નવરાત્રિનો તહેવાર ઘણા લોકો માટે ધાર્મિક ઉપવાસ-એકટાણાંના પર્વ તરીકે પ્રખ્યાત છે. પરંતુ શહેરના અનેક ડોક્ટરોના અભિપ્રાય મુજબ એનાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે.
ઘણા ખેલૈયાઓ અને ખાસ કરીને સ્ત્રીઓ આ નવ દિવસોના ઉત્સવનો ઉપયોગ જાતે જ ઉપવાસ કે નકોરડા મારફત પોતાનું વજન ઉતારીને શરીરને સુડોળ રાખવા માટે કરે છે.
''મારી ધાર્મિક જરૂરતો સંતોષવાની સાથે શરીરમાંથી ઝેરી દ્રવ્યો (ટોક્સિન) બહાર કાઢવાનો આ એક ઉત્તમ ઉપાય છે.'' એમ નવે દિવસના ઉપવાસ કરતી ૨૬ વરસની એક યુવતીએ કહ્યું હતું.
ડોક્ટરોના જણાવ્યા મુજબ યુવતીઓ વજન ઉતારવાની અપેક્ષા સાથે ઉપવાસ કરવામાં અતિરેકની હદે ભૂખ મારે છે, જેને પરિણામે લાંબા ગાળે તેમના શરીરને નુકસાન જ વધુ થાય છે.
ગયા વર્ષે નોરતામાંં ઉપવાસને કારણે એક યુવતીના શરીરમાંથી પાણી સાવ ખાલી થઈ જતાં (ડિહાઈડ્રેશન થવાથી) તે બેહોશ થઈ ગઈ હતી અને તેને નસની અંદર પ્રવાહી આપવું પડયું હતું.
શરીરનું વજન ક્યારેય તાબડતોબ ઉતારી શકાતું નથી. મેદસ્વિતા ઘટાડવા માટે તેમણે થોડાક દિવસો નહિ, પરંતુ મહિનાઓ સુધી પ્રયાસો કરવા જોઈએ.
એક તબીબ આનો ઉપાય સૂચવતાં કહે છે કે ઉપવાસ દરમિયાન તળેલા પદાર્થો ખાવાનું બંધ કરીને ફળો, બદામ-અખરોટ જેવો સૂકો મેવો ઉપરાંત ઓછી ચરબીવાળું દૂધ, દહીં ખાવાં જોઈએ. ઉપવાસ દરમિયાન ખાધેલી ફરાળી વાનગીઓથી ચરબી વધે છે.
આ નવરાત્રિએ અમે એવો ડાયેટ પ્લાન બનાવ્યો છે, જેમાં વજન ઉતારવા માગતી સ્ત્રીઓ માટે આરોગ્યપ્રદ ફરાળી વાનગીઓનો સમાવેશ કરાયો છે, એમ એક યુવતીએ કહ્યું હતું.


