સાબરકાંઠામાં ગત વર્ષની તૂલનામાં 16 ટકા વરસાદ
- ગયા વર્ષે સરેરાશ 120 ટકાથી વધુ વરસાદ થયો હતો
-m જિલ્લામાં ખરીફ પાકનું 70 ટકા વાવેતર : વાવેતર બાદ જિલ્લામાં વરસાદે હાથ તાળી આપતા ખેડૂતો ચિંતિત
અમદાવાદ, તા.10 જુલાઈ, 2020,
શુક્રવાર
સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં
હાલના સંજોગોમાં અન્ય વિસ્તારો કરતા થઈ રહેલા ઓછા વરસાદ પરથી એવુ લાગી રહ્યુ છે કે
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચોમાસુ નબળુ રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હોવા છતા ખેડૂતોએ
અત્યાર સુધીમાં અંદાજે ૭૦ ટકા જમીનમાં ચોમાસુ પાકોનું રામભરોસે વાવેતર કરી દીધુ છે
અને ચોમાસુ પાક સારો ઉતરે તે માટે મેઘરાજાને વિનવણી કરીને સવાર પડતાની સાથે જ આકાશ
તરફ મીટ માંડીને બેસી જાય છે ગત વર્ષ કરતા સાબરકાંઠામાં થયેલા ઓછો વરસાદ ખરેખર ખેડૂતો
માટે ચિંતા ઉપજાવે તેમ છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી
વી.કે.પટેલના જણાવાયા મુજબ તા.૮-૭-૨૦૨૦ સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં ડાંગરનું
અંદાજે ૧૦૨૦ હેક્ટર પીયત જમીનમાં ખેડૂતોએ રોપણીનું કામ પૂર્ણ કરી દીધુ છે. તે
ઉપરાંત જે વિસ્તારોમાં આકાશી ખેતી થાય છે. તેવા વિસ્તારોમાં રહેતા ખેડૂતોએ પણ અગાઉ
થયેલા પ્રથમ વરસાદ બાદ કેટલીક બિનપિયત જમીનમાં રોકડીયા પાકનું પણ વાવેતર કરીને
તેમાં આંતરખેડનું કામ આટોપી લીધુ છે. અને છોડનો વિકાસ થાય તે માટે નિંદામણનું કામ
પણ પુરજોશમાં શરૂ કરી દીધુ છે.
ડીઝાસ્ટર વિભાગના
જણાવાયા મુજબ જિલ્લામાં અત્યાર સુધી પ્રાંતિજ તાલુકામાં તા.૮ જુલાઈ સુધીમાં સૌથી
વધુ એટલે કે ૨૨૧ મી.મી. વરસાદ પડયો છે. ટાકાવારીની વાત કરીએ તો એકલા પ્રાંતિજ
તાલુકામાં ૨૬.૭૯ ટકા વરસાદ થયો છે. તેજ પ્રમાણે ઈડરમાં ૧૪૨ મી.મી. (૧૪.૬૨ ટકા)
તલોદમાં ૧૪૮ (૧૮.૫૯ ટકા) વડાલીમાં ૯૦ મી.મી. (૧૦.૨૯ ટકા) વિજયનગરમાં ૧૬૦ મી.મી.
(૧૮.૯૩ ટકા) હિંમતનગરમાં ૧૮૧ મી.મી. (૨૧.૨૭ ટકા) જ્યારે સૌથી ઓછો પોશીના તાલુકામાં
૩૩ મી.મી. એટલે કે ફક્ત ૩.૯૫ ટકા વરસાદ થયો છે. જિલ્લામાં સરેરાશ વરસાદ ૧૬.૭૨ ટકા
વરસાદ થઈ ચૂક્યો છે.
ગત વર્ષની વાત કરીએ તો
જિલ્લામાં સૌથી વધુ વરસાદ હિંમતનગર તાલુકોમાં ૧૪૧.૦૨ ટકા, ઈડરમાં ૧૩૩.૨૭, ખેડબ્રહ્મામાં
૧૩૨.૮૭, પોશીનામાં ૧૫૦.૦૩, પ્રાંતિજમાં
૧૨૨.૩૭, તલોદમાં ૧૨૪.૧૯, વડાલીમાં
૧૦૬.૩૫ અને વિજયનગરમાં ૧૩૦.૫૩ ટકા વરસાદ ચોમાસાની સિઝનમાં પડયો હતો. તેની
સરખામણીમાં આ વર્ષે ચોમાસામાં પડેલો વરસાદ ખુબજ નહિવત ગણી શકાય જે ખેડૂતો માટે
ચિંતા ઉપજાવે તેમ છે. ઉલ્લેખનીય છેકે જિલ્લામાં આવેલા તમામ જળાશયોમાં હજુ સુધી નવા
પાણીની આવક થઈ નથી અને નદીનાળામાં પણ વરસાદી પાણી આવ્યા નથી જો આ વર્ષે ચોમાસુ
નબળુ જાય તો મોટાભાગના તમામ વિસ્તારોમાં પાણીના સ્ત્રોત પાતાળમાં પહોચી જશે અને
તેના લીધે સિંચાઈ તથા પીવાના પાણીની હાડમારી સર્જાઈ શકે છે.