- લગ્ન અગાઉ એક યુવકના પ્રેમમાં હતી. હું તેને દિલોજાનથી ચાહતી હતી અને તે મને ચાહતો હતો. મારા પિતાશ્રીએ મને પરણાવવાનું નક્કી કર્યું જે મારી મરજી વિરુધ્ધ હતું
પ્રશ્ન: હું પરિણીત સ્ત્રી છું. લગ્નને ઘણો સમય થઇ ગયો છે. મોટા સંતાનો પણ છે. પહેલાં અમે ખૂબ સુખી હતાં. થોડાં સમયથી હવે મારા પતિએ નોકરી લીધી છે અને ત્યારથી મારા પતિના જીવનમાં ઘણો ફેરફાર થઇ ગયો છે. તે એક છોકરીના સંપર્કમાં આવ્યા ત્યારથી મારી સાથે લાંબા ગાળા સુધી બોલતા નથી. અને મારો જ વાંક કાઢ્યા કરે છે. તેમ જ ઘર ખર્ચ માટેના પૂરા પૈસા આપતા નથી એમને સારું ખાવાપીવાનું જોઇએ છે. મારા મા-બાપ ગરીબ સ્થિતિમાં છે. એટલે એમને એમ છે કે આ જશે નહિ, અને હું જે કરીશ તે સહન કરશે. તો આ સ્થિતિમાં મારે શું કરવું? યોગ્ય માર્ગદર્શન આપશો.
એક બહેન (પૂણે)
ઉત્તર: તમારું દામ્પત્ય એટલું લાંબા ગાળાનું છે કે તેનો વિચ્છેદ થાય તે ઇચ્છનીય ન ગણાય. તમારા પતિની બગડેલી બુધ્ધિને ઠેકાણે લાવવા માટે પ્રેમ અને સમજાવટના પ્રયત્નો કરવા હિતકર છે. ભૂતકાળના તેના સુંદર વર્તન અને તમારા દામ્પત્ય સુખની વાતો કરીને તેને સાચા માર્ગ પર પાછા વાળવા પ્રેમથી સમજાવતા રહો, હાલના તેના ખોટા માર્ગથી તેને તમને અને સંતાનોને કેવું નુકસાન થઇ રહ્યું છે અને થઇ શકે તેમ છે તેનો પણ ખ્યાલ આપતા રહો.
તમારાં મા-બાપ ગરીબ છે. છતાં એકાદ મહિનો તેમને ત્યાં રહેવા જતાં રહો. (મા-બાપની સંમતિ મેળવી લેજો.) પતિને એમ કહીને જજો કે મન ખૂબ અકળાયું છે એટલે થોડો વખત પિયર રહેવા જાઉં છું. તમારી ગેરહાજરીથી પતિને ઘણી અગવડો અને મુશ્કેલીઓ નડશે. તેને તમારી જરૂરિયાત અને મહત્ત્વ સમજાશે. બનવા જોગ છે કે, તે તમને પાછાં તેડાવી લેશે. અને તેડાવે એટલે જજો. ન તેડાવે તો પણ સમય થતાં પાછાં જજો. સુખદુ:ખ વેઠી લઇને હવે પતિ સાથે રહો તે ઇચ્છનીય છે. તેને સતત પ્રેમથી સમજાવતાં રહો.
ધરખર્ચના પૈસા આપવામાં તે આનાકાની કરે તો કહેજો કે સારું સારું ખાવું હોય તો વધારે ખર્ચ થાય એ તો કોઇ પણ સમજી શકે તેવી વાત છે. તમે એ કેમ નથી સમજતાં? બાકી, જીવનની ઘટમાળ આવી જ હોય છે. સહી લેવું તેમાં ડહાપણ ગણાય.
પ્રશ્ન: હું પરિણીત યુવતી છું. લગ્ન અગાઉ એક યુવકના પ્રેમમાં હતી. હું તેને દિલોજાનથી ચાહતી હતી અને તે મને ચાહતો હતો. પરંતુ અચાનક એક દિવસ મારા પિતાશ્રીએ મને પરણાવવાનું નક્કી કર્યું જે મારી મરજી વિરુધ્ધ હતું છતાં હું મારા પિતાજીને કહી શકી નહિ. લગ્ન બાદ જાણવા મળ્યું કે, તે દારૂડિયો છે. મેં તેને સુધારવાની કોશિશ કરી પણ તે સુધર્યો નહિ અને વધુ નશામાં ડૂબતો ગયો. આથી હું પિતાને ત્યાં ચાલી આવી. ત્યાં મેં મારા અગાઉના પ્રેમી યુવક ને જોયો. તે મારી યાદોના સહારે જીવી રહ્યો હતો. એથી મારુ દિલ કંપી ઊઠયું. મેં નિર્ણય કર્યો કે બાકીની જિંદગી તેની સાથે વિતાવવી. તે પણ મને અપનાવવા તૈયાર હતો. મને હતું કે મારા પિતાજી મને છૂટાછેડા અપાવશે પરંતુ મારા પિતાજીએ મને સાસરે મોકલવાનો નિર્ણય કર્યો છે અને એ માટે બળજબરી કરે છે. તો મારે શું કરવું? યોગ્ય માર્ગદર્શન આપશો.
એક બહેન (મુંબઇ)
ઉત્તર: તમારો પતિ દારુડિયો છે એ તમને હરગીઝ ન જ ગમે તે વાત સમજાય તેવી છે. પણ તેની સાથે લગ્ન કર્યા પછી તેને સુધારવાના પૂરા પ્રયત્નો તમારે જ કરવા રહ્યા. તમે પ્રયત્નો તો કર્યાં છે પણ તે માત્ર થોડા સમય માટે જ કર્યાં છે, માત્ર મન મનાવવા માટે જ છે. આવી વ્યક્તિને સુધારવા માટે લાંબી ધીરજ અને લાંબો સમય જોઇએ જ. માટે એવી ધીરજથી અને લાગણીસભર રીતે તેને સમજવા સુધારવાનું શરૂ કરો. આખરે તમે તેની દારૂની લત છોડાવી શકશો. એકવાર તમે તેને પ્રેમથી જીતી લો એટલે તમને બધી રીતે વશ થઇ જશે.
પતિ-પત્ની બંનેની સંમતિ વગર છૂટાછેડા મળતા નથી. એવી સંમતિ તમારો પતિ ન આપે તો? વળી તમારા પિતા તમને પતિને ત્યાં મોકલવા હઠાગ્રહી છે તે બતાવે છે કે તે તમારો સંસાર ભાંગવા દેવા તૈયાર નથી. આ સ્થિતિમાં તમારે પતિને ત્યાં જ પાછા જવું પડશે. અને જવાનું જ થાય તો પછી મનને તેના તરફ વાળીને તેને અને સંસારને સુધારવાના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરો તે હિતકર છે.
પ્રેમના ખ્યાલમાંથી નીકળી જાવ. તેને તમે પરણી શકવાનાં નથી અને તેની સાથેના, લગ્ન વગરના સંબંધ તમારા પિતા ચલાવી લેવાના નથી એ હકીકત છે. માટે આ બધું છોડી પતિગૃહે જાવ. ઇશ્વર તમને સુખ-સફળતા આપશે.
- અનિતા


