ચારૂને ઓફિસે જવામાં મોડું થતું હતું એટલે તેણે ઘરથી બહાર નીકળતી વખતે સાસુને કહ્યું, 'બા, ચિરાગ ખાવામાં અખાડા કરે કે ઝટ ન જમે તો એને યુ-ટયુબ પર કંઈકબતાવીનેજમાડી લેજો એટલે તમારી હેરાનગતિ ઓછી થાય. ચારૂની ભલામણ સાંભળીને માલતીબેને ડોકુ ધુણાવ્યું એટલે ચારૂ ઝપાટાબંધ ઘરની બહાર નીકળી.
માલતીબેન સારી રીતે જાણતાં હતાં કે ચિરાગને યુ-ટયુબ બતાવીને જમાડવાનું કહેવા પાછળ તેમની પુત્રવધૂની તેમના પ્રત્યેની ચિંતા હતી. પરંતુ બાળકને કોઈપણ ઉપકરણ દેખાડતાં દેખાડતાં ન જમાડાય. એ વાત આ ચાર ચોપડી ભણેલા બા સુપેરે સમજતાં હતાં. ભોજનનો સમય થતાં જ તેમણે ચિરાગ માટે થાળી પીરસી અને પૌત્રનું ધ્યાન ખાવા તરફ દોર્યું. તેમણે ચિરાગને કહ્યું 'જો તો, આજે તારી મમ્મી તારા માટે કેવી સરસ બનાવી ગઈ છે. ચાલ, હું તને આજે બાલકૃષ્ણની વાર્તા કહું.' દાદીની વાત સાંભળીને ચિરાગ જમવા માટે તૈયાર થઈ ગયો. થાળીમાં સરસ રીતે સજાવેલું ભોજન જોઈને તેને ખાવામાં રુચિ જાગી. માલતીબેને તેના મોઢામાં પહેલો કોળિયો મૂકવા સાથે બાલકૃષ્ણની વાર્તા કહેવા માંડી. દાદીના મુખેથી વાર્તા સાંભળતા સાંભળતા ચિરાગે મોજથી જમી લીધું. માલતીબેનનો આ નિત્યક્રમ હતો. તેમણે ક્યારેય ચારૂને એમ નહોતું કહ્યું કે હું ચિરાગને યુ-ટયુબ બતાવતાં બતાવતાં નહીં જમાડું. પરંતુ તેમણે ચારૂની વાત માની પણ નહોતી. તેઓ દ્રઢપણે માનતા કે જમવા બેસો ત્યારે તમારું ધ્યાન ખાવામાં હોવું જોઈએ.
જૂના જમાનાના ગણાતા માલતીબેનમાં આ સાદી સમજ હતી. પંરતુ અફસોસ જ નહીં, ચિંતાની વાત એ છે કે નવી પેઢીની ઉચ્ચ શિક્ષિત માતાઓને આ વાત નથી સમજાતી. આજે મોટાભાગના બાળકો મોબાઈલ અથવા ટીવી જોતાં જોતાં જમે છે. આધુનિક મમ્મીઓમાં બાળકોને વાર્તા કહેતા કહેતાં કે અહીંતહીંની વાતો કરતાં કરતાં જમાડવાની ધીરજ નથી. તેઓ મોબાઈલ પર બાળકને ગમતાં કાર્ટુન કે રાયમ્સ ઈત્યાદિ ચાલુ કીરને તેમન ેકોળિયા ભરાવવા માંડે છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે સ્ક્રીન સામે જોતાં જોતાં જમતાં ભૂલકાને ખબર હોય છે કે તે શું અને કેટલું ખાય છે. તેવી જ રીતે તેની મમ્મીને સમજાય છે કે તેના સંતાને પેટ ભરાઈ ગયા પછી પણ ખાવાનું ચાલું રાખ્યું હતું કે પછી વત્તાઓછા અંશે ભૂખ્યું રહ્યું હતું. અને જ્યારે કોઈ આ રીતે ખાય ત્યારે તેને પૂરતું પોષણ મળે ખરું?
આના જવાબમાં તજજ્ઞાો કહે છે કે ખરેખર તો ખાતી વખતે તમારું ધ્યાન માત્ર ભોજનમાં જ હોવું જોઈએ. અને આ વાત માત્ર બાળકોને જ નહીં, દરેક વયના લોકોને લાગૂ પડે છે. આહાર પ્રત્યે રૂચિ રાખીને ભોજન લેવામાં આવે તેને 'મનથી ખાધું' કહેવાય. બાળક શું અને કેટલું ખાય છે તેની તેને ખબર હોય તો પેટ ભરાઈ ગયા પછી તે સ્વયં વધારે ખાવાની ના પાડી દેશે. પરંતુ સ્ક્રીન સામે જોતાં જોતાં ખાતું બાળક માન્ડલેસ ઈટિંગ કરતું હોય છે. તેનું ધ્યાન ખાવામાં ન હોવાથી તે શું ખાઈ રહ્યો છે તેની તને ખબર નથી હોતી. તે પેટ ભરાઈ ગયા પછ પણ ખાતું રહે છે. અથવા હજી તેનું પેટ નથી ભરાયું. એ વાત તેને નથી સમજાતી. આવી સ્થિતિમાં જે તે ભૂલકાનું વજન ઘટે છે અથવા તે મેદસ્વી બને છે. જ્યારે ભૂલકાને મોબાઈલમાં વ્યસ્ત રાખીને જમાડતી માતા એમ વિચારીને સંતોષ માને છે કે તેના સંતાને જમી તો લીધું.
વાસ્તવમાં આ રીતે સંતોષને ઓડકાર ખાતી મમ્મીઓને સમજવું જોઈએ કે માઈન્ડલેસ ઈટિંગ કરતા બાળકને ન તો પૂરું પોષણ મળે છે કે ન તે ભોજનને સારી રીતે પચાવી શકે છે. આવી સ્થિતિ ટાળવા સૌથી પહેલા બાળકમાં ભોજન પ્રત્યે રુચિ પેદા કરવાનો પ્રયાસકરો. ત્યાર પછી તેની સાથે અલકમલકની વાતો કરતાં કરતાં તેને જમાડો. તમે ચાહો તો ચોપડીમાંથી વાર્તાઓ વાંચીને સંભળાવી શકો કે બચ્ચાને ચિત્રકામ કરાવતાં કરાવતાં જમાડી શકો. કહેવાનો અર્થ એ છે કે આવી કોઈ પ્રવૃત્તિ કરતી વખતે ભૂલકાનું ધ્યાન ખાવામાં પણ રહે છે. જ્યારે સ્ક્રીન સામે જોતી વખતે તેનું મન-મગજ સમગ્રપણે તેમાં રમમાણ થઈ જતું હોવાથી તેના શરીરને સમજાતું નથી કે તેને શું મળી રહ્યું છે. સ્વાભાવિક રીતે જ તેની સીધી અસર બાળકના પાચન અને પોષણ પર પડે છે. નિષ્ણાતો વધુમાં કહે છે કે આજે માતાપિતા તેમના બાળકોને કંઈકેટલીય જાતની વાનગીઓના વિકલ્પ આપી દોતાં હોય છે. તેમને કોઈ એક વસ્તુ ન ખાવી હોય તો તેના સ્થાને બીજા બે ચાર વિકલ્પો આપી દે. આમ છતાં તેમનું બાળક સ્ક્રીન જોયા વિના કોળિયો નથી ભરતું તેનો શો અર્થ? ખરેખર તો સ્ક્રીન જોતાં જોતાં જમાડવાની શરૂઆત જ ન કરવી જોઈએ. જો બાળકને તેની ટેવ પડી જશે તો તેના સિવાય નહીં ખાય. બહેતર છે કે તેને બાલ્કનીમાંથી પ્રાકૃતિક સૌંદર્ય બતાવતાં બતાવતાં ધીમે ધીમે જમાડવનામાં આવે. જો એક જ વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જમતી વખતે બાળકનું ધ્યાન માત્ર ભોજનમાં હોવું જોઈએ. માઈન્ડલેસ ઈટિંગ એટલે કે બેધ્યાનપણે લીધેલું ભોજન તેને પોષણથી વંચિતા રાખશે.
- વૈશાલી ઠક્કર


