સહિયર સમીક્ષા .
- હું 10 વર્ષથી એક યુવકના પ્રેમમાં છું. હમણા જ અમે રજિસ્ટર મેરેજ કર્યાં છે. પરંતુ ઘરવાળાના ડરને કારણે આ વાત અમે ગુપ્ત રાખી છે.
* મારો પુત્ર પાંચ વર્ષનો છે અને તેને કરમની સમસ્યા છે. દવાઓથી ફાયદો થતો નથી. રાતના સૂતી વખતે તેને ઘણી ખંજવાળ આવે છે અને તે સૂઈ શકતો નથી. યોગ્ય સમાધાન દેખાડવા વિનંતી.
એક બહેન (નડિયાદ)
* થ્રેડવર્મના કીડા આંતરડામાં રહે છે. રાત્રે તે ગુદામાર્ગથી બહાર નીકળીને આસપાસની ચામડી પર ઇંડા મૂકે છે. આ કારણે ઘણી ખંજવાળ આવે છે અને ખંજવાળતી વખતે બાળકના નખમાં અટકી જાય છે અને ખાતી વખતે ફરી પેટમાં જતા રહે છે આથી દવા કામ કરતી નથી. તમારા પુત્રના નખ વ્યવસ્થિત કાપ્યા કરો અને બાળ રોગના કોઈ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરો. ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય દવા લેવાથી બધુ ઠીક થઈ જશે.
* ઘણા વર્ષોથી પગના તળિયા પર મને ગાંઠ થઈ જાય છે. એકાદ-બે વાર તો ઓપરેશનથી દૂર કરી, પરંતુ પાછી ઉભરી આવે છે. આ કારણે હું ઘણી પરેશાન છું. યોગ્ય ઇલાજ દેખાડશો.
એક બહેન (જામનગર)
* ડોક્ટરનું કામ ડોક્ટરને જ કરવા દઈએ એમા જ ભલાઈ છે. અમે ડોક્ટર ન હોવાથી ઇલાજ દેખાડી શકીએ તેમ નથી. પરંતુ એટલું કહી શકીએ છીએ કે પગના તળિયા અને આંગળીઓ પર થતી ગાંઠને કોર્ન કહે છે અને જૂતા જરૂરથી વધુ સખત કે તંગ હોય તો આ સમસ્યા ઊભી થાય છે. આ કારણ હોય તો તમારે યોગ્ય માપના ચંપલ ખરીદવાની જરૂર છે. આ ઉપરાંત વજન વધારે હોય તો એ પણ ઘટાડો. તેમ જ ઊંચી એડીવાળા જૂતા પહેરવાથી પણ કોર્ન થાય છે. કોઈ વાર પગનું હાડકું વધી જવાને કારણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તમારે કોઈ ઓર્થોપેડિક ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે.
* હું ૨૨ વર્ષની છું. ૧૦ વર્ષથી હું એક યુવકના પ્રેમમાં છું. હમણા જ અમે રજિસ્ટર મેરેજ કર્યાં છે. પરંતુ ઘરવાળાના ડરને કારણે આ વાત અમે ગુપ્ત રાખી છે. જોકે અમારી મુલાકાત પર અમારા પરિવારની કોઈ રોકટોક નથી. પરંતુ એને એકાંતમાં મળતા મને ડર લાગે છે. આ કારણથી તે મારાથી દૂર જતો રહે છે. શું કરવું એ મને સમજાતું નથી.
એક યુવતી (મુંબઈ)
* માતા-પિતાની મરજીથી વિરુદ્ધ લગ્ન કરનારાઓને આવી સમસ્યા સહન કરવી પડે છે. તમે હવે પ્રેમી-પ્રેમિકા નહીં પરંતુ પતિ-પત્ની પણ છો આથી તમારે તમારો ઘર સંસાર વસાવવા વિશે પણ વિચાર કરવો જોઈએ. પહેલાં આત્મનિર્ભર બનીને ઘરની વ્યવસ્થા કરીને તમારા માતા-પિતાને તમારા લગ્નની જાણ કરો. તેઓ આનો સ્વીકાર કરે તો ઠીક છે. અન્યથા તમારો પતિની સાથે રહેવાનું શરૂ કરવું જ પડશે. પરંતુ માતા-પિતાના ઘરના દરવાજા પણ તમારે માટે ખુલ્લા રાખો. બંને કોઈ નોકરી કે વ્યવસાય કરી પગભર થશો તો તમારો ડર આપોઆપ દૂર થઈ જશે. માતા-પિતાને જણાવ્યા વગર લગ્ન કરવાની તમે ભૂલ કરી છે. પરંતુ હવે એ ભૂલ સુધારી શકાય તેમ નથી.
* મારા પતિના એક મિત્ર નિયમિત અમારે ઘરે આવે છે. તેઓ મારી સાથે મૈત્રી બાંધવા માગે છે. તેમણે મારી સામે આ ઇચ્છા વ્યક્ત કરી છે. મારી સાથે વિવિધ વિષય પર વાતચીત કરી શકે તેમ જ દુ:ખ દર્દમાં ભાગીદાર બની શકે. એવા એક મિત્રની પણ મારે જરૂર છે તો શું તેમની સાથે દોસ્તી બાંધવી એ ઉચિત છે? એનાથી મારા વૈવાહિક જીવન પર આવળી અસર પડવાની શક્યતા છે?
એક બહેન (વલસાડ)
* જોવા જઈએ તો તેમની સાથે દોસ્તી કરીને તમારા જીવનના ઊતાર-ચઢાવ વિશે ચર્ચા કરવામાં કોઈ નુકસાન નથી. પરંતુ સાથે સાથે તમારા પતિના આ મિત્રનો દોસ્તી પાછળનો ઇરાદો શું છે એ જાણવું પણ જરૂરી છે. આ દોસ્તી આગળ જતા ગંભીર બની શકે છે અને પતિની ગેરહાજરીમાં તેઓ તમારે ઘરે આવ્યા કરશે તો તમારા પતિને શંકા જવાની પણ શક્યતા છે. શું તમારી દોસ્તી નિર્દોષ રહી શકશે? બધા જ પાસા પર વિચાર કરીને નિર્ણય લેવાની જરૂર છે.
* અમારા લગ્નને આઠ વરસ થયા છે. અમારું લગ્નજીવન સુખી છે પરંતુ અમને સંતાન નથી. મારા પતિ એકમાત્ર સંતાન હોવાથી વંશ આગળ વધે એ માટે મારા સાસુ-સસરા તેમના બીજા લગ્ન કરાવવા માગે છે. મારા પતિ મને ઘણો પ્રેમ કરે છે. આ કારણે ઘરનં વાતાવરણ બગડી ગયું છે. મારે શું કરવું?
એક બહેન (ગુજરાત)
* સંતાન ન થવા બદલ તમારા પતિમાં પણ ખામી હોઈ શકે છે. આથી શક્ય છે કે બીજા લગ્ન પછી પણ સમસ્યા આ જ રહે. વંશ વૃદ્ધિ માટે લગ્ન કરવા એ કાનૂની અપરાધ છે. તમારા પતિ તમને પ્રેમ કરતા હશે તો તેઓ તેમના માતા-પિતાની આ ઇચ્છાને વશ થશે નહીં. આ ઉપરાંત કોઈ ઇન્ફર્ટિલિટી નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈને યોગ્ય ટેસ્ટ કરાવી સંતાન ન થવાનું કારણ શોધ્યો. ઘણી વાર ટેસ્ટ પછી યોગ્ય કારણ જાણી ડોક્ટરો તેનો ઉપચાર કરી શકે છે. આ ઉપરાંત ડોક્ટર તમને બીજા વિકલ્પો પણ દેખાડશે.
- નયના