Get The App

મૂંઝવણ .

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image

- અમારાં લગ્નને 5 વર્ષ થઈ ગયાં, પરંતુ અમે સંતાનસુખથી વંચિત છીએ. સમસ્યા એ છે કે મારા પતિના અંડકોષ તેમની મૂળ જગ્યા પર નથી. 

હું ૨૭ વર્ષની વિવાહિતા છું. અમારાં લગ્નને ૫ વર્ષ થઈ ગયાં, પરંતુ અમે સંતાનસુખથી વંચિત છીએ. સમસ્યા એ છે કે મારા પતિના અંડકોષ તેમની મૂળ જગ્યા પર નથી. સી.ટી.સ્કેનિંગથી જાણવા મળ્યું કે તેમના અંડકોષ ઉદરમાં છે. વીર્યની તપાસ કરતાં જણાયું કે વીર્યમાં શુક્રાણુ નથી. તેનાથી ભવિષ્યમાં મારા પતિને કોઈ તકલીફ તો નહીં થાય ને? બીજંું, કૃત્રિમ ગર્ભાધાનમાં સફળતાની કેટલી સંભાવના છે? અમદાવાદ કે કોઈ મોટા શહેરમાં  સરકારી કે ખાનગી હોસ્પિટલનું સરનામું આપશો, જ્યાં ઓછા ખર્ચે નિદાન કરાવી શકાય. મારી તપાસ થઈ ચૂકી છે.  ત્રણ વાર કૃત્રિમ ગર્ભાધાનની કોશિશ પણ કરવામાં આવી, પરંતુ તે નિષ્ફળ રહી.

એક સ્ત્રી (વડોદરા)

* તમારા પતિની સમસ્યા 'અનડિસેડિંડ ટેસ્ટિજ'ની છે. તમે લખ્યું છે તે પ્રમાણેની સમસ્યા જીવનની શરૂઆતથી જ  હોય છે. બાળક જ્યારે માતાના પેટમાં હોય અને તેનાં અંગો બની રહ્યાં હોય,  ત્યારે તેના અંડકોષ ઉદરમાં જ બને છે. પછી ભૂ્રણ અવસ્થામાં (કે જીવની શરૂઆતમાં) બંને અંડકોષ ઊતરીને સ્ક્રૉટનમાં આવી જાય છે, પરંતુ લગભગ ૧% બાળકોમાં આ ક્રિયા અધૂરી રહી જાય છે અથવા થતી જ નથી. તેનાથી અંડકોષ ઉદરમાં જ રહી જાય છે.

જો  ૮ વર્ષની ઉંમર સુધીમાં ઑપરેશન દ્વારા અંડકોષ નીચે લાવવામાં આવે, તો ઉચિત છે. આ ઉંમર પસાર થઈ જાય તો પણ જેમ બને તેમ જલદી ઑપરેશન કરાવી લેવું જરૂરી છે. તમારા પતિના કેસમાં આવું ન થઈ શક્યું. વીર્યમાં શુક્રાણુ ન હોવાનું આ જ કારણ છે. ઉદરમાં અંડકોષ હોવાથી આવી તકલીફ થાય તે સ્વાભાવિક છે. તેની સાથે બીજી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. તમે આ માટે કોઈ અનુભવી સર્જનની સલાહ લો, તે જ ઉચિત રહેશે.

કૃત્રિમ ગર્ભધાન અંગે અનુભવી તબીબો  દ્વારા લગભગ ૭૫% સફળતા મળી છે. દરેક માસિકચક્રમાં સફળતાનો દર ૨૫% આંકવામાં આવ્યો છે. એવું જોવામાં આવ્યું છે કે એક વર્ષની અંદર ૧૨ વાર સફળતા ન મળે તો, સફળતા મળવાની શક્યતા નહિવત્ છે. અધિકૃત રીતે સરકારી હોસ્પિટલમાં કૃત્રિમ ગર્ભાધાનની સુવિધા આપવામાં આવતી નથી. ખાનગી ચિકિત્સાલય ઘણા હોવાથી તેમનો ઉલ્લેખ કરવો અયોગ્ય છે. ડૉક્ટર સાથે સવિસ્તર વાતચીત કરી તમે નિર્ણય લઈ શકો છો.  આ માટે પતિની માનસિક તૈયારી જરૂરી છે. નહીંતર તમે બાળક દત્તક લેવાનું વિચારી શકો છો.

 હું ૨૧ વર્ષની યુવતી છું. હજુ સુધી માસિકધર્મ શરૂ થયો નથી. માતા-પિતા મારી સમસ્યા જાણે છે, છતાં તે મારાં લગ્નની વાત ચલાવી રહ્યાં છે.  હું ખૂબ ડરું છું કે પાછળથી કોઈ તકલીફ તો ઊભી નહીં થાય ને?

એક યુવતી (અમદાવાદ)

* તમારે તથા તમારાં માતા-પિતાએ કોઈ મોટી હોસ્પિટલમાં જઈને સ્ત્રીરોગ વિશેષજ્ઞાાને મળવું જોઈએ. બધી ડોક્ટરી તપાસ કરાવો. જેથી ખ્યાલ આવે કે તમે રજસ્વલા કેમ બની શક્યાં નથી? જો સમસ્યાનું સમાધાન સંભવિત હોય, તો ઈલાજ કરાવો, ત્યાર પછી જ લગ્ન વિશે વિચારો.

કોઈ કારણ જાણ્યા વિના દાંપત્યજીવનમાં પ્રવેશ કરવાથી  વર પક્ષને અન્યાય થશે અને તમારી શંકા પ્રમાણે મુશ્કેલી પણ આવી શકે છે. માતા-પિતાને આ વાત સમજાવો અને જો તે ન માને તો કોઈ વિશ્વાસપાત્ર સંબંધી કે મિત્રનો સહયોગ લો. 

હું ૨૪ વર્ષની યુવતી છું, મારા સ્તન બહુ નાનાં છે, એથી હું લઘુતાગ્રંથિ અનુભવું છું. શું કોઈ એવી દવા, કસરત નથી, જેથી સ્તનનું કદ વધારી શકાય? મને ચિંતા થાય છે કે મારાં લગ્ન થશે ત્યારે શું કરીશ?

એક યુવતી (વાપી)

* ચહેરાના ઘાટની જેમ સ્તનોનું કદ  પણ વારસાગત હોય છે અને કોઈ દવાથી ઘટાડી કે વધારી શકાતું નથી. વળી સ્તન કંઈ સ્નાયુઓના બનેલાં નથી હોતાં કે કોઈ કસરત દ્વારા એમને મોટાં કરી શકાય. હા, નિયમિત સામાન્ય કસરત કરતાં  રહેવાથી શરીરની ચુસ્તી જાળવી શકાય છે. મારું કહ્યું માનશો? આકર્ષક દેખાવા માટે સૌથી વધુ જરૂર આત્મવિશ્વાસની હોય છે. તમારા સ્તન નાનાં છે એટલા ખાતર લઘુતાગ્રિંથિ અનુભવો તે ખોટું છે. તેનાથી જાતીય સુખમાં પણ કોઈ મુશ્કેલી પડતી નથી. 

- અનિતા