- થોડા વખત પહેલાં મને મારા મામાની છોકરીના પતિ સાથે પ્રેમ થઇ ગયો હતો. મેં સંબંધ કાપી નાખ્યો, પરંતુ મારા હૃદયમાંથી એમને દૂર કરી શકી નથી.
પ્રશ્ન: હું ૨૩ વર્ષની પરિણીતા છું. અમારાં લગ્નને લગભગ ત્રણ વર્ષ થઇ ગયાં છે. પરંતુ મારો ખોળો હજુ પણ ખાલી છે. અમે બંનેએ અમારી મેડિકલ તપાસ પણ કરાવી છે. મારા પતિના વીર્યની તપાસની સાથે સાથે મારા લોહી, પેશાબ અને એચ.એસ.જી.ની તપાસ કરવામાં આવી, પરંતુ તેમાં કોઇ જ ખામી જણાઇ નથી.
તપાસ પછી ડૉક્ટરને મને ત્રણ મહિના સુધી ક્લીમીફેન સાઇટ્રેટની ૫૦ મિલીગ્રામની ગોળી લેવાની સલાહ આપી અને પછી બીજા બે મહિના તેનું પ્રમાણ વધારીને દરરોજ ૧૦૦ મિલીગ્રામ કરી દેવામાં આવ્યું. સાથે-સાથે બેવાર એચ.સી.જી. ૫૦૦૦ આંતરરાષ્ટ્રીય યુનિટની એક રસી પણ લીધી. તેમ છતાં ગર્ભધારણ ન થયો.
કૃપા કરીને મને જણાવશો કે આ ગોળીઓ અને રસીની ઉપયોગિતા શું છે અને શું મા બનવાનું મારું સપનું પુરું થઇ શકશે? મારી અને મારા પતિની ઉંમરમાં ૧૧ વર્ષનો તફાવત છે. ક્યાંક એ અંતર ગર્ભધારણમાં વિધ્નરૂપ તો નથી બની રહ્યું?ને?
ઉત્તર: ક્લોમીફેન સાઇટ્રેટ બીજગ્રંથિઓમાં બીજાના વિકાસ અને હ્યુમન કોરિઓનિક ગોનેડોટ્રાફિન (એચ.સી.જી.) પરિપક્વ બીજને બીજગ્રંથિઓમાં યોગ્ય સમયે છૂટવા માટે પ્રેરિત કરનારી દવા છે.
જો ડૉક્ટરે તમને દવા આપી હોય તે એનો અર્થ છે કે એમને એ વાતની શંકા હશે કે તમારા શરીરમાં બીજનો વિકાસ અને ઉત્સર્જન વ્યવસ્થિત થતું નથી. સામાન્ય રીતે જ્યારે ડૉક્ટર આ દવા આપે ત્યારે બીજના વિકાસની ક્રિયા પર દેખરેખ રાખવા માટે અલ્ટ્રાસાઉન્ડ દ્વારા બીજગ્રંથિઓની દર ત્રીજા દિવસે તપાસ કરવાની સલાહ પણ જરૂર આપે છે. જેથી એ બાબતની જાણ થઇ શકે કે દવા કેટલું કામ કરી રહી છે અને એ પણ સ્પષ્ટ થઇ જાય છે કે તૈયાર થયેલું બીજ ગ્રંથિઓમાંથી કયા દિવસે છૂટું પડયું.
આ તપાસ ફોલિક્યુલર મોનિટરિંગના નામે ઓળખાય છે. તમારા કેસમાં આ તપાસ કરાવી હોત તો તમે પતિ-પત્ની યોગ્ય સમયે મળી શક્યા હોત અને તમારું મિલન ફળદાયી રહેત.
જો ક્લોમીફેન સાઇટ્રેટ ૧૦૦ મિલીગ્રામ અને એચ.સી.જી.ની રસી લગાવ્યા પછી પણ જો બીજગ્રંથિઓમાંથી બીજ પરિપક્વ થઇને સમયસર છૂટું ન પડે અને સતત ત્રણ માસિકધર્મ સુધી આ પ્રયાસ નિષ્ફળ રહે તો ક્લોમીફેન સાઇટ્રીટની જગ્યાએ બીજી દવા જેવી કે ગોનેડોટ્રોફિન રિલીજિંગ હોર્મનનો પણ ઉપયોગ કરી શકાય છે.
તમે ચિંતા ન કરો. ધીરજ રાખજો અને ડૉક્ટર બદલ્યા વગર એક જ ડૉક્ટર પાસે સતત સારવાર કરાવતા રહો. તમારા પતિ અને તમારી ઉંમર વચ્ચેનું અંતર ગર્ભધારણમાં જરા પણ વિધ્નરૂપ નથી.
પ્રશ્ન: હું ૨૩ વર્ષની યુવતી છું. મને શરૂઆતથી જ માસિકસ્ત્રાવ થયો નથી. હવે ડૉક્ટરની સલાહ મુજબ જ્યારે-જ્યારે દવા લઉં છું, ત્યારે જ માસિકસ્ત્રાવ થાય છે. દવા બંધ કરી દઉં, તો સ્ત્રાવ પણ બંધ થઇ જાય છે. મારાં માતાપિતા લગ્નની વાત ચલાવી રહ્યાં છે. શું આ સમસ્યાને કારણે મને પાછળથી તો કોઇ તકલીફ નહીં પડે ને? શું માસિક સંબંધી સમસ્યા વિશે લગ્ન પહેલાં છોકરાંને જણાવી દેવું યોગ્ય રહેશે?
ઉત્તર: તમે ડૉક્ટરને નિ:સંકોચ વાત કરીને તમારી સમસ્યાની પૂરી માહિતી મેળવી લો. તમારા પત્ર પરથી એ બાબત સ્પષ્ટ થતી નથી કે, દવા શરૂ કરતાં પહેલાં તમારી કઇ રીતે તપાસ કરવામાં આવી હતી, ડૉક્ટરનું નિદાન શું હતું અને અત્યારે તમને કંઇ દવા આપવામાં આવે છે. શક્ય છે કે, તમારી ઓવરી યોગ્ય શક્ય છે કે, તમારી ઓવરી યોગ્ય રીતે કાર્ય કરતી ન હોય, તેથી આ સમસ્યા ઊભી થઇ હોય. આ કારણે જ શરીરમાં માસિકચક્ર માટે જરૂરી જાતીય હોર્મોન પૂરતા પ્રમાણમાં બનતાં ન હોય. તમને કદાચ દવા દ્વારા આ હોર્મોન આપવામાં આવતાં હશે. તે લેવાથી તમારો માસિકસ્ત્રાવ તો થાય છે. પરંતુ મૂળ સમસ્યાનો ઉકેલ આવતો નથી. આથી જ દવા બંધ કરવાથી માસિકસ્ત્રાવ બંધ થઇ જાય છે.
તમને આ તકલીફ શરૂઆતથી જ રહી છે, આથી ઓવરી પ્રારંભથી જ કાર્યરત ન હોય, એવી સંભાવના હોઇ શકે. જો આ જ સમસ્યા હોય, તો લગ્નજીવનમાં સૌથી મોટી સમસ્યા ઊભી થઇ શકે કે, તમે કદાચ માતૃત્વ ધારણ ન કરી શકો.
લગ્નનો નિર્ણય લેતાં પહેલાં તમારી સમસ્યા વિશે સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી મેળવી લેવી યોગ્ય ગણાશે. જો અત્યાર સુધી તપાસ ન કરાવી હોય, તો કોઇ કુશળ લેડી ડૉક્ટર પાસે ચેકઅપ કરાવો. તપાસના અંતે ખબર પડે કે તમે માતા નહીં બની શકો, તો લગ્ન કરતાં પહેલાં વરપક્ષને આ અંગે માહિતી આપવી એ નૈતિક દ્રષ્ટિએ જરૂરી છે, નહીંતર લગ્ન પછી મુશ્કેલી ઊભી થઇ શકે છે.
- અનિતા


