Get The App

વાયુ પ્રદૂષણથી બગડેલી ત્વચા ફરી સુધારશે

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
વાયુ પ્રદૂષણથી બગડેલી ત્વચા ફરી સુધારશે 1 - image


- આ સોંઘા- સરળ મિશ્રણ 

શહેરમાં નિયમિત રીતે થતાં પ્રદૂષણમાં ઉમેરો થયો હતો એ વાત સર્વવિદિત છે. આ વધારાના પૉલ્યુશનની સીધી અસર આપણી ત્વચા પર વત્તાઓછા અંશે પણ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ચામડીને અગાઉ જેવી બનાવવા વિશેષ કાળજીની જરૂર પડે તે સ્વાભાવિક છે. પરંતુ તેને માટે વધારાનો ખર્ચ કરવાની જરૂર નથી. ત્વચા નિષ્ણાતો કહે છે કે તમે ઘરમાં  સાવ સોંઘા અને સરળ ફેસપેક બનાવીને ચહેરા પર લગાવો તોય તમારી ચામડી ચળકી ઉઠે. તેઓ આવા પેક વિશે જાણકારી આપતાં કહે છે કે કોઈપણ પેક લગાવવાથી પહેલાં તમારી ત્વચા તૈલીય છે, સામાન્યછે કે શુષ્ક તે સમજી- જાણી લો. ત્યારબાદ જ તમારા માટે પેક તૈયાર કરો. જેમકે....

  તૈલીય ત્વચા: 

જો તમારી ચામડી ઓઈલી હોય તો તમારા માટે મુલ્તાની માટી અને ગુલાબજળમાંથી બનાવેલું ફેસપેક બેસ્ટ ઓપ્શન છે. આ પેક બનાવવા એક બાઉલમાં એકસમાન પ્રમાણમાં મુલ્તાની માટે અને ગુલાબજળ લો. હવે તેને એકદમ સરસ રીતે મિક્સ કરો. ત્યાર પછી આ મિશ્રણ ચહેરા પર વ્યવસ્થિત રીતે લગાવો. અલબત્ત, આંખોની આસપાસના ભાગમાં આ પેક ન લગાવો. હવે આ પેકને સુકાવા દો. દરમિયાન તમે ચાહો તો આંખો પર કાકડીના પતાંકા અથવા કાકડીના રસમાં બોળેલું રૂનું પૂમડું મૂકી શકો. જ્યારે ચહેરા પર મિશ્રણ સુકાવા લાગે અથવા સુકાઈ ગયું હોય ત્યારે હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લો.

આ મિશ્રણમાં રહેલી મુલ્તાની માટી ત્વચા પર રહેલા વધારાના તેલને શોષી લેશે. જ્યારે તેમાં રહેલું ગુલાબજળ ત્વચાને ભીનાશ બક્ષવા સાથે ટાઢક પણ આપશે.

* સામાન્ય ત્વચા: 

સામાન્ય ત્વચા પર પણ પ્રદૂષણની અસર ચોક્કસપણે થાય છે. આવી ત્વચા ધરાવતી યુવતીઓ ભાગ્યે જ પોતાની કાળજી લેતી હોય છે. પરંતુ તેમને એ ભ્રમમાંથી બહાર આવવાની તાતી જરૂર છે. આ પેક બનાવતા બે ટેબલસ્પૂન દહીં અને એક ટેબલસ્પૂન હળદર લો. આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને ત્વચા પર હળવા હાથે લગાવી લો. ૧૦ મિનિટ પછી સાદા પાણી વડે ચહેરો ધોઈ લો.

આ મિશ્રણમાં રહેલું દહીં ત્વચાને ભીનાશ બક્ષીને સુંવાળી બનાવ  છે. જ્યારે હળદરમાં રહેલા દાહવિરોધી ગુણો તમારી ત્વચાને ટાઢક પહોંચાડશે.

* શુષ્ક ત્વચા: 

વધારે પડતું વાયુ પ્રદૂષણ અગાઉથી જ શુષ્ક હોય એવી ત્વચાને સાવ સુકી બનાવી દે છે. આવી ચામડીને ફરીથી સામાન્ય બનાવવામાં મધ અને એલોવેરા મહત્ત્વનો ભાગ ભજવે છે. શુષ્ક ત્વચા માટે એક બાઉલમાં એલોવેરા અને મધ એકસમાન ભાગે લઈને તેને સારી રીતે મિસ કરો. હવે આ મિશ્રણ ચહેરા અને ગરદન પર લગાવીને ૧૫ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લો.

આ બંને વસ્તુઓ ત્વચાને મોઈશ્ચર કરવામાં મદદ કરે છે. મધમાં રહેલા એન્ટિબેકટેરિયલ ગુણો ચામડીને શુધ્ધ કરે છે. જ્યારે એલોવેરા ત્વચાને ઠંડક આપે છે. 

- વૈશાલી ઠક્કર

Tags :