- શારીરિક-માનસિક થાક દૂર કરવા ઉત્તમ પુરવાર થતાં વિવિધ પેય
મનુષ્ય માટે જળ જીવન છે. આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય તો ડિહાઈડ્રેશન થઈ જાય. ગ્રીષ્મ ઋતુમાં પરસેવા વાટે આપણા દેહમાંથી પુષ્કળ પાણી અને ક્ષાર તત્વો બહાર ફેંકાઈ જાય છે. આવી સ્થિતિમાં જો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવામાં ન આવે તો ડિહાઈડ્રેશન થવાની વકી રહે છે. આ ઉપરાંત ગરમીમાં ભોજનની રૂચિ ઘટી જાય છે. આવી સ્થિતિમાં શરીરમાં શક્તિ જળવાઈ રહે અને પૂરતાં પ્રમાણમાં પૌષ્ટિક તત્વો પણ મળી રહે તેનો સરળ ઇલાજ છે વિવિધ પ્રકારના પીણાં. આ પીણાં પાણીની પ્યાસ બુઝાવવા સાથે આપણા શરીરમાં ત્વરિત શક્તિનો સંચાર કેર છે. ખાસ કરીને ફળોના રસ શરીરમાં પૌષ્ટિકતાનો અભાવ પેદા થવા નથી દેતાં.
લીંબુનુ શરબત: ગ્રીષ્મ ઋતુમાં પરસેવા વાટે પુષ્કળ પાણી વહી જતું હોવાથી આપણને થાક અને સુસ્તી વરતાય છે. એક સંશોધન મુજબ લીંબુનો સ્વાદ અને સોડમ સુસ્તી દૂર કરે છે. તેનાથી નલિકાઓ ઉત્તેજિત થાય છે અને મગજમાં ત્વરિત સ્ફૂર્તિનો સંચાર થાય છે. તેથી જ્યારે ત્વરિત ઉર્જાની આવશ્યકતા હોય ત્યારે લીંબુ પાણી બેસ્ટ ડ્રીંક મનાય છે. વળી તેમાં શરીરને હાનિ પહોંચાડનારા કોઈ તત્વો નથી હોતા, તેથી આપણને કોઈ પ્રકારનંુ નુકસાન પણ નથી થતું.
દ્રાક્ષનું જ્યુસ: ઘણાં ફળોનો રસ આપણું વજન ઘટાડવામાં સહાયક બને છે. પણ આપણે એ વાતથી અજાણ હોઈએ છીએ. સેનડિગોમાં સંશોધકોએ એક અભ્યાસમાં ૧૦૮ સ્થૂળકાય લોકોને ભોજનથી પહેલા વિવિધ ફળોનો રસ આપવાનો પ્રયોગ કર્યો હતો. આમાંના જેમને મુખ્ય ભોજનથી પહેલા અંગુરનું જ્યુસ આપવામાં આવ્યું હતું. તેમનું વજન બાર અઠવાડિયા ત્રણ પાઉન્ડ જેટલું ઘટયું હતું. જ્યારે અન્ય લોકોના વજનમાં કોઈ ફરક નહોતો પડયો.
દૂધ : ફ્લેવર્ડ દૂધમાં પૂરતી માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને કેલ્શિયમ હોય છે. તેથી વ્યાયામ કર્યા પછી દૂધ પીવું લાભકારક પુરવાર થાય છે. કસરત કર્યા પછી દૂધમાં રહેલું કાર્બોહાઈડ્રેટ શરીરમાં ફરીથી શક્તિનો સંચાર કરે છે. આ ઉપરાંત વ્યાયામ કરતી વખતે જો માંસપેશીઓને કોઈ જાતનંુ નુકસાન થયું હોય તો દૂધમાં રહેલું પ્રોટીન માંસપેશીઓનું સમારકામ કરવામાં સહાયક બને છે. જ્યારે તેમાં રહેલું કેલ્શિયમ હાડકાં મજબૂત બનાવે છે.
લીલી ચા : આપણે થાકી જઈએ ત્યારે ચા અથવા કોફી પીવાથી આપણા શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે. પરંતુ એક સંશોધન અનુસાર લીલી ચા મગજ શક્તિ તેજ બનાવે છે. જેમને વારંવાર ભૂલી જવાની સમસ્યા હોય તેણે દિવસમાં બે વખત લીલી ચા પીવી જોઈએ. સંશોધનકર્તાઓના મત મુજબ સાદી ચા પીવાવાળા લોકો કરતાં લીલી ચા પીતાં લોકોનું મગજ વધારે ઝડપથી ચાલે છે.
બનાના મિલ્કશેક : એક સંશોધન મુજબ કેળામાં ખાસ પ્રકારની સુગંધ હોય છે જે પુરુષોને ઉત્તેજિત કરે છે. આવી ખૂશ્બુ અન્ય કોઈ ફળમાં નથી હોતી. તેથી રોમાન્ટિક સમય વિતાવવાથી પહેલાં જો મલાઈ વિનાના દૂધ અથવા દહીંમાં કેળા નાખીને તેનું સેવન કરવામાં આવે તો બહેતર ઉત્તેજના અનુભવાય છે.
આદુવાળી ચા : આદુ સામાન્ય ભારતીય ઘરમાં દાદીમાના નુસ્ખા તરીકે વર્ષોથી ચાલ્યું આવે છે. પેટમાં ગડબડ થાય ત્યારે સોડા પીવાને બદલે આદુવાળી ચા અથવા ઉકાળો પીવામાં આવે તો તે ફાયદેમંદ પુરવાર થાય છે.
સફરજનનો રસ : સફરજનનો તાજો રસ માથાના દુખાવામાં રાહત આપે છે. એક સંશોધન મુજબ સફરજનના રસમાં રહેલી ખાસ પ્રકારની સોડમ મગજ માટે એક પ્રકારની થેરપીનું કામ કરે છે. મોટા ભાગે આપણે સફરજનના સ્વાદને વખાણતા હોઈએ છીએ. પરંતુ માથાના દુખાવામાં સફરજનની સુગંધ રાહતકર્તા પુરવાર થાય છે.
વિવિધ ફળોનો મિલ્કશેક : સ્ત્રીઓને માસિક દરમિયાન જો સ્ટ્રોબેરી, કેળાં, કેરી અથવા કોઈપણ મોસમી ફળનું મિલ્કશેક આપવામાં આવે તો તેને માસિકની પીડામાં રાહત મળે છે. મિલ્કશેક શરીરમાં એસ્ટ્રોજનનંુ સ્તર વધારે છે. એક ગ્લાસ મિલ્કશેકમાં લગભગ ૧૬૦ કેલેરી હોય છે. તેમાં રહેલાં કેલ્શિયમ અને વિટામીન 'ડી' રક્તકણ બનાવવામાં સહાયક બને છે.
તુલસીની ચા : સવારના પહોરમાં તુલસીની ચા પીવાથી આખો દિવસ શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. તુલસીની ચામાં મલાઈ વિનાનું દૂધ અને અલ્પ માત્રામાં સાકર નાખવાથી શરીરમાં વધારાની ચરબી જમા નથી થતી. દૂધને લીધે પ્રોટીન મળે છે અને અલ્પ માત્રામાં લીધેલી સાકરને લીધે કાર્બોહાઈડ્રેટ મળવા છતાં રક્તમાં શર્કરાનું પ્રમાણ નથી વધતું.
મસાલાવાળુ દૂધ : પા કપ શેકેલી ખસખસ, પા કપ શેકેલી બદામ, ચપટી જાયફળનો ભુકો, થોડાં પાન કેસર લઈને મિકસરમાં પીસી લો. બધી સામગ્રી એકદમ ઝીણા પાઉડર જેવી ન થઈ જાય તેનું ધ્યાન રાખો. સુવાથી પહેલા એક કપ દૂધમાં આ મસાલો અને એક ચમચી મધ નાખી, સારી રીતે હલાવીને પી લો. અનિદ્રાની વ્યાધિમાં આ મસાલાવાળું દૂધ અસરકારક પુરવાર થાય છે.


