સાબરકાંઠાના ત્રણ તાલુકામાં સામાન્ય વરસાદ : ખેડબ્રહ્મા શહેરમાં પોણો ઇંચ
- વરસાદ ખેંચાશે તો ડાંગરનું વાવેતર ઘટશે
- ત્રણ તાલુકા કોરાધાકોર : અસહ્ય બાફ અને ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ યથાવત
અમદાવાદ, તા.7 જુલાઈ, 2020,
મંગળવાર
સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે
આકાશ વાદળોથી ગોરંભાયેલુ રહ્યુ હોવા છતા સામાન્ય કહી શકાય તેવો વરસાદ વરસ્યો છે. જિલ્લાના
ત્રણ તાલુકાઓમાં સામાન્ય વરસાદ પડયો છે જયારે ખેડબ્રહ્વા તાલુકામાં પોણો ઇંચ વરસાદ
પડયો હતો. ત્રણ તાલુકાઓ તો મંગળવારે વરસાદથી વંચિત રહ્યા છે. આખો દિવસ આકાશ વાદળોથી
ગોરંભાયેલુ રહ્યુ હોવા છતા જાણે કે વરસાદ અને વાદળોએ અત્યારથી જ હાથતાળી આપવાનું શરૂ
કરી દીધુ છે. ડીઝાસ્ટર વિભાગના સૂત્રોના જણાવાયા મુજબ સોમવારે રાત્રે જિલ્લામાં નહિવત
સામાન્ય વરસાદ પડયો છે. જ્યારે સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં ઈડરમાં ૦૭, ખેડબ્રહ્મામાં ૨૦, વિજયનગરમાં
૦૭ અને હિંમતનગરમાં ૦૯ મીમી વરસાદ પડયો છે. જોકે મંગળવારે આખો દિવસ વાદળો આકાશમાં આમથી
તેમ ફરતા હતા પરંતુ જિલ્લામાં એકપણ ઠેકાણે મનમુકીને વરસ્યા નથી. સતત વાદળછાયા વાતાવરણને
લીધે આખો દિવસ લોકોએ અસહ્ય બાફ અને ઉકળાટનો અનુભવ કર્યો છે.
તો બીજી તરફ પ્રાંતિજ, તલોદ અને પોશીના પંથક મંગળવાર વરસાદથી
વંચિત રહ્યા છે. અપુરતા અને ઓછા વરસાદને લઈને જે ખેડૂતો કઠોળ પાકોની તથા રોકડીયા
પાકની ખેતી કરવાની ઈચ્છા ધરાવે છે તવો ખેડૂતવર્ગ પણ ચોમાસુ પાકોની વાવણી કરતા
ખચકાટ અનુભવી રહ્યો છે. અને આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યો છે.
ખેડૂતો એવુ માને છે કે અત્યારે ચોમાસાની જવાની ચાલી રહી હોવા છતા મેઘરાજા મન
મુકીને વરસતા નથી. જ્યારે વરસવાનું શરૂ કરશે ત્યારે તેના ફાયદા કરતા વધુ નુકશાન
થાય તેવી ચિંતા સેવાઈ રહી છે. જો આમજ ચાલશે તો ડાંગરના પાક માટે જાણીતા પ્રાંતિજ,
હિંમતનગર અને તલોદ તાલુકામાં આ વર્ષે ડાંગરનું વાવેતર ઓછુ થવાની
શક્યતા નકારી શકાતી નથી.