Get The App

સ્વજનોના શોષણ અને આપ્તજનોના અત્યાચાર સામે પુરુષોની પરવશતા

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
સ્વજનોના શોષણ અને આપ્તજનોના અત્યાચાર સામે પુરુષોની પરવશતા 1 - image

જ્યારે ત્રાસેલા પુરુષો એક સાથે જોડાય છે ત્યારે લાગે છે કે જાણે કોઈ ક્રૂર મજાક કરી રહ્યું છે! પુરુષ કે જે શારીરિક અને માનસિક બંને રીતે સ્ત્રી કરતાં સક્ષમ છે તેને કોણ પજવી શકે?

પરંતુ તસવીરનું બીજું પાસું એ છે કે પુરુષને શારીરિક નહીં પરંતુ માનસિક રીતે પરેશાન  કરવામાં આવે છે. આ કોઈ અત્યાચારથી ઓછું નથી. સ્ત્રી માટે બળાત્કાર જેટલોે પીડાકારી હોય છે, તેટલી જ પીડાકારી માનસિક   હેરાનગતિ પુરુષો માટે હોય છે. બળાત્કારનો શાબ્દિક અર્થ બળથી કરવામાં આવેલો અત્યાચાર છે તો હેરાનગતિ પણ બળપૂર્વક કરવામાં આવેલ અત્યાચાર જ છે.

બંદૂકની અણીએ બ્લેકમેલ, ધમકી આપવી તથા બળજબરી કરવી એ અત્યાચાર જ ગણાય. પૈસા લૂટવા, જમીન ઉપર કબજો કરવો વગેરે તકલીફોનો શિકાર પુરુષ પણ બને છે. રોજબરોજ પુરુષો દ્વારા ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરવાના તથા ઘરેથી ભાગી જવાના કિસ્સા વાંચવા મળે છે. 

સૌૈથી વધુ દુ:ખ ત્યારે થાય છે જ્યારે પત્ની પતિને માનસિક રીતે હેરાન કરે છે. પતિ સર્વગુણસંપન્ન હોવા છતાં પત્ની બીજા પુરુષ તરફ આકર્ષાય છે ત્યારે પુરુષ બિચારો કંઈ નથી કરી શકતો.

ત્રાસનું એક બીજું રૂપ એ પણ છે કે જ્યારે સ્ત્રીના પક્ષમાં બનાવેલા કાયદાની ઓથમાં પુરુષો પર દહેજ માગવાનો આરોપ મૂકીને સ્ત્રી પોતાનું ધાર્યું કરે છે. આવી બાબતોમાં કાયદો પણ તેમને પૂરો સાથ આપે છે. કેટલીક જ્ઞાાતિઓમાં તો પુરુષોને  લગ્ન માટે દહેજ આપવું પડતું હોય છે.

થોડા સમય પહેલાં એક ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર દાહોદના સંતરામપુરના નિવાસી રાવજી ગરાસિયાને નીનાબહેન નામની પ્રાથમિક શાળાની શિક્ષિકા સાથે લગ્ન કરવા માટે ૧૦ તોલા સોનું અને ૫૦ હજાર રૂપિયા રોકડા આપવા પડયા, જેને કારણે તેને કામની શોધમાં વડોદરા જવું પડયું.

આ કિસ્સો ફક્ત રાવજી ગરાસિયાનો જ નથી, પરંતુ આવા ઘણા કિસ્સા બને છે જેમાં કુળવધૂ મેળવવા માટે ઘરબાર, જમીન-મિલકત તથા બેંક બેલેન્સ પણ હોડમાં મૂકી દેવામાં આવે છે. આ ધન કન્યાના પરિવારજનોને કન્યા ક્ષતિપૂર્ણ માટે આપવું પડે છે. જો કુળવધુ અશિક્ષિત અને બેરોજગાર હોય તો ૧૨ હજાર રૂપિયા રોકડા અને ૧ કિલો ચાંદી આવી પડે છે. એસ.એસ.સી. પાસ કે ગ્રેજ્યુએટ કુળવધૂ માટે ૧૫ હજાર રૂપિયા રોકડા અને ૬ તોલા સોનું આપવું પડે છે અને જો તે નર્સ કે સ્કૂલટીચર હોય તો દહેજ તરીકે ૧૦ તોલા સોનું અને ૫૦ હજાર રૂપિયા રોકડા આપવા પડે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આટલી મોંઘી કુળવધૂ લાવવા માટે વરનું વધુ બેંક બેલેન્સ ખર્ચાઈ જાય છે અને નોકરીધંધાની શોધમાં તેને શહેર તરફ કૂચ કરવી પડે છે.

પુરુષો પણ સ્ત્રીઓની જેમ લાચાર હોય છોે. તેમને સ્ત્રીના અત્યાચાર સહન કરવા પડે છે. સ્ત્રી ક્યારેક માતાના રૂપમાં, ક્યારેક બહેનના રૂપમાં તો ક્યારેક પત્નીના રૂપમાં તેને ત્રાસ આપતી રહે છે.

ક્યારેક ક્યારેક પુરુષ પતિના રૂપમાં પત્નીનો અને પુત્ર તથા ભાઈના રૂપમાં માતા અને બહેનનો અત્યાચાર વૃદ્ધાવસ્થા સુધી પણ સહન કરતો રહે છે. પોતાની જીદ પૂરી કરાવવા માટે માતા દીકરાને અને પત્ની પતિને બ્લેકમેલ કરે છે. બહેન ભાઈને મહેણાંટોણાં મારતી હોય છે.

પૌરુષત્વનો માલિક હોવા છતાં પણ પતિ કે પુત્ર અદબ જાળવીને ચૂપ રહે છે અને બીજા ઈચ્છે તે જ કરે છે. દીકરીઓ પણ કંઈ ઓછી નથી હોતી. તે પણ જીદે ચડીને પિતાને પરેશાન કરતી  રહે છે. પરિણીત હોેવા છતાં પણ તે પોતાનો હક છોડતી નથી. પૈસેટકે સુખી હોવા છતાં કાયદાની મદદ લઈને પિતાની સંપત્તિ ઉપર કબજો જમાવવાની ધમકી આપે છે. પોતાના સ્વાર્થ ખાતર તે બધું  ભૂલી જાય છે અને પિતા તથા ભાઈને માનસિક ત્રાસ આપે છે. સાસરે પણ તે પોતાનું ધાર્યું કરે છે.

આના પરથી સ્પષ્ટ થાય છે કે પુરુષ પણ લાચાર છે. તેની ઉપર પણ અત્યાચાર થાય છે અને તેની પાસેથી બળજબરીથી કામ  પણ કરાવવામાં આવે છે.