નવજાત શિશુ માટે છ મહિના સુધી માતાનું દૂધ બની રહે છે અમૃતપાન અને અખંડ આરોગ્યનું સુરક્ષા કવચ
- તબીબી નિષ્ણાતો એમ કહે છે કે સમગ્ર વિશ્વ નવજાત શિશુ માટે માતાનું દૂધના ગુણગાન ગાય છે. તબીબી સંશોધન દ્વારા પણ પુરવાર થયું છે કે માતાના દૂધમાં ઉત્તમ ગુણો હોય છે. નવજાત શિશુના શારીરિક અને માનસિક વિકાસ માટે માતાનું દૂધ સર્વ શ્રેષ્ઠ ગણાય છે.
બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે માતાનું દૂધ અમૃત સમાન છે. આ કુદરતી સત્ય સમગ્ર વિશ્વના તબીબી નિષ્ણાતોએ સ્વીકાર્યું છે. મા નું હેત અને દૂધ તો ખુદ દેવો માટે પણ દુર્લભ ગણાય છે.
* સી.સી.આર.એ.એસ. દ્વારા કઇ ભલામણ થઇ છે ?
બીજીબાજુ હમણાં ભારત સરકારના આયુષ મંત્રાલયની સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદ સાયન્સિસ(સી.સી.આર.એ.એસ.) સંસ્થાએ એવી ભલામણ કરી છે કે નવજાત શિશુઓને ઘી અને મધનું મિશ્રણ, સોનાની પેસ્ટ સાથે આયુર્વેદની અમુક જડીબુટ્ટીઓનું મિશ્રણ આપવું. ખાસ કરીને નવજાત શિશુને જન્મના પહેલા દિવસે આયુર્વેદની અમુક સ્વાસ્થ્યવર્ધક જડીબુટ્ટીઓ સાથે મધ તથા માખણ ચટાડવું, બીજા દિવસે ઘી અને આયુર્વેદની જડીબુટ્ટીઓનું મિશ્રણ આપવું અને ત્રીજા દિવસે માતાના(પ્રથમ) દૂધ સાથે ઘી તથા મધનું મિશ્રણ આપવું.
* તબીબી નિષ્ણાતો શું કહે છે ?
સી.સી.આર.એ.એસ.ની આ ભલામણ સામે ઘણા નિષ્ણાત તબીબોએ ભારે નારાજી વ્યકત કરી છે. તબીબી નિષ્ણાતો એમ કહે છે કે સમગ્ર વિશ્વ નવજાત શિશુ માટે માતાનું દૂધના ગુણગાન ગાય છે. તબીબી સંશોધન દ્વારા પણ પુરવાર થયું છે કે માતાના દૂધમાં ઉત્તમ ગુણો હોય છે. નવજાત શિશુના શારીરિક અને માનસિક વિકાસ માટે માતાનું દૂધ સર્વ શ્રેષ્ઠ ગણાય છે. સાથોસાથ પોતાના શિશુને સ્તનપાન કરાવવું એ તો ખુદ જનેતાના આરોગ્ય માટે ઉત્તમ ગણાય છે.
કેટલાક તબીબોએ તો સી.સી.આર.એ.એસ.ની ભલામણ સામે એવી દલીલ પણ કરી છે કે નવજાત શિશુને મધ ચટાડવાની વાત તો અમે પહેલી વખત સાંભળી છે. ખરેખર તો આટલા કુમળા બાળકને મધ આપવાથી તેને બેક્ટેરિયલ ઇન્ફેક્શન(હાનીકારક બેક્ટેરિયા દ્વારા ફેલાતો ચેપ) થવાનું જોખમ રહે છે.
* માતાએ સ્તનપાન ક્યારે શરૂ કરવું ? બાળ ઉછેરના નિષ્ણાત તબીબોના કહેવા મુજબ બાળકના જન્મના એક કલાક દરમિયાન માતાએ સ્તનપાન શરૂ કરવું જોઇએ. વળી, દરેક જનેતાએ તેના ભૂલકાને ઓછામાં ઓછા છ મહિના સુધી ધવરાવવવું જોઇએ. માતાના દૂધમાં ભરપૂર રોગપ્રતિકાર શક્તિ હોય છે. જે સંતાને છ મહિના અને તેના કરતાં પણ વધુ સમય સુધી મા નું દૂધ પીધું હોય તેને મોટી ઉંમરે કોઇ રોગ કે બીમારી થવાનું જોખમ નથી રહેતું એવું તો આજનું આધુનિક તબીબીશાસ્ત્ર પણ સ્વીકારે છે. ઉપરાંત, બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પણ સંપૂર્ણ થાય છે. તે નિરોગી રહે છે.
રોગપ્રતિકાર શક્તિ દરેક માનવી માટે કુદરતી સુરક્ષા કવચ ગણાય છે એ તો કોરોનાની મહામારી દરમિયાન પુરવાર થઇ ગયું. હવે કુદરતે માતાના દૂધના સ્વરૂપમાં સુરક્ષા કવચની ભેટ આપી છે ત્યારે તે બાળક માટે અમૃતસમું બની રહે છે.
* બાળ ઉછેરના નિષ્ણાતોનો અભિપ્રાય :
દિલ્હીના બાળ ઉછેરના એક તબીબી નિષ્ણાત સાફ શબ્દોમાં કહે છે કે કોઇપણ નવજાત શિશુ એક વરસનું ન થાય ત્યાં સુધી તેને મધ, સાકર, મીઠું(નમક) અને ગાયનું દૂધ ન આપવું જોઇએ. તે સમયગાળા પહેલાં બાળકને મધ ચટાડવામાં આવે તો તેને બેક્ટેરિયલ ઇન્ફેક્શન (હાનીકારક બેક્ટેરિયાથી ફેલાતો ચેપ) થવાનું જોખમ રહે છે. આટલું જ નહીં, તે ચેપને કારણે શિશુના આંખના, ચહેરાના, મોઢાના અને ગળાના સાંધા નબળા પડી જાય છે. સાથોસાથ ચેપ આખા ધડમાં અને પગમાં પણ ફેલાઇ જાય છે.ચિંતાજનક બાબત તો એ છે કે વાતાવરણમાં પ્રદૂષણ હોવાથી નવજાત શિશુને મધનો સ્વાદ ચખાડવાથી તેને ચેપ લાગવાનું જોખમ પણ વધી જાય છે.
* વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા શું કહે છે ?
ખુદ વિશ્વ આરોગ્ય સંસ્થા(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-હૂ), યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન તથા માયો ક્લિનિક વગેરેે પ્રતિષ્ઠિત આરોગ્ય સંસ્થાઓએ પણ એક કરતાં ઓછી વયનાં શિશુને મધ નહીં આપવા ખાસ ભલામણ કરી છે.
અમુક નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ્સ બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, માતા તેના નવજાત શિશુના જન્મના એક કલાક બાદ સ્તનપાન કરાવે તો માતાના સ્તનમાં પણ દૂધની માત્રા સતત વધતી રહે છે. સાથોસાથ મા અને શિશુ વચ્ચેનો ભાવનાત્મક સેતુ બહુ મજબૂત બને છે. સરળ રીતે સમજીએ તો માતાના હૃદયમાં પોતાના વ્હાલસોયા સંતાન પ્રત્યે પ્રેમની ગંગા વહેતી થાય છે. ખરેખર તો જન્મના છ મહિના સુધી શિશુને માતાના દૂધ સિવાય પાણી કે અન્ય કોઇ પ્રવાહી પણ ન આપવું જોઇએ.
* માતાના દૂધમાં કયાં કયાં ગુણકારી તત્ત્વ હોય છે ?
વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો માતાના દૂધને પૃથ્વી પરનો સૌથી ઉત્તમ અને આરોગ્યપ્રદ આહાર કહ્યો છે. ખાસ કરીને નવજાત શિશુ શરૂઆતના છ મહિના સ્તનપાન કરે તો તેના શરીરને ભરપૂર કેલરી મળે છે. હા, છ મહિના બાદ શિશુને હળવો આહાર આપી શકાય. એટલે કે આ તબક્કે શિશુનું વજન બમણું થઇ ગયું હોવાથી તે હળવો અને પોષણયુકત આહાર પચાવી શકે છે. વળી, છ મહિના બાદ બાળકને માતાના દૂધ ઉપરાંત પણ હળવા અને પૌષ્ટિક આહારની જરૂર રહે છે.
સરળ રીતે સમજીએ તો માતાના દૂધમાં ૮૭ ટકા પાણી, ૧ ટકો પ્રોટીન, ૪ ટકા લીપીડ (ચરબી,ઓઇલ, વિટામીન એ, ડી, કે સહિત હોર્મોન્સ, હાઇડ્રોકાર્બન, કેલ્શિયમ વગેરે)હોય છે. છે છે., ફોસ્ફરસ,મેન્ગેશિયમ, પોટેશિયમ, સોડિયમનાં કુદરતી તત્ત્વો) હોય છે. જનતાનું દૂધ પીને ઉછેરેલા સંતાનના શરીરમાં ભરપૂર ઉર્જા, ચેતના, લીલીછમ તંદુરસ્તી, બળ, બુદ્ધિ, અને રોગપ્રતિકારશક્તિનો ભંડાર હોય છે. તે બાળકનો ઉછેર થાય ત્યારે તેને મોટી ઉંમરે કોઇપણ જાતનો ચેપ કે ગંભીર રોગ નથી થતા.
બાળ ઉછેરના નિષ્ણાતો સાફ શબ્દોમાં કહે છે, હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં માતાના દૂધનો મહિમા ગવાઇ રહ્યો છે ત્યારે નવજાત શિશુને મધ અને ઘીનું મિશ્રણ તથા ઘી અને આયુર્વેદની અમુક જડીબુટ્ટીનું મિશ્રણ આપવાની ભલામણ યોગ્ય નથી. ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં રહેતી અને અશિક્ષિત માતાના મગજમાં જબરી દ્વિધા થશે. ખરેખર તો નવજાત શિશુને જન્મના શરૂઆતના છ મહિના દરમિયાન ફક્ત માતાનું દૂધપાન આપવું જોઇએ એવો સંદેશો વહાવવો જોઇએ.
* ભારતમાં સ્તનપાન વિશે કેવી જાગૃતિ છે ?
બાળ ઉછેરના નિષ્ણાતો થોડી નિરાશા સાથે કહે છે, અમે સમગ્ર ભારતભરમાં નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત છે એવો સંદેશો ફેલાવી રહ્યા છીએ. આમ છતાં હાલ ફક્ત ૫૦-૬૦ ટકા માતાઓ તેમનાં નવજાત શિશુઓને સ્તનપાન કરાવે છે. જ્યારે ઘણી માતાઓ તેમનાં ભૂલકાંને બોટલ દ્વારા દૂધ પીવડાવે (બોટલ ફિડિંગ) છે. તબીબી દ્રષ્ટિએ તો બોટલ ફિડિંગ બાળકના આરોગ્ય માટે હાનીકારક ગણાય છે. બાળકને એક વખત બોટલ દ્વારા દૂધ પીવડાવ્યા બાદ બોટલને ૧૦ મિનિટ સુધી ગરમ પાણીમાં જંતુમુક્ત કરાવવી જરૂરી છે. ત્યારબાદ જ બાળકને ફરીથી બોટલ દ્વારા દૂધ પીવડાવવું જોઇએ. આમ છતાં બોટલને સંપૂર્ણપણે જંતુમુક્ત રાખવી શક્ય નથી. પરિણામે બાળકને બોટલ દ્વારા દૂધ પીવડાવવાથી ઝાડા-ઉલટી થવાનું જોખમ રહે છે.
કુદરતી સત્ય તો એ છે કે નવજાત શિશુને માતાએ સ્તનપાન કરાવવું જોઇએ. ખરેખર શિશુ માટે સ્તનપાન અમૃતપાન બની રહે છે.
- જગદીશચંદ્ર ભટ્ટ