Get The App

'બુરા ન માનો હોલી હૈ' .

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
'બુરા ન માનો હોલી હૈ'                               . 1 - image

- દેશભરમાં વિવિધ રીતે ઉજવાતો રંગ-ઉમંગ-મસ્તી-શૌર્યનો તહેવાર હોળી

વિવિધતામાં એકતા આપણા દેશની ખાસિયત છે. અનેકવિધ જાત-કોમના લોકોને સમાવી લેતાં  ભારતમાં એક જ તહેવાર અલગ અલગ રાજ્યના લોકો વેગવેગળી રીતે ઉજવે છે. ભલે તે ઉજવવાની રીત જુદી હોય કે તેના નામ જુદાં જુદાં હોય, પણ તેનું હાર્દ તો એક જ હોય છે. નરસા પર સારાની જીતના પર્વ હોળીની જ વાત કરીએ તો  હિન્દુસ્તાનમાં આ તહેવાર પણ વિવિધ રીતે ઉજવાય છે. વંસત ઋતુનું આગમન  પાનખરમાં નગ્ન બનેલી વૃક્ષોની ડાળીઓને ફરીથી ફૂલોના રંગ-સુગંધથી ભરી દે છ.ે તેવી જ રીતે વસંત ઋતુની ઉજવણી માટેનો તહેવાર હોળી પણ લોકોના તનમનને રંગીન બનાવી  દે છે. 

પશ્ચિમ બંગાળનું શાંતિનિકેતન કળા, સંસ્કૃતિ અને નૃત્યનું ઉછેર કેન્દ્ર ગણાય છે. વાસ્તવમાં  એક સમયે શાંતિનિકેતન ભુવનદંગાના નામે ઓળખાતું હતું. પછીથી મહર્ષિ  દેવેન્દ્રનાથ ટાગોરે તેનું પુનઃનામકરણ કર્યું. મહત્વની વાત એ છે કે આજથી લગભગ દોઢસો વર્ષ અગાઉ રવિન્દ્રનાથ ટાગોરે યુનિવર્સિટી પરિસરમાં  વસંત ઉત્સવ કે પછી ડોલ જાત્રાની ઉજવણી શરૂ કરી. વસંત ઋતુના આગમન સાથે અહીં જાણે કે રંગોની વર્ષા થવા લાગે. સર્વત્ર પલાશના ફૂલોની શોભા વાતાવરણને  રંગીન બનાવી દે. વસંત ઋતુ દરમિયાન તમે શાંતિનિકેતનમાં પગ મૂકતાં જ લોકો 'નીલ દિગન્તી, ઓરે ભાઇ ફાગુન લેગેચે'ના  કર્ણમધુર સ્વરથી ે ઝૂમી ઉઠ અનેે ગુલાલના રંગે રંગાઇને એકમેકને હેતથી ભેટે.ફાગણને ઉજવવા બધા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ પીળા રંગના વસ્ત્રો અને ફૂલોના આભૂષણોમાં સજ્જ થઇને આવે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનું તાદાત્મ્ય અને ઉમંગ-ઉત્સાહ આશ્ચર્ય પમાડનારા હોય. જોકે આ સંગીતમય વાતાવરણમાં  અહીંના ભગવાધારી ગૂઢ ફકીરોને કોઇ ન ભૂલે. તેઓ તેમના એકતારા પર જીવન, આસ્થા અને પ્રેમને અનોખી શૈલીમાં રજૂ કરે. 

જ્યારે બનારસમાં તો હોળીનો તહેવાર નવી ઉર્જાનો સંચાર કરતો જણાય.લોકો ગુલાલની મુઠ્ઠીઓ ભરીને શેરીઓમાં નીકળી પડે. હોલિકા દહનથી એક રાત પહેલા જ હોળીની ઉજવણી શરૂ થઇ જાય. આ પૌરાણિક નગરીના લોકો કોઇપણ જાતના સંકોચ વિના બિન્ધાસ્ત બનીને હોળીની ઉજવણી કરતાં જોવા મળે. તમે કોઇપણ ઘાટના ઉપરના ભાગ પરથી હોળીની રંગભરી ઉજવણી કરતાં લોકોને નિહાળી શકો. વહેલી સવારથી જ લોકો ગુલાબી, ભૂરા, રાતા, જાંબુડી, પીળા જેવા અનેકવિધ રંગો લઇને શેરીઓમાં ઉતરી પડે. બનારસવાસીઓ દોસ્ત-દુશ્મનના ભેદ ભૂલી જઇને એકમેક પર  રંગીન પાણી  ભરેલી પિચકારી અને ફુગ્ગા ફેંકતા જોવા મળે.સાંજ  પડે ત્યાં સુધી લોકો મસ્ત બનીને રંગોથી રમે. અને સાંજ  પડવાથી પહેલા આ ઉજવણી ધીમી પાડીને ગંગા આરતી માટે તૈયાર થવા લાગે. હોળી રમતી વખતે  ગમે તેટલી મસ્તી કરવામાં આવે તોય કોઇ કોઇનાથી ખફા ન થાય.અહીં હોળી વખતે માઠું ન લગાડવા માટેનો તકિયા કલામ 'બુરા ન માનો હોલી હૈ' તો હવે સમગ્ર દેશમાં પ્રચલિત થઇ ગયો છે. આ ઉત્સવ દરમિયાન રાત્રે લોકો ઠંડાઇ, ભાંગ, કાંજી વડા અને ગરમાગરમ માલપુઆની જયાફત માણે. 

શીખ પ્રજા હંમેશાંથી તેના જોશ-ઉમંગ-શૌર્ય  માટે જાણીતી રહી છે. હોળી વખતે શીખો ચંદીગઢથી ૮૦ કિ.મી.ના અંતરે આવેલા આનંદપુર સાહિબની વાટ ઝાલે છે. અહીં હોળી વખતે ત્રણ દિવસનો હોલા મોહલ્લા તહેવાર ભારે ધૂમધામથી ઉજવાય છે. દેશવિદેશથી લોકો આનંદપુર સાહિબ ખાતે ઉતરી પડે છે. શીખ બાંધવો આ તહેવાર દરમિયાન તેમની યુધ્ધ કળા  દ્વારા પોતાના શૌર્યનું અને ભાઇચારાનું પ્રદર્શન કરે છે.  તેઓ બહુ ગર્વથી કહે છે, 'જગ દી હોલી તે સાદા હોલા.'જોકે  ત્રણ દિવસનો આ ઉત્સવ એક અઠવાડિયા સુધી લંબાય છે. આ સમય દરમિયાન લોકો પોતાની યુધ્ધ કળાનું પ્રદર્શન કરવા સાથે ગીત-સંગીત અને કિર્તનનો આનંદ પણ લે છે. વાસ્તવમાં ૧૭મી સદીમાં ગુરુ ગોવિંદ સિંહે વાર્ષિક ઉત્સવ હોલા મોહલ્લાનો આરંભ કર્યો હતો. ખાસ કરીં નિહંગો (શીખ યોધ્ધાઓ) પોતાની  ઘોડેસવારી, તલવારબાજી તેમ જ અન્ય યુધ્ધ કળાનું પ્રદર્શન કરી શકે તેને માટે. તમને અહીંના લંગરો (શીખો તરફથી ચલાવવામાં આવતાં નિઃશુલ્ક રસોડાં)થી લઇને નિહંગોના સરઘસ, મોક યુધ્ધ, રંગોત્સવ ઇત્યાદિ બધું જ અનોખું લાગે. તેમાંય ગળી જેવા ભૂરા રંગના વસ્ત્રોમાં સજ્જ હજારો નિહંગોને એકસાથે જોવા એ પણ જિંદગીનો એક લહાવો ગણાય. આ ઉત્સવ દરમિયાન આનંદપુર સાહિબની બધી હોટેલો, ધર્મશાળાઓ  શીખોથી ભરાઇ જતી જોવા મળે.  આ રીતે જ ભારતના અલગ અલગ રાજ્યોમાં  જુદી જુદી રીતે હોળીની ઉજવણી કરીને વસંત ઋતુને વધાવાય છે.