Get The App

આરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ

- ડિપ્રેશન અને ઉપાય .

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News
આરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ 1 - image


કોરોનાની મહામારીની સાથે સાથે લોકડાઉનનાં કારણે તથા એક ભયનાં કારણે પણ આજકાલ ડિપ્રેશન-નિરાશા વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. ડિપ્રેશન અને ''નિરાશા''માં રહેવાથી શરીરની ઇમ્યુનસીસ્ટમ ડીસ્ટર્બ થાય છે. અને શરીરની ઇમ્યુનીટી ઘટવાથી કોઈ સંક્રમણ રોગનો ભોગ ખૂબ ઝડપથી બની જાય છે.

આ ઉપરાંત પણ સતત દોડધામભરી જિંદગીમાં માનવી સતત એક પ્રકારનો તનાવ અનુભવે છે. સતત વધુ પડતી ચિંતા, અશાંતિ, હતાશા, અનિંદ્રા વગેરેમાંથી ડિપ્રેશનનો જન્મ થાય છે. ડિપ્રેશનનો વધુ સામાન્ય અર્થ કરવો હોય તો તે 'નિરાશા' છે. જે વ્યક્તિઓ સ્વભાવથી વધુ સંવેદનશીલ હોય તે આ વ્યાધિનો ભોગ ઝડપથી બની જતા હોય છે.

અત્યારે હમણાં વીતેલા લોકડાઉન અને કોરોનાનાં સતત ભયનાં કારણે લોકો ખાસા ડિપ્રેશનનો ભોગ બનેલાં. આ સિવાય પણ વ્યક્તિના જીવનમાં જ્યારે કોઈ દુ:ખદ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તે પરિસ્થિતિનાં કારણે વ્યક્તિ તીવ્ર દુ:ખ કે ખિન્નતામાં ડૂબી જાય છે. 

પ્રિયજનનું મરણ, વ્યવસાયમાં ભારે નુકશાન, પ્રેમમાં નિષ્ફળતા, ગંભીર શારીરિક બિમારી, પરીક્ષામાં નિષ્ફળતા, અકસ્માત આ કે આવાં બીજા કોઇપણ કારણોસર મનમાં જ્યારે ખૂબ દુ:ખ કે નિરાશા ઉત્પન્ન થાય છે, અને આ નિરાશા જ્યારે લાંબા સમય સુધી રહે ત્યારે વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બને છે. ઘણીવાર આ અવસ્થાનાં ગાળા વારંવાર આવતા પણ રહે છે. ડિપ્રેશનનો શિકાર બનેલી વ્યક્તિનાં જીવનમાં ખિન્નતા, ઉદાસીનતા, નિરાશા, ક્રોધ, ઉત્સાહ શૂન્યતા, અભિરુચિનો અભાવ, બિનઉપયોગીતાની લાગણી, વધારે પડતી ચિંતા, શંકાશીલ સ્વભાવ, આત્મવિશ્વાસનો અભાવ વગેરે લક્ષણો જોવા મળે છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ આ રોગનો શિકાર ઝડપથી બને છે.

ક્ષીણમનોબળવાળી વ્યક્તિઓમાં ડિપ્રેશન વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને બાહ્ય પરિબળો દેખીતી રીતે પ્રતિકૂળ હોવા છતાં શક્તિવાન-માનસિક મનોબળ મજબૂત ધરાવતી વ્યક્તિઓમાં ડિપ્રેશન ભાગ્યે જ જોવા મળે છે. 

આમ બનવાનું કારણ એ જ છે કે, પ્રાણવાન વ્યક્તિને જીવનશક્તિની ખેંચ પડતી નથી. તેથી જીવનશક્તિનાં અભાવમાં અનુભવાતો ડિપ્રેશનનો અનુભવ તેમનાં જીવનમાં સ્થાન લઈ શકતો નથી. ડિપ્રેશનની ચિકિત્સા એલોપેથીમાં મનોવૈજ્ઞાાનિકો દવાઓ તેમજ મનોવિશ્લેષણ પરામર્શ વગેરે દ્વારા સારવાર કરે છે. પરંતુ આયુર્વેદમાં ડિપ્રેશનની અકસીર સારવાર છે. અને આ દવાઓ લાંબા સમય સુધી ચાલુ રાખવાથી પણ કોઈ નુકશાન થતું નથી.

સૌ પ્રથમ તો મનને ખૂબ મજબૂત બનાવો. પરિસ્થિતિ હંમેશાં બદલાવાળી હોય છે. અને કોઈ પણ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી. આ વાક્ય જીવનમાં ઉતારી દેવાથી કોઈ પણ પ્રકારનાં દુ:ખનો સામનો કરવાની નૈતિક હિંમત પ્રાપ્ત થાય છે.

જીવનમાં સંતોષને સ્થાન આપો તથા ખોટી ખોટી ચિંતાઓ ન કરો. હંમેશાં હકારાત્મક અભિગમ અપનાઓ, તથા હાસ્યને જીવનમાં પ્રાધાન્ય આપો. ટી.વી. પર હાસ્ય રેલાવતી ધારાવાહિકો જોવાની ટેવ પાડો.

આ ઉપરાંત આયુર્વેદમાં પ્રાણાયામ અને ધ્યાનને ડિપ્રેશન માટે સૌથી ઉત્તમ માનેલાં છે. દરરોજ ૨૦થી ૨૫ મિનિટ અનુલોભ-વિલોમ પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ તથા અડધો કલાક મેડીટેશન કરો. આમ કરવાથી તમે તમારા વિચારો પર ખૂબ ઝડપથી કાબૂ મેળવી શકો છો. ધ્યાન અને પ્રાણાયામ નિયમિતરૂપથી કરવાથી ડિપ્રેશનનાં દર્દીને આ બિમારી દૂર કરવામાં ખૂબ સહાયતા પ્રાપ્ત થાય છે. તેમાં શંકાને સ્થાન નથી.

આ સિવાય આયુર્વેદમાં બતાવેલી શિરોધારા ટ્રીટમેન્ટથી પણ આ બિમારીમાં ઘણું જ સારું પરિણામ મળે છે. શિરોધારામાં મગજને શાંત કરનારા ઔષધસિદ્ધ તેલની ધારા માથા ઉપર પાડવામાં આવે છે. જેથી રક્તનું પરિભ્રમણ પણ ખૂબ વધે છે, અને મગજમાં શાંતિનો અનુભવ થાય છે, તથા નિંદ્રા પણ સરળ રીતે આવી જાય છે.

આ ઉપરાંત આયુર્વેદમાં બ્રાહ્મીવટી, બૃહદ-કસ્તૂરી ભૈરવ રસ, સારસ્વત ચૂર્ણ, બ્રાહ્મીચૂર્ણ વગેરે ઔષધોનું સેવન કરવાનું વિધાન કરેલ છે. જે નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ કરવામાં આવે તો ચોક્કસ ફાયદો કરે છે. આ ઉપરાંત બ્રાહ્મીધૃત ૧ ચમચી દૂધ સાથે નિયમિત લેવું.

ઉપરોક્ત યોગ અને ઔષધોપચાર દ્વારા નિ:શંકપણે ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવી શકાય છે. 

Tags :