Get The App

સહિયર સમીક્ષા .

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image

- છેલ્લા 10 મહિનાથી મને એક યુવક સાથે પ્રેમ છે. તે મુંબઇમાં નોકરી કરે છે. તેની ઉંમર 21 વર્ષની છે. પરંતુ તે હમણા લગ્ન કરવા માગતો નથી. 

અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. હજુ સુધી અમને સંતાન નથી. મહેરબાની કરીને મને કોઇ હોમિયોપથી ઇલાજ બતાડશો. કયા દિવસો દરમિયાન સંબંધ બાંધવાથી ગર્ભવતી બનાય છે? મારા પતિ ત્રણ વર્ષ માટે દુબઇ જવાના છે આથી મારી પાસે ઘણા ઓછા દિવસો છે. ઓલ્યુલેશન કિટ વિશે પણ માહિતી આપશો. હું ૩૧ વર્ષની છું અને મને માસિક પણ નિયમિત આવે છે. અમને કોઇ પણ જાતની બીમારી નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.

એક બહેન (મુંબઇ)

* આ બાબતે ઉતાવળ થઇ શકે તેમ નથી. હોમિયોપથી ઇલાજ આમ થઇ શકે નહીં એ માટે તમારે કોઇ નિષ્ણાત હોમિયોપથની સલાહ લેવી પડે. ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો. હોમિયોપથીના ઇલાજમાં ડૉક્ટર તમારો તબીબી ઇતિહાસ જાણ્યા પછી જ દવા આપે છે. ડૉક્ટરોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી જાય પછી પહેલું અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા અઠવાડિયે સમાગમ કરવાથી ગર્ભધારણ કરવાની શક્યતા વધી જાય છે. પરંતુ આની કોઇ ગેરન્ટી નથી. ઇંડુ નીકળવાનો સમય સોનોગ્રાફી દ્વારા જાણી શકાય છે.

હું ૧૯ વરસની છું. મારા માતા-પિતા નવસારી રહે છે. પરંતુ હું વડોદરા યુનિવર્સિટીમાં ભણું છું. અને હૉસ્ટેલમાં રહું છું. છેલ્લા ૧૦ મહિનાથી મને એક યુવક સાથે પ્રેમ છે. તે મુંબઇમાં નોકરી કરે છે. તેની ઉંમર ૨૧ વર્ષની છે. પરંતુ તે હમણા લગ્ન કરવા માગતો નથી. તેને થોડા સમયની જરૂર છે. આ કારણ મને ઘણી ચિંતા થાય છે. શું તે મારી બાબતે ગંભીર હશે કે નહીં એ પ્રશ્ન પણ મને મૂંઝવે છે.

એક યુવતી (વડોદરા)

* શાંતિ રાખો. હજુ તમારા બંનેની ઉંમર ઘણી નાની છે. લગ્ન માટે સમયની જરૂર હોવાનો તમારા પ્રેમીનો આગ્રહ વાજબી છે. આ ઉંમર હજુ નાદાન છે. લગ્ન જેવો મહત્ત્વનો નિર્ણય હમણા લેવાય નહીં. સૌ પ્રથમ તો તમે તમારો અભ્યાસ પૂરો કરો અને સારી કારકિર્દી બનાવવાનું વિચારો. આજે સ્ત્રીઓએ પણ પગભર બનવાની જરૂર છે. આથી હમણા ચિંતા અને મૂંઝવણ છોડી દો. તમારી પાસે હજુ ઘણો સમય છે.

હું ૨૯ વર્ષનો છું. બે મહિના પછી મારા લગ્ન છે. છેલ્લા ૧૨ વર્ષથી મને હસ્તમૈથુન કરવાની આદત છે. મારે એ જાણવું છે કે મારી આ આદતને કારણે શુક્રાણુમાં કોઇ કમી આવી શકે ખરી? સંતાન પેદા કરવામાં કોઇ મુશ્કેલી થાય ખરી?

એક ભાઇ (ગુજરાત)

* હસ્તમૈથુન કરવાથી શુક્રાણુમાં કોઇ કમી આવતી નથી. તેમજ નબળાઇ પણ લાગતી નથી. મૈથુન અને હસ્તમૈથુનમાં ખાસ ફેર નથી. આ ઉપરાંત હસ્તમૈથુન કરવાને કારણે સંતાન પેદા કરવામાં પણ કોઇ વાંધો આવતો નથી. હસ્ત મૈથુન એ શરીરનો આવેગ દૂર કરવાનો એક વિકલ્પ છે. અને આમ પણ પુરુષના શરીરમાં વીર્ય ચોવીસ કલાક બને છે અને બહાર કાઢવામાં આવે નહીં તો સ્વપ્ન દોષથી આપોઆપ નીકળી જાય છે. વીર્યના પ્રમાણ અને જાતીય શક્તિને કોઇ સીધો સંબંધ નથી.

હું ૨૮ વરસનો છું. એક યુવતી સાથે મને પ્રેમ હતો. પરંતુ મારા માતા-પિતાના દબાણને વશ થઇ મારે તેમની પસંદની યુવતી સાથે લગ્ન કરવા પડયા હતા. પરંતુ હું મારી પત્ની સાથે સંબંધ બાંધી શકતો નથી. અને મારી પ્રેમિકા સાથેનો મારો સંબંધ વધુ મજબૂત થતો જાય છે. મારે શું કરવું એ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક ભાઇ (વલસાડ)

* તમારું દુઃખ હું સમજી શકું છું. પરંતુ જીવનમાં ભૂતકાળમાં પાછા ફરીને ભૂલ સુધારવી એ શક્ય નથી. લગ્ન કરીને તમે તમારી પત્નીને ખુશ કરવાનું વચન આપ્યું છે. તમારે તમારા વર્તમાન સાથે અનુકૂળ થવું જોઇએ. તમારે કારણે તમારી નિર્દોષ પત્નીનું જીવન દાવ પર છે. 

મારી સલાહ એ છે કે તમારે તમારી પ્રેમિકાને ભૂલીને તમારા વર્તમાનને સ્વીકારી તમારું લગ્ન જીવન સુધારવાની જરૂર છે. તમારી પ્રેમિકાને પણ યોગ્ય જીવનસાથી શોધીને તેનું ગૃહસ્થી જીવન વિતાવવાની સલાહ આપો. તમારી પત્ની તરફ તમારી નૈતિક ફરજો છે. જેને પૂરી કરવાના પ્રયત્નો કરો. આટલું બધુ થઇ ગયા પછી તમારી પ્રેમિકા સાથેનું લગ્નજીવન સુખી થશે એ વાતની કોઇ ગેરેન્ટી છે ખરી?

 - નયના