For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સહિયર સમીક્ષા .

Updated: Jan 24th, 2023

Article Content Image

મારા બંને સ્તનની સાઇઝમાં થોડો તફાવત છે. ડાબુ સ્તન જમણા સ્તનની સરખામણીએ નાનું છે. કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો, જેનાથી બંને સ્તનની સાઇઝ એકસરખી થઈ જાય.

પ્રશ્ન : મારા પતિની ઊંચાઈ ઘણી ઓછી છે. આ કારણે તેઓ મારા નજીકનાં સગાં-સંબંધીઓને મળવામાં ખચકાટ અનુભવે છે. ઘણું કહેવા છતાં તે કોઈને ઘરે જતા નથી કે સામાજિક સંબંધો અને મિત્રતાના સંબંધો જાળવવા તૈયાર થતાં નથી. શું એવી કોઈ દવા છે, જેનાથી તેમની ઊંચાઈ વધી શકે?

એક પત્ની (મુંબઈ)

ઉત્તર : તમારા પતિની ઊંચાઈ એમના કે તમારા બંને માટે કોઈ મોટી સમસ્યા ન બનવી જોઈએ. કોઈપણ વ્યક્તિનો દરજ્જો તેની ઊંચાઈથી નહીં, પરંતુ તેના સ્વભાવ, આત્મસન્માન અને બીજાઓ સાથેના વર્તન-વ્યવહાર પરથી નક્કી થતો હોય છે. જો તમારા પતિ પોતાના વ્યવસાયમાં કાબેલ, મૃદુ, હસમુખા, આત્મવિશ્વાસુ હોય અને બીજા લોકો સાથે સારું વર્તન કરતા હોય તો ચોક્કસપણે તેઓ તમારા સામાજિક વર્તુળમાં પૂરતું માન મેળવવા માટે લાયક છે.

તમારા પતિના મનને તપાસી જુઓ કે શું તેઓ ખરેખર પોતાની ઊંચાઈને લઈને એટલા સેન્સિટિવ છે કે કોઈની સાથે હળવા-મળવા નથી ઇચ્છતા. ક્યાંક તેમના આવા વર્તન માટે ભૂતકાળમાં થયેલો કોઈ ખરાબ અનુભવ તો જવાબદાર નથી ને? જો લગ્ન પહેલાં પણ તેઓ આવા હોત તો તમારીસાથે તેમનાં લગ્ન ન થયાં હોત.

હવે તમે જ્યારે તેમના જીવનસાથી છો તો તેમની સાથે ખભેખભો મિલાવીને ચાલો. તેમની સારી બાબતોની પ્રશંસા કરો, ખામીઓને સ્વીકારી લો, એમાં જ તમારું અને એમનું સુખ સમાયેલું છે. ઈતિહાસમાં એવા અસંખ્ય લોકો જોવા મળે છે, જેમની ઊંચાઈ ઓછી હોવા છતાં પણ દુનિયા આજે એમનું નામ આદરપૂર્વક લે છે.

ઊંચાઈ વધારતી દવાઓની જો વાત કરીએ તો આજે ઇન્ટરનેટ, મોબાઈલ, એસએમએસ, સમાચાર પત્રો અને ખૂણેખાંચરે જોવા મળતી જાહેરખબરોમાં ઘણા ઢંગધડા વગરની  દાવાઓ કરવામાં આવતી હોય છે. તેના પર પૈસા વેડફવા એ સંપૂર્ણપણે મૂર્ખામી છે. બાયોલોજિકલ હકીત એ છે કે આપણાં હાડકાંઓ અમુક ઉંમર સુધી જ વધવાની ક્ષમતા ધરાવે છે ત્યાર બાદ તેમાં ઊંચાઈ વધારનાર તત્ત્વ જેને એપીપિફસિસ કહેવામાં આવે છે તે હાડકાંઓમાં ભળી જાય છે. પછી ગમે એટલા પ્રયત્ન કરવા છતાં ઓપરેશન વગર હાઈટ વધી શકે નહીં.

જો તમારા પતિ ઇચ્છે તો ક્યાંક આવતાજતા ઊંચા દેખાવા માટે ઊંચી એડીના બૂટ પહેરી શકે છે. કપડાં ખરીદતી વખતે પણ એ વાતનું ધ્યાન રાખવું કે એવી ડિઝાઈન અને રંગોનાં કપડાં પસંદ કરવાં, જેમાં ઊંચાઈ થોડી વધારે દેખાઈ શકે.

પ્રશ્ન : મને હમણાં ખબર પડી કે મારા ગોલબ્લેડરમાં ૧૩ મિલીમિટરની પથરી થઈ છે. મારે શું શું સાવધાની રાખવી જોઈએ? શું સર્જરી સિવાય બીજો કોઈ ઉપાય પણ છે? કૃપા કરીને મને સલાહ આપો.

એક મહિલા (સુરત)

ઉત્તર : ગોલબ્લેડરની પથરીનો ઈલાજ મૂળભૂત રીતે એ વાત પર આધારિત છે કે આ પથરી તમને કેટલું હેરાન કરી રહી છે. જો એ એકદમ શાંત પડેલી હોય તો તમે એની અવગણના કરી શકો છો. જો તે ક્યારેક- ક્યારેક હળવો દુખાવો કે તકલીફ આપતી હોય તો શક્ય છે કે ખાનપાનમાં થોડાં નિયંત્રણઓ રાકવાથી વાંધો નહીં આવે, પરંતુ પથરી જો વારંવાર તકલીફ આપી રહી હોય, વારંવાર દુખાવો થતો હોય તો સ્થિતિ વધુ વણસે તે પહેલાં ઓપરેશન કરાવી લેવું હિતાવહ રહેશે.

આ ઓપરેશન કોલીસિસ્ટેક્ટમી તરીકે ઓળખાય છે, જેમાં સર્જન ગોલબ્લેડન્ડરને કાપીને કાઢી નાખે છે. ઓપરેશન પછી લિવરમાં બનતું પિત્ત સીધેસીધું પિત્તવાહિનીઓ દ્વારા નાના આંતરડામાં પહોંચી જાય છે અને પાચનતંત્ર લગભગ પહેલાં જેવું કામ કરે છે. આ ઓપરેશન લેપ્રોસ્કોપીની મદદથી અથવા પેટના જમણી બાજુના ભાગ પર ચીરફાડ દ્વારા કરવામાં આવે છે અને ઓપરેશન પછી થોડા જ દિવસોમાં બધું બરાબર થઈ જાય છે.

જ્યાં સુધી ઓપરેશન ન કરવામાં આવે ત્યાં સુધી ઘી, તેલ, માખણ, ચીકાશવાળી વસ્તુઓ આહારમાં ન લેવી. જો પથરીના કારણે વારંવાર તકલીફ થતી હોય તો ઓપરેશન કરાવવામાં વિલંબ ન કરો. વિલંબ કરવાથી ગોલબ્લેડરમાં સોજો, ઈન્ફેક્શન અને સ્વાદુપિંડમાં પણ સોજો આવી શકે છે, જેનાથી બિનજરૂરી રીતે સ્થિતિ વણસી શકે છે.

પ્રશ્ન : હું ૧૮ વર્ષની યુવતી છું. મારા બંને સ્તનની સાઇઝમાં થોડો તફાવત છે. ડાબુ સ્તન જમણા સ્તનની સરખામણીએ નાનું છે. કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો, જેનાથી બંને સ્તનની સાઇઝ એકસરખી થઈ જાય.

એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમે આટલા બધા મૂંઝાવ નહીં. તમે તમારી આજુબાજુ રહેતી બીજી મહિલાઓને ધ્યાનથી જોશો તો ફક્ત સ્તનોમાં જ નહીં, પરંતુ શરીરના બીજા ભાગોમાં પણ આ પ્રકારનો નજીવો ફેર જોવા મળશે.

જો સાઈઝમાં થોડું જ અંતર હોય તો બ્રાની અંદર એક બાજુ પેડ લગાવીને તમે એને સરળતાથી છુપાવી શકો છો.

જો સ્ત્રીઓમાં  બંને સ્તનોમાં વધારે પડતું અંતર હોય એમના કિસ્સામાં પ્લાસ્ટિક સર્જરી દ્વારા તેમાં સુધારો કરી શકાય છે. આ પ્રકારના ઓપરેશનમાં અર્ધવિકસિત સ્તનની સાઈઝ વધારીને સામાન્ય સ્તનની સાઈઝમાં ઢાળી દેવામાં આવે છે. આ ઓપરેશનને બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરી કહેવામાં આવે છે, પરંતુ તમારે આ ઓપરેશનની બિલકુલ જરૂર નથી.

- નયના


Gujarat