Get The App

રાસ-ગરબાની રમઝટ માણવા રૂપસજ્જા પાછળ રૂપિયા વેરતી યુવતીઓ

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
રાસ-ગરબાની રમઝટ માણવા રૂપસજ્જા પાછળ રૂપિયા વેરતી યુવતીઓ 1 - image

- વાળની લટથી લઈને પગની પાની સુધીના મેકઅપ અને અવનવા ડ્રેસ માટે પાંચ હજારથી પચાસ હજાર ખર્ચતી યુવાપેઢીને લીધે છેવટે બ્યૂટીપાર્લરો-કોસ્મેટોલોજિસ્ટો અને ડાન્સ ડિરેકટરોને તડાકો

નવલાં નોરતામાં નવ દિવસ મહાલવા માટે નેવુ દિવસ અગાઉથી તૈયારીઓ શરૂ થઈ જાય છે. નેહા પારેખે ખાસ નવરાત્રિ માટે રૂ.૧૮,૦૦૦ ખર્ચીને બેક પોલીશીંગ, સ્કીન પોલિશીંગ અને અન્ય અનેક પ્રકારના ફેશિયલ કરાવ્યા હતા. વાળની સારવાર પર રૂ.પાંચ હજાર તથા મોહક સ્મિત માટે રૂ. ત્રણ હજારનો ખર્ચ કર્યો હતો. નવ દિવસ જુદા જુદા  ચણિયાચોળી પહેરવા બીજો રૂ.૨૪ હજારનો ખર્ચ કર્યો હતો. આમ, નવરાત્રિની આગોતરી તૈયારીમાં જ તેણે રૂ.૫૦ હજારનો ધૂમાડો કર્યો હતો. નવરાત્રિ દરમિયાન પાસ અને  અન્ય ખર્ચાઓને તો વેગળા ગણવામાં આવે છે.

નેહા જેવી નવરાત્રિની શોખીન અનેક ગોરીઓ નવરાત્રિ પૂર્વે જ હજ્જારો રૂપિયાનો પાણીની જેમ ખર્ચ કરી નાંખે છે. સારો દેખાવ મેળવવા ખણખણતા રૂપિયા ખર્ચતી આ યુવતીઓની તોલે તો કદાચ બોલિવૂડની અભિનેત્રીઓ પણ ફિક્કી પડી જાય છે.

નવરાત્રિમાં સરસ રીતે તૈયાર થઈને દાંડિયા રમવાની ઘેલછા વધી રહી છે. તે કારણે જ બ્યુટી પાર્લરો,  કોસ્મેટોલોજીસ્ટો, ડેન્ટિસ્ટો, જ્વેલર્સો  તથા ડાન્સ ઈન્સ્ટ્રક્ટરોને બખ્ખાં થઈ ગયા છે. નવરાત્રિના થોડા દિવસ અગાઉ તેમનું બેંક બેલેન્સ કૂદકે ને ભૂસકે વધી જાય છે.

એક સપ્તાહમાં લગભગ ૫૩ જેટલી છોકરીઓ મારી પાસે સ્કીન પોલિશીંગ માટે આવી હતી. આ એક અઠવાડિયામાં જ મારી એક મહિનાની કમાણી થઈ ગઈ હતી, એમ એક અગ્રણી કોસ્મેટોલોજીસ્ટે કહ્યું હતું.

 નવરાત્રિના એક મહિના પહેલાં જ મોટાભાગની છોકરીઓ બુકિંગ કરાવી લે છે. તે કારણે એપોઈન્ટમેન્ટ વગર આઈ-બ્રો કરાવવા જેવી દસ મિનિટમાં થઇ જતી સામાન્ય સારવાર પણ કરી શકાતી નથી, એમ શ્રી બ્યુટીપાર્લરના અનિતા સોનીએ કહ્યું હતું.

 છેલ્લા થોડા સમયથી તો નવરાત્રિમાં કોસ્મેટિક સર્જરી કરાવવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઘણી છોકરીઓ પેટ પરની ચરબી ઉતારવાની અથવા સ્તન મોટા કરવાની સારવાર કરાવી આકર્ષક ફિગર મેળવે છે. આ કારણે કોસ્મેટિક સર્જનોની તો તિજોરી ભરાય છે. પરંતુ છોકરીઓમાં વધતી જતી આ ઘેલછા યોગ્ય તો નથી જ, એમ કોસ્મેટોલોજીસ્ટોએ કહ્યું હતું.

 જો કે, આ બાબતે દાંડિયા રમવાની શોખીન બીના સાંગાણીએ જણાવ્યું હતું કે, દાંડિયા રમવા જતી પ્રત્યેક છોકરીને બીજી છોકરીઓ કરતાં સુંદર દેખાવાની ઈચ્છા હોય છે. અને સારા દેખાવું કોને ન ગમે?

આ એક જ મહત્ત્વનો ઉત્સવ છે. અને તેમાં જ રાતભર બહાર રહેવાની પરવાનગી મળે છે. તેથી અમને  સરસ રીતે તૈયાર થવાની ઈચ્છા ન થાય? એમ અંજલી પુરોહિતે પૂછ્યું હતું. તેણે નવરાત્રિ માટે રૂ.૬૨,૦૦૦ નો ખર્ચ કર્યો હતો.

હવે તો વાલીઓ પણ નવરાત્રિને યુવક-યુવતીના પરિચય મિલનના પ્લેટફોર્મ તરીકે જુએ છે. તે કારણે જ તેઓ તેમને મોડીરાત સુધી બહાર રહેવાની છૂટ આપે છે. આ તહેવાર બધા જ ઉજવે છે છતાં અમે તેને સામુદાયિક ઉત્સવ જ માનીએ છીએ. આ આપણો ઉત્સવ છે એટલે વર્ષમાં એકવખત આટલી છૂટ આપવામાં વાંધો નથી. એમ અંજલીની માતાએ કહ્યું હતું.

આ તહેવારને ગ્લેમરસ બનાવવામાં ટીવીએ મોટોભાગ ભજવ્યો છે. યુવાપેઢી દાંડિયાના પાસ પછવાડે પણ હજારો રૂપિયા ખર્ચતા અચકાતી નથી એટલે તેમને સહુથી સારા દેખાવાની ઈચ્છા થવી સહજ છે. તે ઉપરાંત તેઓ કોલસેન્ટરમાં નોકરી કરી સારી કમાણી કરે છે એટલે તેમને આટલો ખર્ચ ભારે પડતો નથી, એમ સમાજશાસ્ત્રીઓનું માનવું છે.