સપ્લીમેન્ટ્સનો ઓવરડોઝ સ્વાસ્થ્ય માટે જોખમી
- 'અતિની ગતિ ન હોય'
સ્વસ્થ રહેવા શરીરને પ્રત્યેક પોષક તત્ત્વ યોગ્ય પ્રમાણમાં મળી રહે તે અત્યાવશ્યક છે. આમ છતાં રોજિંદા આહારમાંથી સઘળાં પોષક તત્ત્વો નથી મતાં એ હકીકત સ્વીકારવી જ રહી. આવી સ્થિતિમાં જ્યારે કોઈ વિટામીન, ખનિજ તત્ત્વ ઈત્યાદિની તીવ્ર ઉણપ શરીરને જ નહીં, મગજને પણ એક યા બીજી રીતે અસર કરે છે. તે વખતે તબીબો જે તે દરદીને ચોક્કસ પ્રકારની સપ્લીમેન્ટ લેવાની ભલામણ કરે છે. કોઈપણ વ્યક્તિ ડોક્ટરને પૂછીને સપ્લીમેન્ટ લે ત્યાં સુધી ઠીક ઠે, પરંતુ જાતે જ પોતાની સમસ્યા ધારી લઈને તદ્નુસાર સપ્લીમેન્ટ લેવાનું શરૂ કરી દેવું જોખમી પણ બની શકે. સામાન્ય રીતે લોકો ચોક્કસ સપ્લીમેન્ટ્સ પોતાની મેળે જ લેવાનું ચાલુ કરી દે છે. પરંતુ તેમને એ વાતની સમજ નતી હોતી કે તેનો ડોઝ કેટલો હોવો જોઈએ કે પછી તે કેટલા વખત સુધી લેવી જોઈએ. નિષ્ણાત તબબો કહે છે કે જ્યારે કોઈ સપ્લીમેન્ટ જરૂરિયાત કરતાં વધુ માત્રામાં લેવામાં આવે ત્યારે તે સ્વાસ્થ્ય માટે જોખમી બની જાય છે, ખાસ કરીને હૃદયને તે વધુ હાનિ પહોંચાડે છે. તેઓ આવી સપ્લીમેન્ટ્સ વિશે જાણકારી આપતાં કહે છે....
વિટામીન ડી : વિટામીન ડી હાડકાંની મજબૂતી અને રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ તેનો ઓવરડોઝ હૃદયને નુકસાન પહોંચાડે છે. વિટામીન ડી વધારે માત્રામાં લેવાથી શરીરમાં કેલ્શ્યિમનું સ્તર વધી જાય છે અને હૃદયની આર્ટરીઝમાં કેલ્શ્યિમ જામી જાય છે, જે છેવટે હાર્ટ અટેક અને સ્ટ્રોક માટે કારણભૂત બને છે.
આયર્ન : આર્યનની ઊણપને પગલે એનીમિયાની સમસ્યા સર્જાય છે જે સંખ્યાબંધ સમસ્યાઓને નોતરું આપે છે. આવામાં રક્તાલ્પતા ધરાવતા લોકો માટે આયર્ન સપ્લીમેન્ટ્સ આવશ્યક બની જાય છે. પરંતુ તેનું જરૂર કરતાં વધુ સેવન હૃદયની વ્યાધિનુંકારણ બને છે. વાસ્તવમાં વધારે પ્રમાણમાં લોહ તત્ત્વ લેવાથી શરીરમાં મુક્ત કણો બને છે. અને તે ઓક્સીડેટિવ સ્ટ્રેસમાં વૃધ્ધિ કરીને હૃદયના સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે. પરિણામે હૃદયના ધબકારા અનિયમિત થવાની અને હાર્ટ ફેલ થવાની ભીતિ રહે છે.
કેલ્શ્યિમ : દાંત અને હાડકાંના સ્વાસ્થ્ય માટે શરીરમાં કેલ્શ્યિમ પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી છે એ વાત આપણે શાળાના સમયથી જાણીએ છીએ . આ કારણે જ ચોક્કસ વય પછી શરીરમાં કેલ્શ્યિમની અછત સર્જાવાથી હાડકાં - દાંત નબળાં પડવા લાગે છે. ખાસ કરીને મહિલાઓમાં મેનોપોઝ આવે ત્યાર પછી તેમના શરીરમાં કેલ્શ્યિમ ઝપાટાભેર ઓછું થતું જાય છે. આવી સ્થિતિમાં તેઓ અન્યોની સલાહને અનુસરીને જાતે જ કેલ્શ્યિયમ સપ્લીમેન્ટ્સ લેવાનું શરૂ કરી દે છે. આવી મહિલાઓ કે બીજા કોઈએ પણ જાતે જ કેલ્શ્યિમ લેવાનું શરૂ ન કરવું જોઈએ. જો શરીરમાં કેલ્શ્યિમનું પ્રમાણ વધી જાય તો ધમનીઓમાં પ્લાક બને છે જેને પગલે રક્ત પરિભ્રમણ અવરોધાય છે. આવી સ્થિતિમાં હૃદય રોગનું જોખમ વધે છે.
વિટામીન ઈ : વિટામીન ઈ એક એન્ટિઓક્સીડન્ટ છે જે કોષોને મુક્ત કણોથી થતી હાનિથી બચાવે છે. પરંતુ તેનું વધારે પડતું સેવન હૃદયને નુકસાન પહોંચાડે ચે. તેને કારણે હૃદય બંધ પડી જવાની ભીતિ પણ રહે છે. વિટામીન ઈ ની વધારે પડતી માત્રા બ્લડ ક્લોટિંગની પ્રક્રિયાને અસર કરતી હોવાથી હૃદયને લગતી સમસ્યાઓ સર્જાય છે.
ઓમેગા -૩ ફેટીએસિડ : હૃદયને સ્વસ્થ રાખવા ઓમેગા-૩ ફેટી એસિડ કારગર નીવડે છે એ વાતમાં બે મત ન હોઈ શકે. પરંતુ અહીં પણ 'અતિની ગતિ ન હોય' ઉક્તિ લાગૂ પડે છે. ઓમેગા-૩ ફેટી એસિડની સપ્લીમેન્ટ્સ વધારે પ્રમાણમાં લેવાથી રક્ત પાતળું થાય છે, જેનેકારણે વધારે રક્તસ્ત્રાવ અને હૃદયના ધબકારા અનિયમિત થવાનું જોખમ રહે છે. તે કોલેસ્ટેરોલના સ્તરને પણ અસર કરે છે.