આળસ અને બેઠાડું જીવનશૈલી જીવલેણ સાબિત થઈ શકે
- વ્યાયામને જીવનનો સ્વાભાવિક હિસ્સો ગણીને આપણામાંથી મોટા ભાગના લોકો તેને રોજિંદી દિનચર્યા તરીકે અપનાવવા તૈયાર નથી. કોઈપણ શારીરિક હલનચલન કર્યા વિનાની જીવનશૈલી ધરાવતા લોકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ જાય છે.
આ વાસ્તવિકતા માત્ર એકલદોકલ વ્યક્તિને નહિ પણ સમગ્ર વિશ્વને લાગુ પડે છે. તાજેતરમાં કરાયેલા એક અભ્યાસ મુજબ વસતીનો મોટો હિસ્સો બહાર ખુલ્લી હવામાં ફરવાના સ્થાને કોચ પર પડયા રહેવાનું વધુ પસંદ કરે છે. આનંદ પ્રમોદ સાથે વ્યાયામ કરાવતા અને લાભ કરાવતા સેંકડો આરોગ્ય પ્લેટફોર્મ હોવા છતાં વિશ્વ હજી પણ પૂરતા પ્રમાણમાં સક્રિય નથી અને આળસનું સ્તર ભયંકર સ્તરે વધી રહ્યું છે.
વ્યાયામને દૈનિક જીવનનો સ્વાભાવિક હિસ્સો ગણીને આપણામાંથી મોટાભાગના લોકો તેને રોજિંદી દિનચર્યા તરીકે અપનાવવા તૈયાર નથી. કોઈપણ શારીરિક હલનચલન કર્યા વિનાની જીવનશૈલી અપનાવનાર લોકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ જાય છે. કદાચ એમાં નવી ટેકનોલોજીનો ફાળો પણ વધુ છે.
આળસુ જીવનશૈલી એક વૈશ્વિક મહામારી તેમજ પર્યાવરણીય બીમારી બની રહી છે. આપણું શરીર હલનચલન કરવા સર્જાયેલું છે અને તાજેતરના અહેવાલો પર નજર કરીએ તો આપણા શરીરના રચિયતાને તેની રચના માટે ખુશી નહિ થાય. વ્યાયામ નહિ કરવાની અથવા ઓછી હલનચલન કરવાની આપણી આદત આપણા પૂર્વજોને શરમમાં મુકી શકે છે. આપણા પૂર્વજો લાખો વર્ષો સુધી શિકાર, ખેતી અને તીવ્ર શારીરિક શ્રમમાં વ્યસ્ત હતા.
તાજેતરના અહેવાલો મુજબ લગભગ દર ત્રણ સ્ત્રી અને ચાર પુરુષમાંથી એક ભલામણ કરાયેલ શારીરિક ક્રિયાનું પાલન નથી કરતા. ભલામણ મુજબ પ્રત્યેક અઠવાડિયે સરેરાશ ૧૫૦ મિનિટ શારીરિક ક્રિયા અથવા ૭૫ મિનિટનો સખત વ્યાયામ જરૂરી છે.
માત્ર ૧૦ ટકા નિષ્ક્રિયતા ઓછી કરવાથી વિશ્વના લાખો મોત નિવારી શકાય છે. નિષ્ણાંતોના મતે આ આ અંદાજો પણ રૂઢીચુસ્ત છે.
ઉત્ક્રાંતિએ આપણા મગજને બળવત્તર કર્યું હોવાનું મનાય છે પણ આપણે કેવી રીતે નક્કી કર્યું કે હલનચલનની જરૂર નથી? વિજ્ઞાાન અને ટેકનોલોજીએ બેશક આપણા જીવન આસાન કરી દીધા છે, પણ હા, સમય અને પૈસા બચાવતા યંત્રોએ આપણા જીવનને યંત્રવત બનાવી દીધું છે અને હલનચલન પાછળ પસાર થતા સમયમાં ધરખમ ઘટાડો કર્યો છે.
માનવ શરીરને હાડકાં, સ્નાયુ,હૃદય અને અન્ય અવયવો કાર્યરત રાખવા વ્યાયામની જરૂર પડે છે. પણ ચાલવું, દોડવું અને સાયકલ ચલાવવામાં ઓછો સમય ખર્ચાય છે અને કાર તેમજ કમ્પ્યુટરો સામે વધુ સમય વેડફાય છે.
તાજેતરમાં કરાયેલા સંશોધનનો અભ્યાસ કરીએ તો ટેકનોલોજીકલ યુગમાં તમામ નવી વસ્તુઓને માણવાનો વધુ સમય આપણી પાસે બચે એવું લાગતું નથી. આપણી આળસુ જીવનશૈલી આપણને આપણા અંત તરફ વહેલી તકે દોરી જશે. આળસ વિવિધ આરોગ્ય સંબંધિત સમસ્યાનું મુખ્ય કારણ બની રહી છે અને તેમાંથી કેટલીક સમસ્યા જીવ સામે જોખમ સર્જી રહી છે.
આળસુ જીવનશૈલી ગંભીર આરોગ્ય સંબંધિત સમસ્યા સર્જી શકે છે. એક અભ્યાસ મુજબ સમગ્ર વિશ્વમાં બેઠાડુ જીવન પદ્ધતિ કેન્સર, હૃદય રોગ અને ડાયાબીટીસના જોખમ વધારી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ વિશ્વની ૨૫ ટકા વસતી સૌથી ઓછી શારીરિક હલનચલન કરે છે.
આપણા સંજોગો આપણને આળસુ જીવનશૈલી અપનાવવા તરફ દોરી રહ્યા છે, પણ તેની સાથે આરોગ્ય જોખમોની પણ અવગણના થઈ રહી છે. અભ્યાસના મુખ્ય સંશોધકે ભારપૂર્વક જણાવ્યું છે કે શારીરિક ગતિવિધિના સ્તરનું આંકલન કરતા યંત્રોથી આપણને જાણ થઈ છે કે યુકેના ૯૫ ટકા લોકો ઓછામાં ઓછી ભલામણ કરાયેલી શારીરિક ગતિવિધિ પણ નથી કરી રહ્યા.
બેઠાડુ જીવનશૈલીથી કોરોનરી હૃદય રોગ, ટાઈપ ટુ ડાયાબીટીસ, સ્થૂળતા, માનસિક બીમારી, ડીમેન્શિયા અને વિવિધ પ્રકારના કેન્સર જેવી ૪૦થી વધુ મેડિકલી માન્ય અને ક્રોનિક બીમારી સર્જી શકે છે.
નિષ્ણાંતોના મતે નિષ્ક્રિયતાનું એક અઠવાડિયું એક પેકેટ સિગારેટ પીધા બરાબર છે. તમે પાતળા હો કે સ્થૂળ, બેઠાડુ જીવનશૈલી અપનાવનાર વ્યક્તિનું ધૂમ્રપાન કરનારની જેમ જ યુવા વયે મોત થવાની સંભાવના વધુ છે. નિષ્ણાંતોના મતે નિષ્ક્રિયતાથી પસાર થયેલું દરેક અઠવાડિયું સિગારેટના આખા પેકેટના જોખમ બરાબર છે. આ ભયંકરતા સમજવા જેવી છે. ધૂમ્રપાનથી વિપરીત, બેઠાડુ જીવનશૈલીથી થતી આરોગ્ય સમસ્યા વધુ પ્રમાણમાં છે અને તેનો કોઈ અંત પણ નથી.
તમામ સામાજિક-આર્થિક વર્ગના બાળકોમાં નિષ્ક્રિયતા સ્થૂળતા અને ઘટેલા એકેડેમિક પરફોર્મન્સ તરફ દોરી જાય છે જ્યારે પુખ્તોમાં તેનાથી તેમની કાર્ય ક્ષમતા અને પરિણામે ઉત્પાદન ઘટે છે.
વયસ્કોમાં જીવનની ગુણવત્તા અને સ્વતંત્રતાને ગંભીર અસર પહોંચે છે જ્યારે આરોગ્ય ખર્ચમાં બેફામ વધારો થાય છે.
બેઠાડુ જીવનશૈલી માત્ર આરોગ્ય સમસ્યા જ નહિ પણ ઉદાસીનતા તરફ પણ દોરી જાય છે. બેઠાડુ જીવન શૈલી સાથે સંકળાયેલા વિવિધ પ્રકારના શારીરિક રોગો ઉપરાંત માનસિક આરોગ્ય પણ અનેક રીતે જોખમાય છે જેના કારણે જીવનની ગુણવત્તા ઘટે છે અને કમનસીબી તરફ દોરી જાય છે.
સોફા પર વધારે પ્રમાણમાં સમય પસાર કરવો એકંદર આરોગ્ય માટે જ નહિ પણ માનસિક આરોગ્ય માટે પણ જોખમી છે. જો કે સારી વાત એ છે કે સક્રિય રહીને આ તમામ જોખમો ટાળી પણ શકાય છે.
સંશોધકોએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિકસીત દેશો માટે બેઠાડુ જીવનશૈલી સૌથી પ્રચલિત રોગ છે અને સૌથી મોટો સાયલન્ટ કિલર છે અને આરોગ્ય સામે સૌથી મોટુ જોખમ છે. પણ ફરી શારીરિક રીતે સક્રિય થવાનો નિર્ણય લઈને આ વિપરીત અસરો ટાળી શકાય છે. આથી તમારી સ્થિતિ વિશે સમજણ કેળવીને આ આળસના દુષ્ચક્રમાંથી બહાર આવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરી શકાય.
એના માટે નીચે મુજબના પગલા લઈ શકાય
* લક્ષ્યાંકો વાસ્તવિક રાખવા.
* પદ્ધતિસરની યોજના બનાવવી.
* દ્રઢ મનોબળનો ઉપયોગ કરવો.
* નકારાત્મક વાતોની બદલે સકારાત્મક વાતોને સ્થાન આપવું.
* સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
* જરૂર પડે તો મદદ માગવી.
* ધ્યાનભંગ ન થાય તેની તકેદારી રાખવી.
* પોતાની સિદ્ધિને બિરદાવતા રહેવું.
નીચે મુજબના ફેરફારો દ્વારા આરોગ્યમાં સુધારવામાં મદદ મળી શકે
* વધુ પ્રોટીન યુક્ત આહાર લેવો, તેનાથી ઊર્જા વધુ મળે છે.
* ધૂમ્રપાનનો ત્યાગ કરવો.
* સાકર અને ચરબીયુક્ત ખોરાક ટાળવો.
* પીવાનું પાણી સાથે રાખવું.
* વ્યાયામ કરવો.
* પૂરતી ઊંઘ અને આરામ મેળવવો.
* તણાવ પર નિયંત્રણ મેળવવું.
આળસુ વ્યક્તિની સાત લાક્ષણિતકતા
* આવી વ્યક્તિથી સવારે કામ જલદી શરૂ નથી થતું.
* આળસુ વ્યક્તિના કામ ભાગ્યે જ ક્યારેક પૂરા થાય છે.
* આળસુ પાસે દરેક કામ ન કરવાના બહાના હોય છે.
* આવી વ્યક્તિ વારંવાર બ્રેક લે છે.
* આવી વ્યક્તિ વાતો કરવામાં પાવરધા હોય છે.
* પ્રમાદી વ્યક્તિ દિવા સ્વપ્નોમાં રાચે છે. તેના સ્વપ્નો અવાસ્તવિક હોય છે.
* આવી વ્યક્તિ અન્ય લોકોને તંગ કરતો રહે છે.