- આરોગ્ય સંજીવની
સાંધાનો થતો દુખાવો આજ-કાલ જોવા મળે છે. નાનાથી લઈ મોટા સુધી દરેકને સાંધાઓમાં અને ખાસ કરીને ઘૂંટણમાં દુખાવો રહેતો જ હોય છે. આ ઘુંટણનો દુખાવો અતિશય પીડા આપનાર હોય છે. મોટી ઊંમરે આ રોગ વધારે થતો જોવા મળે છે. અને તેમાં માત્ર પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઘણીવાર સંધિવાતનાં કારણે સાંધાઓમાં સોજા સાથે ખૂબ પીડા થાય છે. ઘૂંટણ સિવાય શરીરમાં અન્ય સાંધાઓમાં પણ સોજો, પીડા અને સંઘિગત કાર્ય હાનિઓ સંધિવાતનું સામાન્ય લક્ષણ છે, આધુનિક ચિકિત્સા વિજ્ઞાાનમાં આ રોગને ઓસ્ટિઓ અર્થરાઈટીસ કહે છે.
ઘણીવાર ખાંડ કે સાંકર વધારે પડતી ખાવાથી પણ શરીરનાં સાંધાઓમાં કળતર રહ્યાં કરે છે અને ઘણીવાર આમલી કે ખટાશવાળા પદાર્થો લેવાથી પણ શરીરના સાંધાઓ જકડાઈ જાય છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય તેમ તેમ શરીરમાં સ્થૂળતા પણ ઘણીવાર વધી જતી હોય છે. આ સ્થૂળતાના કારણે સમગ્ર શરીરનું વજન ઘૂંટણ ઉપર આવે છે અને ઘૂંટણમાં ભયંકર દુખાવો ચાલુ થઈ જાય છે. પરિણામે દર્દીને ઉઠવા - બેસવામાં પલાઠી વાળવામાં તેમજ ચાલવામાં પણ ખૂબ પીડા થાય છે. ઘણી વખત હાજત જવાનાં સમયે પણ દર્દી ઉભડક બેસી શકતો નથી અને તેનું ઘુંટણમાં અસહ્ય દુખાવો મોનોપોઝ ચાલુ થવાથી માસિક સ્ત્રાવ બંધ થઈ જાય છે. પરિણામે શરીરમાં ઈન્સ્ટ્રોજનનો સ્ત્રાવ ખૂબ જ ઓછો થઈ જાય છે. જેનાં પરિણામે પુરુષો કરતાં સ્ત્રીઓમાં સહજ રીતે વજન વધવું. ઘુંટણનો દુખાવો ઘુંટણ ઉપર સોજા આવવા વગેરે લક્ષણો વધારે જોવા મળતાં હોય છે.
ઘુંટણની અંદર રહેલ કાર્ટિલેજ બે હાડકાંની વચ્ચે ગાદીની જેમ રહેલ હોય છે. પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ તે ઘસાતાં જાય છે. જેનાં કારણે હાડકાં એકબીજા સાથે ઘસાઈને જકડાવા લાગે છે. અને અંદર ભયંકર પીડા ઉત્પન્ન થાય છે. આવી પરિસ્થિતિમાં મોર્ડન સાયન્સનાં ડૉક્ટર ની રીપ્લેસમેન્ટની સલાહ આપતાં હોય છે પરંતુ આયુર્વેદમાં એવાં ઘણા ઉપચારો છે કે જેનાથી આ રોગમાં ખૂબ ચમત્કારિક પરિણામો મળી શકે છે.
ઘણીવાર સંધિવાત રોગ એ વારસાગત લક્ષણ તરીકે પણ ઘણી વ્યક્તિઓમાં જોવા મળતો હોય છે. કેટલીકવાર આ રોગ એક પગનાં ઘૂંટણમાં થાય છે અને કેટલીકવાર બંને પગનાં ઘૂંટણમાં પણ જોવા મળતો હોય છે. રોગની શરૂઆતમાં દુખાવો ક્યારેક ક્યારેક થતો હોય છે પરંતુ રોગ જેમ જેમ વધતો જાય છે. તેમ તેમ આ દુખાવો સતત રહ્યા કરે છે. જેનાં કારણે ઘુંટણથી પગ સીધો પણ કરી શકાતો નથી પગનાં સાંધાઓ જકડાઈ જવાથી પગ ખોટો પડી ગયો હોવાનો અનુભવ થાય છે. વધારે ચાલવામાં આવે તો દુખાવો વધી જાય છે. ઘણીવાર હલન-ચલનમાં કટ-કટ અવાજ પણ સંભળાય છે.
આ રોગમાં ઝડપથી ચિકિત્સા ન કરવામાં આવે તો હરવા ફરવાનું પણ ઘણીવખત મુશ્કેલ થઈ જાય છે અને દર્દી પરવશ થઈ જાય છે.
આયુર્વેદમાં આવા રોગીઓમાં નીચે પ્રમાણે ઔષધ સારવાર અને પંચકર્મ સારવાર ''જાનુબસ્તિ'' લેવાનું કહ્યું છે.
ગંઠોડાનું ચૂર્ણ ૧ ચમચી અને ૧ ચપટી મીઠું મિક્સ કરી રાત્રે સૂતી વખતે પાણી સાથે લેવું.
આ સિવાય ૧ તોલા જેટલી મેથી, ૫ ગ્રામ સૂંઠ સાથે પાણીમાં ઉકાળવી અને ૧/૪ ભાગ પાણી રહે ત્યારે ઉતારી લેવું અને ગાળીને સુખોષણ હોય ત્યારે પી જવું. જો દર્દીને ડાયાબિટીસ ન હોય તો થોડોક ગોળ પણ તેમાં નાંખી શકાય છે. આ કવાથ રાત્રે અથવા વહેલી સવારે પીવાથી શરીરનું કળતર અને સાંધાનો દુ:ખાવો અવશ્ય દૂર થાય છે. વળી આ રોગનાં દર્દીને જો કબજિયાત રહેતી હોય તો તેણે આ કવાથમાં ૧ ચમચી દિવેલ મેળવી પીવું.
આ ઉપરાંત ''જાનુબસ્તિ'' પણ આ રોગની વિશિષ્ટ અને સચોટ સારવાર પધ્ધતિ છે. આ રોગમાં પંચકર્મની સારવાર એવી જાનુબસ્તિનાં સીટીંગ દરરોજ અથવા એકાંતરે દર્દીને આપવાથી દુખાવો ઘણો ઓછો થઈ જાય છે. તેમજ ઘુંટણની ગાદીમાં ઘસારો થયેલ હોય તો તે પણ ધીરે ધીરે પુરાવા લાગે છે અને અમુક સમયનાં અંતરે ઘણો બધો લાભ દર્દીને મળે છે.
આ ઉપરાંત ૩ તોલા આંબા હળદરને પાણીમાં વાટી રસ કાઢવો. તેમાં ૧ તોલો સાજીખાર મેળવી કળતરની જગ્યાએ દરરોજ સવાર - સાંજ માલિશ કરવી.
આ રોગમાં મેદસ્વી દર્દીઓએ વજન ઉતારવું ખૂબ જ જરૂરી છે. જેથી મેદ વધે તેવો આહાર-વિહાર ત્યજવો જોઈએ. તેમજ ખાંટા-વિકારી પદાર્થો પણ આહારમાં ન લેવા.
નિષ્ણાંતની સલાહ મુજબનો આહાર તથા ઔષધ સેવન દર્દીને ઓપરેશન ખર્ચ અને પીડામાંથી બચાવી શકે છે.
- જ્હાનવીબેન ભટ્ટ


