મળી માતૃભાષા મને ગુજરાતી
- અંતર-રક્ષા શુક્લ
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને ન આવ તું.
પહેર્યું છે એ ય તું જ છે, ઓઢયું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.
સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.
'મિસ્કીન' સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.
- રાજેશ વ્યાસ 'મિસ્કીન'
માતૃભાષા દિન પૂર્વે તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતીમાં બોર્ડ લગાવવાની જાહેરાત કરી. સારી બાબત છે. ચીનમાં તો બધે જ એમની ભાષામાં જ પાટિયા(બોર્ડ) લગાવેલા હોય છે. યુનેસ્કોએ કરેલા એક અભ્યાસ મુજબ માતૃભાષા આધારિત શિક્ષણ વધુ ફળદાયી નીવડે છે એમ સાબિત થયું છે. અને એટલે જ ૧૯૯૯માં યુનેસ્કોએ ૨૧મી ફેબુ્રઆરીના દિવસને 'માતૃભાષા દિવસ' તરીકે મનાવવો એમ નક્કી કર્યું છે. જેનો ઉદ્દેશ માતૃભાષા આધારિત શિક્ષણનો પ્રસાર અને પ્રચાર કરવાનો છે. ઘણા મહાન લેખકો ઉત્તમ સાહિત્ય પોતાની માતૃભાષામાં જ આપી ગયા છે. તેમનું આ અદભુત મૌલિક સર્જન એ માતૃભાષાની જ દેણગી છે.
અંગ્રેજી ભાષાના વધતા જતા પ્રભુત્વ સામે આજે માતાપિતા અને શાળા સમાજને લાચાર જોઈએ છીએ. પરંતુ ફોર્ચ્યુન મેગેઝીનમાં નોંધાયેલું કે માતૃભાષા એ હૃદયની અને મનની ભાષા છે. માના ગર્ભમાંથી જ બાળક એ સાંભળતું આવે છે. કોઈ જાગૃત પ્રયત્નો વગર અનાયાસે જ બાળક માના ખોળામાં એ શીખે છે. અને એટલે જ એના અસ્તિત્વ સાથે વણાયેલી આ ભાષામાં વિચારતા કે વ્યક્ત થતા બાળક તણાવમુક્ત અને સહજ હોય છે. આત્મવિશ્વાસથી ભરસક હોય છે. માતૃભાષામાં મૌલિક કલ્પનાવિહાર કરી શકતું હોવાથી બાળક પોતાના સર્જનમાં પૂર્ણ રીતે ખીલી શકે છે કારણ કે તેની સંવેદનાઓ, વિચારો, કલ્પનાઓ બધું શરૂઆતથી માતૃભાષામાં જ વિકસેલું હોય છે. માતૃભાષા એ બાળકની વ્યક્તિગત, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ છે. બીજી ભાષાઓ શીખવા માટે પણ તે મજબૂત પાયો પૂરો પાડે છે.
આજકાલ બાળકો નાના હોય ત્યારે આયા રાખવાની ફેશન શરુ થઈ છે. માતાપિતાને પોતાના જ બાળક માટે સમય નથી. બાળકને નાનું હોય તો પણ પ્લેગુ્રપમાં મૂકવામાં આવે છે. જે માતાપિતાને પોતાના જ બાળક માટે સમય નથી એમણે મોટી ઉંમરે એકલા રહેવાની ટેવ પાડવી પડશે. કારણ કે બાળક એમની હાજરીથી ટેવાયેલું જ નથી. એને પારકાં જ પોતાના લાગવાના. બાળકના મૂળિયાં ધીમે ધીમે આમ જ પોતાની ભાષા અને સંસ્કૃતિથી જુદા થતા જાય છે. આ શિક્ષણનો પરાજય છે. બાળકને બાળપણથી જ મોબાઈલ, ટી.વી. કે કોમ્પુટરને હવાલે કરી દેવાય છે જેથી નિર્દાેષ બાળક દિશાહીન શિક્ષણ પામે છે.
ચીનમાં માતૃભાષાનું લોકોને એટલું બધું સન્માન અને ગૌરવ છે કે તેઓ પોતાની દુકાન કે ઓફીસના હોડગમાં, ઓળખપત્રમાં કે જાહેરાતોમાં પોતાની જ ભાષાનો ઉપયોગ કરે છે. અથવા તો ચાઇનીઝ અને અંગ્રેજી બંને ભાષાનો. તેઓ કહે છે કે સામેવાળો અમારી ભાષા ભલે ન જાણતો હોય પરંતુ અમને અમારી ભાષાનું ખૂબ ગૌરવ છે. એટલે અમે તેને મહત્વ આપીશું જ. ચીનમાં એક પંજાબી રેસ્ટોરન્ટની બહાર માત્ર પંજાબીમાં જ હોડગ લખેલું હોવાથી ત્યાં ગ્રાહકો ઓછા આવતા હતા. પછી ચાયનીઝ ભાષામાં પણ લખાણ ઉમેર્યું તો વધુુ ગ્રાહકો આવવા લાગ્યા. આને કહેવાય માતૃભાષા તરફનો અનન્ય પ્રેમ.
માતૃભાષાની જાગૃતિ વિષે કોઈક ઉદાહરણીય પગલાં વિષે સાંભળીએ ત્યારે રાજીપો થાય. દૂરદર્શનમાં ઉચ્ચારણની ભૂલોને કારણે કોઈ ન્યુઝરીડરને સસ્પેન્ડ કર્યાની વાત ખૂબ અભિનંદનીય છે. આવું બનશે તો જ માતૃભાષા માટેનું ગૌરવ અને જાગૃતિ લોકોમાં વધશે. આકાશવાણીના કેટલાક ઉદઘોષકોને લીધે માતૃભાષા ઘણી ઉજાગર થઇ છે કારણ કે તેમના ઉચ્ચારણો ઉત્તમ કક્ષાનાં હોય છે. અંગ્રેજોના સમયથી જ માતૃભાષાનું માધ્યમ ત્યજીને અંગ્રેજીનો આશરો લેવાવા લાગ્યો. એ પછી તો અંગ્રેજી માધ્યમનું શિક્ષણ પણ મિશનરી સ્કૂલમાં જ લેવાય એમાં મોટપ ગણાવા લાગી. જે માનસિકતા આજે વટવૃક્ષ બની છે. ગુજરાતી માધ્યમની શાળાઓ ઘટતી જાય છે. આથક નબળા ગણાતા લોકોમાં ય અંગ્રેજી માધ્યમની શાળાઓમાં બાળકને ભણાવવાનો રીતસર ક્રેઝ છે. પણ બે ભાષાઓના દ્વન્દ્વને લીધે આજે બાળકની મૂળ ઓળખ ખોવાઈ ગઈ છે. તે આઇડેન્ટિટી લોસથી પીડાય અને આત્મવિશ્વાસ ખોઈ બેસે છે.
એક તમિલ કુટુંબ. જર્મની બદલી થઈ. શાળામાં દાખલ કરવા ગયા. શાળાસંચાલકોએ પંદર દિવસનો સમય માગ્યો. પછી તમિલ કુટુંબને બોલાવીને કહ્યું કે 'અમે છાપાઓમાં જાહેરાતો આપી પણ અમને તમિલ ભણાવી શકે તેવા શિક્ષક મળ્યા નથી. માતાપિતાએ કહ્યું કે 'ભલે, તમે અંગ્રેજીમાં ભણાવો. અમને વાંધોે નથી.' તો તેઓએ કહ્યું કે માતા કે પિતા અહીં શાળામાં શિક્ષક તરીકે જોડાઈને બાળકને ભણાવે તો અમે નિયમ મુજબ એને વેતન આપીશું. એક જવાબદાર શાળા તરીકે અમે મૂલ્યો સાથે સમાધાન કરી શકીએ નહીં.
આપણી ભાષાની ઉત્કૃષ્ટતા તો જુઓ. અંગ્રેજીમાં ચેક લખતી વખતે લખાય '‘one thousand only’. આ only શબ્દ તરસ બતાવે છે. કોઈપણ રકમ અહીં માત્ર લાગે છે - અપૂરતી. જ્યારે ગુજરાતીમાં આપણે ચેકમાં લખીએ છીએ 'એક હજાર પૂરાં'. આપણને કોઈપણ રકમ પૂરી લાગે છે. વધુ માટેના કોઈ અભરખા નહિ. આપણી ગુજરાતી ભાષા ભરીભાદરી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ દ્રાક્ષની છે. આપણી રુદ્રાક્ષની છે. માણસ જે ભાષા બોલે છે એના થકી એનું વ્યક્તિત્વ છતું થાય છે. ગુજરાતીઓની ભોજનપ્રીતિ વિશ્વવિખ્યાત છે તેમ ભાષાપ્રીતિ હોત તો ! તો પ્રવાસે જતા પહેલા ખાખરા-થેપલાંને બદલે નર્મદ કે નિરંજનના પુસ્તકો સાથે લેત. ગાંધીજી તો ભાષાશુદ્ધિના પણ એટલા જ આગ્રહી હતા. તેઓ કહેતા કે 'જે શુદ્ધ ભાષા લખવા ઈચ્છે છે એ તેનો ગુજરાતી ભાષા માટેનો પ્રેમ બતાવે છે.' અંગ્રેજીમાં સ્પેલિન્ગ્ઝ લખવાની વાતમાં આપણે ખૂબ જાગૃત રહીએ છીએ. પણ 'ઘરકી મુર્ગી દાલ બરાબર' ગણતા આપણને 'દિવાળી'માં 'દિ' હ્રસ્વ કરવો કે દીર્ઘ એ બાબત મહત્વની લાગતી જ નથી. પરંતુ Mondayના સ્પેલિંગમાં 'ર્સ' આવે કે 'સચ'એ બાબતે આપણે વિચારીને લખીએ છીએ. જોડણીની ભૂલોવાળી ભાષા વાપરનારને ગાંધીજી જંગલી કહે છે. જો માતૃભાષા માટે ગર્વ હોય તો અંગ્રેજી લખતી વખતે જેમ જોડણીકોશ પાસે રાખીએ છીએ તેમ ગુજરાતી લખતી વખતે પણ રાખવો જોઈએ. સંસ્કૃતમાં એક પ્રાર્થના છે...
'વાચં પ્રવિશ્ય મમ સત્યસ્વરૂપ ઈર્શ ।
શ્રધ્ધા કુરુ નનુ મે વાચમિમામ્ અશુધ્ધામ્ ।।
અર્થાત્ 'હે સત્યશુદ્ધસ્વરૂપ ઈશ, મારી વાણીમાં પ્રવેશીને વાણીની અશુધ્ધિને દૂર કરો.' જો અંતર્યામી ઈશ્વર સાથેના વ્યવહારમાં પણ વાણીની અશુધ્ધિન ચાલે તો પછી આપણાં બાહ્ય સામાજિક વ્યવહારમાં ચાલે ? જોડણીની નાની ભૂલથી અર્થના અનર્થ થઇ જાય. 'પતિ ગયા' ને બદલે 'પતી ગયા' બોલવાથી કેવો ગોટો થઇ જાય એ તો ગુજરાતી સુપેરે જાણનાર જ સમજી શકે. રાજા અશોક નવી રાણીને પરણ્યા એટલે બાળપુત્રને મિત્રને ત્યાં મોકલી આપ્યો. કુમાર મોટો થતાં મિત્રે પૂછાવ્યું કે શું કરવું. તો અશોકે સંદેશો આપ્યો કે 'કુમારો અધિયઉ' - કુમારને ભણાવો.' ઈર્ષાથી સળગતી નવી રાણીએ નેત્રના કાજળથી સળી વડે 'અ' ઉપર ટપકું કરી નાખ્યું. અને થયું 'કુમારો અંધિયઉ' - 'કુમારને આંધળો કરો.' કુમારે પણ પિતાની આજ્ઞાા પાળવા પોતાની બંને આંખોમાં પોતાના હાથે જ ખીલા ભોંકી દીધા. માત્ર અનુસ્વારનો જ ફેર અને વિનાશ !
માતૃભાષાના શિક્ષણમાં સૌ પ્રથમ તો એનું લિપિશિક્ષણ સરળ બનાવવું પડે. યુગ પરિવર્તન સાથે જેના કોન્સેપ્ટ બાળક સહેલાઈથી સમજી શકે એ શબ્દો લેવા. માતૃભાષાનો આખો કક્કો બદલવો પડે તો આભ ન તૂટી પડે. આજે કમળનો 'કદ ન ચાલે તો ગુગલનો 'ગ' અને ચેટનો 'ચ', નેટનો 'ન' અને મોબાઈલનો 'મ' એમ કહેવું પડે. આ પછીથી બાળકને ભાષા આધારિત જુદી જુદી ગેઈમ્સ બધું શીખવી શકાય. માતૃભાષા એ ઘરમાં સૌને સાધતી મહત્વની કડી છે. બાળકે માતૃભાષામાં જ સઘળી સંવેદનાઓ અનુભવી હોય છે. નવી પેઢીને ગુજરાતી ભાષા તરફ વાળવા પ્રથમ તો ઘરમાં જ એનું વાતાવરણ સર્જાવું જોઈએ. આજે અંગ્રેજીમાં બોલવું એ ગર્વ મનાય છે એટલે પોતાની માતૃભાષામાં બોલતા બાળક નાનપ અનુભવે છે. આવું કેમ ? ઘરના વ્યવહારમાં માતૃભાષા જ બોલાવી જોઈએ. વડીલોની વાતોમાં પણ માતૃભાષા માટેનો પ્રેમ, સન્માન અને ગૌરવની, ભૂતકાળે આપેલા અમૂલ્ય વારસાની, સંસ્કૃતિની અને ઉત્તમ સાહિત્યની વાતો વણાવી જોઈએ. જેથી સંતાનોને પોતાની ભાષા અને મહાન સંસ્કૃતિ માટે આદર અને ગૌરવ જન્મે. ભિક્ષુ અખંડાનંદે 'સસ્તું સાહિત્ય' દ્વારા ગુજરાતી ભાષાની નિસ્વાર્થ સેવા કરી ગુજરાતના ગામડે ગામડે અને ઘરેઘરમાં ગુજરાતી સાહિત્યને પહોંચાડીને લોકભોગ્ય બનાવ્યું છે. આ રીતે તેમને સામાન્ય જનોને વાંચતા કર્યા. અનેક ભાષાઓના ઉત્તમ અને લોકભોગ્ય થયેલા ગ્રંથોને શોધી તેમને ગુજરાતી ભાષામાં ઉતાર્યા.
મણીલાલ વ્યાસે તેમને 'ગુર્જર સાહિત્યના ગૌરવમણિ' કહ્યા છે. અગણિત વિષયો પરના ૩૦૦ પુસ્તકોની ૧૭ લાખ કોપીઓ કરી તેમણે ગુજરાતમાં જ્ઞાાનગંગા વહેવડાવી. કોલેજમાં આવનાર સંતાન માટે માબાપ ક્યા કપડા કે શુઝ લાવવા તે વિચારે છે પરંતુ એની વાચનભૂખ સંતોષવા ક્યા પુસ્તકો લાવવા એ વિચારતા નથી. પછી બકુલ ત્રિપાઠી કહે છે તેમ ભણીને પણ 'બાર્બેરિયન'જેવા સંતાનો પાકે છે. વળી એ પણ જોવું રહ્યું કે વડીલો ટી.વી. કે મોબાઈલ જેવા સાધનોનો બિનજરૂરી ઉપયોગ ટાળે. ગૂ્રચો માર્ક કહેતા કે '‘I must say I find television very educationl because the minute somebody tu rns it on I go the library and read a good book. ઘરમાં રોજ સૌએ ગુજરાતીમાં વાચન કે લેખન કરવું જોઈએ. જેથી બાળક પણ તેમાં રસ લે અને સ્વતંત્ર રીતે લખતા-વાંચતા શીખે. સંતાનોને વાર્તાઓ કહેવી કે સારા પુસ્તકોનો ટુંકસાર પણ કહેવો. સૌ વાંચી લે પછી પુસ્તકના જ કોઈ પાત્રો કે પ્રસંગની ચર્ચા પણ સાથે બેસી કરી શકાય જેથી બાળક એને વધુુ સમજે. માતાપિતાએ ક્યારેક સંતાનોને પોતાના કે એના બાળપણની વાતો પણ માતૃભાષામાં જ કરવી. એ તેઓને ગમતી હોય છે. વારે-તહેવારે ભેટરૂપે સૌએ એકબીજાને પુસ્તકો ભેટ આપવાનો ચીલો પાડવા જેવો ખરો ! ગુણવંત શાહે લખ્યું છે 'જે ઘરમાં પુસ્તકો ન હોય એવા ઘરમાં દીકરી ન દેવી.' ટી.વી.ના ન્યુઝ કે કંઈપણ માતૃભાષામાં જ જોવાનો આગ્રહ રાખવો. સંગીત પણ ઘરમાં માતૃભાષામાં જ સંભાળવું જેથી સંતાનની સંવેદનાઓ માતૃભાષામાં વિકસે. માતૃભાષાને લગતા કોઈ કોર્સ ચાલતા હોય તો ત્યાં પણ એ જઈ શકે. ગુજરાતી જ બોલતા બીજા બાળકો વચ્ચે સંબંધોે વિકસે એવું કરવું અને તેઓ સાથે કોઈવાર પિકનિક કે તહેવારોની ઉજવણી વગરેનું આયોજન કરવું. આનાથી બાળક પોતાની ઉત્તમ સંસ્કૃતિ સાથે હોંશેથી જોડાશે.
એવું પણ કરી શકાય કે સંતાનની શાળામાં જઈ તેના શિક્ષકો સાથે માતાપિતાએ પોતાની આ અપેક્ષાની વાત કરાય જેથી શિક્ષકો પણ બાળકને માતૃભાષા તરફ ગતિ કરવામાં પ્રોત્સાહિત કરે. અત્યારે અર્થપૂર્ણ શિક્ષણ એટલે જ્ઞાાત તરફથી અજ્ઞાાત તરફ જવું. જે મોટાપાયે અસરકારક બની રહ્યું છે. બહુભાષી શિક્ષણનો પાયો તો માતૃભાષા હોવો જ જોઈએ. પણ ટૂંકમાં સો વાતની એક વાત કે માતૃભાષાનું ગૌરવ તો આપણે પોતે જ કરવાનું છે. ચઢાણ કપરા તો છે પરંતુ ગુજરાતી ભાષા ગિરનારની જેમ અડીખમ રહેવાની જ એ નિથશંક વાત છે.