Get The App

યોગાસનો કરતા પહેલા આ નિયમો જાણી લો

Updated: Sep 16th, 2024

GS TEAM


Google News
Google News
યોગાસનો કરતા પહેલા આ નિયમો જાણી લો 1 - image


- સામાન્યપણે સવારે નાસ્તો કર્યા પહેલાંનો સમય યોગાસનો માટે શ્રેષ્ઠ ગણાય છે. જોકે તમે તમારી અનુકૂળતા પ્રમાણે સાંજે કે દિવસના કોઈ પણ ભાગમાં યોગાસનો કરી શકો છો. શરત એટલી જ  કે યોગાસનો કરતી વખતે તમારું પેટ ખાલી હોવું જોઈએ. પેટમાં ભારે ખોરાક ન ભરાયેલો હોવો જોઈએ.

યોગ આજકાલ સુદ્રઢ સ્વાસ્થ્ય મેળવવા ઈચ્છતી યુવાપેઢી માટે ફેશન  ગણાય છે. 'હું તો યોગસન કરું છું' એવું કહેવું આજે ફેશનેબલ થઈ પડયું છે. માનસિક તાણને હળવી કરવા માટે યોગ એ સર્વશ્રેષ્ઠ ચિકિત્સા છે. યોગીઓનું કહેવું છે કે માણસ પોતાના જ શરીરનો આડેધડ ઉપયોગ કરે છે એટલે જ  રોગો પેદા થાય છે. આ રોગોના નિકાલ પણ માણસ ખુદ જ કરી શકે તેમ છે.

યોગિક ચિકિત્સા, યોગ્ય સમય, સ્થળ, શારીરિક અવસ્થા, પોશાક વગેરે અંગે બહુ ઓછા લોકો ચોક્કસ માહિતી ધરાવતા હોય છે. પેશ છે થોડી ટિપ્સ કે જેને આધારે તમે યોગાસનોનો મહત્તમ ફાયદો મેળવી શકશો.

સામાન્યપણે સવારે નાસ્તો કર્યા પહેલાંનો સમય યોગાસનો માટે શ્રેષ્ઠ ગણાય છે. જોકે તમે તમારી અનુકૂળતા પ્રમાણે સાંજે કે દિવસના કોઈ પણ ભાગમાં યોગાસનો કરી શકો છો. શરત એટલી જ  કે યોગાસનો કરતી વખતે તમારું પેટ ખાલી હોવું જોઈએ. પેટમાં ભારે ખોરાક ન ભરાયેલો હોવો જોઈએ.

યોગનો નિયમ એવો છે કે જમ્યા પછી ત્રણથી ચાર કલાક ખાલી જવા દેવા અને પછી જ યોગાસન કરવા બેસવું. અરે, ચા, જ્યૂસ પાણી કે અન્ય કોઈ પ્રવાહી લીધા પછી પણ અડધો કલાક ખાલી જવા દેવો.

યોગાસનો કરતી વખતે શરીર આરામદાય અને નોર્મલ સ્થિતિમાં હોવું જોઈએ.

દરેક માણસે પોતાની દિનચર્યામાંથી પોેતાની અનુકૂળતા અનુસાર યોગાસનો કરવા માટેનો એક સમય નિશ્ચિત કરી લેવો અને પછી રોજ એ જ ચોક્કસ સમયે યોેગાસનો કરવાં. સપ્તાહમાં પાંચથી છ દિવસ યોગાસનો કરવા માટે પર્યાપ્ત છે. 

દર્દીઓએ ચોવીસ કલાકમાં માત્ર  એક જ વખત ડોક્ટરની સલાહ લીધા પછી યોગાસનો કરવાં.

આસન કરવાનો સમયઃ આસનો કરવા માટેનો બ્રહ્મ મુહૂર્તનો સમય અનુકૂળ ન હોય તો સૂર્યાસ્તનો સમય સારો. ખાવાનો નિયમ રાખીને જ આસનો કરાય. નહીં તો પછી જ્યારે સમય મળે ત્યારે નિયમાનુસાર આસન કરવા.

આસન કરતાં પહેલાં શૌચક્રિયા પતાવી દેવી. ઊઠીને સીધા આસનો ન કરાય. દર ત્રણ મહિને વૈદકીય સલાહ હિતાવહ છે. નવા આસન કરતી વખતે માર્ગદર્શનની જરૂર છે. આસનો શરૂ કરતાં પહેલાં વજન-ઊંચાઇ અને ઘેરાવો માપવા જરૂરી છે. આસન કરનારનાં મન ઉપર થાક કે કંટાળો ન લાગવા જોઇએ પણ આનંદ ને સ્ફૂર્તિ લાગવા જોઇએ. તો જ આસન બરોબર છે તેમ સમજવું. મનની આળસ વૃત્તિને દૂર રાખો. શરૂઆતમાં આળસ ને કંટાળો આવે થાક લાગે ચક્કર આવે. પણ થોડા જ વખતમાં મનોવૃત્તિ બદલાય છે અને સારું લાગે છે.

હળવા  અને ભારે વ્યાયામના નિયમોઃ  આજનો માનવી શરીરને સાચવે છે. તંદુરસ્તી ઉપર ભાર આપે છે, અને શરીરને સુદ્રઢ બનાવવા પ્રયત્ન કરે છે. સૌથી પ્રથમ હળવો વ્યાયામ કરવો, આસનને ઊંડા શ્વાચ્છોશ્વાસની કસરતો કરવાથી ધીરે ધીરે શરીરમાં સ્ફૂર્તિ આવે છે. પછી ઉમંગ ઉત્પન્ન થતા ભારે વ્યાયામ  માટે મન આનંદમાં આવશે, તન તૈયાર થશે.

હળવા પ્રકારના વ્યાયામને  વધારેમાં વધારે ૧૦ થી ૫૦ મિનિટ કરી શકાય.  એના પછી ૧૦  મિનિટ શવાસન અથવા આરામ કરવાનો પછી ભારે વ્યાયામ કરવાનો.

ભારે વ્યાયામ કરતી વખતે શરીરની શક્તિ શ્વાસની મર્યાદા  અને થાકનું પ્રમાણ ખ્યાલ રાખીને આગળ વધવું. ઝડપથી કસરત કરવાથી શરીર સુધરવાની જગ્યાએ બગડે છે.

ભારે વ્યાયામ કરનારે નીચેના નિયમો પાળવાઃ

(૧) વ્યાયામ કરતી વખતે વચ્ચે વચ્ચે આરામ લેવો, વ્યાયામનું સ્થાન છોડી, અખાડાની બહાર જઇ થોડી સ્વચ્છ હવા લેવી ને પુનઃ વ્યાયામ શરૂ કરવો એ દરમિયાન શરીર ઠંડુ ન થાય તે સંભાળવું.

(૨) પરસેવાને વારંવાર લુછતા જવું. ભારે વ્યાયામ કરતી વખતે શરીરને પવનના ઝાપટા ન લાગે તે સંભાળવું.

(૩) કોઇપણ કાર્યની સફળતાની કૂચી એકાગ્રતા છે. વ્યાયામ કરતી વખતે વાતોના ગપાટા મારવા, વારંવાર શરીરને ગરમ  અને ઠંડુ કરીને વ્યાયામ કરતા કરતા વ્યાયામ ન કરવો વધું સારું છે.

(૪) અઠવાડિયામાં એકાદ વખત માલિશ, એક દિવસ આરામ  અને એક દિવસ ઉપવાસ કરવો.

(૫) હળવા વ્યાયામ પછી ભારે વ્યાયામ ૪૦ મિનિટથી વધુ ન કરવો. એકલો ભારે વ્યાયામ કરવો હોય તો  એક કલાક પૂરતો છે.

(૬) જો કોઇ ભારે વ્યાયામ કર્યા પછી હલકો વ્યાયામ કરે તો તેમાં ખાસ વાંધો નથી. પણ એ વચ્ચે આરામનું અંતર  રાખવું. સાચું પૂછો તો હળવા વ્યાયામ પછી ભારે વ્યાયામ કરવાની પધ્ધતિ ઉત્તમ છે.

(૭) શ્રેષ્ઠ પધ્ધતિ તો એ છે કે એક દિવસ હળવો વ્યાયામ કરવો તો બીજે દિવસે ભારે પ્રકારનો વ્યાયામ કરવો, આમ કરવાથી ખોટો વહેમ, ભૂલ થવાનો સંભવ અને અન્ય અથડામણ દૂર થાય છે.

આસન એક વૈજ્ઞાાનિક પ્રક્રિયા છે. તેનો સંબંધ શરીરના આંતરબાહ્ય ભાગો સાથે છે. તેથી આસનો કોઇ જાણકાર વ્યક્તિ પાસેથી વિધિપૂર્વક શીખ્યા પછી જ કરવા.

કસરત પાળવાના નિયમોઃ

(૧) નિયમિત વ્યાયામ કરો. તેનાથી ફાયદો થાય છે. વ્યાયામની બાબતમાં નિયમિતતા જરૂરી છે. ચાર-છ દિવસે ફૂરસદ કાઢી બે-ચાર કલાક વ્યાયામ કરી લેવાથી કાંઇ વળતું નથી.

(૨)  આરામ અને સખત વ્યાયામનો વચલો માર્ગ સ્વીકારવો.

(૩) વ્યાયામની શરૂઆત સંભાળીને કરવી, જે લોકો વ્યાયામ કરનારાઓમાં નવા જ હોય તે લોકોએ અતિ ઉત્સાહ ને ખોટી ઘેલછાથી બચવું. રાતોરાત શરીર બનતું નથી. શાંતિ  અને ધીરજની જરૂર છે. શરીર લાયક ન બને ત્યાં સુધી ભારે વ્યાયામ કરવો નહીં.

(૪) આયના સામે કસરત કરો.

(૫) વ્યાયામ માટે યોગ્ય સ્થાનની પસંદગી કરવી.

(૬) કસરત જીવનની વેઠ નથી પણ જીવનનો આનંદ છે.

(૭) યોગ્ય અંગવિન્યાસ રાખો.

(૮) સ્ફૂર્તિ રહે તો જ આગળ વધો, નહીં તો બંધ કરી દો. કાંઇ ભૂલ છે સલાહ લઇને કરો.

યોગાસનો જમીન પર કરવાં, પથારી પર નહીં. ફર્શ  પર કાર્પેટ, ચાદર કે મેટ પાથરી દેવી. જે સ્થળે તમે યોગાસનો કરતા હો તે સાફ-સૂથરું અને પૂરતા હવા ઉજાસવાળું હોવું જોઈએ. તાજી હવા સતત આવતી હોવી જોઈએ. બારીઓ ખુલ્લી રાખવી કે જેથી અંદર ભરાઈ રહેલી વાસી હવા બહાર જઈ શકે. ગરમીના દિવસોમાં પંખો ચાલુ રાખી શકાય. હા, ઠંડીના વાતાવરણમાં પવન ના ફૂંકાય એનો ખ્યાલ રાખવો. એરકન્ડિશન્ડ ઓરડામાં યોગાસનો કરી રહ્યા હો તો એ વાતનો ખ્યાલ રાખવો કે તાજી હવા યોગ્ય માત્રામાં આવી રહી હોય.

યોગાસનો કરતી વખતે શાંતિ જળવાવી જરૂરી છે.  આજુબાજુ ટેપ-ટીવી રેડિયો ચાલુ હોય તો બંધ કરી દેવા. આસનો કરતી વખતે કોઈની સાથે વાતો ન કરવી. શાંતિને કારણે શરીરમાં શક્તિ જળવાઈ રહે છે અને મન એકાગ્ર રહે છે.

વિરામ

યોગમાં બે પ્રકારના વિરામ હોય છે - ટૂંકો અને દીર્ઘ. ટૂંકો વિરામ માત્ર છ થી આઠ સેકન્ડનો હોય છે. બે આસનોની વચ્ચે અથવા આસનોના બે રાઉન્ડ્સ વચ્ચે ટંૂંકો વિરામ લેવામાં આવે છે. ટૂંકા વિરામને અંતે બે વખત ઊંડો શ્વાસ લેવામાં આવે છે.

એક સાથે ઘણાં આસનો, પ્રાણાયમ અને અન્ય ક્રિયાઓ બાદ દીર્ઘ વિરામ લેવામાં આવે છે. સામાન્ય નિયમ એવો છે કે જેટલોે સમય તમે યોગાસનો પાછળ વિતાવ્યો હોય તેના ચોથા ભાગ જેટલા સમય દીર્ઘ વિરામ માટે ફાળવવો. દાખલા તરીકે, તમે એકધારા વીસ મિનિટ સુધી આસનો કર્યા હોય તો પછી પાંચ મિનિટનો બ્રેક લેવો.

વિરામ માટેનું શ્રેષ્ઠ સ્વરૂપ છે શવાસન. સરળ દેખાતું આ આસન વાસ્તવમાં ખૂબ જટિલ છે. જે લોકો શવાસન ન કરી શકતા હોય તેમણે ભોંય પર પડયા રહેવું, આંખો બંધ રાખવી, શરીર ઢીલું મૂકી દેવું, શ્વાસોચ્છવાસ નોર્મલ રાખવા અને મનને કોઈ એક જ બિંદુ યા પ્રાકૃતિક સ્થળ પર કે બગીચા કે પાર્કમાં સૂતા છો એવો અનુભવ કરવો. જાણે એ સ્થળની સ્વચ્છ હવા તમે શ્વાસમાં ભરી રહ્યા છો તેવી લાગણી અનુભવવી. વિરામસમય પૂરો થયા પછી ત્રણથી પાંચ મિનિટ ખાલી જવા દેવી અને તે પછી જ કશું ખાવુ-પીવું કે રોજિંદી ક્રિયા કરવી.

પોશાક

યોગાસનો કરતી વખતે શરીર પર બને તેટલાં ઓછાં વસ્ત્રો પહેરવાં. પુરુષો ચડ્ડી કે પાયજામો પહેરી શકે. (અન્ડરવેર, લંગોટ કે કચ્છા સાથે) અને મહિલાઓ સ્લેક્સ, ચૂડીદાર કૂર્તા કે પછી સાડી પહેરી શકે. ઠંડીના દિવસોમાં હળવું સ્વેટર પણ પહેરી શકાય.

(૧) આસન કરતી વખતે ખુલતાં કપડાં પહેરવાં.

(૨) ખાલી પેટે (ઉપવાસ ઉપર) આસન નહીં કરવા.

(૩) જમ્યા પછી ચાર કલાક પછી જ આસન કરવાં, અને ચા  કે દૂધ પીને, એકથી દોઢ કલાક પછી જ આસન કરવા.

(૪) આસન કર્યા પછી અડધા કલાક સુધી ખોરાક લેવાય નહીં. આસન કરનારે બને તેટલો તળેલો ખોરાક ઓછો ખાવો.

(૫) આસન કરતાં પહેલાં સ્નાન કરવું ફાયદાકારક છે. આસન કરી અડધા કલાક પછી સ્નાન કરવું.

(૬) પૂરતાં હવા-ઉજાસમાં આસન કરવા.

(૭) માંદગીમાં આસન કરવા નહીં. પણ માંદગી પછી શક્તિ આવ્યા પછી જ  આસન કરવા.

(૮) સ્ત્રીઓએ માસિક સ્ત્રાવ વખતે આસન નહીં કરવા, સગર્ભાવસ્થામાં કે ઓપરેશન પછી સારા માર્ગદર્શકને પૂછીને જ યોગાસનો કરવા.

- કેતકી


Tags :