કેળાં સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે એ વાત સર્વવિદિત છે. પરંતુ શું તમે જાણો છો કે કેળાંના પાન પણ આરોગ્ય માટે ઉત્તમ ગણાય છે. આપણે મોટાભાગે કેળાંના પાન પૂજા અથવા અન્ય શુભ પ્રસંગે કરીએ છીએ. દક્ષિણ ભારતના લોકો કેળાંના પાન પર ભોજન કરે છે. ઢોરો માટે પણ તે ઉત્તમ ખોરાક લેખાય છે. આજે આપણે કેળાંના પાનનાં ઔષધિય ગુણો - લાભ વિશે જાણીશું.
- સામાન્ય તાવ અને ફ્લુ : તાવ અને ફ્લુ વિશ્વભરમાં સાવ સામાન્ય ગણાય છે. તેને માટે સંખ્યાબંધ ઘરગથ્થુ ઉપચાર કરવામાં આવે છે. પણ કેળાંના પાન પણ આ વ્યાધિમાંથી રાહત આપી શકે એ બહુ ઓછા લોકો જાણે છે. એક અભ્યાસ અનુસાર કેળાંના પાનમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. તેથી જ્યારે કેળાના પાનને પાણીમાં નાખીને ઉકાળી લેવામાં આવે ત્યારે તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ તેમ જ એન્ટિ-ઈન્ફલેમેટરી ગુણો તાવ દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
- ઘા ભરે : એક અભ્યાસ દરમિયાન જણાયું હતું કે કેળાંના પાન ઘા ભરવામાં કારગર નીવડે છે. વિકાસશીલ દેશોમાં સામાન્ય લોકોને ઘા લાગે ત્યારે તબીબ પાસે દોડી જવાનું નથી પોસાતું. પરંતુ તેઓ તેના વૈકલ્પિક દેશી ઉપચારમાં માહેર હોય છે. આવા ઉપચારોમાંથી એક છે કેળાંના પાન. એમ કહેવાય છે કે કેળાનાં પાનમાં રહેલા એન્ટિમાઈક્રોબાયલ તેમ જ એન્ટિઈન્ફલેમેટરી ગુણો પેટ્રોલિયમ જેલી ગોઝથી કરવામાં આવતા ડ્રેસિંગની ગરજ સારે છે. પરિણામે ઘા ઝપાટાભેર રૂઝાય છે.
- રોગપ્રતિકારક શક્તિ વધારે : કેળાંના પાન અને તેના ગરમાં પ્રચૂર પ્રમાણમાં લેક્ટિન (એક પ્રકારનું પ્રોટીન) હોય છે. લેક્ટિન આપણી રોગપ્રતિકારક શક્તિમાં ધરખમ સુધારો કરે છે. તે શરીરમાં રહેલા ટી - કોષોમાં વૃદ્ધિ કરે છે. વાસત્વમાં ટી-કોષો રોગપ્રતિકારક કોષોનો એવો ભાગ છે જે શરીરમાં રહેલા રોગજન્ય તત્ત્વોને ઓળખી કાઢીને તેના પર નિશાન કરે છે. ત્યારબાદ તે બી-કોષોને તેનો નાશ કરવાનો સંકેત આપે છે.
- ચરબીના થર ઓગાળે : કેટલાંક સંશોધનો અનુસાર કેળાંના પાન ત્વચા નીચે જામેલા ચરબીના થર ઓગાળવામાં ખપ લાગી શકે. કેળાનાં પાનને મસળીને શરીરમાં જે જગ્યાએ ચરબી જામી ગઈ હોય ત્યાં આ મસળેલા પાન લગાવવાથી તેમાં રહેલા પૉૅલીફેનોલ્સ ત્યાંની ત્વચાના કોષોમાં રહેલું કોલેસ્ટરોલ ઓછું કરે છે. વાસ્તવમાં આ કોલેસ્ટરોલને કારણે જ જે તે ભાગમાં ચરબીના થર જામતાં હોય છે.
- વાળની સમસ્યાઓ દૂર કરે : એમ કહેવાય છે કે ચોક્કસ પ્રકારની વાળની સમસ્યા દૂર કરવા કેળાંના પાન ખપ લાગે છે. કેટલાંક લોકોએ કરેલા પ્રયોગોમાં જણાયું હતું કે કેળાંના પાનને સમારીને વાટી લીધાં પછી તેનો અર્ક કાઢીને વાળમાં લગાવવાથી વાળ કાળા થાય છે, કેશ સફેદ થવાની પ્રક્રિયા ધીમી પડે છે. અને વાળ મૂળમાંથી મજબૂત થાય છે.
- રાંધેલો ખોરાક પેક કરવા માટે ઉત્તમ : આજે ભલે મોટા શહેરોમાં એલ્યુમિનિયમ ફોઈલ કે પ્લાસ્ટિકમાં ગરમ ભોજન પેક કરવામાં આવે છે. પરંતુ પરંપરાગત રીતે ગરમ ખાદ્ય સામગ્રી કેળાંના પાન નાખીને પેક કરવામાં આવતી, આજે પણ દક્ષિણ ભારતીયો કેળાંના પાનમાં જ ગરમ ખોરાક પેક કરે છે. તેનું કારણ એ છે કે કેળાંના પાનમાં રહેલા એન્ટિબેક્ટેરિયલ તત્વો તેમાં રાખેલા આહારને બગડતો અટકાવે છે. પરિણામે ખોરાક લાંબા કલાકો સુધી તાજો રહે છે. વળી કેળાંના પાન પર ભોજન લેવાથી પણ પણ કેળાનાં પાનમાં રહેલા ગુણો આહાર સાથે જે તે વ્યક્તિના શરીરમાં જાય છે અને થાળી-વાટકા ધોવાનું કામ ઓછું થઈ જાય છે. આજે બજારમાં મળતી ડિસ્પોઝેબલ પ્લેટ્સ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જ્યારે કેળાંનાપાન ભોજન કર્યાં પછી ફેંકી દેવાથી પણ પર્યાવરણને કોઈ નુકસાન નથી થતું.


