- રિલેશનના રિ-લેસન-રવિ ઇલા ભટ્ટ
- મગજમાં રહેલી તમામ મેમરી અને સ્મૃતિઓ પણ તેવા જ છે. તેમાં દુઃખ, પીડા, યાતના, અપમાન, ભય જેવી નકારાત્મક ફાઈલો ડાઉનલોડ કરીને રાખીશું તો આખરે સિસ્ટમ હેંગ થવા લાગશે. મેમરી ફુલ થઈ જવાથી મગજ અને મન યોગ્ય રીતે કામ કરી નહીં શકે. આ સમયે ખરાબ યાદગીઓને, પીડાઓને, દુઃખને અને અણગમતી બાબતોને ડિલિટ મારીને સ્પેસ ખાલી કરવી જ પડશે. આ સ્પેસ ખાલી થશે એટલે રોમાંચ, આનંદ, ઉત્સાહ અને હકારાત્મક લાગણીઓને ફાઈલ માટે આપોઆપ જગ્યા થઈ જશે.
આપણે જ્યારે કોઈપણ બાબત ભુલવાની વાત કરીએ ત્યારે એમ લાગે કે યાર એવું તો નહીં થાય. કોઈ કામ ભુલી જઈએ તો લોચો પડી જાય. ઘણી વખત ખાસ અવસરે જ ખાસ વાત કે પછી ખાસ કામ કે પછી બીજું કંઈ ભુલી જઈએ. આ ઉપરાંત પરીક્ષામાં જવાબો અને મુશ્કેલીમાં અનુભવો ભુલી જતા હોઈએ છીએ ત્યારે પણ સમસ્યા થાય છે. આ એવી બાબતો છે જે ભુલવાથી નુકસાન થવાની શક્યતા છે પણ કેટલીક બાબતો એવી છે જે ભુલી જવાથી વધારે લાભ થાય છે. આપણે દર વખતે ભુલી જઈએ અને તેનું ખરાબ જ પરિણામ ભોવવાનું આવે તેવું નથી. ઘણા તબક્કા એવા છે જેમાં ભુલવાના ફાયદા થયા હોય છે. ક્યારેક આપણે ભુલની સજા ભોગવવી પડે છે તો ક્યારેક આપણે ભુલી જઈને બચી પણ જઈએ છીએ.
ઘણી વખત આપણે કોઈ બાબત ભુલી જવાનો પસ્તાવો પણ કરતા હોઈએ છીએ. ભવિષ્યમાં તેવી ભુલ નહીં કરીએ અને કશું જ નહીં ભુલીએ તેવું નક્કી કરીએ છીએ. આપણે પહેલેથી જ ભુલી જવું એક ગુનો છે તેમ સ્વીકારી લીધું છે. દરેક વખતે દરેક બાબત યાદ રાખવી પણ જરૂરી નથી એ આપણે સમજતા નથી અને કદાચ સમજીએ છીએ તો સ્વીકારતા નથી. કોઈપણ બાબત સાહજિકતાથી ભુલી જવી, પ્રયત્નપૂર્વક ભુલી જવી અને કાળક્રમે ભુલાઈ જવી તે જીવનનો એક ભાગ છે. આપણા જીવનની એક કુદરતી પ્રક્રિયા છે કે આપણે ઘણુંબધું ભુલી જઈએ છીએ.
કુદરતની એક સામાન્ય ઘટના જોઈએ તો હાલમાં ફાગણ પૂરો થયો અને ચૈત્ર મહિનો ચાલે છે. આમ જોઈએ તો વસંતઋતુ ચાલી રહી છે. વસંત આવતા જ વૃક્ષોના તમામ જૂના પાંદડા ખરી જાય છે. ધીમે ધીમે હવે આ વૃક્ષોમાં સમયાંતરે નવી કુંપળો ફુટશે અને નવા પાંદડા, ફુલો અને જેમાં ફળો આવતા હશે તેમાં ફળો આવશે. આ ઘટના કાળક્રમે ચાલતી જ રહે છે. વૃક્ષ ક્યારેય જૂના ખરી ગયેલા પાંદડાનો કે પડી ગયેલા ફુલનો કે તુટી ગયેલા ફળનો શોક કરવા બેસતું નથી. તે કાયમ નવા આવતા વસંતને આવકારવામાં તત્પર અને કાળક્રમનો એક ભાગ હોય તેમ સદાય અલમસ્ત રહે છે.
માણસોએ પણ આ સ્થિતિને સમજવા જેવી છે. જો માત્ર માણસની પોતાની ઉત્ક્રાંતિ વિચારીએ તો પણ તેમાં કાળક્રમે કેટલા લેયર્સ દેખાય તેમ છે. યુગોથી આ ધરતી ઉપર યુદ્ધ થતા આવ્યા છે, નરસંહાર થતા આવ્યા છે અને હાલમાં પણ યુદ્ધ ચાલુ છે. પૃથ્વીના ગર્ભમાં કેટલીય સંસ્કૃતિઓ દટાઈ ગઈ છે અને દરિયાના પેટાળમાં સમાઈ ગઈ છે. તેમાંથી બધું જ શોધાઈ રહ્યું છે છતાં નવું વિકસી રહ્યું છે. હાલમાં દુનિયાભરના ૧૦૦થી વધુ દેશોમાં યુદ્ધ, હિંસા અને ગૃહયુદ્ધની સ્થિતિ છે છતાં સમગ્ર વિશ્વ તેને શાંત પાડવા અને નવી શરૂઆત કરવાના પ્રયાસમાં વ્યસ્ત છે. સૌથી સરળ વાત એટલીજ છે કે, પીડાને ક્યાં સુધી યાદ રાખીને ફરતા રહેવાનું. જ્યાં સુધી તેને ભુલીશું નહીં ત્યાં સુધી તે પીડા યાદ અપાવતી જ રહેશે.
જીવનમાં ઘણી વખત કેટલીક બાબતો યાદ રાખવા કરતા ભુલી જવી વધારે જરૂરી હોય છે. આપણી સાથે થયેલા વિશ્વાસઘાત, આપણું અપમાન, આપણી બાદબાકી, આપણો ડર, આપણી મુશ્કેલીઓ બધું જ ભુલી જવું જોઈએ. તેમાંથી બહાર આવીને જ્યારે નવી ઊર્જા સાથે કામ કરશું ત્યારે નવી શરૂઆત કરી શકીશું. દસ વર્ષ પહેલાં બનેલી ઘટનાને પણ દરરોજ યાદ કરીને રડયા કરવું, વિલાપ કરવો અને તેની પીડામાં પડયા રહેવું કોઈ ઉકેલ નથી. તેનાથી માત્ર માનસિક અને વ્યવહારિક મુશ્કેલીઓ વધશે. હવે તેની ઉપર જૂનાનો જ બોજ એટલો બધો છે તો તે નવું ક્યાંથી અને કેવી રીતે કરી શકશે.
આપણા મન ઉપર કાયમ ભૂતકાળનો બોજ હોય જ છે. આપણે તેને રાખવો કે ઉતારી ફેંકવો તે આપણા હાથમાં છે. સામાન્ય રીતે આપણી ઈચ્છાથી વિપરીત કોઈ ઘટના બને, આપણી કલ્પના બહારનું કોઈ કામ થાય કે પછી કોઈ સ્વજન ગુમાવવાના આવે અથવા તો સંબંધ તૂટી જાય ત્યારે તેની પીડા વધારે હોય છે. મોટાભાગે આપણે લાંબા સમય સુધી આ પીડાને જીવનમાં લઈને ફરતા હોઈએ છીએ. વાર-તહેવાર અને સમયાંતરે આ દુઃખદ ઘટનાઓને સતત યાદ કરતા રહીએ છીએ અને દુઃખી થઈએ છીએ. વર્તમાનના સુખને યાદ કરવાના સ્થાને ભૂતકાળના દુઃખોને વેંઢારીને વધારે હેરાન થઈએ છીએ.


