ગરમીમાં ત્રાસદાયક લાગતાં પરસેવાનું વિજ્ઞાાન
ઘણા લોકો માને છે કે પરસેવો થયા પછી પાણી પી લેવાથી અથવા નહાવાથી શરદી થઈ જાય છે. પણ એ વાત સાચી નથી. તડકામાં કામ કરવાથી, ગરમી લાગવાથી અથવા મહેનત કરવાથી પરસેવો થયો હોય તો નહાવાનો કોઈ વાંધો નથી. પાણી પીવાથી પણ કોઈ નુકસાન નથી થતું.
ઉનાળાના ધોમધખતા તડકામાં બહાર નીકળીએ ત્યારે પરસેવે રેબઝેબ થઈ જવાય છે. રૃમાલથી પરસેવો લૂછી લૂછીને થાકી જવાય છે. એવામાં કોઈકનો સાથ મળી જાય તો રૃમાલ હલાવીને ઠંડક કરવાની કોશિશ કરતાં કરતાં એક જ વાત થાય છે, આ વખતે તો ગરમીએ હદ કરી નાખી! આટલી ગરમી તો કદી નહિ પડી હોય! ઉનાળાની બપોરે જે લોકો ઘરમાં પુરાઈને બેઠા હોય એમને પણ પરસેવો તો થયા જ કરે છે. એમાંય ઉનાળાની આવી બપોરે જો એસ.ટી. બસમાં મુસાફરી કરવી પડે તો આવી જ બને છે.
પણ ઉનાળાના ધગધગતા તાપમાં એસ.ટી. બસમાં બેઠાં બેઠાં, રૃમાલ હલાવીને ઠંડક કરવાની કોશિશ કરતાં કરતાં આજુબાજુ નજર ફેરવીએ તોે ખ્યાલ આવે છે કે બધા ગરમીથી બેચેન છે ત્યારે કેટલાક માણસો એવી રીતે બેઠા છે કે જાણે ગરમી લાગતી જ ન હોય! એવા લોકોને પરસેવો પણ નથી નીતરતો. એમને જોેઈને ઘણીવાર ઈર્ષ્યા પણ થાય છે કે કાશ! આ માણસોની જેમ આપણને પણ પરસેવો ન વળતો હોત, બફારો ન થતો હોત તો કેટલું સારું થાત! શરીર ચીકણું ન થાત, કે કપડાં ગંદા ન થાત!
પરસેવો થાય છે ત્યારે ધીમે ધીમે શરીર પર ચીકાશ જામવા લાગે છે. કપડાં ઉપર પરસેવાથી સફેદ રંગના ડાઘ પડી જાય છે, કારણ કે પરસેવામાં પાણીની સાથે શરીરના નકામા ક્ષાર અને ચરબી પણ નીકળે છે. પરસેવો થવો એ એક કુદરતી ક્રિયા છે. જે દરેક તંદુરસ્ત માણસને થાય છે. થવો જ જોઈએ, કારણ કે પરસેવો થવાથી શરીર ઠંડુ રહે છે. વૈજ્ઞાાનિકો કહે છે કે પરસેવો એ શરીરનું કુદરતી એરકુલર છે.
શરીરમાં ગરમી વધે કે તરત જ પરસેવો થવા માંડે છે. ઉનાળાના તાપને કારણે શરીર ગરમ થાય, હવામાં બફારો થવાથી શરીર ગરમ થાય, તાવ આવવાથી શરીર ગરમ થાય કે પછી કોઈ વાતે ડર લાગવાથી, ગુસ્સો કરવાથી, મહેનત કરવાથી અથવા ઉતાવળ કરવાથી શરીરમાં ગરમી વધી જાય છે. ત્યારે વધારાની ગરમીને ઠેકાણે પાડવા માટે શરીરમાં પરસેવો વળવા લાગે છે.
પરસેવો આમ તો આપણા શરીરમાંથી ચુસાયેલું પાણી જ હોય છે. એમાં એક ટકા જેટલો કચરો ઓગળેલો હોય છે. એ કચરામાં શરીરમાં કામના ન હોય એવા પ્રોટીન અને એમોનિયા અને બીજા ક્ષારો હોય છે. પ્રોટીનના કારણે પરસેવામાં ચીકાશ આવે છે. અને એમોનિયા તથા ક્ષારના કારણે પરસેવો આપણી આંખના આંસુ જેવો ખારો હોય છે.
શરીરની ચામડી પર એકબીજાની અડોઅડ જેમ વાળ ઊગ્યા હોય છે એ જ રીતે ચામડીની અંદર પરસેવાની ઝીણી ઝીણી ગ્રંથિઓ હોય છે. એ માંડ ઘઉંના દાણા જેવડી હોય છે. કોથળી જેવી આ ગ્રંથિઓ શરીરમાંથી પાણી ચૂસતી રહે છે અને ફૂલીને જાડી થતી રહે છે. શરીરમાં જ્યારે જરૃર કરતાં વધારે ગરમી થઈ જાય ત્યારે ચામડીમાં રહેલી પરસેવા ગ્રંથિઓ દબાવા લાગે છે. એટલે એમાં ભરાયેલો પરસેવો બહાર નીકળીને ચામડી પર ટીપાં ટીપાં દેખાય છે.
બહારની હવામાં આ ટીપાં સુકાતા જાય છે. વિજ્ઞાાનનો એવો નિયમ છે કે કોઈપણ પ્રવાહી સુકાય ત્યારે એ જગ્યા ઠંડી થાય. ચામડી પર પરસેવાના ટીપાં સુકાતા જાય ત્યારે ચામડી ઠંડી પડતી જાય છે. આખા શરીરની ચામડી ઠંડી પડતી જાય તો છેવટે શરીર પણ ઠંડુ પડે છે. આમ, પરસેવો આપણાં શરીરને ઠંડુ કરતો રહે છે.
જ્યાં સુધી ગરમી લાગતી રહે ત્યાં સુધી પરસેવો નીકળતો રહે છે, સુકાતો રહે છે અને શરીરને ઠંડુ પાડતો રહે છે.
પરસેવાનો કોઈ રંગ હોતો નથી કે કોઈ ગંધ હોતી નથી. એટલે પરસેવો થયા કરે અને સુકાયા કરે તો ગંધાતો નથી. કુદરતની આ ગોઠવણમાં આપણાં કપડાં અડચણ કરે છે. શરીર પર પરસેવો થાય ત્યારે આપણે ગંજી-જાંગીયા અને પેન્ટ-શર્ટ અથવા સાડી જેવા કપડાં પહેરેલાં હોવાથી ચામડી પર ફૂટતા પરસેવાને હવા લાગતી નથી. એ કુદરતી રીતે સુકાતો નથી. પરસેવો જો સુકાય નહિ તો એ ગંધાઈ ઉઠે છે.
ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાનો રિવાજ એટલા માટે જ છે કે શરીરનો પરસેવો સુતરાઉ કપડામાં ચુસાઈ જાય અને કપડાંને હવા લાગે ત્યારે સુકાતો રહે. રેશમી અને ટેરીકોટન જેવાં કપડામાં પરસેવો ચુસાતો નથી, અને સુકાતો પણ નથી. એટલે ઉનાળામાં એવા કપડા પહેર્યા હોય તો શરીર પરસેવાથી ગંધાવા માંડે છે.
ખાવામાં લસણ, ડુંગળી, દારૃ જેવી ચીજો રોજ ખવાતી હોય તો પરસેવામાં ખાસ જાતની ગંધ આવે છે. એ જ રીતે અપચો કે કબજિયાતની તકલીફ હોય ત્યારે પણ ગંધવાળો પરસેવો થાય છે. શરીરમાં કોઈ રોગ થયો હોય તો પણ પરસેવો ગંધાય છે. આ સિવાય જો રોજ નહાવાની અને શરીર ચોખ્ખુ રાખવાની ટેવ ન હોય તો શરીર ઉપર જામેલા મેલ સાથે પરસેવો ભેળસેળ થતાં સડો થાય છે અને શરીરમાંથી ઉકરડા જેવી વાસ આવે છે.
રોજ નહાવાની ટેવ હોય પણ કપડાં મેલાં રહેતાં હોય તો પણ પરસેવામાં કપડાં પલળે ત્યારે ગંધ મારે છે. શરીરનો કેટલોક ભાગ ચોવીસ કલાક ઢંકાયેલો રહે છે. જેમ કે કમર, પીઠ, જાંઘનો ભાગ અને બગલનો ભાગ. આવી જગ્યાએ પરસેવાથી ફૂગ અથવા સડો થવાનો ડર વધારે રહે છે. એટલે ખાસ કરીને ઉનાળામાં તો અંદરના કપડાં રોજેરોજ ધોયેલાં જ પહેરવાં જોઈએ.
ઉનાળામાં રોજ નહાઈને ચોેખ્ખા ધોયેલા ટુવાલથી શરીર લુછી લો તથા સુતરાઉ કપડાં પહેરવાનું રાખો તો પરસેવો જરાય વાસ મારતો નથી. આવી ચોખ્ખાઈ રાખી હોય અને ખાવા-પીવામાં સાદો ખોેરાક ખાવાનું રાખ્યું હોય છતાં જો પરસેવો વાસ મારતો હોય તો નક્કી સમજવું કે શરીરમાં કોઈક ગરબડ છે. કોઈક બીમારી છે! કમળો થયો હોય તો પરસેવો પીળા રંગનો થાય છે, અને કપડામાં પણ પીળા રંગના ડાઘ પડી જાય છે.
તંદુરસ્ત માણસનેં આખા શરીરમાં એકસરખો પરસેવો થાય છે. જો હાથની હથેળી અને પગના તળિયામાં જ પરસેવો થતો હોય તો એ શરીરની બીમારી બતાવે છે. એનો ઈલાજ કરાવી લેવો જોઈએ. ઘણા લોકો એમ માને છે કે, વધારે પાણી પીવાથી વધારે પરસેવો થાય છે એટલે જો પાણી પીવાનું ઓછું કરી નાખીએ તો પરસેવાનો ત્રાસ પણ ઓછો થઈ જશે. આવા માણસોની ગણતરી સાચી છે. શરીરમાં પાણી ઓછું હોય તો પરસેવો ઓછો થાય છે.
પણ એ રીતે પરસેવો નહિ થવા દેવાથી ફાયદો નહિ નુકસાન થાય છે, કારણ કે શરીરને ઠંડુ કરવા માટે પરસેવો થવાની સખત જરૃર હોય છે. પણ સાવ ઓછું પાણી પીવાયું હોય એટલે પરસેવો થઈ શકતો નથી. પરસેવો નહિ થવાથી શરીર ઠંડુ પડતું નથી. શરીર વધારે પડતું ગરમ રહેવાથી આખા શરીરમાં નાનું-મોટું નુકસાન થાય છે. એટલે પરસેવો ઓછો કરવા માટે ઓછું પાણી પીવાનો અખતરો કરવા જેવો નથી.
અચાનક કોઈ ટેન્શન આવી પડે અથવા અચાનક કોઈ ચીજનો ખૂબ જ ડર લાગે અથવા ખૂબ જ ગુસ્સો ચઢે ત્યારે પણ શરીરે પરસેવો છૂટી જાય છે. ટેન્શન, ડર અથવા ગુસ્સો થાય ત્યારે આપણા લોહીમાં જાતજાતના હોર્મોન રસાયણો ઊભરાય છે એના કારણે આ પરસેવો થાય છે. અને ડર, ગભરાટ કે ગુસ્સો રહે ત્યાં સુધી પરસેવો થયા કરે છે.
જમવાનો સમય થઈ ગયો હોય, બરાબરની ભૂખ લાગી હોય છતાં જમવા ન બેસીએ અથવા નાસ્તો ન કરીએ તોે થોેડી વારમાં આખા શરીરે પરસેવો છૂટવા માંડે છે. શિયાળો ચાલતો હોય અને જરાય ગરમી ન હોય તો પણ આપણે પરસેવે રેબઝેબ થઈ જઈએ છીએ. આ પરસેવો શરીરની અંદરની ગરમીના કારણે થાય છે. સમયસર જમવાનું ન મળે ત્યારે શરીરની અંદર સચવાયેલી ચરબી અને વધારાની શક્તિ ઓટોમેટિક વપરાવા લાગે છે. વધારાની ચરબી અથવા શક્તિ ઓગળે ત્યારે શરીરમાં વધારાની ગરમી થાય છે. એ ગરમીને ઠંડી પાડવા માટે પરસેવો થાય છે.
ઘણા લોકો માને છે કે પરસેવો થયા પછી પાણી પી લેવાથી અથવા નહાવાથી શરદી થઈ જાય છે. પણ એ વાત સાચી નથી. તડકામાં કામ કરવાથી, ગરમી લાગવાથી અથવા મહેનત કરવાથી પરસેવો થયો હોય તો નહાવાનો કોઈ વાંધો નથી. પાણી પીવાથી પણ કોઈ નુકસાન નથી થતું. હા, પરસેવો થવાની સાથે અશક્તિ લાગતી હોય, થાક વરતાતો હોય ત્યારે ન નહાવું જોઈએ, કારણ કે અશક્તિ અથવા થાક લાગ્યો હોય ત્યારે નહાવાથી વધારે અશક્તિ આવે છે. શરદી પણ થઈ શકે છે.
પરસેવો થવાથી અશક્તિ આવે છે એમ ઘણા લોકો માને છે. પણ હકીકત સાવ ઊંધી છે. હકીકતે અશક્તિ થવાથી પરસેવો વળ્યા કરે છે. હા, ચરબી ઘટાડવા માટે વરાળનું સ્નાન કર્યું હોય અને પરસેવો વળ્યો હોય તો એનાથી અશક્તિ આવે છે ખરી. બાકી મહેનત કરીને પરસેવો કાઢ્યો હોય ત્યારે તો તાજગી આવે છે.
ઉનાળાની ગરમીથી પરસેવો થાય ત્યારે પણ ધીમે ધીમે પવન આવતો હોય એવી જગ્યાએ બેસવાથી સરસ મઝાની ઠંડક લાગે છે. શરીર તાજું થઈ ગયું હોય એમ લાગે છે. વૈજ્ઞાાનિકો એટલે જ તો કહે છે કે પરસેવો વળવો એ તાજગીની નિશાની છે. પરસેવો ન વળે તો શરીરમાં ખરાબી થયાની નિશાની ગણાય છે.
જૂના જમાનાના વડીલો તો એમ જ કહેતા હતા કે રોજ પરસેવો પાડતો હોય એને નખમાંય રોગ ન થાય. પરસેવો પાડવાનો મતલબ થાય છે, મહેનત કરવી. પોતપોતાના ખેતરમાં અથવા કામમાં મહેનત કરીને પરસેવો પાડો તો મહેનતથી ખાવાનું સરસ પચી જાય. પરસેવાથી શરીરની ચામડી ધોવાઈ જાય અને રાત્રે થાકને કારણે સરસ મીઠી ઊંઘ પણ આવી જાય! પછી નખમાંય રોગ થાય ક્યાંથી.
આ ફાયદો પરસેવો પાડવામાં જ છે. પરસેવો પાડવો અને પરસેવોે વળે એ બન્નેમાં ખૂબ ફરક છે. બીમારીના કારણે, ભૂખના કારણે અથવા ગભરાટ કે ગુસ્સાના કારણે પરસેવો થાય તો એને પરસેવો વળી ગયો કહેવાય છે. જ્યારે મહેનત કરવાથી પરસેવો થાય તો એને પરસેવો પાડયો કહેવાય છે. પરસેવો પાડવામાં ખૂબ મહેનત થઈ હોય તો કહેવાય છે કે ભાઈ, એમ ને એમ કામ નથી થયું, પરસેવો પગ સુધી પહોંચ્યો છે, ત્યારે કામ થયું છે.
અગાઉના વડીલો કહેતા હતા કે બુદ્ધિનું કામ કરવાથી કપાળે પરસેવો થવા માંડે છે અને મહેનતનું કામ કરવાથી પીઠ ઉપર પરસેવો થવા લાગે છે.
આવી રીતે મહેનતનો પરસેવો થાય, નબળાઈનો પરસેવો થાય કે ઉનાળાની ધોમધખતી ગરમીથી પરસેવો થાય. આપણે હાથરૃમાલથી અથવા નાના નેપકીન-લૂછણિયાથી પરસેવો લૂછી નાખીએ છીએ. રૃમાલ હલાવીને અથવા પંખો ચલાવીને ઠંડક કરવાની કોશિશ બરાબર છે, કારણ કે પરસેવો થાય છે જ શરીરને ઠંડુ પાડવા માટે. પણ પરસેવો લૂછવાની વાત બરાબર નથી. પરસેવો લૂછવાને બદલે રૃમાલ હલાવીને એને સૂકવવાની કોશિશ કરવી જોઈએ.
બીજું, મનોવિજ્ઞાાનના નિષ્ણાતો કહે છે કે આ વખતે તો ગરમીએ હદ કરી નાખી છે એવું વિચારીને કંટાળશો તો વધારે ગરમી થશે. વધારે પસ્તાવો થશે. એના બદલે, ગરમી ગરમીનું કામ કરે, આપણે આપણું કામ કરીએ... એવું વિચારીને શાંતિ રાખવાથી ઓછી તકલીફ થશે.