Get The App

નહિ મળ્યાનો 'રંજ' નહિ પણ મળ્યું તેનું મનોરંજન

Updated: Feb 1st, 2021

GS TEAM


Google News
Google News
નહિ મળ્યાનો 'રંજ' નહિ પણ મળ્યું તેનું મનોરંજન 1 - image


વંદના એક અઠવાડિયાનાં શાકભાજી ખરીદવા સુપર માર્કેટ પહોંચી ત્યારે અચાનક તેને વિચાર આવ્યો કે કાલે કદાચ તે કરોડપતિ બની જશે. તો આ શાકભાજીનું શું થશે? એટલા પૈસા મળ્યા પછી તો તે ફાઇવસ્ટાર હોટલના શાનદાર ડાઇનિંગ હોલમાં કુટુંબ સાથે ભોજન લેવા જશે. આવા વિચારોમાં ખોવાયેલી એ ખાલી હાથે ઘરે પાછી ફરી.

સપનાં જોવા કોને નથી ગમતા? માનવીની ઇચ્છા, આકાંક્ષાઓ અનંત છે, સંતોષ એના સ્વભાવમાં જ નથી હોતો. એટલા માટે જ એક પછી એક ઇચ્છા જાગે છે, એક જરૂરિયાત પૂરી થતાં બીજી જરૂરિયાત ઊભી થાય છે. માનવી તેમાં ઘેરાયેલો રહે છે. વંદનાની હાલત પણ આ પ્રકારની હતી એવું પણ નહોતું કે તેને કોઈ વસ્તુની કમી હતી, પરંતુ એક ઇચ્છા પુરી થાય કે બીજી ઇચ્છા જાગૃત થતી અને જિંદગી અધૂરી લાગતી.

જો તમે એવું વિચારતા હો કે તમને પણ એક સુંદર અને શાનદાર બંગલો, અઢળક પૈસો, એક મોડેલ જેવું સૌંદર્ય અને મનગમતો જીવનસાથી મળી જાય તો જીવન બદલાઈ જાય અને ત્યારે જ તમે કંઈક કરી શકશો તો થોભો અને ફરી વાર વિચારો. તમારી પાસે ઘણું બધું એવું છે જેની ઇચ્છા બીજા લોકો પણ કરતા હોય છે તો આ જિંદગીને સુંદર રીતે જીવતાં રહો અને તેનો આનંદ ઉઠાવતા શીખો. વિશ્વાસ રાખજો, જે તમારી પાસે છે તે તમારા માટે સારું છે એટલે એવા ભ્રમમાં રહેશો નહીં કે ક્યારેક જિંદગી બદલાઈ જશે. જે મળે તેને એક ભેટ તરીકે સ્વીકારી લો, પરંતુ ન મળ્યાનો અફસોસ કરવો એટલે મળેલાં સુખ પર પાણી ફેરવવાથી વિશેષ કંઈ નથી.

કહેવાય છે, 'જિંદગી ઝિંદાદિલી કા નામ હૈ, મુર્દાદિલ ક્યા ખાક જિયા કરતે હૈ', પરંતુ કેટલા લોકો આ વાતને સાચી માને છે અને તેના પર અમલ કરે છે? જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કેટલું વધારે સારું અને કેટલું ઓછું સારું તો થતું જ રહેવાનું. ક્યારેક થોડું વધુ મળશે તો ક્યારેક ઓછું મળશે. 

આનો અર્થ એવો પણ નથી કે આપણે થનારી બધી નાનીમોટી વાતને લઈને બેસી રહીએ. આમ તો આપણે બેઠેલાં જ રહી જઈશું. અને પછીથી એવું થશે કે આપણે તે બધુ જ કર્યું પણ જિંદગીની મજા લઈ શક્યા નહીં.

નવા વર્ષની શરૂઆત સાથે બધી ફરિયાદો ભૂલી જઈને એવો નિર્ણય કરીએ કે જીવનમાં જે મળ્યું છે તેમાંથી આપણે ભારોભાર આનંદ લૂટીએ જેથી કરીને પછીથી એવો પશ્ચાતાપ ન થાય કે આ પ્રકારનું જીવન જીવવાથી તમારા મનોરથ પૂરા થઈ શક્યા નહીં.

કેટલીક એવી વાતો છે જે તમારા જીવનમાં ક્રાંતિ લાવીને તેને ખુશી અને સંતોષથી ભરીને તમને વાસ્તવિક જિંદગી જીવવામાં મદદ કરી શકે છે જે આ પ્રમાણે છે.

કાલ માટે આજને ખોશો નહીં

શું એવાં ઘણા કામ છે, જે તમે કરવા ઇચ્છો છો છતાં તમારી જાતને તેનાથી દૂર રાખી છે, કારણ કે તમે મિસ્ટર રાઇટની રાહ જુઓ છો, જેની સાથે તમે જીવનનો આનંદ માણવા ઇચ્છો છો?

૨૫ વર્ષની રીમાની કેટલાંય વર્ષોથી ઇચ્છા હતી કે તે મોરેશિયસ ફરવા જાય અને એ પ્રવાસને યાદગાર બનાવે, પરંતુ તે ત્યાં તેના જીવનસાથી સાથે જવા ઇચ્છે છે.

૨૪ વર્ષની રૂપાલીએ બુદ્ધ ગાર્ડન વિશે ઘણું સાંભળ્યું હતું અને તે ત્યાં જવા ઇચ્છતી હતી, પરંતુ આ મહેચ્છાને તેના મિત્રો સાથે જઈને પૂર્ણ કરવાને બદલે તેણે વિચાર્યું કે એ ત્યાં ત્યારે જ ફરવા જશે જ્યારે તેને જીવનસાથી મળશે. 

મનોચિકિત્સક ડો. પુરુષોત્તમ વ્યાસના કહેવા મુજબ, ''મોટા ભાગની યુવતીઓ, ભલે તે તેના ક્ષેત્રમાં ગમે તેટલી સફળ હોય, પરંતુ તેને વિશ્વાસ હોય છે કે ક્યારેક તો તેના સપનાનો રાજકુમાર જરૂર  આવશે, જે તેને સુંદરતા, પ્રેમ અને આનંદ આપી માલામાલ કરી દેશે. તેની તમામ મૂંઝવણ દૂર થઈ જશે અને જીવનનો તમામ આનંદ માણી શકશે, પરંતુ એવું નથી હોતું, જે મુશ્કેલીઓ મિસ્ટર રાઇટના મળ્યા પહેલાં હોય છે તે કદાચ એ મળ્યા પછી પણ રહેશે અને જો તમે તેની રાહ જોવામાં તમારો આનંદ રોકી રાખશો તો મૂલ્યવાન સમય વેડફાઈ જશે જેનો તમે ભરપૂર આનંદ ઉઠાવી શકો છો એ સમયને તમે બરબાદ કરી રહ્યા છો.

કાલનો આનંદ મેળવવા માટે આજે મળનારો આનંદ ખોઈ નાખવો તે ડહાપણનું કામ નથી કારણ કે એ હકીકત છે કે આજે તમારી પાસે જે નથી એ કાલે હોય પણ ખરું? પરંતુ એ જરૂરી નથી કે જે આજે છે તે કાલે પણ હોય.

આજે મળતો આનંદ તમે કાલ માટે રહેવા દેશો તો તમારી આજને પાણીની વચ્ચે રહેતી તરસી માછલી જેવી બનાવી દેશો. કાલે શું થશે એ કોણ જાણે છે? તમારી જે કંઈ ઇચ્છાઓ કે શોખ હોય, તેનો ભરપૂર આનંદ ઉઠાવવાનો પ્રયાસ કરો અને જો ભવિષ્યમાં ફરી એ શોખ પૂરો કરવાનો અવસર મળી જાય તો પછી પૂછવું જ શું? મતલબ તમે આજ અને આવતી કાલ એમ બન્નેનો ભરપૂર આનંદ લૂટી શકશો.

ઘણો સમય ટાળ્યા પછી રીમાએ તેની સખી સાથે મોરેશિયસ જવાની યોજના ઘડી કાઢી પંદર દિવસ ખૂબ આનંદમાં પસાર થયા. જ્યારે એ પાછી ફરી ત્યારે પૂર્ણ રીતે સંતોષ પામેલી હતી. આવા મનગમતા આનંદથી તેનું હૈયું છલોછલ ભરાઈ જતા આત્મવિશ્વાસ પણ વધ્યો હતો. હવે તેને કંઈ પણ મુશ્કેલ લાગતું નહોતું. આ સમય દરમિયાન તે રાહુલને મળી, રીમાનો આત્મવિશ્વાસ જોઈ તે અત્યંત પ્રભાવિત થયો અને રીમા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આ એ આત્મવિશ્વાસ હતો જે રીમાને મોરેશિયસ ગયા પછી અને ભરપૂર આનંદ ઊઠાવ્યા પછી મળ્યો હતો. જો તે મોરેશિયસ ગઈ ન હોત તો?

આજે 'ઇન્ટરનેટ યુગ'માં સૌ કોઈ કારકિર્દીને વધુ મહત્ત્વ આપે છે. દરેકને ખૂબ આગળ વધવાની ઇચ્છા હોય છે. દરેક એ પ્રયાસમાં હોય છે કે જો મને બઢતી મળી જાય તો મારી કારકિર્દી ઉજ્જ્વળ બની જાય, જેનાથી હું વિશેષ પદ મેળવી સહેલાઈથી મારું ધ્યેય, સારું પદ, વધુ સારી ઓફિસ, વધુ આવક વગેરે સપનાં પૂરા કરી શકું. આ બધી અપેક્ષાઓ પૂરી કરવાની સ્પર્ધા એટલી તો બોજારૂપ બની જતી હોય છે કે જીવનની બીજી વાતો અથવા આનંદના નાનામોટા પ્રસંગો તમે ક્યાં પાછળ છોડીને આવ્યા તેની જાણ સુદ્ધાં તમને થતી નથી.

ત્રીસ વર્ષની કિરણ મહત્વાકાંક્ષી યુવતી હતી એકવીસ વર્ષની ઉંમરમાં તેણે એક્સપોર્ટ હાઉસમાં કો-ઓર્ડિનેટરની નોકરી મેળવી હતી, પરંતુ આગળ જતાં તેને પોતાનું એક્સપોર્ટ હાઉસ ચલાવવાની ઇચ્છા હતી. તનતોડ મહેનત તથા પૈસાની સગવડ પાછળ રાત દિવસ એક કરી તેણે અઠ્ઠાવીસ વર્ષની નાની વયે પોતાનું એક્સપોર્ટ હાઉસ શરૂ કર્યું. તે કહે છે, ''હું સારું કામ કરી રહી છું. એવો મને ક્યારે પણ સંતોષ મળ્યો નથી. કાયમ મને એક પછી બીજું અને બીજા પછી ત્રીજું લક્ષ સિદ્ધ કરવાની લાલસા રહેતી નથી.''

કિરણને હતું કે પોતાનું એક્સપોર્ટ હાઉસ થતાં  તેનું સપનું પૂરું થશે અને સંતોષ મળશે, પરંતુ તેને સંતોષ મળ્યો જ નહિ તે ઇચ્છતી હતી કે જે મેળવ્યું છે તેનો આનંદ માણવો, પરંતુ તેના બદલે હવે તે એક્સપોર્ટ હાઉસને આગળ વધવા માટે વધુ સમય આપવાની ચિંતામાં રહેતી.

મિત્રો, સગાં-સંબંધીઓ વગેરેને મળવાથી સમય વેડફાશે એવું વિચારીને તેણે તેમને મળવાનું પણ બંધ કરી દીધું. એવો કોઈ પ્રસંગ આવતો કે જ્યારે તે સૌને મળી શકતી હતી, ત્યારે એમ વિચારીને ટાળી દેતી કે અત્યારે સમય નથી. આટલેથી તે અટકી નહોતી. તેણે લગ્ન કરવાનું પણ માંડી વાળ્યું હતું. કારણ કે તેને તેનો વ્યવસાય વિકસાવવો હતો.

કિરણનું સપનું સાકાર થવા છતાં તેને આનંદ થયો નહોતો. ઉલટાનું હવે તેને મિત્રો અને સગાંસંબંધીઓની ખોટ સાલતી હતી. જેમને તે હંમેશા ફોન પર ટાળતી રહેતી.

મનોવૈજ્ઞાાનિક ડો. સુરેશ રાઘવના કહેવા મુજબ, ''આ ઉંમર એવી છે જેમાં લક્ષ મેળવવામાં નિષ્ફળ જવાનો ડર હોય છે એટલે કશુંક કરી બતાવવાની ધૂનમાં તે બદલાઈ જતો હોય છે.''

કિરણ એ ભૂલી ગઈ હતી કે તે પણ એક માનવી છે જેને પોતાના દરેક સુખ-દુ:ખમાં બીજાની જરૂર પડે છે. અંતે તો આપણે જે કંઈ કરીએ છીએ તે આનંદ મેળવવા માટે જ કરીએ છીએ. તો પછી જે આનંદ આપણે જોયો નથી તેની શોધમાં શા માટે ભટકવું? જો તમે તમારા કામમાં વધુ વ્યસ્ત રહેતા હો તો મોજમસ્તી માટે પણ અલગ સમય ફાળવવો જરૂરી છે.

કિરણે નક્કી કર્યું કે રજાઓમાં તે ઓફિસના કામમાં વ્યસ્ત રહેશે નહીં અને જે પરિશ્રમથી તે આ લક્ષ પર પહોંચી છે તેનો હવે તે ભરપૂર આનંદ ઉઠાવશે.

૨૯ વર્ષની ઉંમરે કિરણે લગ્ન કરી લીધાં. ત્યાર બાદ તેણે કામ માટે મર્યાદિત સમય ફાળવ્યો. જેથી તે બાકીના સમયે અન્ય બાબતોનો આનંદ મેળવી શકે. થોડું મોડું ભલે થયું, પણ યોગ્ય સમયે તેને એવો અનુભવ જરૂર થયો કે જીવન કામ માટે તો છે, પરંતુ માત્ર કામ કામ ને કામ જીવન બની જાય તો એ જીવન નથી રહેતું, કારણ કે જીવન તમે જીવ્યા જ નથી માત્ર કામ જ કર્યું છે. અને હવે ફરીવાર જીવન મળશે કે કેમ એ કોણ કહી શકે તેમ છે?

૨૫ વર્ષની શોભાએ પાર્ટીઓ, મિત્રો અને પિકનિક વગેરેમાં જવાનું છોડી દીધું હતું કારણ તેનું વજન સામાન્ય કરતાં થોડું વધુ હતું. તેને લાગતું કે તે જાડી અને કદરૂપી લાગે છે. શરીર મજબૂત બનાવવા આત્મવિશ્વાસ સહાયરૂપ બને છે, પરંતુ માત્ર થોડું વજન વધુ છે. વાળ સુંવાળા રેશમ જેવા નથી અથવા ઊંચાઈ ઓછી છે એવી બધી મૂંઝવણથી તમે પરેશાન થઈ જશો તો જીવનની અન્ય ગંભીર સ્થિતિને તમે કેવી રીતે સાંભળી શકશો?

મનોવૈજ્ઞાાનિક ડો. પુરુષોત્તમ વ્યાસ કહે છે કે જો શરીર સાથે સંબંધિત નાની-મોટી વાતો તમને આનંદપૂર્વક જીવન જીવવામાં અડચણરૂપ બનતી હોય તો તમે જીવન જીવવાનો સાચો અર્થ સમજ્યા નથી અને નકામી નાની નાની વાતોથી ખીલતા જીવનને રુંધી રહ્યા છો.

શોભાએ ડાયેટિશિયનની સલાહ મુજબ ખાવાપીવામાં વિશેષ ધ્યાન આપી વજન ઓછું કરી નાખ્યું. સ્થૂળ શરીર તેની મૂંઝવણ હતી એ ખુશ હતી, પરંતુ કેટલાક દિવસો પછી તેણે અનુભવ કર્યો કે તેની સ્થિતિમાં જરા સરખો પણ ફેરફાર થયો નથી એ સમજતી હતી કે તેનું વજન ઘટવાથી ઘણું બધું બદલાઈ જશે પણ તેમાંનું કંઈ જ થયું નહીં. કેટલાક સમય પછી શોભાને તેના વાળ સૂકા, નિસ્તેજ લાગવા લાગ્યા જે તેના ડાયેટમાં જરૂર કરતાં વધુ પરેજી પાળવાને કારણે આવા થઈ ગયા હતા, અને હવે તે તેની મૂંઝવણનું કારણ બન્યા હતા. ડોક્ટરની સલાહ મુજબ ડાયેટ લેવાતી શોભાની વાળની સમસ્યા પણ દૂર થઈ ગઈ. વાળ સાથે તેને પ્રત્યેક નાની-મોટી વસ્તુને નકામી મંૂઝવણનું કારણ બનાવવાની પોતાની ભૂલ સમજાઈ. હવે એ સમજી ગઈ હતી કે જીવનમાં વત્તુઓછું તો થયા જ કરે છે. પ્રત્યેક વસ્તુ પોતાના સ્થાન પર રહે એવી આશા રાખવી વ્યર્થ છે.

સપનાં અને હકીકતની તુલના

રાતોરાત શ્રીમંત, પ્રસિદ્ધ બનવાનાં અથવા તો કંઈક અનોખું, આશ્ચર્યજનક કરી બતાવવાનાં સપનાં આપણામાનાં મોટા ભાગના લોકો જોતાં હોય છે. શું તમે પણ એવું સપનું જુઓ છો કે એક દિવસ તમારી ગાયકી સૌને ગમી જશે અને લતામંગેશકર પછી તમારું જ નામ સૌના હોઠ ઉપર રમતું હશે?

૨૪ વર્ષની તૃપ્તિ કોલેજમાં હતી ત્યારથી તેનું સપનું હતું કે તેની પાસે અઢળક પૈસા હોય, આગળપાછળ પડયો બોલ ઝીલનારા નોકરચાકર હોય, શાનદાર કાર અને ઠાઠમાઠથી રહેવાનું હોય. પૈસાની ધૂનમાં તૃપ્તિ એટલી ડૂબી ગઈ હતી કે તેણે સમજ્યા વિચાર્યા વિના એક એવા છોકરા સાથે લગ્ન કરી લીધાં કે જેની પાસે અઢળક પૈસો હતો, પરંતુ પૈસો મેળવ્યાં છતાં જ્યારે તે આનંદ મેળવી શકી નહીં ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ધન મેળવવાની લાલસા પહેલાં તેના દિલમાં ભાવિ પતિ પાસેથી કેટકેટલી અપેક્ષાઓ હતી, જેનો તેણે પૈસા મેળવવાની લાલસામાં ભોગ આપી દીધો હતો.

જીવનમાં જે કંઈ મળે, તેમાંથી આનંદ મેળવવામાં જ જીવનની અસલી મજા છે. જે નથી અને નથી મળી શક્યું એનું દુ:ખ લગાડી જીવનમાં નરી મૂર્ખતા છે. જીવનમાં ઇચ્છેલું બધું જ મળ્યું છે- અને હવે મારે કશું જ જોઈતું નથી એવો સંતોષી માનવ મળવો મુશ્કેલ છે. સંતોષ અને આનંદ એ મનનો અનુભવ છે. તે અનુભવ સૂકી રોટલી ખાવામાં પણ થઈ શકે છે જે ક્યારેક ઉત્તમ પ્રકારનાં પકવાન આરોગ્ય પછી પણ મળતો નથી હોતો.

-નીપા

Tags :