Get The App

પાર્કિન્સન-અપસ્માર અને આયુર્વેદ .

Updated: Jul 29th, 2024

GS TEAM

Google News
Google News
પાર્કિન્સન-અપસ્માર અને આયુર્વેદ                       . 1 - image

- આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન ભટ્ટ

આજે એક એવા રોગ ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ, જેને ''પાર્કિન્સન'' તરીકે એલોપેથીનાં ડોક્ટરો ઓળખે છે. આયુર્વેદમાં આ જ રોગનું વર્ણન ''કંપવાત''નાં રૂપમાં કરવામાં આવ્યું છે. જે વાતદોષનાં પ્રકોપનાં કારણે થતો જોવા મળે છે. આમ પણ વૃધ્ધાવસ્થામાં વાતદોષનો પ્રકોપ વધારે જોવા મળે છે. કંપવાતમાં ધુ્રજારી ઉત્પન્ન થતી જોવા મળે છે, જે મોટાભાગે વૃધ્ધાવસ્થામાં વધારે થતી જોવા મળે છે.

કંપવાતનાં રોગમાં રોગીને ચાલવામાં, વાતચીત કરવામાં વગેરેમાં ખૂબ તકલીફ પડતી હોય છે. અનિયમિત જીવનશૈલી અને વિપરિત આહાર-વિહારનાં કારણે વાતદોષ પ્રકૃપિત થાય છે. અને આ પ્રકૃપિત થયેલો વાયુ સમગ્ર શરીરમાં પ્રસરીને ધુ્રજારી ઉત્પન્ન કરી દે છે.

આધુનિક વિજ્ઞાાનમાં પાર્કિન્સનને ''ન્યુરોલોજીકલ ડીસઓર્ડર'' એટલે કે, મસ્તિષ્ક સંબંધી વિકાર માનવામાં આવે છે. પાર્કિન્સન જેવો જ બીજો એક રોગ આયુર્વેદમાં વર્ણવેલો છે. જેને ''અપસ્માર'' તરીકે ઓળખવામાં આવે છે, તથા સાદી ભાષામાં આ રોગને ''વાઈ'' તરીકે ઓળખવામાં આવે છે. આ રોગમાં દર્દીની આંખો સામે અંધકાર છવાઈ જતો હોય તેવું લાગે છે. રોગી ઘણીવાર હાથ-પગ પછાડે છે. તેની આંખો ઉપર ચઢી જાય છે તેનાં દાતં બંધાઈ જાય છે અને મોઢામાં ફીણ આવી જાય છે. ઘણીવાર રોગી ઊંઘમાં હોય ત્યારે પણ ખેંચના હુમલા આવી શકે છે.

આ ભયંકર રોગનું આજ દિન સુધી કોઈ નિશ્ચિત કારણ જાણી શકાયું નથી. પરંતુ ચિંતા, શોક, ક્રોધ વગેરે જેવા કારણોથી પ્રકૃપિત થયેલાં વાતાદિ દોષો મનોવાહી-સ્ત્રોતોમાં વ્યાપ્ત થઈ સ્મૃતિભ્રંશ કરીને આ રોગ ઉત્પન્ન કરે છે. આયુર્વેદમાં આ અપસ્માર વ્યાધિનાં ચાર પ્રકાર બતાવવામાં આવ્યાં છે. વાતજ, પિતજ, કફજ અને સોજાપાતજ આધુનિક વિજ્ઞાાનમાં આ રોગ થવાનું મુખ્ય કારણ મસ્તિષ્કનાં બાહ્યસ્તર (Cortex) ની રક્તવાહિનીઓમાં સંકોચ થતાં રક્તની અલ્પતાનાં કારણે આ રોગ ઉત્પનન થતો માનવામાં આવે છે.

આ રોગ દર્દીને થાય તે પહેલાં કેટલાંક લક્ષણો તેનામાં જોવા મળતા હોય છે, જેને આયુર્વેદમાં ''પૂર્વરૂપ'' તરીકે ઓળખવામાં આવે છે. આ પુર્વરૂપ તરીકે રોગીના હૃદયમાં કંપન  અને શૂન્યતા, પરસેવો થવો, ચિંતા, અનિંદ્રા અને ઘણીવાર રોગીમાં બેભાનાવસ્થા પણ જોવા મળતી હોય છે. રોગીને મોટાભાગે સીધા જ વેગ શરૂ થઈ જતા જોવા મળે છે. આ રોગમાં દર્દી ઘણીવાર પડી જતાં શરીરમાં આડું-અવળું વાગી જવાની પણ શક્યતા રહે છે. તો ઘણી વખત દાંતથી જીભ કપાઈ જતાં મુખમાંથી લોહી પણ નીકળે છે.ઘણીવખત રોગીમાં અનૈચ્છિક રીતે મળ-મૂત્રનો ત્યાગ થઈ જાય છે. જેથી આવા દર્દીઓએ ખૂબ સાવધાની રાખવી પડે છે. કારણ કે વેગનાં સમયે તેમને સંભાળનાર કોઈ ન હોય તો, શરીરને હાનિ પહોંચી શકે છે.

આ રોગમાં ખેંચ આવવાનો કોઈ નિશ્ચિત સમય બતાવેલો નથી આયુર્વેદમાં બતાવ્યા મુજબ વાત જ અપસ્માર હોય તો રોગનાં હુમલાં ૧૨ દિવસે, પિત્તજ અપસ્મારમાં ૧૫ દિવસે અને કફજ અપસ્મારનાં રોગીને ૧ મહિને આ રોગનાં હુમલાં આવતા હોય છે. ઘણીવખત નાનાબાળકોમાં પણ આ રોગ જોવા મળતો હોય છે. આયુર્વેદમાં તેને ''શિશુ અપસ્માર'' કહે છે જેમાં ૧ દિવસમાં પાંચથી પચાસ વેગ આવી શકે છે. પરંતુ આ વેગ સૌમ્ય હોય છે,  અને મસ્તિષ્કનાં કાર્યમાં વિકૃતિ થતી નથી અને શિશુ યુવાવસ્થામાં પ્રવેશ કરતાં ધીરે-ધીરે આ રોગ પોતાની જાતે શાંત થઈ જાય છેે. આ રોગ માટે નિષ્ણાંતની સલાહ મુજબ બ્રાહ્મીવટી, સ્મૃતિસાગર રસ, મુક્તાપિષ્ટી વગેરેનું સેવન ખૂબ લાભપ્રદ છે.

આવાં રોગનાં રોગીઓએ મન શાંત રાખવું જોઈએ. ચિંતા, ક્રોધ, ઉદ્વેગ, ઈર્ષા જેવા મનોગત ભાવોથી હંમેશા બચવું જોઈએ, કારણ કે ઉપરોક્ત મનોભાવો આ રોગને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

અનુભવી વૈદ્યનાં માર્ગદર્શન માં કરાતો ઔષધપ્રયોગ અને જરૂરી સાવધાની આવાં રોગોમાં નિ:સંદેહ પરિણામ આપે છે.