Get The App

ભાજપ યુવા અગ્રણીએ પોલીસ સમક્ષ હાજર થઇ નિવેદન નોંધાવ્યું

- ઊર્જા વિભાગમાં કથિત ભરતી કૌભાંડ

- અન્ય બે શખ્સોની ગમે તે ઘડીએ પૂછતાછ પોલીસની તપાસનો ધમધમાટ યથાવત

Updated: Jan 6th, 2022

GS TEAM

Google News
Google News
ભાજપ યુવા અગ્રણીએ પોલીસ સમક્ષ હાજર થઇ નિવેદન નોંધાવ્યું 1 - image

હિંમતનગર,મોડાસા, તા. 5

ઊર્જા વિભાગમાં પાછલા ૩ વર્ષ દરમિયાન થયેલી ભરતીમાં કથિત ગેરરિતીના વિદ્યાર્થી નેતાએ આરોપ લગાવ્યા પછી અરવલ્લી પોલીસે સોશિયલ મીડીયા અને ન્યુઝ ચેનલના અહેવાલના પગલે ધનસુરા હાઈસ્કુલના શિક્ષકને તપાસ માટે ઉઠાવ્યા પછી નિવેદન નોંધી રાત્રે ૭-૦૦ કલાકે મુક્ત કર્યાનું જાણવા મળ્યું છે.  બુધવારે બપોરે ભાજપ સંગઠનના યુવા અગ્રણીએ સામેથી પોલીસ સમક્ષ હાજર થઈ પોતાનું નિવેદન આપી તમામ આરોપ નકાર્યા છે. જ્યારે જિલ્લા પોલીસ અન્ય ર ઈસમોની ગમે તે ઘડીએ પૂછતાછ કરી શકે છે.  

 ઊર્જા વિભાગમાં બાયડ તાલુકાના કેટલાક ગામના અનેક ઉમેદવારોને નોકરી મળી છે અને પરીક્ષાર્થીઓના નંબર જાહેર કરી એમ.જી.વી.સી.એલ.માં ઉત્તિર્ણ ન થનારા ઉમેદવારો યુ.જી.વી.સી.એલ.ની પરીક્ષામાં ઉંચા રેન્ક સાથે કેવી રીતે ઉત્તિર્ણ થયા.? સમગ્ર હાઈટેક ભરતી કૌભાંડનો વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ  પર્દાફાશ કર્યા પછી હલચલ મચી ગઈ છે.

  ઊર્જા વિભાગના ભરતી કૌભાંડમાં બાયડ તાલુકાના જીતપુરના અને ધનસુરા હાઈસ્કુલમાં ફરજ બજાવતા અરવિંદ એમ. પટેલનું નામ સામે આવતાં અરવલ્લી એલ.સી.બી. ગત રોજ શાળામાં પહોંચી હતી અને અરવિંદ પટેલને ટી-ક્લબમાંથી ઉઠાવી પૂછપરછ માટે મોડાસા લઈ આવી હતી.

જ્યાં પ થી ૬ કલાકની પૂછપરછ દરમિયાન માત્ર નિવેદન નોંધીને પોલીસે સંતોષ માન્યો છે અને ત્યારબાદ શિક્ષકને ઘરે જવા દેવામાં આવ્યા હતા. મીડીયા સામે આવેલા શિક્ષકે પોતાના ઉપરના તમામ આરોપ નકારી દીધા છે. જ્યારે કથિત ભરતી કૌભાંડમાં અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન યુવા મોરચાના મહામંત્રી અવધેશ પટેલ(ધનસુરા)નું નામ પણ ઉછળ્યું હતું. બુધવારે બપોરે મીડીયા સમક્ષ આવી પોતાની સામેના તમામ આક્ષેપો નકારવાની સાથે મારા ઘરમાં કોઈ નોકરી કરતું નથી.તેમ જણાવ્યું હતું.

કૌભાંડ આચરાયું નથી તો પછી અનેક નામચીન અંડરગ્રાઉન્ડ કેમ. ?

ઉર્જા વિભાગમાં પાછલા ૩ વર્ષ દરમિયાન રૂ ર૧ લાખ જેટલી  રકમ લઈને ઉમેદવારોને નોકરી અપાવ્યાના આરોપથી રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. વિદ્યાર્થી નેતાએ વચેટીયા સહિત ઉમેદવારોના નામ જાહેર કર્યા અને એ સાથે એ.પી. સેન્ટર બાયડ તાલુકો હોવાનું બહાર આવ્યું. જ્યારે વિદ્યાર્થી નેતાએ અરવિંદ પટેલ(શિક્ષક)ને વચેટીયા તરીકે જાહેર કર્યા હતા તેમની પોલીસે પૂછપરછ કર્યા પછી ઘરે પહોંચ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે જો ભરતી કૌભાંડ આચરાયું નથી તો પછી અનેક નામચીન અંડરગ્રાઉન્ડ કેમ થયા. ?

અવધેશ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા, એલ.સી.બી. પી.આઈ.

એલ.સી.બી. પી.આઈ., સી.પી.વાઘેલાએ જણાવ્યું કે કથિત ભરતી પ્રકરણમાં જેમનું નામ ચર્ચામાં હતું તે ધનસુરાના અવધેશ પટેલ બુધવારે બપોરે પોલીસ સમક્ષ હાજર થઈને નિવેદન આપ્યું છે અને પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે. નિવેદન નોંધ્યા પછી પૂછતાછ કરીશું.