જાણી લો કોર્ટ મેરેજની પ્રક્રિયા
ભારતીય સમાજમાં ધામધૂમથી લગ્ન કરવાની પ્રથા હંમેશાંથી ચાલી આવે છે. ગજા બહાર ખર્ચ કરીને પણ લોકો વિવાહ પ્રસંગે ધામધૂમ કરવાનું નથી ચૂકતાં. જોકે કોરોના કાળ પછી લોકો સાદગીપૂર્વક લગ્નનું આયોજન કરતાં શીખી ગયાં છે. ભલે નાછૂટકે, પણ અગાઉની તુલનામાં લગ્ન સમારંભોના ખર્ચમાં ખાસ્સો તફાવત જોવા મળી રહ્યો છે. વળી બોલીવૂડ સેલિબ્રિટીઓ પણ આ બાબતે દાખલા બેસાડી રહી હોવાથી સામાન્ય લોકોના મગજમાં એ વાત ધીમે ધીમે ઘર કરી રહી છે કે લગ્ન શી રીતે કરવા તેના કરતાં સંસાર શી રીતે ચલાવવો એ વધુ મહત્વનું છે. મહત્વની વાત એ છે કે ઘણાં લોકો આમ વિચારીને કોર્ટ મેરેજ તરફ પણ વળવા લાગ્યાં છે. જ્યારે કેટલાંક કેસમાં પરિવારજનો રાજી ન હોય અને ે પ્રેમી યુગલને ચૂપચાપ લગ્ન કરવાની નોબત આવે તો તેઓ કોર્ટ મેરેજ કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં કોર્ટ મેરેજ શી રીતે કરવા તેની જાણકારી હોવી જરૂરી છે.નિષ્ણાતો તેના વિશે માહિતી આપતાં કહે છે.....,
સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે કોર્ટ મેરેજ શું છે? કોર્ટ મેરેજ એટલે પરંપરાગત લગ્ન વિધિ કે ધામધૂમથી તદ્દન વિપરિત જે તે યુગલે કોર્ટના અધિકારી સમક્ષ વિવાહના બંધનમાં બંધાવાનું હોય છે.બધા કોર્ટ મેરેજ સ્પેશ્ય મેરેજ એક્ટ હેઠળ કરાવવામાં આવે છે.તેમાં વિવાહની ઉંમરને લોયક કોઇપણ જાતિ,ધર્મ કે સંપ્રદાયના યુવક-યુવતી એકમેકને પરણી શકે છે.જોકે તેમને લગ્ન માટે રજિસ્ટ્રાર સમક્ષ આવેદન આપવાનું રહે છે.તદુપરાંત કોર્ટ મેરેજ કરવા ઇચ્છતા યુગલે કેટલીક જરૂરી શરતોનું પાલન પણ કરવું પડે છે.
આ શરતો વિશે જાણકારી આપતાં નિષ્ણાતો કહે છે કે લગ્ન કરવા ઇચ્છતા યુવક-યુવતી અપરિણીત હોવા જોઇએ.હા, જો તેમનામાંથી કોઇના છૂટાછેડા થઇ ગયા હોય કે તેમના જીવનસાથીનું નિધન થયું હોય તો તેમણે સંબંધિત દસ્તાવેજો બતાવવાના રહે છે. જો છૂટાછેડા થયાં હોય તો તેને લગતાં દસ્તાવેજો અને જો કોઇના જીવનસાથીનું મૃત્યુ થઈ ગયું હોય તો તેના મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે.
લગ્નના બંધનમાં બંધાવા ઇચ્છતા યુવક-યુવતી,બંને આ વિવાહ માટે સંમત હોય તે પણ જરૂરી છે. કહેવાનો અર્થ એ છે કે તેમણે સ્વેચ્છાએ આ પ્રક્રિયામાં સામેલ થવાનું હોય છે.
લગ્નોત્સુક કન્યાની વય ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને યુવકની ૨૧ વર્ષ હોવી જોઇએ.
કોર્ટ મેરેજમાં એક જ પરિવારના યુવક -યુવતીને પરણવાની છૂટ આપવામાં નથી આવી. જેમ કે ભાઇ-બહેન, ફોઇ-ભત્રીજો ઇત્યાદિ. જોકે કોઇ એક પક્ષના ધર્મમાં જો આ પ્રકારના વિવાહ માન્ય ગણવામાં આવતાં હોય તો તેમને કોર્ટ મેરેજ કરવાની પરવાનગી આપવામાં આવે છે.
વર-વધૂ સંતાનોત્પતિ માટે સક્ષમ અને માનસિક રીતે સ્થિર હોય તે પણ આવશ્યક છે.
કોર્ટ મેરેજની પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં રજિસ્ટ્રારને લેખિત નોટિસ આપવાની રહે છે. અહીં એ વાત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે યુવક-યુવતી જે જિલ્લામાં લગ્ન કરવા માગતા હોય ત્યાં બંનેમાંથી કોઇ એક સૂચનાની તારીખથી ૩૦ દિવસથી વધુ ત્યાં રહ્યાં હોવા જોઇએ.
જે તે રજિસ્ટ્રાર આ નોટિસની એક કોપી પોતાની ઓફિસના નોટિસ બોર્ડ પર લગાવે છે.
જો કોઇને આ લગ્ન સામે વિરોધ હોય તો તે ૩૦ દિવસની અંદર પોતાનો વિરોધ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવી શકે છે.
જો રજિસ્ટ્રારને એમ લાગે કે સંબંધિત વ્યક્તિનો વિરોધ યોગ્ય છે તો તે લગ્ન રદ્દ કરી શકે છે. પરંતુ જો કોઇએ વિરોધ ન નોંધાવ્યો હોય તો લગ્નની નોંધણી કરાવવામાં આવે છે.
લગ્નોત્સુક યુવક કે યુવતીમાંથી કોઇના પણ પરિવારજનો તેમના વિવાહ સામે વિરોધ નોંધાવે અને રજિસ્ટ્રાર તેમના વિરોધનો સ્વીકાર કરે તો સંબંધિત છોકરો કે છોકરી જિલ્લા અદાલતમાં અપીલ કરી શક ે છે. શરત માત્ર એટલી ક ે તેમણે આ અપીલ વિરોધ સ્વીકારવામાં આવ્યાના ૩૦ દિવસની અંદર કરવાની રહે છે.
કોર્ટ મેરેજથી પહેલા વર-કન્યાને અને તેના સાક્ષીઓને રજિસ્ટ્રાર સમક્ષ એક સોગંધનામા પર સહી કરવાની હોય છ ે જેમાં એમ લખેલું હોય છે કે તેઓ આ લગ્ન કોઇપણ પ્રકારના દબાણ વિના તેમની મરજીથી કરી રહ્યાં છે.
કોર્ટ મેરેજ રજિસ્ટ્રારની કચેરી કે તેની નિકટના અન્ય કોઇ સ્થળે પણ કરી શકાય છે. તેને માટે નિર્ધારિત ફી ચૂકવવાની રહે છે.
લગ્ન સંપન્ન થઇ ગયા પછી રજિસ્ટ્રાર મેરેજ સર્ટિફિકેટ આપે છે.
કોર્ટ મેરેજ માટે કયા કયા દસ્તાવેજોની આવશ્યક્તા રહે છે તેના વિશે નિષ્ણાતો કહે છે કે સંપૂર્ણપણે ભરેલું અરજીપત્રક અને તેને માટે ચૂકવવામાં આવેલી ફીની રસીદ,નિવાસસ્થાનનું ઓળખ પત્ર, યુવક-યુવતીની ઉંમરના પ્રમાણ પત્ર તરીકે બર્થ સર્ટિફિકેટ કે પછી દસમા ધોરણની માર્કશીટ,વર-વધૂ બંનેમાંથી કોઇનો અન્ય કોઇની સાથે અનધિકૃત સંબંધ નથી તેનું સોગંધનામું, તેઓ અપરિણીત છે, વિધવા-વિધુર છે કે છૂટાછેડા લીધા છે જેવી માહિતી આપતું સોગંધનામું, છૂટાછેડા લીધાં હોય તો તેનો કોર્ટ ઓર્ડર, વિધવા કે વિધુર હોય તો અગાઉના જીવનસાથીના મૃત્યુનું પ્રમાણપત્ર, વર-કન્યા બંનેના અધિકૃત રીતે એટેેસ્ટ કરેલા બબ્બે ફોટા,ત્રણે સાક્ષીઓના પેનકાર્ડ અને ફોટા ઉપરાંત ઓળખ માટે આધારકાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ.
જો લગ્નોત્સુક છોકરો-છોકરી વિદેશી નાગરિક હોય તો પાસપોર્ટ-વિઝાની કોપી,સંબંધિત દૂતાવાસનું એનઓસી અથવા વિવાહિત સ્થિતિનું પ્રમાણપત્ર,બંને પક્ષમાંથી એકને ૩૦ કે તેનાથી વધુ દિવસ સુધી ભારતમાં રહેવા સંબંધી દસ્તાવેજો આપવાના રહે છે.
કોર્ટ મેરેજ બાબતે અન્ય કેટલીક બાબતો જાણવી પણ અત્યાવશ્યક છે. જેમ કે આજની તારીખમાં ભલે બધું ઓનલાઇન થતુ ંહોય પણ લગ્ન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન નથી થતું. તેને માટે મેરેજ ઓફિસર સમક્ષ પ્રત્યક્ષ ઉપસ્થિત થવું પડે છે.
આ ઉપસ્થિતિમાં લગ્નોત્સુક વર-કન્યા ઉપરાંત ત્રણ સાક્ષીઓનો સમાવેશ પણ થાય છે.
જો છોકરીની વય ૧૮ કે તેનાથી વધુ હોય અને છોકરાની ૨૧ કે તેથી વધુ હોય, તેમણે કોર્ટ મેરેજને લગતાં સઘળા નિયમોનું પાલન કર્યું હોય તો તેમના માતાપિતાની સંમતિ ફરજિયાત નથી રહેતી.
એક વખત લગ્ન માટે નોટિસ આપી દેવામાં આવે ત્યાર પછી જો સંજોગવશાત્ ત્રણ મહિનાની અંદર લગ્ન કરી લેૈવામાં ન આવે તો જે તે યુગલે લગ્ન માટે ફરીથી નોટિસ આપવાની રહે છે.
- વૈશાલી ઠક્કર