નારીના દેહની શોભા એણે પરિધાન કરેલાં વસ્ત્રો અને અલંકારોથી છે. નિતનવાં, ભાતભાતનાં, રંગબેરંગી વસ્ત્રોની સાથે એ દીપાયમાન બને એવા જરઝવેરાતથી નારીનું લાવણ્ય ખીલી ઉઠે છે. ગળામાં કંઠા, કાનમાં કુંડળ, નાકમાં નથણી, હાથમાં કંકણ અને કેડે કદોરી નારીના સૌંદર્યને ચારચાંદ લગાવી દે છે. લોકોએ એને પ્રતિભા અને પ્રતિષ્ઠાના પ્રતીક તરીકે સ્વીકાર્યું છે. આર્ય નારીએ ઘરેણાને, દાગીનાને, અંલકારને, આભૂષણોને, ઝવેરાતને ફક્ત દેહની શોભા અને સજાવટ પૂરતું જ મર્યાદિત રાખ્યું નથી, એણે તો એને સૌભાગ્ય ચિહ્ન તરીકે પણ સ્વીકાર્યું છે. રાજસ્થાની નારીએ ઝવેરાતના શણગારને સૌથી વધુ પ્રાધાન્ય આખું છે. શહેરની હોય કે ગામડાંની, ગરીબ હોય કે તવંગર રાજસ્થાની નારીનો દેહ હંમેશાં અલંકારથી સજાવેલો હોય છે.
આમ પણ રાજસ્થાની ઝવેરાત વિશ્વની અંદર એની કળાકારીગરી માટે મોખરે છે. અહીંની કલા સદીઓ પુરાણી છે. અહીંની મીનાકારી જગવિખ્યાત છે. રાજસ્થાની નારીના સેથાંમાં બોરલા હોય કે ટીકા, કાનમાં એરિગ્સ હોય કે ટોપ્સ, નાકની નથણી હોય કે ગળાનો નેકલેસ, હાથનાં કઠણ હોય કે પગનાં ઝાંઝર એમાં સમાયેલી કલાત્મક કારીગરી અવનવી, ભાતભાતની, જાતજાતની અને રંગબેરંગી ડિઝાઇનોમાં અહીંના દુજારની ઝાંખી થાય છે.
રાજસ્થાની ઝવેરાતની કળાકારીગરીમાં હડ્પ્પાની સંસ્કૃતિનો અણસાર આવે છે. તો એની મીનાકારી મોગલરાજની દેન હોવાનું જાણવા મળે છે.
મીનાકારીનાં મૂળ વારાણસીમાં રોપાયાં હતાં. પરંતુ સમયની જાણે કળા જયપુરમાં ફૂલીફાલી દેશની 'પિન્ક સિટી' જયપુરે અડધા દસકા સુધી મીનાકારીની કળા તરફ ધ્યાન આપ્યું નહોતું આખરે વિદેશમાં મીનાકારીના ઝવેરાતની માગ વધવાથી અને સરકારના સાથ-સહકારને કારણે જયપુરમાં એની શરૂઆત થઇ. જયપુરની સાથે જ નાથદ્વારા અને પ્રતાપગઢે પણ મીનાકારીનો ઉદ્યોગ વિકસાવ્યો.
જયપુર શહેરમાં સોના પર મીનાકારી પાંગરી તો પ્રતાપગઢમાં કાચ પર મીનાકારીએ સિધ્ધિ મેળવી કહેવાય છે કે રાજસ્થાને પ્રાપ્ત કરેલી આ કળા તે સમયના મહારાજા માનસિંહ માટે મોગલ બાદશાહ અકબર સામે ટકવા આધારસ્તંભ બની હતી. વારાણસીએ મીનાકારીનું પારણું બાંધ્યું, પણ જયપુરના કારીગરો મીનાકારીના ઉદ્યોગમાં સૌથી ચડિયાતા સાબિત થયા છે. સોનાના દાગીના પર અહીંના કારીગરો જેટલી પધ્ધતિસર મીનાકારી કરે છે અવી મીનાકારી દેશના અન્ય ભાગોમાં જવલ્લે જ નિહાળવા મળે છે. કોઇ પણ કળા ખીલવવા કરીગરે એમાં પોતાની જાતને હોમી દેવી પડે છે. જયપુરના કારીગરોએ એમાં પરિશ્રમની કોઇ જ પરિસીમાં બાંધી નથી. એ તો આ કળામાં જ્યાં સુધી અલંકારનું તેજ ઝળહળી ઉઠે નહીં ત્યાં સુધી કારીગર એનો દુજાર પડતો મૂકતો નથી. ઝવેરાતની બારીક બારીક લાઇનોને પણ કારીગર ચીવટ પૂર્વક પોલિશ કરે છે. આખરે એમાં રહેલી રજકણોને ભસ્મીભૂત કરવા ઘરેણાંને ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે.
મીનાકારીની જેમ રાજસ્થાનમાં 'કુંદન' કળા પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જેમ સોનાના દાગીના પર નવી ભાત પાડવા મીનાકારીની રચના કરવામાં આવે છે એ જ પ્રકારે નારીના સૌંદર્યને નિખારવા માટે ઝવેરાતમાં અણમોલ પથ્થરો બેસાડવાનો ઉદ્યોગ અહીંની ધરતી પર વિકાસ પામ્યો છે. મીનાકારીની જેટલી જ કુંદનકારી વિશ્વમાં પ્રચલિત છે. વિદેશમાં રાજસ્થાનની આ બંને કળા આકર્ષક બની છે.
સોનાના અલંકારોમાં અણમોલ પથ્થર બેસાડવાની કળાને રાજસ્થાનમાં 'કુંદનકારી' તરીકે ઓળખવામાં આવે છે. નંગને નેકલેસમાં કે બુટ્ટીમાં બેસાડવા માટે સોનાનાં ઘરેણામાં પહેલેથી જ જરૂરિયાત પ્રમાણે કાણાં રાખવામાં આવ્યાં હોય છે. આ કણામાં નંગ બંધબેસતો થાય એ માટે અહીંના કારીગરો સૌ પહેલાં પથ્થરોને આકર્ષક આકાર આપે છે. ત્યારબાદ 'હૂંડી' નામના લાકડાના હેન્ડલ ઉપર એ નંગને લઇને ઝવેરાતમાં રહેલા સ્થાન પર એને કારીગર બેસાડે છે. ઘરેણામાંથી એ પડી ન જાય એ માટે બ્લેક સફેદ, સુરમા અને સીલિંગ વેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થાય બાદ એને અત્યંત કાળજી પૂર્વક પોલીશ કરવામાં આવે છે. દાગીનાના અન્ય ભાગોમાં કેમિકલ ન લાગી જાય એ માટે કારીગર પૂરી તકેદારી રાખે છે.
આભૂષણો અલંકારો, ઝવેરાત, ઘરેણાં કે દાગીના પર મીનાકારી અને કુંદનકારીની સામૂહિક રચના એને વધુ તેજસ્વી બનાવે છે. સોનાના દાગીનાના પાછળના ભાગમાં મીનાકારી અને આગળનાં ભાગમાં કુંદનકારી કરવાથી એ ઝવેરાત ઝળહળી ઉઠે છે.
જયપુરના ઝવેરાતની ડિઝાઇન અને એની અંદરની કોતરણીમાં મોગલો અને રાજપૂત બંનેની કળાનું મિશ્રણ જોવા મળે છે.
દિન પ્રતિદિન ફેશન અને શોખમાં પરિવર્તન આવી રહ્યું છે, પહેલાંની નારીઓ ભારે વજનનાં ઘરેણાં પસંદ કરતી હતી, હવેની નારીઓ હલકાં અને નાજુક અલંકાર પસંદ કરે છે. મોટા અને ભારે દાગીનાની સરખામણીમાં નાજુક અને હલકા ઝવેરાતે કારીગરોને પોતાનો કસબ દેખાડવા માર્ગ મોકળો કરી આપ્યો છે. જયપુરના કારીગરોએ બદલાતી ફેશન અને પરંપરાગત ચાલી આવતી ફેશનનું મિશ્રણ કરી નારીનાં આભૂષણોને નવો ઓપ આપ્યો છે. આ સાથે જ અલંકારને રચનાત્મક બનાવવા માટે વપરાતી દેશી મશીનરી પણ માગ વધી છે.
મોગલોની વિદાય પછી જયપુરની સાથે દિલ્હી અને વારાણસીમાં પણ જવેલેરીના ઉદ્યોગ વિકાસ પામ્યા હતા. દેશના ભાગલા પછી જયપુરે એની ટ્રેડીશનલ આર્ટ જાળવી રાખી છે. મુસ્લિમ કારીગરોએ એમની હોંશિયારી અને કુશળતા સાચવી રાજસ્થાનના અલંકારોની પરંપરાને પાંગરવા દીધી છે. અહીંના કારીગરોએ એમની કુનેહ અને પરિશ્રમના ભોગે એમની કળામાં રહેલી ચોકસાઇને, ચીવટને ઝીણવટને આજે પણ જગવિખ્યાત બનાવી રાખી છે. વિદેશના કારીગરો ત્યાંની આધુનિક ટેકનોલોજીને લઇને પણ રાજસ્થાની કળા પામી શક્યા નથી.
જૂની મીનાકારી અને કુંદનકારીની સામે આજની બદલાતી ફેશન અને નારીના પરિવર્તન પામેલા ટેસ્ટને કારણે અહીને કારણે અહીંની કલાનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે.
એમ કહેવાય છે કે આજની આધુનિક સંદેશ વ્યવહાર પધ્ધતિએ રાજસ્થાનના દુજારનું દક્ષિણમાં સ્થળાંતર કર્યું છે, જેને કારણે રાજસ્થાની મૂળ ડિઝાઇનો અને નમૂનાઓ હવે દેશભરમાં એકસરખા થઇ ગયા છે. આજે ઝવેરાતમાં જૂની અને નવી ડિઝાઇનોનું મિશ્રણ જોવા મળે છે. ટ્રેડિશનલ ડિઝાઇનો અને નમૂનાનું હલકા અને નાજુક અલંકારોમાં પરિવર્તન કરી એને વધુ આકર્ષિત અને તેજસ્વી બનાવવામાં આવ્યા છે.
- અમલા


