો ઇન્ફર્મેશન ટ્રાન્સફરની કુદરતી પ્રક્રિયા પર વિપરીત અસર થાય. સરળ રીતે સમજીએ તો જ્ઞાાનતંતુઓ દ્વારા થતી માહિતીની સરળ અને ઝડપી આપ - લે ની કુદરતી પ્રક્રિયામાં અવરોધ સર્જાય. રાત્રે સતત કૃત્રિમ લાઇટ રહેવાથી બ્રેઇનમાં ઇરિટેશન(ઉશ્કેરાટ) થાય જે માનવીના આરોગ્ય માટે નુકસાનકારક છે.
* બીજું, જે કોઇ વ્યક્તિ લાંબા સમય સુધી મોડી રાત સુધી જાગતી રહે તેનાં મગજમાં નવાં હોર્મોન્સના સર્જનની કુદરતી પ્રક્રિયા અટકી જાય. ઉદાહરણરૂપે મીણબત્તી સતત સળગતી રહે તો છેવટે તે સંપૂર્ણ બળીને ખાખ થઇ જાય છે. બરાબર આવી જ પ્રક્રિયા મગજમાં થાય તો તેની કુદરતી શક્તિનો પણ નાશ થાય. માનવીને ગંભીર રોગ થવાનું જોખમ રહે.
માનવી રાતે નિદ્રાધીન થાય ત્યારે તેના મગજમાં મેલાટોનીન,હ્યુમનગ્રોથ હોર્મોન, ગામા એમિનોબ્યુટાયરિક,પોલેક્ટિન વગેરે હોર્મોન્સનું સર્જન થાય છે.
આબધાં હોર્મોન્સ માનવીના શરીરની તંદુરસ્તી માટે બહુ ઉપકારક બની રહે છે. ઉપરાંત, રાત્રે વધુ સારી-ગાઢ ઉંઘ આવે, રોગપ્રતિકારકશક્તિ વધે, શરીરનું તાપમાન ઓછું થાય અને આરામ મળે, મગજને પૂરતું પોષણ મળે વગેરે પ્રક્રિયા માટે પણ લાભકારક બને છે.
જોકે જે વ્યક્તિ ઘણા દિવસો સુધી મોડી રાતે જાગતી રહે છે તેની સર્કેડિયન રીધમ અથવા તો બાયોક્લોકની કુદરતી ગતિવિધિ ખોરવાઇ જાય છે. માનવીનું શરીર ખરેખર તો નૈસર્ગિક હોવાથી તેનું પ્રકૃતિ સાથેનું ટયુનિંંગ(તાલમેલ) તૂટી જાય છે. જેમ ટ્રાન્ઝીસ્ટર અને રેડિયો સ્ટેશન વચ્ચે ખાસ પ્રકારનું ટેકનોલોજીકલ ટયુનિંગ ન રહે તો રેડિયો પર કાર્યક્રમોનું પ્રસારણ ન થઇ શકે.
બરાબર આ જ રીતે સતત જાગવાથી વ્યક્તિની પોતાના કાર્યમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકે. નોકરી કે બિઝનેસના કામમાં વારંવાર ભૂલ કરે. નાની નાની વાત અને કામ ભૂલી જાય. અતિશય ઉશ્કરાટ અનુભવે. સ્વભાવ ચિડિયો થઇ જાય. માથું ભારે લાગે. આંખોમાં બળતરા થાય. ચહેરા પરથી રોનક ઉડી જાય. શરીરમાં બહુ થાક અનુભવાય. ભૂખ ન લાગે. છેવટે તે વ્યક્તિ ડિપ્રેશનનો પણ ભોગ બને.
* ઉંઘ માનવીની લીલીછમ તંદુરસ્તીના કુદરતી આશીર્વાદ છે : શરીરનાં તમામ અંગોને આરામ મળે :
માનવીના શરીરના કુદરતી ચક્ર મુજબ અને તબીબી સંશોધન મુજબ દરેક વ્યક્તિએ દરરોજ રાતે સાતથી નવ કલાકની ઉંઘ લેવી જરૂરી છે. તબીબી ભાષામાં નિદ્રાની પ્રક્રિયાને નેચરલ શટડાઉન કહેવાય છે. ઉદાહરણરૂપે મોટર કે ટ્રકનું એન્જિન બંધ કરી દઇએ એટલે તેનો ઘરઘરાટ, વાહનની ગતિ, હોર્ન વગેરે બધી પ્રક્રિયા પણ શાંત થઇ જાય. બરાબર આ જ રાતે માનવી કે પશુ-પક્ષી સૂઇ જાય એટલે મગજ સહિત આખા શરીરની ગતિવિધિ શાંત થઇ જાય. હૃદયના ધબકારા ધીમા થાય. મગજની ગતિવિધિ શાંત થાય.પલ્સ(નાડી) રેટ અને હાર્ટ રેટ ધીમા થાય. બ્લડપ્રેશર(રક્તચાપ) ઓછું થાય. મગજમાંનાં અતિ સુક્ષ્અને નાજુક જ્ઞાાનતંતુઓને આરામ મળે ઉંઘ કે નિદ્રા તો કુદરતે કે ભગવાને પૃથ્વી પરની વિશાળ - સુંદર જીવ સૃષ્ટિને આપેલું અદભુત વરદાન છે. નિદ્રારૂપી આશીર્વાદથી માનવીનાં તન-મનમાં ચેતના અને ઉર્જાનો સાગર લહેરાય છે. કાર્યશક્તિ વધે છે. શરીરનાં હાથ,પગ,આંખો, કાન,નાક વગેરે તમામ બાહ્ય અને હૃદય, મગજ, ફેફસાં વગેરે તમામ આંતરિક અંગો નિયમિત,સરળ, શિસ્તબદ્ધ કાર્ય કરી શકે છે. માનવીના ચહેરા પર તેજના ફુવારા ઉડે છે.
મહાન કવિઓ, શાસ્ત્રીય સંગીતના ગાયકો, સંગીતકારો, વિજ્ઞાાનીઓ, યોગીઓ વગેરેના ચહેરા પર આનંદ અને ચેતનાના ફુવારા ઉડતા હોય છે. આવી હસ્તિઓ સર્જનાત્મક હોવાથી તેઓ સંતોષ, આનંદ સાથે નિદ્રાદેવીના ખોળે સૂઇ જાય છે. તેમની નિદ્રા કદાચ પણ ઓછી હોવા છતાં તેમનાં તન-મનમાં ઉત્સાહ,ઉમંગ,તરવરાટ હોય છે. નવું અને સુંદર સર્જન કરી શકે છે.
કહેવાનો અર્થ એ છે કે આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગના માનવીની જીવનશૈલી નાઇટ લાઇફની બની રહી હોવાથી તે જાતજાતની શારીરિક -માનસિક સમસ્યાઓનો ભોગ બની રહ્યો છે. હકીકત તો એ છે કે નાઇટ લાઇફ નહીં પણ લાઇફ નાઇટ હોવી જરૂરી છે.
- જગદીશચંદ્ર ભટ્ટ


