- આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન ભટ્ટ
''એપિલેપ્સી'' નામના રોગની આયુર્વેદમાં અપ્સાર અને સાદીભાષામાં વાઈ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગમાં દર્દીની આંખો સામે અંધકાર છવાઈ જતો હોય તેવું તેને લાગે છે. રોગી ઘણીવાર હાથ-પગ પછાડે છે. તેની આંખો ઉપર ચઢી જાય છે. તેનાં દાંત બંધાઈ જાય છે અને મોઢામાં ફીણ આવી જાય છે. ઘણીવાર રોગી ઊંઘમાં હોય ત્યારે પણ ખેંચના હુમલાં આવી શકે છે.
આ ભયંકર રોગનું આજદિન સુધી કોઈ નિશ્ચિત કારણ જાણી શકાયું નથી. પરંતુ ચિંતા, શોક, ક્રોધ, આદિ કારણોથી પ્રફુલિત થયેલાં વાતાદિ દોષો મનોવાહી સ્ત્રોતોમાં વ્યાપ્ત થઈ સ્મૃતિભ્રંશ કરીને આ રોગ ઉત્પન્ન કરે છે. આયુર્વેદમાં આ અપસ્માર વ્યાધિનાં જ પ્રકાર બતાવવામાં આવેલાં છે. વાતજ, પિત્તજ, કફજ અને સન્નિપાત જ આધુનિકવિજ્ઞાાનમાં આ રોગ થવાનું મુખ્ય કારણ મસ્તિષ્કનાં બાહ્યસ્તર (ર્ભંઇ્ઈઠ)ની રક્તવાહિનીઓમાં જ સંકોચ થતાં રક્તની અલ્પતાનાં કારણે આ રોગ ઉત્પન્ન થતો માનવામાં આવે છે.
અપસ્માર રોગ દર્દીને થાય તે પહેલાં કેટલાંક લક્ષણો તેનામાં જોવા મળતાં હોય છે. જેને આયુર્વેદમાં પૂર્વરૂપ કહે છે. આ પૂર્વરૂપ તરીકે રોગીનાં હૃદયમાં કંપન અને શૂન્યતા પરસેવો અને ચિંતા, અનિંદ્રા અને ઘણી વખત રોગીમાં બેભાનવસ્થાં પણ જોવા મળતી હોય છે. રોગીને મોટા ભાગે સીધા જ વેગ શરૂ થઈ જતા જોવા મળે છે. આ રોગમાં દર્દી ઘણીવાર પડી જતાં શરીરમાં આડું-અવળું વાગી જવાની પણ શક્યતા રહે છે. તો ઘણી વખત દાંતથી જીભ કપાઈ જતાં મુખમાંથી લોહી પણ નીકળે છે. ઘણીવખત રોગીમાં અનૈચ્છિક રીતે મળ-મૂત્રનો ત્યાગ થઈ જાય છે. જેથી આવા દર્દીઓએ ખૂબ સાવધાની રાખવી પડે છે. કારણ કે વેગનાં સમયે તેમને સાંભળનાર કોઈ ન હોય તો શરીરને હાનિ પહોંચી શકે છે.
આ રોગમાં ખેંચ આવવાનો કોઈ નિશ્ચિત સમય બતાવેલો નથી. પરંતુ આયુર્વેદ જ્યારે વાત જ અપસ્માર હોય તો આ રોગનાં હુમલા ૧૨ દિવસ પિત્તજ અપસ્મારમાં ૧૫ દિવસ અને કફજ અપસ્મારનાં રોગીને ૧ મહિને આ રોગનાં હુમલાં આવતાં હોય છે.
ઘણીવખત નાનાં બાળકોમાં પણ આ રોગ જોવા મળતો હોય છે. આયુર્વેદમાં તેને શિશુ અપસ્માર કહે છે. જેમાં ૧ દિવસમાં ૩ થી ૫૦ વેગ આવી શકે છે. પરંતુ આ વેગ સૌમ્ય હોય છે. અને મસ્તિષ્કનાં કાર્યમાં વિકૃત્તિ થતી નથી અને શિશુ યુવાવસ્થામાં પ્રવેશ કરતાં ધીરે ધીરે આ રોગ પોતાની જાતે શાંત થઈ જાય છે.
આ રોગ માટે આયુર્વેદમાં ઘણાં ઉપચારો બતાવવામાં આવ્યાં છે. જેમાંથી લાભપ્રદ અનુભૂત પ્રયોગો અહીં સૂચવું છું. જેમાંથી અનુકૂળ પડે તો કોઈ પણ પ્રયોગ વૈદ્ય કે નિષ્ણાંતની સલાહ મુજબ કરવો જેમાં.
(૧) વાવડીંગ અને પીપરનું સમભાગ ચૂર્ણ કરી ૫-૫ ગ્રામ સવાર-સાંજ રોગીને આપવું.
(૨) અક્કલકરો અને વ્રજનું સમભાગ ચૂર્ણ દિવસમાં ૩ વખત મધ સાથે ખવડાવવું.
(૩) યોગવચ, રાસ્ના ફૂલાવેલો ટંકણખાર સમાનભાગે લેવા અને જટામાંસી ચૂર્ણ બમણાં ભાગે લેવું. આમાંથી લગભગ ૨૦ ગ્રામ જેટલું ચૂર્ણ ૧૦૦ ગ્રામ પાણીમાં ધીમા તાપે ઉકાળવું તથા ૫૦ ગ્રામ જેટલું પાણી રહે ત્યારે ઉતારી લેવું અને ગાળી લેવું એમાંથી અડધું સવારે અને અડધું સાંજે પીવાથી થોડા જ દિવસોમાં ફાયદો જણાશે.
ઉપરોક્ત ત્રણમાંથી કોઈ પણ એક પ્રયોગ નિષ્ણાંતની સલાહમાં રહીને કરવાથી અપસ્માર રોગ ઉપર ચોક્કસ અદ્ભૂત પરિણામ મળશે.
આ ઉપરાંત નિષ્ણાંત સલાહ મુજબ બ્રાહ્મણીવટી, સ્મૃતિસાગર રસ, રૌપ્યભસ્મ, મુક્તપિષ્ટી વગેરેનું સેવન પણ આ રોગમાં ખૂબ જ લાભપ્રદ છે.
અપસ્માર રોગમાં જ્યારે વેગ આવેલો હોય ત્યારે,
(૧) ભોંયરીંગણીનાં ડોડવાનો રસ બે ટીપાં જેટલો નાકમાં મૂકવાથી વેગ શાંત થઈ જાય છે.
(૨) અપસ્મારનાં રોગીએ મનને શાંત રાખવું જોઈએ ચિંતા, ક્રોધ, ઉદ્વેગ, ઇર્ષા જેવા મનોગત ભાવોથી હંમેશાં બચવું જોઈએ, કારણ કે ઉપરોક્ત મનોભાવો આ રોગને વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત અપસ્મારમાં વેગનો હુમલો ગમે તે સમયે આવી શકતો હોવાથી આવાં દર્દીઓએ વાહન ચલાવવાનું ટાળવું જોઈએ, અથવા ખૂબ જ સાવધાનીપૂર્વક વાહન ચલાવવું જોઈએ. ઉપરાંત પાણી, ઊંચાઈ વગેરે તરફ જવાાનું પણ ટાળવું, જેથી અનિચ્છિનીય કોઈ પણ બનાવથી બચી શકાય.
નિષ્ણાંત માર્ગદર્શન હેઠળ શરૂ કરેલ ઔષધસેવન અને થોડી સાવધાની આ રોગમાં નિ:સહાય લાભ આપે છે.


