શ્વસન રોગ ખાળવાના સરળ ઉપાયો
- આરોગ્ય સંજીવની- ડૉ. જહાનવીબેન ભટ્ટ
અતિકષ્ટદાયક રોગોમાં 'શ્વાસ' રોગનો સમાવેશ કરવામાં આવેલો છે. મનુષ્યને અંતકાળે તીવ્ર કષ્ટ આપનાર શ્વાસ રોગ મોટાભાગે થતો જોવા મળે છે. આ સિવાય ઋતુનાં સંધિકાળમાં શ્વાસનાં દર્દીઓ આ બીમારીથી ખૂબ ત્રાસી ઊઠે છે. સામાન્ય ભાષામાં આ વ્યાધિને 'દમ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
રોગીને શ્વાસ થાય ત્યારે કફ છાતી ઉપર આવવાથી ગભરામણ અને મુંઝારો થાય છે. બોલી-ચાલી શકાતું નથી. આખો ચઢી જાય છે. રાત્રે ઊંઘ આવતી નથી. અને કદાચ ઊંઘ આવે તો પણ ઊંઘી શકાતું નથી. બેસી રહેવાથી રોગીને આરામ લાગે છે. આમ આ રોગમાં દર્દીને ઘણી પરેશાની થાય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં શ્વાસ-દમનાં પાંચ પ્રકાર બતાવેલા છે. (૧) મહાશ્વાસ (૨) ઉર્દ્વશ્વાસ (૩) તમક શ્વાસ (૪) છિન્ન શ્વાસ (૫) ક્ષુદ્રશ્વાસ.
આ પ્રકારો પૈકી મહાશ્વાસ અને ઉર્ધ્વશ્વાસ અતિકષ્ટદાયક આજકાલ સામાન્ય થઈ ગયા છે. અને તે સહેલાઈથી મટાડી શકાય છે. અતિશય કામ કરવાથી આ શ્વાસ થાય છે, અને ૧૫થી ૨૦ મિનિટમાં તે મટી પણ જાય છે. પરિશ્રમનો ત્યાગ કરવાથી આ શ્વાસમાં અન્ય પ્રકારોની માફક શરીરમાં અથવા ઈન્દ્રિયોમાં કોઈ વિશેષ પ્રકારની પીડા થતી નથી. તેમજ અન્નપાનની કોઈ ગતિ રોકાતી નથી. છિન્ન શ્વાસમાં રોગી અટકી-અટકીને શ્વાસ લેતો હોય છે. ઘણીવાર તો રોગી થોડા સમય સુધી શ્વાસ લઈ જ ન શકે તેવું લક્ષણ પણ આ પ્રકારનાં શ્વાસમાં જોવા મળે છે. આ શ્વાસને પણ આયુર્વેદમાં પ્રાણઘાતક કહેલ છે. તમક શ્વાસએ હાલનાં સમયમાં વધારો જોવા મળે છે. આ શ્વાસને પણ આયુર્વેદમાં કષ્ટસાધ્ય કહેલ છે. આધુનિક ચિકિત્સા શાસ્ત્રમાં આ શ્વાસને મ્ર્હિબરૈચન છજારસચ કહે છે. આ શ્વાસના લક્ષણોમાં રોગી ખૂબ કષ્ટ સાથે શ્વાસ લઈ શકે છે. વારંવાર શ્વાસ ચઢવાનાં કારણે ગભરામણ થાય છે. આ શ્વાસમાં રોગી ઊંઘી શકતો નથી. સુવાથી શ્વાસ રોગમાં વૃધ્ધિ થાય છે. દર્દીને કપાળમાં પરસેવો તથા આંખો સૂઝી જાય છે. આ શ્વાસમાં બેસવાની સ્થિતિમાં રોગીને આરામનો અનુભવ થાય છે. વરસાદ, ભેજ, પવન અને ધુમાડાથી આ શ્વાસનાં દર્દીની તકલીફ વધી જાય છે. આ તમક શ્વાસ કષ્ટસાધ્ય હોવા છતાં નિયમિત ચિકિત્સા અને પથ્યા-પથ્યનું પાલન કરવાથી તો મટી શકે છે.
શ્વાસ રોગ એ સામાન્યત: વાતરૂપ છે. સાધારણ અવસ્થામાં આ વાયુ શ્વાસ કષ્ટતા ઉત્પન્ન કરતો નથી. પરંતુ જ્યારે આ વાયુ કફ દ્વારા અવરુધ્ધ થાય છે. ત્યારે જ શ્વાસ રોગને ઉત્પન્ન કરે છે. જ્યારે ફેફસાનાં વાયુકોષોમાં કફની અધિકતાનાં કારણે વાયુ પ્રવેશ માટે સ્થાન અલ્પ થઈ જાય છે, ત્યારે આ રોગ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. શ્વાસ રોગ માટે અહીં કેટલાંક સરળ ઉપાયો સૂચવું છું. જેનો ઉપયોગ વૈદ્યની સલાહ સાથે કરવો.
(૧) સૂંઠનો ગાંગડો પાણીમાં નાખી ઉકાળી થરમોસમાં ભરી રાખવું. સહેજ નવશેકું આ પાણી તરસ લાગે તેટલીવાર પીવું. આ સિવાય બીજુ પાણી પીવું નહીં.
(૨) ૧ ચમચી તુલસીનો રસ અને ૧ ચમચી આદુનો રસ મધ મેળવી રોજ લેવાથી ધીરે-ધીરે દમની બિમારીથી છુટકારો મળે છે.
(૩) ૨-૩ સૂકા અંજીર સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમ મટે છે.
આ ઉપરાંત વાસવલેહ, યષ્ટિમધુ ઘનવટી, વગેરે અનેકનોં ઉપયોગ આયુર્વેદમાં શ્વાસ-દમ માટે બતાવેલો છે. જેની માત્રા અને પ્રયોગ વૈદ્યની સલાહ મુજબ ધીરજથી કરવાથી શ્વાસ-દમમાં ખૂબ જ ફાયદો થાય છે.
આ ઉપરાંત અહીં એક ખૂબ જ સરળ પ્રયોગ બતાવું છું. ઘણાં દર્દીઓ આ પ્રયોગથી રોગમુક્ત થયાં છે. ખાવાનું મીઠું, ખરલમાં ખૂબ જ લસોટી બારીક બનાવવું, તેમાં મીઠાનાં સરખાભાગે જ ખાવાનોં સોડા નાખી ખૂબ લસોટી શીશીમાં ભરી લેવું. આ ચૂર્ણ ૧થી ૨ ગ્રામની માત્રામાં સુખોષ્ણ પાણી કે ચા સાથે લેવું. આ પ્રયોગ દમનાં દર્દીઓ ઉપર અદ્દભુત પરિણામ આપે છે.
આ ઉપરાંત ''આયુર્વેદ''માં નિદાન પરિવર્જયેત એટલે કે, રોગ થવા માટે જવાબદાર કારણોનો ત્યાગ કરવો, આ એક શ્રેષ્ઠ ચિકિત્સા બતાવી છે.
આ ઉપરાંત પેટ સાફ રહે તેનું ધ્યાન રાખવું. દિવસ દરમિયાન સુખોષ્ણ જળ પીવું. કાળીદ્રાક્ષ મધ, બકરીનું દૂધ, મગ, લસણ, રીંગણ, ચોખા, પરવળ, કુંણામૂળા, જેઠીમધ વગેરે હિતકર છે.
જ્યારે ધૂળ-ધૂમાડો, તમાકું, સિગારેટ, બીડી, દારૂ-ફરસાણ, મીઠાઈ, અડદ, મેદો, કેળા, સરસવ, વાલ વગેરે અહિતકર છે.
સાવધાની પૂર્વક ધીરજથી નિયમિત ઔષધ-સારવાર કરવામાં આવે તો દમ-શ્વાસની બિમારીમાં કોઈ દમ રહેતો નથી.