ટેકાના ભાવે 30મીથી ઘઉંની ખરીદી બંધ થશે : વડાલીમાં 400 ખેડૂતોની ખરીદી બાકી
- 1000 પૈકી 337 ખેડૂતોના ઘઉં ખરીદાયા
- ખરીદી શરૂ થઈ ત્યારથી જ બારદાનના અભાવે ગોકળગાયની જેમ પ્રક્રિયા ચાલતા ખેડૂતોમાં આક્રોશ
વડાલી, તા. ૨૭ જૂન, 2020, શનિવાર
સરકાર ઘઉંની ટેકાના ભાવે
ખરીદી આગામી તા. ૩૦મી જૂનથી બંધ કરવા માટેનો પરિપત્ર કર્યો છે. જોકે વડાલીમાં એક હજાર
ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે પૈકી ૩૩૭ ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ
કર્યું હતું. જ્યારે ૪૦૦ ખેડૂતોના ઘઉંની ખરીદી હજુ બાકી છે અને અન્ય ખેડૂતોએ ઘઉં અન્ય
સ્થળોએ વેચી દીધા છે. જો કે વડાલી ખરીદી કેન્દ્ર પર બારદાનના અભાવે ખરીદી ધીમી ગતિએ
ચાલતી હોવાની ખેડૂતો ઘઉંના વેચાણથી વંચિત રહ્યા છે. એટલું જ નહીં હાલમાં વડાલી ખરીદી
કેન્દ્ર પર બારદાનનો જથ્થો ઉપલબ્ધ જ નથી.
વડાલી સેન્ટર ઉપર ગુરૂવારના
દિવસથી જ બારદાન ખલાસ થઇ જવાના કારણે શુક્રવારથી ખરીદી કાર્ય બંધ રહ્યું છે, જેના લીધે ખેડૂતો પોતાનો માલ ભરાવી શક્યા
નથી. વડાલી સેન્ટર ઉપર અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવેલ / ખેડૂતો પૈકી ૩૩૭
ખેડૂતો દ્વારા ૨૬૪૮૩ કટ્ટા ઘઉંની ખરીદી કરવામાં આવી છે. હજુ ૪૦૦ જેટલા ખેડૂતોનો
માલ લેવાનો બાકી છે પરંતુ શુક્રવારથી બારદાનના અભાવે ખરીદી શક્ય બની નથી. આજે
શનિવાર અને રવિવાર એમ બે દિવસ રજાઓ આવતી હોવાથી ખરીદી કાર્ય બંધ રહેશે. તદુપરાંત આ
અંગે કેન્દ્ર ઇન્ચાર્જ મકવાણાને પૂછતા જણાવ્યું હતું કે, હાલ
બારદાન ન હોવાથી ખરીદી કરવાનું બંધ રખાયું છે. બારદાન બે દિવસમાં આવે તેવી કોઇ
શક્યતા નથી. તથા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા તારીખ ૨૬/૬/ના
રોજ પરિપત્ર કરાવવામાં આવ્યો છે. તે પરિપત્ર મુજબ રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૦-૨૧માં
લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી તારીખ ૩૦/૬/૨૦૨૦ ના રોજ પૂર્ણ જાહેર કરી છે અને
સરકારમાંથી મુદત વધારવા બાબતે અન્ય કોઇ સૂચના મળેલ ન હોય રજિસ્ટ્રેશન કરાવેલા બાકી
રહેલ રહેતા ખેડૂતો પાસેથી ઘઉંનો જથ્થો ખરીદવાનો બાકી રહેતો હોય તેવા ખેડૂતોને
એસ.એમ.એસ. તેમજ ફોન દ્વારા જાણ કરી ૨૯/૬/૨૦૨૦ સુધીમાં ઘઉંની ખરીદી કાર્ય પૂર્ણ કરી
દેવું તેમ જણાયું છે.
ત્યારે અત્યારે હાલ
વડાલી સેન્ટર ઉપર બારદાનના અભાવે ખરીદી શક્ય નથી તતા ૪૦૦ જેટલા ખેડૂતો પાસેથી
ઘઉંનો જથ્થો ખરીદવાનો બાકી રહ્યો છે અને ૩૦ તારીખથી સેન્ટર બંધ કરવાનો પરિપત્ર
મોકલવામાં આવેલો છે. તો વડાલી તાલુકાના બાકી રહેતા ખેડૂતોનો જથ્થો ક્યારે લેવાશે
તે બાબતે પ્રશ્નાર્થ છે. વડાલી સેન્ટર ઉપર મુદત ૩૦ તારીખે મુદત પૂરી થાય છે. જેથી
સરકાર દ્વારા વડાલી સેન્ટર ઉપર મુદત લંબાવી બાકી રહેતા ખેડૂતો પાસેથી તાત્કાલિક
માલ ખરીદ કરવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે.