ધૂળેટી ઊજવતાં પહેલાં શરીર પર અને વાળમાં તેલ લગાવી રાખવું જોઈએ. સારી જાતનાં ક્રીમ કે લોશન પણ લગાવી શકો. જેથી રંગોમાં રહેલાં કેમિકલની અસર ઓછી થઈ જશે.
- હોળી રમતી વખતે આંખોનું ધ્યાન રાખવું જોઈએ. તમારી આંખોની પાંપણ પર પણ તેલ લગાવવું જોઈએ. રંગો આંખોમાં ના જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
- જો કોઈ કારણસર સૂકો રંગ આંખોમાં જતો રહ્યો હોય તો આંખોને તત્કાળ પાણીથી ધોઈ લો અને હા, ભૂલથી પણ આંખોને મસળવી નહીં. આંખો મસળવાથી આંખોને વધુ નુકસાન થશે અને બળતરા તથા કેમિકલ રિએક્શનનો ભય પણ રહે છે. જો આંખોમાં કોઈ વધારે તકલીફ જણાય તો તાત્કાલિક આંખના નિષ્ણાતનો સંપર્ક કરવો.
- હોળી રમ્યા બાદ રાત્રે આંખોમાં ગુલાબજળ નાખવાથી આંખોમાં રહેલી અશુદ્ધિઓ દૂર થઈ જશે.
- ગોલ્ડન, સિલ્વર જેવા પાકા કે ટયૂબ કલરનો ઉપયોગ ટાળવો. કારણ, આવા પાકા રંગોમાં સૌથી વધારે નુકસાનકારક રસાયણો હોય છે જે ત્વચાને ઘણું નુકસાન પહોંચાડે છે.
- ધુળેટી શબ્દ બોલતાં જ રંગબેરંગી ચહેરાઓ આંખ સામે આવી જાય, ક્યારેક ઘણા સમય સુધી ચહેરા પર ચોટી રહેલા રંગનો અનુભવ યાદ આવી જાય એવું પણ બને. કલરથી રમતી વખતે ત્વચા ઉપર એલર્જી કે કેમિકલ રિએક્શન ન થાય અને ત્વચા ઉપરથી કલરને કેવી રીતે દૂર કરી શકાય તેની વિગતો જાણી લો
- એકવાર એવું થાય કે ક્રીમ કે તેલ લગાવવા છતાં સ્નાન કર્યા બાદ રંગ જતો નથી, આ માટે રંગ લાગેલા ભાગોને વ્યવસ્થિત ધોવા ત્યાર બાદ પલાળેલી મુલતાની માટીને તે ભાગ પર લગાવી દો. સુકાઈ જાય ત્યાર પછી ગરમ પાણીથી વ્યવસ્થિત રીતે સ્નાન કરવાથી રંગો ઘણા અંશે ઓછા થઈ જશે. આ ઉપરાંત બેસન, તેલ અને મલાઈને સાથે ભેળવીને લગાવવાથી પણ રંગો થોડા ઓછા થઈ જશે.
- વાળમાં પણ રંગોની કેમિકલ અસર થતી હોય છે તે કારણે દહીંની અંદર લીંબુનો રસ ભેળવીને તેને વાળમાં લગાવવાથી વાળમાં શુષ્કતા ઓછી રહેશે.
- સ્નાન કર્યા બાદ પણ શરીર પણ બોડીલોશન કે ક્રીમ લગાવવું જોઈએ.
- કેટલાક લોકો કેરોસીન કે પેટ્રોલ વડે રંગો સાફ કરતા હોય છે, પરંતુ તેવું કરવા કરતાં બે ચમચી ઝિંક ઓક્સાઈડમાં દિવેલ ભેળવીને તેને પરૂ વડે કલરવાળા ભાગો પર ૧૦ થી ૧૫ મિનિટ ઘસો જેથી રંગ ઊતરી જશે.
- હોળી પછી પણ ત્વચા ઘણા દિવસો સુધી ડ્રાય રહે છે, આ માટે દરરોજ ક્રીમ કે લોશન દિવસમાં બે વાર લગાવવું અને વાળની ડ્રાયનેસ ઓછી કરવા કોકોનટ ઓઈલ કે બદામનું ઓઈલ લગાવો.
- અનિતા


