કિશોરીના યૌવન-પ્રવેશનું પ્રથમ કદમ 'પિરિયડ-પીડા'
- સગીરાવસ્થામાં આવેલી પુત્રીને કરો પ્રારંભિક માસિકચક્ર માટે તૈયાર
કિશોરાવસ્થા દરમ્યાન માસિક સ્ત્રાવ થવો એ સામાન્ય બાબત છે. જોકે નિયમિત રીતે માસિકસ્ત્રાવની શરૂઆત થઈ જાય એનો મતલબ એ છેકે એ યુવતી સ્વસ્થ માતા બની શકે છે. તેમજ એના માતૃત્વ સંબંધી દરેક અવયવો યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે. આ માસિક ચક્રના કારણે શરીરમાં જરૂરી હોર્મોન્સ અને રસાયણો મળી રહે છે. જે યુવતીઓને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. તેના શરીરમાં ઈસ્ટ્રોજનનું સ્તર વધે છે. પરિણામે શરીરના હાડકાં પણ મજબૂત બને છે.
માસિકચક્રના શરૂઆતના સમયગાળામાં ધ્યાન રાખવા જેવી ચોક્કસ બાબતો.
* એક વખત પિરિયડ્સની શરૂઆત થાય ત્યારબાદ જરૂરી નથી કે એ નિયમિત રીતે દર મહિને આવે જ. ઘણી કિશોરીઓને ૨-૩ મહિનાના ગાળે ફરી આવે છે તો ઘણી કિશોરીઓને ૧ વર્ષ બાદ નિયમિત માસિક આવવાનું શરૂ થાય છે.
* ઘણી યુવતીઓને પિરિયડ્સ દરમ્યાન ભારે રક્તસ્ત્રાવ થાય છે. અથવા તો પીડા થાય તો એમાં મુંઝાવાની કોઈ જરૂર નથી. ડૉક્ટરોના કહેવા પ્રમાણે શરીરમાં હોર્મોન્સ પરિવર્તન થવાના કારણે વત્તીઓછી પીડા થવી એ સામાન્ય બાબત છે. જો દર્દ અસહ્ય જણાય તો ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ.
* ઘણી યુવતીઓની માતાઓને પણ આ પ્રશ્ન મુંઝવતો હોય છે કે માસિકચક્ર નિયમીત ન હોવાના કારણે અથવા તો રક્તસ્ત્રાવ વધુ ઓછું થવાના કારણે મારી દીકરીને ગર્ભાવસ્થામાં મુશ્કેલી પડશે તો? પણ માસિકચક્રની શરૂઆત થવા બાદ એને નિયમિત થતાં થોડો સમય લાગે છે. આમ, સમય જતા માસિક નિયમિત આવવાનું આપ મેળે શરૂ થાય છે.
માસિકચક્રનો અચોક્કસ સમય
માસિકચક્રનો કોઈ ચોક્કસ સમયગાળો નથી હોતો. દરેક કન્યાઓને ૨૮ દિવસે જ પિરિયડ્સ આવે એ જરૂરી નથી. ૨૧ દિવસે પણ રક્તસ્ત્રાવ થઈ શકે છે. અથવા તો ક્યારેક એક મહિના કરતા પણ વધુ સમય જતો રહે છે. જો તમારો પિરિયડનો સમય ૨૧ દિવસ કરતા ઓછો અને ૩૫ દિવસ કરતા વધારે ન હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ટેન્સન ફ્રી રહો. અને હા, એ પણ જરૂરી નથી કે માસિક ચક્ર પાંચ દિવસ જ આવે. આના કરતા વત્તાઓછા અંતરે પણ આવી શકે છે. પણ જો રજસ્વલા થઈ હોય એ દરમ્યાન યુવતીને વારંવાર પેડ્સ બદલવાની જરૂર પડતી હોય અથવા તો ભારે રક્તસ્ત્રાવ થતો હોય, નબળાઈ વરતાતી હોય કે ચક્કર આવતા હોય તો ગાયનેકોલીજીસ્ટનો સંપર્ક સાધવો જોઈએ. અને જરૂરી દવાઓનું સેવન કરવું જોઈએ.
આ સમયગાળમાં એરોબિક્સ વ્યાયામ કરવાથી પણ મગજ શાંત રહે અને મૂડ સારો રહે છે. ડિપ્રેશનથી પણ દૂર રહી શકાય છે. તેમજ તાજગી અનુભવાય છે. જોકે આ સમયગાળા દરમ્યાન વધારે પડતી કસરતો પણ ન કરવી જોઈએ.
તરુણાવસ્થામાં માસિકની મન પર અસર
માસિક દરમ્યાન આવતા હોર્મોન્સના પરિવર્તનથી જે તે છોકરીઓના મૂડ ઉપર પણ પ્રભાવ પડે છે. ક્યારેક કિશોરીઓને મીઠાઈ, ફરસાણ અને ચોકલેટ્સ ખાવાની ઈચ્છા થતી હોય છે. આજ કારણે યુવતીઓનું વજન વધવાની પણ સંભાવના રહે છે. આથી જ આવી પરિસ્થિતિમાં પૌષ્ટિક આહાર લેવો યોગ્ય રહેશે.
હોર્મોન્સમાં થઈ રહેલા પરિવર્તનને કારણે યુવતીઓના માનસ પર પ્રેમ, ગુસ્સો, સંવેદનશીલતા ભયંકર ક્રોધ આવવો જેવા બદલાવો આવી શકે છે. આવી સ્થિતિમાં માતાઓએ પુત્રી સાથે હળવાશથી વાતચીત કરવી જોઈએ. અને તેમને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તેને જે થઈ રહ્યું છે તે તદ્દન સ્વાભાવિક છે. માસિક પૂરું થતાં જ તે ફરી અગાઉ જેવી નોર્મલ બની જશે.