ગૃહિણીઓ ખાધતેલ અને કોલેસ્ટ્રોલ વચ્ચેની કડી પારખી લે
- શીંગતેલને 'પૌષ્ટિકતાની ટૂંકી આવૃત્તિ' કહે છે. પ્રત્યેક શીંગની મીંજમાં શક્તિનો અખૂટ ભંડાર રહ્યો છે તેમાં ૨૬ ટકા પ્રોટીન, નીઆસીન, થીઆનમ, વિટામિન ઇ, મેગોશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કાર્બો હાયડેટસ અનસેચ્યુરેટેડ ચરબી અને મહત્ત્વનું લક્ષણ કોલેસ્ટ્રોલની ગેરહાજરી છે.
મગફળીનો નવો પાક બજારમાં આવતાં જ તેલ ભરવાની સિઝન શરૂ થશે. જો કે આજકાલ કેટલીક મહિલાઓ શીંગતેલના બદલે અન્ય પ્રકારના ઓછી ચરબીયુક્ત તેલ ખાવાનું પસંદ કરે છે. પરંતુ પ્રશ્ન એ છે કે સર્વ પ્રકારના ખાદ્યપદાર્થો માટે ઉત્તમ તેલ ક્યું છે ? જાહેરખબરના આ યુગમાં બધી જ કંપનીઓ પોતાના ઉત્પાદનને સર્વશ્રેષ્ઠ, તંદુરસ્તી માટે અનિવાર્ય અને શુધ્ધ ગણાવે છે. બજારમાં ખરીદી કરવા જનાર ગ્રાહક જુદી જુદી કંપનીઓના ઉત્પાદનોની વચ્ચે આમ પણ મૂંઝાતો હોય છે. તેમાંય મગજ ચકરાવે ચડી જાય તેવી ભરમાવી જાહેરખબરો પોતાના ઉત્પાદનની વિશિષ્ટતા અને શ્રેષ્ઠતા પૂરવાર કરવા માટે કોઈ ડોક્ટરનું પ્રમાણપત્ર દર્શાવે છે. 'સમગ્ર કુટુંબ સ્વાસ્થ્ય માટે એક જ ઉપાય 'ફલાણું' તેલ તેલના 'ઉચ્ચ પોલીન સેરયુરેટ તત્વ' અને કોલેસ્ટ્રોલ ઘટવાની શક્તિ વિશે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ આમ સર્વસામાન્ય રીતે વપરાતી તબીબી પરિભાષાઓ વિશે આપણી પાસે કેટલી જાણકારી છે ? તેમ જ પોતાના ઉત્પાદનના વેચાણ માટે 'તબીબી સલાહ'નો ભ્રમ ઉત્પન્ન કરવો નૈતિકવ્યાવહારિક રીતે કેટલું વ્યાજબી છે ?
નવેમ્બર ૯૯ના 'ટાઇમ્સ ઇન્ટરનેશનલ'માં કોલેસ્ટ્રોલ અને ખાદ્યતેલ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરતો ડેવિડ બ્રાન્ડનો લેખ પ્રગટ થયો હતો. 'જીવનના અમૃતની શોધ' આ લેખમાં કોલેસ્ટ્રોલ વિશેનો ઊંડો અભ્યાસ એમાં દર્શાવ્યો હતો. એ લેખમાંથી થોડી રસપ્રદ માહિતી અહી ંલીધી છે.
જે ખોરાક આપણે ખાઈએ છીએ તેમાંથી દ્રવ્ય કે પદાર્થ લોહીમાં પણ ભળે છે, જેનાથી લોહીના 'લો-ડેન્સીટી લીપો પ્રોટીન્સ' (એલ.ડી.એલ.) નામના ઘટક તત્વોને નુકસાન થાય છે. આ ઘટક તત્વો વધારાના કોલેસ્ટ્રોલને આપણી ધમનીઓમાં શીરાઓમાં જમા કરે છે. લોહીના અન્ય ઘટક તત્વો 'હાય-ડેન્સીટી લીપો પ્રોટીન્સ' એચ. ડી. એલ. છે, જે કોલેસ્ટ્રોલ માટે સારા મનાય છે, કારણ કે હૃદય રોગના નિવારણ માટે આ ઘટક તત્વો મુખ્ય ભાગ ભજવે છે. લોહીમાંના વધારાના કોલેસ્ટ્રોલને ચૂસી લઈને વેક્યુમ ક્લીનરની જેમ લોહીના પ્રવાહને શુધ્ધ કરે છે.
આપણા લોહીમાં કોલેસ્ટ્રોલ બે રીતે આવે છે. એક શરીરના કોષ દ્વારા કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. તેમજ આપણા અન્નમાંના માખણ, ઘી, ચીઝ, જેવા ચરબીયુક્ત તત્વોમાંથી પણ કોલેસ્ટ્રોલ ઉત્પન થાય છે. એલ. ડી. એલ. અને એચડી. એલ. બંને તત્વો અંગેના સંશોધન પછી એ નિષ્કર્ષ નીકળ્યું છે કે સમગ્રરૂપે કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચુ લાવવા કરતાં એચ. ડી. એલનું પ્રમાણ વધારવાની પ્રક્રિયા વધુ મુશ્કેલ છે. આથી, આપણી ખાનપાનની રીતમાં જ એ પ્રમાણે સુધારો કરવો રહ્યો કે જેથી એ બંને વચ્ચેની સમતુલા જળવાઈ રહે.
પ્રચારાત્મક રૂપે જે માન્યતા ફેલાવવામાં આવે છે તેમ સૂર્યમૂખી મકાઈ અને સોયાબીનના તેલમાંના પોલીન સેચ્યુરટ તંદુરસ્ત હૃદય માટેનો ઉપાય નથી. વાસ્તવમાં, ડોક્ટરને એવું પણ પ્રમાણ મળ્યું છે કે પોલીન સેચ્યુરેટ શરીરની 'ઇમ્યુન સિસ્ટમ' (રોગપ્રતિકાર શક્તિ) ઘટાડે છે. આથી આ ભય જેમાં ન હોય અને સમગ્ર રીતે કોલેસ્ટ્રોલને ઘટાડે એવાં શીંગ તેલ અને ઑલીવ તેલ જેમાં મૉનો સેચ્યુરેટ છે, તેના વધુ વપરાશની ડોક્ટરો સલાહ આપે છે. પશ્ચિમના દેશોમાં ઇટાલી એક એવો દેશ છે જ્યાં ઑલીવનું તેલ રોજની વપરાશની વસ્તુ છે. ત્યાં હૃદય રોગનું પ્રમાણ સૌથી ઓછું છે. આનું કારણ તેમના રોજિંદા ખોરાકમાંનું ઓછંગ કોલેસ્ટ્રોલ તત્વ અને ચરબીતત્વ છે.
તાજેતરનું શીંગતેલનું સંશોધન એને અન્ય તેલોની સરખામણીમાં વિશિષ્ટ બનાવે છે. આ અભ્યાસ પ્રમાણે, રિફાઈન્ડ શીંગતેલ સૌથી વધુ પચાવી શકાય એવું ચરબી તત્વ ધરાવે છે. એની પાચનશક્તિ ૯૮.૩ ટકા છે, જેલો-કેલેરી અને લો-કોલેસ્ટ્રોલના પથ્ય આહાર માટે સૂચવવામાં આવે છે. તેમાં કુદરતી સ્થિરતા ચે જેને કારણે તે જલદી ખોરું પણ નથી થતું. આજના પથ્યાપથ્ય માટે સભાન લોકો માટે શીંગતેલનું મહત્ત્વનું લક્ષણ છે કે ખાદ્યપદાર્થની 'કેલેરી કન્ટેન્ટ' ઓછી કરે છે.
શીંગતેલને 'પૌષ્ટિકતાની ટૂંકી આવૃત્તિ' કહે છે. પ્રત્યેક શીંગની મીંજમાં શક્તિનો અખૂટ ભંડાર રહ્યો છે. ૨૬ ટકા પ્રોટીન, નીઆસીન, થીઆનમ, વિટામિન ઈ, મેગોશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કાર્બો હાયડેટસ અને સેચ્યુરેટેડ ચરબી અને મહત્ત્વનું લક્ષણ કોલેસ્ટ્રોલની ગેરહાજરી એકાદ દસકા પહેલાં જે માન્યતા પ્રવર્તતી હતી કે ફક્ત મકાઈ, સનફ્લાવર અને સોયાબીન તેલની પોલીન સેચ્યુરેટેડ ચરબી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. પણ પ્રાણીઓ પર કરેલા પ્રયોગો પરથી જાણવા મળ્યું છે કે તેનાથી પ્રતિકારશક્તિ ઘટે છે. આથી હવે કોલેસ્ટ્રોલ નીચું લાવવા શીંગ અને ઓલીવ તેલના મોનોસેચ્યુરેટ્સ તરફનો ઝુકાવ વધી રહ્યો છે. ગ્રાહક આ સમસ્યા કઈ રીતે હલ કરશે ? 'કોલેસ્ટ્રોલ મુક્ત' જાહેર ખબરોથી વેચાતા તેલ કેટલી હદે આરોગ્યપ્રદ છે ? કોલેસ્ટ્રોલ તત્વ નીચું લાવવા માટે સિગારેટ ન પીવી, રોજના ખાનપાનની આદતોમાં મૂળભૂત સુધારા કરવા વગેરેની પણ જરૂર છે. એનાથી હૃદય રોગના ભયથી પણ છૂટકારો મળે છે. બુદ્ધિયુક્ત ખરીદી કરવા માટે જાહેરખબરોને બદલે પદાર્થ અને આરોગ્યના સંબંધની યોગ્ય જાણકારી મેળવી લેવીએ આજના યુગની અનિવાર્યતા છે.