Get The App

આરોગ્ય સંજીવની : બાળ-મૂંઝવણ અને સમાધાન

Updated: Dec 26th, 2017

GS TEAM


Google News
Google News

તલ અને અશ્વગંધાને સમભાગ લેવાં. તેમાં સમાય તેટલી ખજૂર નાખવી. તેનાં વડા બનાવી ગાયનાં ઘીમાં તળવાં. આ રીતે રોજ તાજા વડાં બનાવી બાળકને ખવડાવવાં. કોઇ પણ દવા કરતાં આ વધારે ગુણકારી અને શક્તિદાયક છે.

આરોગ્ય સંજીવની : બાળ-મૂંઝવણ અને સમાધાન 1 - imageસ્ત્રીનાં જીવનનું જો કોઇ અભિન્ન અંગ હોય તો તે તેનું 'બાળક' છે. માતાનાં મનમાં હંમેશા તેનાં બાળક માટે ચિંતા સતાવતી જ હોય છે. બાળકની નાની સરખી તકલીફ પણ તેની માતાને આકુળ-વ્યાકુળ બનાવી દે છે. આજનાં લેખમાં દરેક ઉંમરની બાળકની માતાને મૂંઝવતા હોય તેવા પ્રશ્નો વિશે માહિતી આપું છું. જે તરત જન્મેલા નાનાં બાળકની માતાથી લઇને દરેક બાળકની માતાને લાભદાયી થશે તેવી આશા છે.

પ્રસુતિ બાદ સ્ત્રી જ્યારે માતા બને છે, તે સમયે તેનું ગર્ભાશય ફરી પૂર્વવત સંકોચાય, થોડા મહિનાઓ બાદ તેનું માસિક સાફ આવે તથા તેને પેટનો કોઇ પણ પ્રકારનો દુ:ખાવો રહે નહીં તે ખૂબ જરૃરી છે. આ માટે આયુર્વેદનું એક ઘરગથ્થુ ઔષધ છે : ''હિંગ''. તેનાં નિયમિત સેવનથી ગર્ભાશય સંકોચ, માસિકની નિયમિતતા અને પેટનો કોઇ દુ:ખાવો હોય તો તે અવશ્ય મટે છે.

ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે, જેમને માતા બન્યા બાદ પણ શિશુને પૂરતું પોષણ મળી શકે તે માત્રામાં ધાવણ આવતું નથી. અહીં માતાનું ધાવણ વધે તે માટેનાં સરળ આયુર્વેદીક અને ઘરગથ્થુ ઉપાયો સૂચવું છું. જેમાં અનુકૂળ આવે તે કોઇ પણ એક પ્રયોગ કરી શકાય છે, જેમાં,

- માતાને ધાવણ ન આવતું હોય અથવા ઓછું આવતું હોય તો ત્રણ તોલા મેથીનો લોટ (૩૦ ગ્રામ) લેવો. તેને ૨૦૦ ગ્રામ દૂધમાં રાત્રે પલાળી રાખવો. સવારે લગભગ ૫૦ ગ્રામ ઘી ગરમ કરી તેમાં આ પલાળેલાં મેથીનાં લોટનું મિશ્રણ નાખી પકવવું.

બધું મિશ્રણ બરાબર એકરસ થઇ જાય ત્યારે ૨ તોલા ગોળ નાંખી શેકવું. બરાબર પાકી જાય ત્યારે ઉતારી પ્રસૂતા સ્ત્રીને ખવડાવવું. આ પ્રયોગ ૨૧ દિવસ કરવો. જેથી માતાનું ધાવણ બરાબર રીતે વધે છે. તથા પ્રસુતાનાં શરીરનો વાયુ પણ આ પ્રયોગથી ઘટી જશે. અને પ્રસુતિ પછી સ્ત્રીઓની જે શરીર વધી જવાની સમસ્યા હોય છે. તેમાં ખૂબ ફાયદો થશે.

ટોપરાની રાબ દૂધમાં બનાવી સવારે નિયમિત લેવાથી પણ ધાવણ ખૂબ વધે છે. લીલું ટોપરું વધારે સારું. સૂકા ટોપરાને પણ તરત છીણીને રાબ બનાવી શકાય છે.

ગાયના દૂધમાં ખીર (ચોખાની) બનાવી અથવા ચોખાનાં લોટનો દૂધનો શીરો બનાવી  ખાવાથી  પણ માતાનું ધાવણ વધે છે.

ગાયનાં ૨૦૦ ગ્રામ દૂધમાં ૧૦૦ ગ્રામ સફેદ ચણા રાત્રે ભીંજવી રાખવાં. સવારે તે દૂધ ગાળી સાકર સાથે પીવાથી માતાનું દૂધ વધે છે.

એરંડાનાં પાનને પાણીમાં ઉકાળી ઠંડુ કરી સ્તન પર તેની ધાર કરવા અને શક્ય હોય તો તેનાં પાનની લૂગદી બાંધવી. આ પ્રયોગથી પ્રસુતા સ્ત્રીને બંધ થઇ ગયેલું ધાવણ પાછું ચાલુ થાય છે.

શતાવરી ચૂર્ણ છ તોલા, જીરૃ ૩ તોલા અને પીંપર ૧/૨ તોલો લઇ તેમાં ૧૦૦ ગ્રામ સાકર મેળવી આ ચૂર્ણ કાચની શીશીમાં ભરી લેવું. તેનાં ૭ ભાગ કરી રોજ સવારે ૧ ભાગ ખાય તો માતાનાં ધાવણની ક્વોલીટી અને ક્વોન્ટીટી બંને વધે છે.

હવે, બાળકોને થતાં કેટલાંક બાળરોગો વિશે વાત કરીશું. બાળપણમાં બાળકોને ગાલપચોળાની તકલીફ મોટા ભાગે થતી હોય છે. જેમાં ગાલ અને કાનનાં મૂળમાં દુ:ખાવો થાય છે અને સોજો આવી જાય છે. ઘણીવાર બાળકને આ રોગમાં તાવ પણ આવે છે. આ રોગ વાયરસને કારણે થતો હોય છે. જેમાં સમયસર સારવાર કરવી ખૂબ અગત્યની છે. જે માટે -

* સોનાગેરૃ, સૂંઠ, રાસ્ના અને અરણીનાં મૂળ સમભાગે લઇ પાણી સાથે વાટીને સોજા ઉપર લેપ કરવો. બે-ત્રણ દિવસ આ લેપ ચાલુ રાખવો.

સાથે - સાથે નિષ્ણાંતની સલાહમાં રહી આભ્યાંતર ઔષધોપચાર કરવાં.

બાળકનું શરીર દુર્બળ રહેતું હોય તો તે માટે નીચેનાં ઉપાયો સૂચવું છું :-

૧૦ ગ્રામ અશ્વગંધા ચૂર્ણને પાણીમાં પલાળી ચટણી જેવું બનાવવું પછી તેમાં ૧૦૦ ગ્રામ દૂધ અને ૪૦ ગ્રામ ઘી મેળવી ધીમા તાપે પકવવું. ધીમે ધીમે પાકીને ઘી છુટું પડી જશે. બરાબર પાકી જાય પછી છુટું પડેલું ઘી નિતારી ભરી લેવું. આથી ૧/૨ ચમચીથી ૧ ચમચી સુધી બાળકની ઉંમર અને શક્તિ અનુસાર તેને દરરોજ ખવડાવવું.

* તલ અને અશ્વગંધાને સમભાગ લેવાં. તેમાં સમાય તેટલી ખજૂર નાખવી. તેનાં વડા બનાવી ગાયનાં ઘીમાં તળવાં. આ રીતે રોજ તાજા વડાં બનાવી બાળકને ખવડાવવાં. કોઇ પણ દવા કરતાં આ વધારે ગુણકારી અને શક્તિદાયક છે.

* ઘણાં બાળકો દિવસે-દિવસે સુકાતા જાય છે રોતલ તથા ચીડિયાં બની જતાં હોય છે. તેમનાં માટે ચણાની દાલ ને વડનાં દૂધમાં પલાળી છાંયે સૂકવવી. પછી તેમાં જાયફળ, જાવંત્રી, એલચી એક-એક આની ભાર માત્રામાં મેળવી મગ જેવડી ગોળી બનાવવી. આ એક એક ગોળી માતાના ધાવણમાં ઘસી પિવડાવવી, દિવસમાં એક વાર તો આ પ્રયોગ અવશ્ય કરવો.

* બાળકની યાદ શક્તિ ઓછી હોય તો અથવા તે વારં-વાર ગુસ્સે થઇ જતું હોય તો :-
ઉપરોક્ત સમસ્યા માટે સુવર્ણપ્રાશન સંસ્કાર અવશ્ય કરાવવો. જે નિષ્ણાંત વૈદ્યની હાજરીમાં દર પુષ્ય નક્ષત્રે કરાવવાનું આયુર્વેદમાં વિધાન છે. જેમાં સુવર્ણ સાથે બ્રાહ્મી, શંખપુસ્પી, વચા વગેરે ઔષધો મગજને સતેજ અને શાંત બનાવે છે.

* જન્મથી બાળકની ડૂંટી મોટી હોય તો :-

ઉપરોક્ત સમસ્યામાં દીવેલ અને મધ મિક્સ કરી ડૂંટી ઉપર લગાડવાં. આ પ્રયોગ થોડા દિવસો સુધી નિયમિત કરવાથી ડૂંટી નોર્મલ આકારમાં આવી જતી હોય છે.

નાનું બાળક રમતાં-રમતાં સિક્કો ગળી જાય ત્યારે ગભરાયા વગર કેળાનાં નાનાં-નાનાં ટુકડાં તુરંત ગળાવી દેવાં અને તેનાં ૨ કલાક બાદ વૈદ્યની સલાહમાં રહીને નારાચરસની ૧/૨ થી ૧ ગોળી (વૈદ્યની સલાહ અને બાળકની ઉંમર મુજબ) આપી દેવાથી બાળકને ઝાડા થશે. અને ઝાડા વાટે નાણું બહાર આવી જાય છે. આયુર્વેદ અને ઘરગથ્થુ ઉપચારોની કોઇ જ સાઇડ ઈફેક્ટ નહીં હોઇ આ નિર્દોષ ઉપાયો ઘણીવાર બાળકને બહુ મોટી સમસ્યાઓમાંથી ખૂબ આસાનીથી  બચાવી લેતાં હોય છે.

- જ્હાનવીબેન ભટ્ટ


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar

 



Tags :