Get The App

વસંતમાં ચુસ્ત-મસ્ત રહેવા અપનાવો ફ્લાવર થેરપી

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
વસંતમાં ચુસ્ત-મસ્ત રહેવા અપનાવો ફ્લાવર થેરપી 1 - image

વસંત ઋતુમાં સર્વત્ર ખિલેલા ફૂલોની સોડમ તન-મનને તાજગીથી ભરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણાં ફૂલ ઔષધિની ગરજ પણ સારે છે. ફૂલોથી કરવામાં આવતાં ઉપચારને નિષ્ણાતો ફ્લાવર થેરપી કહે છે. કયા ફૂલ આપણા માટે કઈ રીતે લાભકારક બની શકે અને તેનો ઉપયોગ શી રીતે કરી શકાય તેના વિશે માહિતી આપતાં તેઓ કહે છે...,

* ગુલાબની પાંદડીઓ દૂધમાં નાખીને આ દૂધ ઉકાળીને પીઓ. નિયમિત રીતે આવું દૂધ પીવાથી કબજિયાતની ફરિયાદ દૂર થાય છે.

* ગેંદાના ફૂલની પાંદડીઓનો રસ કાઢીને કાનમાં નાખવાથી કાનની પીડામાં રાહત મળે છે.

* ચમેલીના પાંદડા ચાવવાથી મોઢામાં પડેલા ચાંદા મટી જાય છે.

* એલોવેરા, એટલે કે કુંવારપાઠાના પાન લઈને તેને સારી રીતે ધોઈ લો. તેનો ગરમ કાઢીને ધીમાં હીંગ-જીરૂ નાખી વઘાર કરો. હવે તેમાં મીઠું અને મરી નાખી મિક્સ કરો. ચડી જાય એટલે તેને શાક તરીકે ઉપયોગમાં લો. નિયમિત રીતે આ શાક ખાવાથી સાંધાની પીડામાં રાહત મળે છે. જ્યારે ઘણીવાર સાંધાની વ્યાધિ સંપૂર્ણપણે દૂર પણ થવાની શક્યતા રહે.

* જૂઈના પાનને ચાવીને તેનો રસ શક્ય એટલી વધારે વાર મોઢામાં મૂકી રાખો. ત્યાર પછી તે થૂંકી નાખો. તેનાથી દાંતની પીડામાં, પેઢાંના સોજામાં ફાયદો થાય છે.

* સવારના પહોરમાં ચમેલીના સુગંધી ફૂલોને આંખો પર રાખવાથી નેત્રનું તેજ વધે છે.

* સૂરજમુખીના ફૂલોને કોપરેલ તેલમાં નાખીને થોડાં દિવસ સુધી તડકામાં રાખો. આ તેલથી માલિશ કરવાથી ત્વચા રોગ થવાની ભીતિ દૂર થાય છે.

* સાંધાની વેદનામાં રાહત  મેળવવા ધતૂરા અને એરંડિયાના પાનનો રસ કાઢીને લગાવો.

* ૧૦૦ ગ્રામ ગેંદાના ફૂલ લઈને બીવાળો ભાગ બારીક સમારી લો. તેમાં ૧૦૦ ગ્રામ સાકર અને ૫૦૦ મિ.લી. પાણી નાખી ઉકાળો. તેનું સેવન કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને તાજગી અનુભવાય છે.

* લીમડાના પાન નાખીને ઉકાળવામાં આવેલા પાણીથી સ્નાન કરવાથી ત્વચાના રોગોમાં રાહત મળે છે.

* ચંપા, ચમેલી અને જૂઈના ફૂલોને કોપરેલ તેલમાં ઉકાળીને રાખો. આ તેલથી માથામાં માલિશ કરવાથી કેશ સુંવાળા અને કાળા રહે છે. તેવી જ રીતે આ તેલથી શરીર પર માલિશ કરવાથી સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

* પીપળાના કુણા પાનને કાળા મરી સાથે પીસીને વટાણા જેટલા કદની ગોળીઓ બનાવી રાખો. દાંત દુખતા હોય ત્યારે તેને જે તે દાંત નીચે દબાવી રાખવાથી દાંતની પીડા દૂર થાય છે.

* ફૂદીનાના પાન પીસીને દાદ (ચર્મ રોગ) પર લગાવવાથી ફાયદો થાય છે.

* મોઢું આવી ગયું હોય તો પેરૂના પાનને પાણીમાં નાખીને ઉકાળો. હવે આ પાણી વડે કોગળા કરો. તેનાથી મોઢામાં પડેલા ચાંદામાં રાહત મળશે, સાથે સાથે જીભ અને ગળું પણ સાફ થઈ જશે. 

- અવન્તિકા