જોજો, કંસારી-વાંદા-માખી-મચ્છર કાઢવા જતાં તમે માંદા ન પડી જાઓ!
હવામાં બફારો અને ગરમી વધતાં ઘરમાં બે-ચાર કંસારી-વાંદા દેખાયા. એ જોઈને રમાબહેન ચિંતામાં પડી ગયાં. દીકરી પ્રસૂતિ કરાવવા આવેલી. નવજાત બાળક અને માને વાંદા અને માખી-મચ્છર હેરાન કરે. રમાબહેને છાપામાં એક જાહેરખબર જોયેલી. તરત એ કટિંગ શોધી કાઢીને પેસ્ટ કન્ટ્રોલવાળાને ફોન કર્યો. પેસ્ટ કન્ટ્રોલના માણસો આવીને દવા છાંટી ગયા. પરંતુ એ પછી ૨૪ કલાકમાં રમાબહેનના પતિને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. માતૃત્વને વરેલી દીકરી પણ બીમાર પડી ગઈ.
આવું કેમ બન્યું હશે? રમાબહેન વિચારતાં હતાં. તેમના ફેમિલિ ડૉકટરે સમજાવ્યું કે બને ત્યાં સુધી ઘરમાં સ્વચ્છતા જાળવી રાખવી. ગંદકી હોય ત્યાં માખી-મચ્છર-કંસારી-વાંદા-ઉંદર વગેરે આવવાનાં જ. ઘરમાં પુસ્તકો હોય તો એને અવારનવાર ઝાટકવા જોઈએ. નહીંતર એમાં સિલ્વર ફિશ અને ઉધઈ થઈ જાય. ડૉકટરની આટલી સમજાવટ પછી પણ રમાબહેનને પૂરેપૂરું સમાધાન થયું નહોતું. એટલે ડૉકટરે ફોડ પાડયો : જીવાત મારવા માટે પેસ્ટ કન્ટ્રોલવાળા જે રસાયણો ઘરમાં સ્પ્રે કરે છે એ આપણા આરોગ્ય માટે હાનિકારક છે. તમે ક્યારેક પેસ્ટ કન્ટ્રોલવાળાને પૂછજો કે આ તમે શું છાંટો છો? તો એ કહેશે, માખી-મચ્છર મારવાની દવા છે. એનું નામ તમને નહીં સમજાય. બોલતાં જીભના લોચા વળી જશે. પેસ્ટ કન્ટ્રોલવાળાની વાત અડધી સાચી છે. આવાં રસાયણોનાં નામ બોલતાં જીભના લોચા વળી જાય એ સાચું પરંતુ માખી-મચ્છર-માંકડ કે વાંદા મારવાની દવા તકલીફ તો આપણને પણ આપે. આ બધાં રસાયણોને સિન્થેટિક પાયરેથ્રોઈડ્સ કહે છે.
અગાઉ આપણે કેરોસિનમાં ભેળવીને અમુક દવા પંપ વડે ઘરમાં છાંટતાં. એ વખતે મમ્મી મોઢા પર રૂપાલ બાંધતી, જો તમને યાદ હોય તો. મોઢે રૂમાલ બાંધવાનું કારણ એ જ કે એ રસાયણ નાક કે મોંમાં ન જાય. હકીકતમાં આ તમામ રસાયણો આરોગ્ય માટે હાનિકારક છે. ઘણીવાર આવી દવાઓ વડે આપઘાતના પ્રયત્નો નથી થતાં? તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ ઘણા પેસ્ટ કન્ટ્રોલવાળા પોતે પણ અમુક રસાયણોનાં નામ જાણતાં નથી. જે લોકો આવી વિગતો જાણે છે એ ધંધાદારી ગુપ્તતાના નામે ગ્રાહકોને કહેતા નથી. એય સમજ્યા, ગ્રાહકોને અગમચેતીનાં કયાં પગલાં લેવા એ પણ અગાઉથી કહેતાં નથી.
નજીકના ભવિષ્યમાં તમે પેસ્ટ કન્ટ્રોલ કરાવવા ઇચ્છતા હો તો અગમચેતીનાં થોડાં પગલાં લેવાં જરૂરી છે. તમારા અને કુટુંબીજનોના આરોગ્ય માટે એ જરૂરી છે. અગમચેતીનાં થોડાં સૂચન અહીં કર્યાં છે.
- સદા એવો આગ્રહ રાખો કે પેસ્ટ કન્ટ્રોલવાળા જે રસાયણ વાપરવાનાં હોય એની વિગતો તમને બ્રાન્ડનેમ સાથે આપે. એનો એક મોટો લાભ છે. ધારો કે પેસ્ટ કન્ટ્રોલ કરાવ્યાના ૨૪ કલાક બાદ પરિવારમાં કોઈને કંઈ તકલીફ થાય તો તમે ડૉકટરને કહી શકો કે કયા રસાયણની આડઅસર રૂપે આ તકલીફ થઈ છે.
- જે રસાયણ વાપરવાનું છે એ ભારતમાં વાપરવા માટે ભારત સરકારના ખોરાક અને ઔષધ ખાતા તરફથી કાયદેસર માન્યતા પામેલું છે એની ખાતરી મેળવો.
- પેસ્ટ કન્ટ્રોલવાળા સ્પ્રે ગન વાપરવાના હોય તો રસોડું, બાથરૂમ-જાજરૂ વગેરે સ્થળેથી મોટા ભાગની ચીજો ખસેડી નાખો. ખાદ્યપદાર્થો, દવાની બાટલીઓ, કપડાં અને સૌંદર્ય પ્રસાધનો અન્યત્ર ખસેડી નાખો. પેસ્ટ કન્ટ્રોલની સેવા ચાલુ હોય ત્યારે પરિવારના બધા સભ્યો અને પાળેલાં પશુ-પંખીને પણ બહાર લઈ જાઓ.
- પેસ્ટ કન્ટ્રોલવાળા ઘરનાં બારી-બારણાં બંધ કરે તેની કાળજી લો. એ લોકોનું કામ પતી ગયા પછી શક્ય હોય તો ત્રણ-ચાર કલાક બારી-બારણાં બંધ રાખો. ડૉકટરો તો કહે છે કે શક્ય હોય તો દસથી બાર કલાક પેસ્ટ કન્ટ્રોલ થયેલા ઘરથી દૂર રહો. ઘરમાં પ્રવેશતાંની સાથે તમામ બારી-બારણાં ખોલી નાખો. ઘરમાં પ્રવેશતાં જ ઉગ્ર વાસ આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે, શરીર પર ખંજવાળ આવે, આંખ બળે, ગળામાં બળતરા થાય, માથું દુ:ખે તો તરત ફેમિલિ ડોકટરને મળીને તેમનું માર્ગદર્શન મેળવો.
ભારત સરકારના કૃષિ ખાતામાં ઇન્સેક્ટિસાઈડ્સ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટિ નામનો વિભાગ છે. કાયદાની દ્રષ્ટિએ તમામ પેસ્ટ કન્ટ્રોલ કંપની આ વિભાગમાં નોંધાયેલી હોવી જોઈએ. પરંતુ આજકાલ ચોમાસામાં ઠેર ઠેર દેખાતાં અળસિયાંની પેઠે પેસ્ટ કન્ટ્રોલ કંપનીઓ ફૂટી નીકળી છે. તમે કોઈ પેસ્ટ કન્ટ્રોલવાળાનો સંપર્ક સાધો ત્યારે પૂરતી તપાસ કરો કે એ દુકાનદાર ઇન્ડિયન પેસ્ટ કન્ટ્રોલ એસોસિયેશન (આઈપીસીએ)નો સભ્ય છે? એને આ કામનો કમ સે કમ બે વરસનો અનુભવ છે? એની પાસે કેમિસ્ટ્રી (રસાયણ વિજ્ઞાાન) વિષય સાથે વિજ્ઞાાનશાખાના ગ્રેજ્યુએટની ડિગ્રી છે? જો આ બધા સવાલોનો જવાબ 'ના'માં મળે તો એની સેવા લેતાં પહેલાં જરા વિચાર કરજો. પેસ્ટ કન્ટ્રોલ કરાવી લેવાની ઉતાવળમાં ક્યાંક તમારે ડૉક્ટરનું તોતિંગ બિલ ભરવાનું ન આવે.
અને આ બધી પળોજણ ન કરવી હોય તો એનો વિકલ્પ તમારી પોતાની પાસે છે. રસોડામાં અને બાથરૂમ-જાજરૂમાં સફાઈ રાખો. બાથરૂમમાં પાણી વહી જવાની મોરીની જાળી પર મારવાનાં ઢાંકણ મળે છે. રાત્રે સુતાં પહેલા એ જાળી પર ઢાંકણ મારી દો અથવા પાણીની બાલદી મૂકી દો. એટલે એમાંથી કંસારી-વાંદા બહાર નહીં આવી શકે.
રસોડામાં કે ચોકડીમાં ક્યાંય પાણીનું ખાબોચિયું ન ભરાઈ રહે તેની કાળજી રાખો. ભીનાશ અને પાણી માખી-મચ્છરના ઉછેરકેન્દ્ર બની જાય છે. શક્ય હોય તો દિવસમાં બે વાર ઘરમાં ઝાડું- પોતું કરાવો. પોતું કરતી વખતે ડેટોલ કે સેવલોન સાથે પાણીમાં અડધી ચમચી નમક ઉમેરો. ઘરમાં જીવાત નહીં થાય. પુસ્તકોમાં લીમડાનાં સુકાં પાન કે તમાકુના પાન મૂકો. સિલ્વર ફિશ કે ઉધઈ સામે રક્ષણ મળશે. ગાદલા-તકિયાના ખૂણે ટચૂકડી પોટલીમાં કપૂરની ટીકડી બાંધી રાખો. માંકડ નહીં થાય. માંકડ નહીં થાય. ઉનાળામાં ગાદલા-તકિયા-ઓઢવાનાને તડકે નાખો. આટલું કરો તો તમને કદાચ પેસ્ટ કન્ટ્રોલની જરૂર જ નહીં પડે.