Get The App

તલનું તેલ એટલે આરોગ્યનો ખજાનો

Updated: Feb 12th, 2024

GS TEAM


Google News
Google News
તલનું તેલ એટલે આરોગ્યનો ખજાનો 1 - image


-  આપણા રસોડામાં જે દાળ-શાકનો વઘાર કરવામાં આવે છે  એનો પ્રાણ તલનું તેલ છે. આ વઘાર તલના તેલનો જ થવો જોઈએ. એમાં બીજું કોઈ તેલ ચાલી જ ન શકે. તલના તેલમાં શરીરનાં અંગેઅંગમાં ઝડપથી ફેલાઈ જવાનો એક અદ્ભુત ગુણ છે.  

આજે કોઈ પણ દરદી ડોક્ટર પાસે ફરિયાદ લઈને જશે ત્યારે તે પહેલી સલાહ એ આપશે કે ખોરાકમાં તેલ અને મરચું સદંતર બંધ કરો. ડોક્ટરો અને  નિસર્ગોપચારકો દ્વારા એવી વ્યાપક ગેરસમજણ પેદા કરવામાં આવી છે કે તેલ અને ખાસ કરીને તળેલી વસ્તુઓ આરોગ્ય માટે હાનિકારક જ હોય છે. રાજવૈદ્ય રસિકલાલ પરીખ એક લેખમાં સ્પષ્ટ જણાવે છે કે આયુર્વેદમાં તેલ ખાવાની મનાઈ કરવામાં નથી આવી. આયુર્વેદના પંડિતોના મતે તલનું તેલ આરોગ્યવર્ધક છે અને વાતજનિત અનેક રોગોનું શ્રેષ્ઠ ઔષધ પણ છે માટે હવે જ્યારે તમને ડોક્ટર તેલ ખાવાની મનાઈ ફરમાવે ત્યારે સૌથી પહેલાં નીચેની વાતો ધ્યાનપૂર્વક વાંચી જજો.

આયુર્વેદના આધારભૂત કોઈ પણ શાસ્ત્રીય ગ્રંથમાં તેલ ખાવાની ક્યારેય મનાઈ ફરમાવવામાં નથી આવી. મહર્ષિ ચરક, સુશ્રુત કે વાગ્ભટે ક્યારેય તેલ ખાવા માટે લાલ બત્તી નથી ધરી. ઊલટું તેમણે તો તેલને વાયુના રોગોનું શમન કરવા માટેનું શ્રેષ્ઠ ઔષધ ગણાવી એનો મહિમા ગાયો છે. ડોક્ટરો તેલનો નિષેધ કરી રહ્યા છે એનું કારણ એ હોઈ શકે કે આજે બજારમાં જે સિંગતેલ, કપાસિયા તેલ, સૂર્યમુખી તેલ, પામોલીન વગેરે મળી રહ્યાં છે એ બધાં આરોગ્યને નુકસાન પહોંચાડનારાં છે. આયુર્વેદના મતે તલ અને સરસવના તેલને જ ખરેખરાં તેલ ગણવામાં આવે છે. આયુર્વેદમાં તેલના જે ફાયદા બતાવવામાં આવ્યા છે એ તલ અને સરસવનાં તેલને જ લાગુ પડે છે. સિંગતેલ કે પામોલીનને એ લાગુ નથી પડતા  એટલે તેલનો ઉપયોગ કરનારે આ બે પ્રકારનાં તેલ વચ્ચે વિવેક કરવો જરૂરી બની જાય છે.

મહર્ષિ ચરકે આહારયોગી વર્ગના વર્ણનમાં સર્વપ્રથમ તલના તેલને મૂક્યું છે. તલના તેલનો સ્વાદ મધુર અને સહેજ તૂરો હોય છે. આપણા રસોડામાં જે દાળ-શાકનો વઘાર કરવામાં આવે છે  એનો પ્રાણ તલનું તેલ છે. આ વઘાર તલના તેલનો જ થવો જોઈએ. એમાં બીજું કોઈ તેલ ચાલી જ ન શકે. તલના તેલમાં શરીરનાં અંગેઅંગમાં ઝડપથી ફેલાઈ જવાનો એક અદ્ભુત ગુણ છે. એની અંદર શરીરના બારીકમાં બારીક કોષ સુધી પહોંચવાની ક્ષમતા રહેલી છે. તલનું તેલ પહેલાં આખા દેહમાં ફેલાઈ જાય છે અને પછી પચે છે. એનો ફાયદો એ થાય છે કે શરીરના પ્રત્યેક અંગમાં શક્તિનો અને સ્ફૂર્તિનો સંચાર થાય છે. તલનું તેલ સ્વભાવથી ઉષ્ણ છે એટલે એ જઠરાગ્નિનને પ્રદીપ્ત કરીને ભૂખ લગાડે છે. આ કારણે તલનું તેલ એક ઉત્તમ ટોનિક પણ ગણાય છે.

વાયુના રોગોનું શ્રેષ્ઠ ઔષધ

આજે આર્થ્રાઇટિસ, પાયોરિયા, પથારીમાં પેશાબ, મેદસ્વીપણું વગેરે જે રોગો થાય છે એનું મુખ્ય કારણ વાયુનો વિકાર છે. હાર્ટઅટેક અને બ્લડપ્રેશર જેવા રોગ પણ વાયુના પ્રકોપને કારણે થાય છે. આ બધા જ રોગોનો ઉપચાર તલના તેલ વડે કરી શકાય છે. તલનું તેલ ઝાડા અને પેશાબને બાંધનારું છે  એટલે જ નાનાં બાળકોને પથારીમાં પેશાબ થતો હોય તો સવાર-સાંજ એક-એક મુઠ્ઠી કાળા તલ ચાવીને ખવડાવવાથી ફાયદો થાય છે. વાયુના રોગોની સારવાર માટે આયુર્વેદમાં જે મહાનારાયણ તેલનો ઉપયોગ કરવામાં આવે છે એમાં પણ મુખ્ય ઘટક તલનું તેલ છે. તલનું તેલ એના સૂક્ષ્મ ગુણને લીધે કોઈ પણ ઔષધને શરીરના બારીકમાં બારીક ભાગ સુધી લઈ જાય છે. ઔષધના ગુણોને શરીરની  ધારી જગ્યાએ પહોંચાડવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ તલનું તેલ છે. આ ગુણ બજારમાં મળતાં બીજા કોઈ તેલમાં જોવા નથી મળતો.

દાંતના રોગનું રામબાણ ઔષધ

આજે અયોગ્ય ખાણીપીણી અને ટૂથપેસ્ટ ઘસવાની આદતને કારણે દાંતના રોગોનું પ્રમાણ વધ્યું છે. એલોપથીની ચિકિત્સાપદ્ધતિમાં દાંતના રોગોની કોઈ દવા જ નથી, પણ આયુર્વેદમાં છે. જેમના દાંત હલતા હોય, દુખતા હોય, રસી નીકળી હોય અને ડેન્ટિસ્ટે બધા દાંત પડાવી નાખવાની સલાહ આપી હોય તેમને તલના તેલના નિયમિત કોગળા કરવાતી અચિંત્ય લાભ થાય છે. તલના તેલના કોગળા કરવાથી પાયોરિયા પણ મટે છે  એનું કારણ એ છે કે દંતરોગોનું કારણ વાયુનો પ્રકોપ છે અને તલનું તેલ વાયુનો નાશ કરે છે. તલના તેલનો એક જ કોગલો સડેલા દાંત અને પેઢાંને નવજીવન બક્ષે છે. દાંત હલતા હોય તો પણ એ તેલના કોગળાથી મજબૂત બને છે. જે કામ દંતમંજન નથી કરી શકતું એ તલનું તેલ કરી શકે છે કારણ કે એના સૂક્ષ્મ કણો પેઢાંની અંદર પ્રવેશીને દાંતને મજબૂત બનાવે છે. આ વાત તમે કોઈ ડેન્ટિસ્ટ નહીં કહે.

હાડકાં સાંધવા તલનું તેલ વાપરો

તૂટી ગયેલાં હાડકાંને સાંધવાની બાબતમાં તલના તેલનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક પુરવાર થાય છે. શરીરમાં ગમે એવો મોટો ઘા પડયો હોય તો પણ એના પર રૂઝ લાવવા માટે તલનું તેલ અક્સીર છે. મહર્ષિ સુશ્રુત તેમની બધી  જ શસ્ત્રક્રિયા પછી ઘા રુઝાવવા માટે ગાયના ઘી અને તલના તેલનો જ ઉપયોગ કરતા હતા. શરીરનો કોઈ પણ ભાગ છેદાયો હોય, ભેદાયો હોય, વીંધાયેલો હોય, સ્થાન પરથી ખરી ગયો હોય, ભાગ્યો હોય કે દાઝ્યો હોય ત્યારે એના પર તલના તેલનું સિંચન કે માલિશ કરવાતી ફાયદો થાય છે. તૂટેલાં હાડકાંને સાંધવાની બાબતમાં તલનું તેલ ગજબનો ફાયદો કરે છે. આ ઉપરાંત આર્થ્રાઈટિસ જેવા સાંધના દુખાવાના રોગમાં તલના તેલથી કરવામાં આવતી માલિશથી ખૂબ ફાયદો થાય છે. અન્ય ઔષધોથી ન રુઝાતા ઘા પણ તલના તેલનું સિંચન કરવાથી શાંત પડી જાય છે.

જાડાને પાતળા અને દૂબળાને જાડા કરે છે

આજે સુખી-શ્રીમંત પરિવારોમાં પણ મેદની સમસ્યા વધી રહી છે. એની સાથે ગરીબ પરિવારોમાં અપોષણની સમસ્યા વકરી રહી છે. આ બન્ને સમસ્યાઓનો અમોઘ ઉપાય તલના તેલ દ્વારા કરવામાં આવતી માલિશ છે. તલના તેલ દ્વારા થતી માલિશ મેદસ્વીને સ્લિમ બનાવે છે અને દૂબળાને પુષ્ટ બનાવે છે. એક જ ઔષધ દ્વારા પરસ્પર વિરોધી ખાસિયતો ધરાવતા આ બે રોગોની સારવાર થઈ શકે છે. જે મનુષ્યો દુર્બળ છે તેમના શરીરમાં છિદ્રો બુરાઈ ગયાં હોય છે એટલે પોષક પદાર્થો શરીરની નળીઓમાં નથી પોષાતા. તલનું તેલ આ છિદ્રો ખુલ્લાં કરે છે જેથી શરીર પુષ્ટ બને છે. મેદસ્વી મનુષ્યોની ચામડી નીચે ચરબીનાં જે પડો જામી ગયાં હોય છે એને તલનું તેલ પોતાના ઉષ્ણ ગુણને કારણે ઓગાળી નાખે છે. આ રીતે મેદનો નાશ થાય છે. આ કારણે વજન વધારવા કે ઘટાડવા માટે તલના તેલની માલિશ કરવી જોઈએ.

ત્વચાને મુલાયમ અને તેજસ્વી બનાવે છે

ચામડીને સુંદર અને તંદુરસ્ત બનાવવા માટે તલના તેલ કરતાં વધુ ચડિયાતું કોઈ સૌંદર્યપ્રસાધન આખી દુનિયામાં નહીં મળે. માલિશ એ મોટામાં મોટું ટોનિક છે. માલિશથી તલના બધા જ ગુણો શરીરને મળી જાય છે. તલનો છોડ પાંદડાં વાટે સૂર્યની ઊર્જા શોષે છે. આ ઊર્જા માલિશ વાટે આપણા શરીરમાં પ્રવેશે છે. ચામડીમાં વાયુનો ભરાવો થાય એટલે ત્વચા રૂક્ષ અને સૂકી બને છે. તલનું તેલ વાયુનો નાશ કરે છે એટલે ત્વચા મુલાયમ અને તેજસ્વી બને છે. વૈદિક ધર્મમાં હનુમાનને પવનપુત્ર કહ્યા છે અને તેમને તેલ ચડાવવામાં આવે છે. એનો અર્થ પણ એવા થાય છે કે વાયુને વશ કરવા માટે તેલ રામબાણની ગરજ સારે છે. શિયાળામાં વાયુના રોગો વધુ થતાં હોવાથી બાળકોએ અને પુખ્ત ઉંમરના લોકોએ ખાસ તલના તેલથી માલિશ કરવી જોઈએ.

બુદ્ધિ વધારવા તલનું તેલ વાપરો

આયુર્વેદના નિષ્ણાતો સોઈ ઝાટકીને કહે છે કે તલનું તેલ મેધા વધારે છે. આજે બજારમાં જે અન્ય ખાદ્ય તેલો મળે છે એ બુદ્ધિને મંદ બનાવવાનું કાર્ય કરે છે, પણ તલનું તેલ બુદ્ધિને તેજ બનાવે છે. આ કારણે જ તલના તેલની કિંમત અન્ય તેલો કરતાં વધુ હોય છે. તલનું તેલ વાપરવા માટે મહિને ૧૦૦-૨૦૦ રૂપિયાનો વધુ ખર્ચ કરવો પડે તો એ કરીને પણ રસોઈમાં અને તળવામાં એ જ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. સૌરાષ્ટ્રમાં શિયાળામાં કાળા તલમાંથી જે કચરિયું બનાવવામાં આવે છે એ મગજનું શ્રેષ્ઠ ટોનિક છે અને શક્તિના ખજાનાની ગરજ સારે છે. બાળકોને ચોકલેટ કે ટોફી ખવડાવવાને બદલે આ કચરિયું ખવડાવવું જોઈએ. સ્ત્રીઓ રસોઈમાં, દાળ-શાકના વઘારમાં પણ જો અન્ય તેલને બદલે તલનું તેલ વાપરશે તો આખા કુટુંબનું આરોગ્ય સુધરશે.

Tags :