કેરી એટલે સર્વગુણસંપન્ન ફળ .
અબાલવૃદ્ધ સૌને પ્રિય એવી કેરી ફળોમાં પણ સર્વશ્રેષ્ઠ ગણાય છે તેથી જ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. વસંત ઋતુમાં કેરીના વૃક્ષ પર લાલ રંગના ફૂલ તથા પાન ફૂટવાની શરૂઆત થઈ જાય છે. કેરીના પાન પાંચથી છ ઈંચ લાંબા તથા એક-બે ઇંચ પહોળા હોય છે. આંબાનું વૃક્ષ ત્રીસથી ચાલીસ ફૂટ જેટલું ઊંચું હોય છે.
હિંદુઓ આંબાને શુભ ગણે છે. શુભ પ્રસંગે આંબાના પાનના તોરણ દરવાજા પર બાંધે છે. એટલું જ નહીં મંગળદીપ તથા કુંભ પર પણ આંબાના પાન પાથરવામાં આવે છે. હવન કરતી વખતે પણ આંબાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
ઊંચી જાતના આંબાના વૃક્ષ પર લગભગ ચાર-પાંચ વરસે ફળ ઊગવાની શરૂઆત થાય છે. સામાન્ય રીતે આંબાનુ વૃક્ષ આઠ-નવ વરસે મબલખ પાક આપે છે.
ભારત દેશ ઉપરાંત શ્રીલંકા, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા, ફિલીપાઈન્સ, ફલોરિડામાં પણ કેરીનું ઉત્પાન થાય છે. આપણા દેશમાં લગભગ ૬૦૦-૭૦૦ પ્રકારના આંબાનો પાક થાય છે. આ વિવિધ જાતોમાં મુખ્યત્વે હાફુસ, પાયરી, લંગડો, દશેરી, તોતાપુરી, રાજાપુરી, કેસરનો સમાવેશ થાય છે. કેરીના વૃક્ષ ત્રણ રીતે ઊગી શકે છે, ગોટલી વાવીને, ઉચ્ચ ગુણવત્તાવાળા કેરીના વૃક્ષથી કલમ કરીને તથા ત્રીજું જે આપોઆપ ઊગી નીકળે છે. પ્રથમ રીતે એટલે કે ગોટલી વાવીને ઉગાડેલા આંબાને 'દેશી આંબા' કહે છે. કલમ કરીને વાવેલા આંબાને કલમી તથા સ્વયં આપોઆપ ઊગી નીકળેલા આંબાને જંગલી આંબો કહે છે.
આંબા વિવિધ આકારના હોય છે. ગોળ, લંબગોળ, મોટું, નાનું એટલું જ નહીં તેના રંગોમાં પણ ફરક હોય છે. પીળો, લીલો, આછો પીળો, કેસરી.
ઉત્તર પ્રદેશમાં આંબાનો મબલખ પાક થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત મધ્ય પ્રદેશ, બિહાર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ તથા આસામમાં પણ કેરીનો પાક થાય છે. આંબાને અમૃત ફળની ઉપમા આપવામાં આવી છે. સ્વાદિષ્ટ, મધુરા આ ફળમાં અનેક ઔષધીય ગુણો સમાયેલા છે. કેરી પિત્ત તથા કબજિયાતના વિકારોને દૂર કરે છે. ઉપરાંત તે રક્તવર્ધક તથા શુક્રવર્ધક પણ છે. આંબામાં વિટામીન 'એ' તથા 'સી' પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. પાકેલો આંબો મીઠો, સ્નિગ્ધ, ભારી, વાતનાશક, હૃદયને બળ આપનાર, વર્ણ (રંગ)ને નિખારનાર, શીતલ, પિત્ત વધારનાર, અગ્નિ, કફ તથા વીર્ય વધારનાર છે.
આંબાના ગુણ સ્થિતિને અનુસાર અલગઅલગ હોય છે. વૃક્ષ પર પાકેલો આંબો ભારી, વાતનું શમન કરનાર, મીઠો તથા અમ્લ હોય છે. પકવેલો આંબો પિત્તનાશક, અમ્લ, રસ સહિત તથા મીઠો હોય છે.
કાચી કેરી વાત તથા પિત્ત કરનાર હોય છે. તે ત્રણે દોષોે કુપિત કરનાર તથા રક્તવિકાર ઉત્પન્ન કરનાર હોય છે. કાચી કેરીની છાલ ઉતારી તેના નાના નાના ટુકડા કરી તડકામાં સુકવી નાખી આમચૂર તૈયાર કરવામાં આવે છે. આ આમચૂરને દાળ, શાક તથા ફરસાણમાં ખટાશના સ્થાને ઉપયોગમાં લેવામાં આવે છે. આમચૂર ખાટું હોય છે તે ધાતુઓને દૂષિત કરે છે. ઉપરાંત વાયુ તથા કફને જીતે છે. આમચૂરનું અતિ સેવન હાનિકારક છે.
આંબાનું વૃક્ષ એવું અદ્ભૂત છે કે તેનું ફળ જ નહીં પણ દરેક અંગમાં ઔષધીય ગુણ સમાયેલા છે.
*આંબાનો મોરઃ શીતળ, રૂચિકર, ગ્રાહી, વાતકારક તથા અતિસાર, કફ, પિત્ત, રક્તપ્રદરને નષ્ટ કરનાર છે.
*આંબાની જડ (મૂળિયા) : મળરોધક, શીતળ, રૂચિકર તથા કફ-વાયુનું શમન કરે છે.
*આંબાના પાન : મળ રોધક તથા ત્રિદોષનું શમન કરનારા છે.
*આંબાની ગોટલી : વમન, અતિસાર તથા હૃદયની પીડા દૂર કરે છે.
*આંબાની છાલ : રક્તસ્ત્રાવ બંધ કરનાર, હરસ, વમન તથા અતિસારથી છૂટકારો અપાવે છે.
આંબાના સેવનથી નીચે જણાવેલ તકલીફો દૂર થાય છે.
વમન (ઉલ્ટી):
કાચી કેરીનો પનો બનાવી પીવાથી ઉલ્ટીમાં શીઘ્ર લાભ થાય છે. આ ઉપરાંત આંબા તથા ફૂદીનાના પાન સપ્રમાણ માત્રામાં લઈ કાઢો બનાવવો. આ કાઢાને મધમાં ભેળવીને સેવન કરવાથી ઉલ્ટીથી છૂટકારો મળે છે.
પેટમાં કૃમિ :
આંબાની ગોટલી વાટીને ખાવાથી પેટમાંના કૃમિ બહાર ફેંકાય જાય છે. વાસી રોટલી સાથે આંબાની શેકેલી ગોટલી ખાવાથી આંતરડામાં પેઠેલા કૃમિ મૃત પામી બહાર ફેંકાય છે.
નસકોરી :
આંબાની ગોટલીની ગીરીનો રસ નાકમાં ટપકાવવાથી નાકમાંથી વહેતું રક્ત બંધ થઈ જાય છે. આંબાની ગોટલીની ગીરી વાટીને સૂંઘવાથી રાહત થાય છે.
કાનનો દુખાવોઃ
આંબાના તાજા લીલાછમ પાનનો અર્ક હુંફાળો કરી કાનમાં નાખવાથી દરદમાંથી રાહત થાય છે.
હૃદયરોગ :
પા કપ મીઠા આંબાના રસમાં એક ચમચી આદુનો રસ ભેળવી પીવાથી હૃદયરોગમાં લાભ થાય છે.
રક્તપ્રદર :
૧૦ ગ્રામ આંબાની ગોટલી તથા ૧૦ ગ્રામ શેકેલી હરડે લઈને તેનું ચૂરણ બનાવી ભેળવી દેવું. એક ગ્રામ મિશ્રણ નિયમિત દિવસમાં એક વખત પાણી સાથે ફાકી જવું. અઠવાડિયું નિયમિત ખાવાથી રાહત થશે.
કોલેરા :
કાચી કેરીની છાલ અડધા છટાંક દહીમાં વાટી સેવન કરવાથી લાભ થાય છે.
અતિસાર :
આંબાની ગીરીનું ચૂરણ બનાવી ખાવાથી રાહત થાય છે. આ ઉપરાંત આ ચૂરણ દિવસમાં ત્રણ-ચાર વખત બેથી ત્રણ માસ ખાવાથી પ્રદર, હરસ તથા દમથી પણ છૂટકારો મળે છે.
લૂ લાગવી :
કાચી કેરીને ગરમ રાખમાં દબાવી શેકવી. ત્યાર બાદ તેનો રસ કાઢી ખડીસાકર સાથે ભેળવી પીવાથી લૂની અસર નાબૂદ થાય છે.
કરોળિયાનું ઝેર :
આમચૂરને પાણીમાં એકરસ કરી કરોળિયાનું ઝેર ચડયું હોય તે સ્થાને લગાડવાથી વિષની અસર ઉતરી જાય છે.
દાઝ્યા પર
આંબાની ગોટલીની ગીરી પાણીમાં ઘસી દાઝેલા ભાગ પર લેપ કરવાથી તરત જ ઠંડક પ્રદાન થાય છે.
સ્વર ભંગ
અવાજ બેસી ગયો હોય તો ગભરાશો નહીં. આંબાના પાનને પાણીમાં નાખી ઉકાળવા. પા ભાગનું પાણી રહે એટલે ઉતારી ઠંડુ કરવું તથા તેમાં એક-બે ચમચા મધ નાખી કોગળા કરવાથી અથવા પીવાથી અવાજ ઉઘડવા લાગશે.
આંબાનો રસ તથા દૂધ
આંબાનો રસ તથા દૂધને એકી સાથે સેવન કરવાનું અતિ ઉત્તમ ગણાય છે. પાકા આંબાના રસમાં વિટામીન 'એ' તથા વિટામીન 'સી' પ્રચૂર માત્રામાં મોજૂદ હોય છે. નેત્રજ્યોતિ તથા શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધારવા વિટામીન 'એ' તથા વિટામીન 'સી' ચર્મરોગ, રક્તવિકાર નષ્ટ કરે છે. ઉપરાંત વાળ, દાંત તથા રક્તવૃદ્ધિ કરે છે. આંબાના રસમાં પર્યાપ્ત માત્રામાં દૂધ ભેળવવામાં આવે તો તેના ગુણમાં વૃદ્ધિ થાય છે. તથા આ મિશ્રણ શ્રેષ્ઠ બળવીર્ય તથા રક્તવર્ધક ટોનિકનું કામ કરે છે. નબળા, દુબળાપાતળા શરીરવાળા યુવક - યુવતી તથા સ્ત્રી-પુરુષો, રક્તાલ્પતા, ક્ષય, રક્તવિકાર, ધાતુદુર્બલ્ય તથા વીર્યક્ષયના રોગીઓ માટે આંબાનો રસ તથા દૂધનું સેવન ગુણકારી સાબિત થયું છે. આ મિશ્રણમાં મૃદુ વિરેચક ગુણ હોય છે તેથી કબજિયાતના દરદીઓ માટે લાભકારી નિવડે છે. અમ્લપિત્ત, (હાયપર એસિડિટી), નબળા આંતરડા, સંગ્રહણી, અરૂચિ, યકૃત- વૃદ્ધિ, યૌનશક્તિની ઉણપ-આ વ્યાધિઓ દૂર કરવા આંબાનો રસ તથા દૂધનું સેવન ઉત્તમ છે. રોજિંદુ ભોજન બંધ કરી ઓછામાં ઓછા ૪૦ દિવસ સુધી આંબાનો રસ તથા દૂધનું સેવન કરવાથી લાભ થાય છે. બે પધ્ધતિથી સેવન કરી શકાય છે.
પ્રથમ પદ્ધતિમાં પેટ ભરીને રસવાળા આંબાને ચૂસી ઉપરથી ઉકાળીને ઠંડુ કરેલું મીઠું દૂધ પીવું. બીજી પદ્ધતિમાં આંબાનો રસ કાઢી તેનાં અડધા માપનંુ દૂધ ભેળવવું. આ ઉપરાંત સૂંઠનો ભૂક્કો તથા શુધ્ધ ઘી એક બે ચમચા ભેળવવા અને સવારસાંજ એક-એક વખત પીવું. એક-બે મહિના સુધી નિયમિત પીવાથી સ્ફૂર્તિ આવે છે. બળ તથા રક્તવૃદ્ધિ થાય છે તથા ચહેરો તેજસ્વી બને છે.
સગર્ભા સ્ત્રીઓ માટે આંબાનો રસ તથા દૂધનું સેવન લાભદાયી છે.
જે યુવક-યુવતીઓ પોતાના શરીરને માંસલ, સુડોળ તથા હૃષ્ટપુષ્ટ બનાવવા ઇચ્છતા હોય તેમણે એક-બે મહિના આંબાનો રસ તથા દૂધનું સેવન કરવું.
આંબાનો પનો બનાવવાની રીત
કાચી કેરીને ઉકાળી, છાલ તથા ગોટલી ફેંકી તેના ગરને પાતળો એકરસ કરી ગાળી લેવો. આ રસમાં હીંગ, શેકેલા જીરાનો ભૂક્કો, મીઠું, ફૂદીનાની પેસ્ટ ભેળવી શીશીમાં ભરી લેવો. લૂ લાગે, અપચો, ઉલ્ટી તથા ખાટા ઓડકાર આવતાં હોય ત્યારે આંબાના પાનનું સેવન લાભદાયક છે. આંબાનો મુરબ્બો સ્વાસ્થ્યવર્ધક છે. એના સેવનથી નિર્બળતા, વીર્યની ઉણપમાં આશ્ચર્યજનક લાભ થાય છે.
આંબાનુ અતિ સેવન હાનિકારક છે. એનાથી રક્તવિકાર, વિષમ જ્વર, કબજિયાતની તકલીફ ઉત્પન્ન થાય છે. આંબાને દૂધ સાથે ખાવાનું જ ઉચિત છે. ખાટો આંબો ખાવો નહીં. આંબો ખાવાથી અપચો થાય તો અડધો ચમચો સૂંઠનો ભૂક્કો ઠંડા પાણી સાથે ફાકી જવો. અથવા એક ગ્લાસ દૂધમાં સૂંઠ ભેળવી ઉકાળી પીવાથી રાહત થશે. આ રીતે કાચી કેરી, પાકેલો આંબો, તેનું વૃક્ષ, પાન, મોર, મૂળિયા બધા જ ગુણકારી છે. આંબાને રાષ્ટ્રીય ફળ ગણવામાં આવે છે તેમાં કોઈ અતિશયોક્તિ નથી.
-હિમાની