- આરોગ્ય સંજીવની - જહાનવીબેન ભટ્ટ
''એપિલેપ્સી'' ને આયુર્વેદ માં ''અપસ્માર'' અને સાદીભાષામાં ''વાઈ'' તરીકે ઓળખવામાં આવે છે. આ રોગમાં દર્દીની આંખો સામે અંધકાર છવાઈ જતો હોય તેવું તેને લાગે છે. રોગી ઘણીવાર હાથ-પગ પછાડે છે. તેની આંખો ઉપર ચઢી જાય છે. તેનાં દાંત બંધાઈ જાય છે, અને મોઢામાં ફીણ આવી જાય છે. ઘણીવાર રોગી ઊંઘમાં હોય ત્યારે પણ ખેચનાં હુમલાં આવી શકે છે.
આ ભયંકર રોગનું આજદિન સુધી કોઈ નિશ્ચિત કારણ જાણી શકાયું નથી, પરંતુ ચિંતા, શોક, ક્રોધ, આદિકારણોથી પ્રકુપિત થયેલાં દોષો મનોવાહી સ્રોતસમા વ્યાપ્ત થઈ સ્મૃતિભ્રંશ કરીને આ રોગ ઉત્પન્ન કરે છે. આયુર્વેદમાં આ અપસ્માર બોધનાં ૪ પ્રકાર બતાવવામાં આવેલા છે. વાતજ, પિતજ, કફજ, અને સન્નિપાતજ આધુનિક, વિજ્ઞાાનમાં આ રોગ થવાનું કારણ મસ્તિષ્કના બાહ્યસ્તર (ર્ભંઇ્ઈઠ) ની રક્તવાહિનીઓમાં સંક્રિય થતા રક્તની અલ્પતાનાં કારણે આ રોગ ઉત્પન્ન થતો માનવામાં આવે છે.
''અપસ્માર'' રોગ દર્દીને થાય તે પહેલાં કેટલાંક લક્ષણો તેનામાં જોવા મળતાં હોય છે. જેને આયુર્વેદમાં ''પૂર્વરૂપ'' કહે છે. આ પૂર્વરૂપ તરીકે રોગીનાં હ્ય્દયમાં કંપન અને શૂન્યતા, પરસેવો થતો, ચિંતા, અનિંદ્રા અને ઘણી વખત રોગીમાં બેભાનવસ્થા પણ જોવા મળતી હોય છે. રોગીને મોટાભાગે સીધો જ વેગ શરૂ થઈ જતા જોવા મળે છે. આ રોગમાં દર્દી ઘણીવાર પડી જતાં શરીરમાં આડું-અવળું વાગી જવાની પણ શક્યતા રહે છે. તો ઘણી વખત દાંતથી જીભ કપાઈ જતાં મુખમાંથી લોહી પણ નીકળે છે. ઘણીવખત રોગીમાં અનૈચ્છિક રીતે મળ-મૂત્રનો ત્યાગ થઈ જાય છે. જેથી, આવા દર્દીઓની ખૂબ સાવધાની રાખવી પડે છે. કારણ કે વેગનાં સમયે તેમને સાંભળનાર કોઈ ન હોય તો, શરીરને હાનિ પહોંચી શકે છે.
આ રોગમાં ખેંચ આવવાનો કોઈ નિશ્ચિત સમય બતાવેલો નથી. પરંતુ જો વાત જ અપસ્માર હોય તો આ રોગના હુમલા ૧૨ દિવસ, પિતજ અપસ્માર મા ૧૫ દિવસે અને કફજ અપસ્માર ના રોગીને ૧ મહિને આ રોગનાં હુમલાં આવતાં હોય છે.
ઘણીવખત નાના બાળકોમાં પણ આ રોગ જોવા મળતો હોય છે. આયુર્વેદમાં તેને ''શિશુ અપસ્માર'' કહે છે. જેમાં ૧ દિવસમાં પાંચથી પચાસ વેગ આવી શકે છે. પરંતુ આ વેગ સૌમ્ય હોય છે. અને મસ્તિકનાં કાર્યમાં વિકૃતિ થતી નથી અને શિશુ યુવાવસ્થામાં પ્રવેશ કરતાં ધીરે-ધીરે આ રોગ પોતાની જાતે શાંત થઈ જાય છે.
આ રોગ માટે આયુર્વેદમાં ઘણાં ઉપચારો બતાવવામાં આવ્યા છે. જેમાંથી લાભપ્રદ અને અનુભુત પ્રયોગો અહીં સૂચવું છું. જેમાંથી અનુકુળ પડે તે કોઈ પણ પ્રયોગ વૈધ કે નિષ્ણાંતની સલાહ મુજબ કરવો, જેમાં
(૧) વાવડીંગ અને પીપરનું સમભાગ ચૂર્ણ કરી ૫-૫ ગ્રામ સવાર-સાંજ રોગીને આપવું.
(૨) અક્કલકરો અને વજનું સમભાગ ચૂર્ણ દિવસમાં ૩ વખત મધ સાથે ખવડાવવું.
(૩) યોગવજ, રાસ્ના, ફુલાવેલો ટંકર સમાનભાગ લેવો અને જટામાંસી ચૂર્ણ બમણા ભાગે લેવું આમાંથી લગભગ ૨૦ ગ્રામ જેટલું ચૂર્ણ ૧૦૦ ગ્રામ પાણીમાં ધીમા તાપે ઉકાળવું તથા ૫૦ ગ્રામ જેટલું પાણી રહે ત્યારે ઉતારી ગાળી લેવું એમાંથી અડધું સવારે અને અડધું સાંજે પીવાથી થોડા જ દિવસોમાં ફાયદો જણાશે.
ઉપરોક્ત ત્રણમાંથી કોઈ પણ એક પ્રયોગ નિષ્ણાંતની સલાહમાં રહીને કરવાથી 'અપસ્મારા' રોગ ઉપર ચોક્કસ અદ્ભુત પરિણામ મળે છે.
આ ઉપરાંત નિષ્ણાંતની સલાહમાં રહીને બ્રાહ્મીવટી, સ્મૃતિસાગર રસ, રૈવ્યભસ્મ, મુક્તાપિષ્ટિ વગેરેનું સેવન પણ આ રોગમાં ખૂબ જ લાભપ્રદ છે.
આ ઉપરાંત અપસ્માર રોગમાં જ્યારે વેગ આવેલો હોય ત્યારે, ભોયરીંગણીનાં ડોડવાનો રસ બે ટીપાં જેટલો નાકમાં મૂકવાથી વેગ શાંત થઈ જાય છે.
અપસ્મારનાં રોગીએ મનને શાંત રાખવું જોઈએ. ચિંતા, ક્રોધ, ઉદ્વેગ, ઈર્ષા જેવાં મનોગત ભાવોથી હંમેશા બચવું જોઈએ કારણ કે ઉપરોક્ત મનોભાવો આ રોગને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત અપસ્મારમાં વેગનો હુમલો ગમે તે સમયે આવી શકતો હોવાથી આવા દર્દીઓએ વાહન ચલાવવાનું ટાળવું જોઈએ, અથવા ખુબ જ સાવધાનીપૂર્વક સાધન ચલાવવું જોઈએ. ઉપરાંત પાણી, ઊંચાઈ વગેરે તરફ જવાનું પણ ટાળવું, જેથી અનિચ્છિનિય કોઈ પણ બનાવથી બચી શકાય.
નિષ્ણાંતનાં માર્ગદર્શનમાં શરૂ કરેલ ઔષધસેવન અને થોડી સાવધાની આ રોગમાં નિ:સંશય લાભ આપે છે.


