સહિયર સમીક્ષા .
- મેં મારી પ્રેમિકા સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન મેં નિરોધનો વપરાશ કર્યો નહોતો. તેને માસિક આવ્યું નથી. શું તે ગર્ભવતી હોઇ શકે છે?
* હું ૨૫ વર્ષની હિંદુ યુવતી છું. મને ૩૦ વર્ષના એક શીખ યુવક સાથે પ્રેમ છે. તે પણ મને પ્રેમ કરે છે. અમે બંને લગ્ન કરવા માગીએ છીએ. પરંતુ અમારા પરિવારો આ સાથે સંમંત નથી. તેમનું કહેવું છે કે આ કારણે અમારા બંનેની નાની બહેનોને પરણવામાં મુશ્કેલી થશે એમ તેમનું કહેવું છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (સુરત)
* વર્ષો પૂર્વે તમારા માતા-પિતાનો આ ડર બરાબર હતો. પરંતુ હવે જમાનો બદલાયો છે. આજે આંતરજ્ઞાાતિય અને આંતરધર્મિય લગ્નો સામાન્ય છે. અને હવે લોકો આ બાબતને વધુ મહત્વ આપતા નથી. આથી તમારી બહેનોના લગ્નમાં કોઇ વાંધો આવશે નહીં. તમારે તમારા પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવો જોઇએ. પરિવારના કોઇ સમજુ સભ્યને મધ્યસ્થી કરવાનું કહી તમે તમારો માર્ગ આસાન બનાવી શકો છો. તમે બંને મક્કમ હશો તો જરૂર તમારા પરિવારો લગ્ન કરવાની મંજુરી આપશે. એક વાત ધ્યાનમાં રાખજો કે લગ્ન વડીલોની સંમતીથી થાય એવો જ માર્ગ અપનાવજો.
* હું ૨૫ વર્ષનો છું. થોડા સપ્તાહ પૂર્વે મેં મારી પ્રેમિકા સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન મેં નિરોધનો વપરાશ કર્યો નહોતો. પરંતુ વીર્ય બહાર કાઢ્યું હતું. તેને માસિક આવ્યું નથી. શું તે ગર્ભવતી હોઇ શકે છે?
એક યુવક (ગોધરા)
* તમે યોનિની નજીક વીર્ય સ્ખલન કર્યું હોય તો પણ કેટલાક શુક્રાણુઓ તેની યોનિમાં દાખલ થયા હોય તો તેને ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ કેટલીક વાર ટેન્શન કે બીજા કોઇ અન્ય કારણસર માસિક મોડું આવી શકે છે. પરંતુ જોખમથી બચવા તમારે કોઇ ગાયનેકની સલાહ લેવાની જરૂર છે. સેક્સ દરમિયાન ગર્ભનિરોધક સાધન વાપરવાનું ધ્યાન રાખો. પરંતુ લગ્ન પૂર્વે સેક્સ બાંધતા પૂર્વે સામે આવનાર જોખમોનો વિચાર કરી લગ્ન સુધી રાહ જોવામાં જ તમારી ભલાઇ છે.
* મારા માતા પિતાએ મારા લગ્ન નાની ઉંમરમાં કરી નાખ્યા હતા. આથી ૧૯ વર્ષની હોવા છતાં હું એક સંતાનની માતા છું. મારી ઉંમરની છોકરીઓને ભણતા અને મોજમજા કરતી જોઇને મને ઘણું ડિપ્રેશન રહે છે. મારે તલાક લઇને આગળ અભ્યાસ કરવો છે. અને મસ્ત જિંદગી માણવી છે. પરંતુ મારા પતિ મને ઘણો પ્રેમ કરે છે અને મને ક્યારે પણ દુ:ખ પહોંચાડતા નથી. તો મારે શું કરવું
એક યુવતી (સંજાણ)
* ડુંગર દૂરથી જ રળિયામણા લાગે છે. તમારી બહેનપણીઓને તમારા સુખી જીવનની ઇર્ષા થતી હશે. આવી શુલ્લક બાબતને કારણે તમારો સંસાર બગાડો નહીં. તમે પણ ઘરે બેસી તમારો અભ્યાસ ચાલુ રાખી શકો છો. તમારો ફાજલ સમય કોઇ સારા કામમાં વાપરો. તમારો પરિવાર જ તમારે માટે મહત્વનો છે. આવતી કાલે તમારી બહેનપણીઓ પણ પરણી જશે. ત્યારે તમારું સંતાન મોટું થઇ ગયું હોવાથી તમારી જવાબદારી થોડી ઓછી થઇ જશે. જ્યારે તેમની જવાબદારી વધી જશે. દરેક વસ્તુની પોઝિટીવ બાજુ જોવાનું શીખશો તો જ તમે સુખી થશો.
* હું ૨૦ વર્ષની છું. મારો પ્રિયકર ઇચ્છે છે કે લગ્ન પછી હું ઘર સંભાળું. પરંતુ હું ભણેલી છું અને મારે મારી કારકિર્દી બનાવવી છે. માટે શું કરવું તે જણાવવા વિનંતી.
એક યુવતી (વડોદરા)
* લગ્ન પૂર્વે તમે આ મુદ્દાનું સમાધાન શોધી લો. તમારા પ્રેમીને સમજાવો કે લગ્ન પછી તમારી કારકિર્દીની અસર તમારા ગૃહસ્થી જીવન પર નહીં પડે. તમે સંતાનો ન થાય ત્યા સુધી નોકરી કરી શકો છો. ત્યાર પછી થોડો બ્રેક લઇ સંતાનો સમજણા થાય પછી ફરી નોકરી શરૂ કરી શકો છો. આ દરમિયાન તમે ઘર બેઠા કોઇ કામ કરી શકો છો. પરંતુ તમે વધુ પડતા મહત્વાકાંક્ષી હો તો ગંભીર વિચાર કર્યાં પછી જ લગ્ન કરવાનો નિર્ણય લો. લગ્ન પછી મન દુ:ખ થાય એના કરતા હમણા જ સંબંધનો અંત લાવવામાં જ તમારા બંનેની ભલાઇ છે.
- નયના