Get The App

સભ્યપદ રદ કરાતા સહકારી આગેવાનોએ ઉગ્ર આંદોલન કરવા માટે બાયો ચડાવી

- ગુજકોમાસોલ દ્વારા સાબરકાંઠાની 61 મંડળીઓના સભ્યપદ રદ કરતા વિરોધ

- ઇડરમાં મળેલી બેઠકમાં ફેડરેશન નિર્ણય ન બદલે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ણય

Updated: Jul 10th, 2020

GS TEAM

Google News
Google News
સભ્યપદ રદ કરાતા સહકારી આગેવાનોએ ઉગ્ર આંદોલન કરવા માટે બાયો ચડાવી 1 - image

ઇડર, તા.9 જુલાઈ, 2020, ગુરૂવાર

સાબરકાંઠા જિલ્લાની ૬૧ સેવા મંડળીઓને ગુજકોમાસોલના સભ્યપદેથી દુર કરવાને મામલે ગુરૂવારે ઇડરના દિવેલા સંઘમાં તમામ ૬૧ મંડળીના હોદ્દેદારો સહિત સહકારી અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં ગુજકોમાસોલનો રાજકીય ઉપયોગ થયાનો આક્ષેપ કરી, તમામે એકી અવાજે સભ્ય પદેથી દુર કરવાના ગેરબંધારણીય પગલાને વખોડી કાઢ્યું હતું. આ બેઠકમાં રદ થયેલી તમામ મંડળીઓને સભ્યપદ પરત ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ણય કરી, જરૂર પડે કોર્ટ-કચેરી કે ઉગ્ર આંદોલન માટે પણ તમામે તૈયારી દર્શાવી હતી. ગુજકોમાસોલે સભ્યપદ ધરાવતી સાબરકાંઠાની ૧૪૪ સેવા સહકારી મંડળીઓ પૈકી ૬૧ મંડળીઓનું સભ્યપદ રદ કરી, જે તે મંડળીએ ધારણ કરેલી શેરની રકમના ચેક મોકલી આપતા સાબરકાંઠાના સહકારી માળખામાં ખળભળાટ મચી જવા સાથે ગુજકોમાસોલની કાર્યપધ્ધતી સામે રોષ ભભુકી ઉઠયો છે. ફેડરેશને એકાએક ઉઠાવેલા આ પ્રકારના પગલાથી જિલ્લાના સહકારી આગેવાનોમાં ચિંતા પ્રસરી ગઈ છે. સભ્ય પદેથી દુર કરાયેલી મંડળીઓમાં સૌથી વધુ ઇડર તાલુકાની ૩૧, વડાલીની ૧૨ ઉપરાંત પ્રાંતિજ તથા હિંમતનગરની અને ખેડબ્રહ્મા મંડળીઓનો સમાવેશ થાય છે.

૪૦-૪૦ વર્ષથી સભ્યપદ ધરાવતી મંડળીઓનું સભ્યપદ એકા-એક સામાન્ય બહાના તળે છીનવી લેવાતાં અનેક શંકા-કુશંકાઓ પણ ઉભી થવા પામી હતી. દરમિયાન ફેડરેશનનું આ પગલું ગેરબંધારણીય હોવાનો ચણભણાટ શરૂ થવા સાથે ફેડરેશનના રાજકીય ઉપયોગ અંગેની જિલ્લાના એક ટોચના સહકારી આગેવાન સામે આંગળી ચિંધાતાં સહકારી માળખામાં ગરમાવો આવી ગયો હતો. જેના ભાગરૂપે ગુજકોમાસોલના આ નિર્ણયનો વિરોધ કરવા સભ્યપદ ગુમાવનાર તમામ ૬૧ મંડળીઓના હોદ્દેદારો તથા સહકારી આગેવાનોની એક બેઠક ગુરૂવારે ઇડર સ્થિત દિવેલા સંઘમાં મળી હતી. જેમાં તમામે એકી અવાજે સભ્યપદ રદ કરવાના ફેડરેશના ગેરબંધારણીય પગલાને વખોડી કાઢ્યું હતું. સાથે જ તમામ ૬૧ મંડળીઓને સભ્યપદ પરત ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ માટે દસ મંડળીના હોદ્દેદારોના એક પ્રતિનિધિ મંડળની રચના કરાઈ હતી. આ લોકો જિલ્લા સંઘ ઉપરાંત ગુજકોમાસોલ અને સરકારમાં ન્યાયીક રજુઆત કરશે. તેમ છતાં પરિણામ નહીં મળે તો કોર્ટ કચેરી કે ઉગ્ર આંદોલનનો આશરો લઈને પણ તમામ મંડળીઓને સભ્યપદ પરત મળે તેવા પ્રયાસ હાથ ધરાશે. આ બેઠકમાં ૬૧ મંડળીના હોદ્દેદારો ઉપરાંત સહકારી જીન, માર્કેટયાર્ડ, ખરીદવેચાણ સંઘ તથા સાબરડેરીના ડિરેક્ટરો સહિત ખેડુત આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

Tags :