Gujarat

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે માવઠં

By GS Team
20 Nov 20212 mins read
This article was originally published on 20 Nov 2021
સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે માવઠં

ઈલોલ તા. 19

હિંમતનગર તાલુકાના પશ્ચિમ વિસ્તારના ઈલોલ પંથકમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે છેલ્લા બે દિવસથી વરસેલા કમોસમી વરસાદથી ખેડુતોના પાકને નુકશાન થવા પામ્યુ છે. નુકશાન થવાની સાથે જનજીવન પર ઠંડીની અસર જોવા મળી રહી છે.

તાલુકાના પશ્ચિમ વિસ્તારના ઈલોલ, કાનડા, પ્રેમપુર, રંગપુર, મુનપુર, કનાઈ, ગઢા, વકતાપુર સહિતના આસપાસના ગામોમાં છેલ્લા બે દિવસથી એકાએક વાતાવરણમાં પલ્ટો આવી એકાએક વરસેલા કમોસમી વરસાદથી જનજીવનની સાથે ખેડુતોના પાકને પણ નુકશાન થવા પામ્યુ છે ત્યારે અનેક પશુપાલકો માટે સગ્રહીત કરેલો ઘાસચારો પલળી જતાં મુશ્કેલી સર્જાવા પામી છે. પશ્ચિમ વિસ્તારના ઈલોલથી દેશોતર સુધીના વિસ્તારોના ખેડુતોએ મોટેભાગે મુખ્યત્વે હાઈબ્રીડ રાયડાનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કરાયુ છે.

 બીજી તરફ જુવારના પાકને કમોસમી વરસાદથી નુકશાન થવા પામેલ છે અને જુવારનો ઘાસચારો પલળવાને કારણે કાળો થઈ જતાં પશુઓને ઘાસચારાની મુશ્કેલી સર્જાઈ છે. ઉપરાંત કપાસના પાકને પણ નુકશાન થવા પામેલ છે. બે દિવસથી  વરસેલા કમોસમી વરસાદથી જનજીવન પર અસર થતાં લોકો ઠુઠવાયા હતા. સાથે સાથે ગરમ વસ્ત્રો પહેરી લોકો ફરતા જોવા મળ્યા હતા.

વરસાદને કારણે ગામના નીચાણવાળા વિસ્તારોમાં તથા મુખ્ય માર્ગો તથા ખેતરોમાં પાણી ભરાતા ચોમાસા જેવો માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડકની સાથે ઠંડીની લહેર પ્રસરતા ઠંડીમાં વધારો થવા પામ્યો છે.

ખેડબ્રહ્મા શહેરમાં સતત બીજા દિવસે માવઠાએ વેપારીઓના ધંધા બગાડયા

ખેડબ્રહ્મા ખાતે આજે બીજા દિવસે વહેલી સવારે વરસાદ ચાલુ થયો હતો. આ વરસાદના કારણે વેપારીઓના ધંદા થઇ શક્યા નહોતા. બહારથી આળેલા વેપારીઓ ધંધો કર્યા વગર પરત ગયા હતા.

ખેડબ્રહ્મા કારતકી પુનમનું ખુબ જ મહત્વ હોવાથી અને નદીમાં મોટો મેળો ભરાતો હોવાથી બે દિવસ અગાઉથી જ કાપડનો ધંધો કરવા વેપારીઓ આવી જાય છે. ગત વર્ષે કોરોના કારણે મેળો બંધ રહ્યો હતો જેથી આ વર્ષે વેપારીઓ ધંધા માટે આવ્યા હતા. પરંતુ વરસાદ પડતા તેમના ધંધા થઇ શક્યા નહોતા. આજે સવારથી જ વરસાદ ચાલુ રહ્યો હતો. અને ૧૩ મીમી એટલે કે અડધા ઇંચ કરતા વધુ વરસાદ પડયો હતો.