- આરોગ્ય સંજીવની
આજે જે રોગ વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ તે રોગને ''શોથ'' નામે ઓળખવામાં આવે છે.
શોથ એટલે 'સોજો.' સોજાના કારણોના વિશેષતાથી નવ પ્રકાર છે. ત્રણેય દોષોથી એક-એક એમ ત્રણ, બે બે ભેગા દોષનાં ત્રણ, ત્રિદોષ જ, અભિઘાત જ અને વિષજ એમ નવ પ્રકાર છે. બીજી રીતે (૧) સર્વાંગ શોથ (૨) અર્ધાગ શોથ (૩) એકાંગ શોથ. એવા ત્રણ પ્રકારો બતાવેલાં છે. જેમાં સર્વાંગશોથથી હૃદય, યકૃત અને મૂત્રપિંડ જેવાં અવયવોની વિકૃતિનાં કારણે થતાં સોજાનું વર્ણન છે.
કારણ : સોજો થવાનાં કારણોમાં ઉપવાસ, ક્ષાર, ખૂબ જ ખાટા, ખારા તથા ઉષ્ણ પદાર્થોનું સેવન, વગેરે દહીં વાયુનાં સોજાથી ચામડી પાતળી, સોજો પાતળો ખરસટ, લાલ તથા કાળો, સ્પર્શ જ્ઞાાન વિનાનો, જુદી જુદી વેદનાવાળો, કારણ વિના શાંત પડી જાય, દાબવાથી ઊંચો આવે તથા દિવસે વધે છે. પિત્તનો સોજો નરમ, પીળાશ પડતો અને સોજાની સાથે તાવ, ભ્રમ, તૃષા, પરસેવો વળવો વગેરે પણ ક્યારેક જોવા મળે છે. પિત્તના સોજાને સ્પર્શ કરવાથી પીડા થાય છે. આ ઉપરાંત ક્યારેક આંખોમાં બળતરા, આંખો લાલ થવી, અતિદાહ અને પાક થાય છે. કફનો સોજો કઠણ, સ્થિર તથા સફેદ હોય છે. તેનાથી અરુચિ, ઉબકાં, મોમાં પાણી, ઊંઘ તથા મંદાગ્નિ થાય છે. રાત્રે વધે છે. ત્રિદોષજમાં ત્રણેય લક્ષણો જોવા મળે છે. વાગવાથી થયેલા સોજામાં વિશેષ નરમ પિત્તશોથનાં લક્ષણો હોય છે. વિષનો સોજો નરમ, અસ્થિર અને જલદ હોય છે.
સારવાર : આ શોથ રોગની હવે, આપણે સારવારની વાત કરીએ તો, જે કારણથી સોજો આવ્યો હોય એ કારણને દૂર કરવું જોઈએ. આગંતુક કારણોથી એટલે કે લાગવાથી અથવા ઝેર ચડવાથી જે સોજો ચડે છે તેનો ઉપચાર ભિન્ન હોય છે.
પાંડુરોગમાં, સંગ્રહણીમાં તથા જીર્ણ જ્વરમાં લોહીનાં રક્તકણો ઓછા થવાનાં કારણે મોં ઉપર તેમજ શરીરનાં બીજા ભાગો ઉપર સોજા-ધોથર થઈ જાય છે. આ રોગમાં રક્તવર્ધક દવાઓ ફાયદાકારક નીવડે છે. જેમાં (૧) પુનર્નવા મંડુર ૨-૨ ગોળી ૨ વખત પાણી સાથે લેવી. (૨) લોહાસવ, કુમારીઆસવ, ધાત્રી લોહી વગેરે હિમોગ્લોબીનની વૃદ્ધિ કરે એવા આયુર્વેદીક ઔષધો વૈદ્યકીય સલાહ મુજબ લેવાં.
શોથ : સોજાને દૂર કરવા માટે સ્વેદન, શોધન અને મૂત્રલ દવાઓનો ઉપયોગ ફાયદાકારક છે.
વિરેચન : સોજામાં વિરેચન પણ અકસીર ઈલાજ છે. વૈદ્યકીય સલાહ મુજબ વિરેચન કરાવવું જાઈએ. વિરેચન એવું હોવું જોઈએ કે, જે શરીરમાં સ્વેદલ તથા મૂત્રલ અસર કરીને ત્વચાનાં છિદ્રો, પેશાબ તથા ઝાડા વાટે દોષોનો નિકાલ કરે.
દશમૂલ ક્વાથ, પુનર્નવાદિ ક્વાથ, પુનર્વાષ્ટક, પથ્યાદિ ક્વાથ વગેરેનું વૈદ્યકીય સલાહ મુજબ સેવન કરવાથી સોજામાં જ ફાયદો થાય છે.
સોજાની સારવારમાં હરડે, સાટોડી પુનર્નવા વધારે અસરકારક છે. આરોગ્યવર્ધિની, ચંદ્રપ્રભાવટી, ગોક્ષુરાદિ ક્વાથ, ગોક્ષુરાદિ ગુગળ, પટોલાદિ ક્વાથ, પુનર્નવા ચૂર્ણ વગેરે દેશી દવાઓ આ રોગ ઉપર અક્સીર કામ કરે છે. આ ઉપરાંત દશાંગલેપ, લેપગુદી વગેરે પણ લગાવી શકાય છે.
પથ્યા-પથ્ય : આ રોગમાં દર્દીએ નમક, મીઠું, દહીં, દારૂ, ગોળ, ખટાશ, માંસાહાર વગેરે બંધ કરવું જોઈએ. વધારે પડતો શ્રમ ન કરવો. પગ લટકાવીને ન બેસવું. અતિશય ખારું, ખાટું તથા તીખું ન ખાવું. ઉજાગરા ન કરવા. સોજાનાં દર્દીઓએ પેશાબ સાફ આવે એ માટેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. યોગ્ય આહાર વિહાર અને પથ્યા-પથ્ય આ રોગમાં જરૂરથી ઘણો બધો ફાયદો કરાવે છે જેમાં શંકાને સ્થાન નથી.
- જ્હાનવીબેન ભટ્ટ


